‘કોણ છે બારણે, જો તો, વહુ.’ સાસુમાએ હુકમ કર્યો.
‘મા, એ તો પેલા …’
‘હા, હા, આપી દે ને, કાલનાં વધેલાં દાળ-ભાત.’
‘પણ મા, જરા બારણે આવીને જુઓ તો ખરાં.’
માતાજી ખોડંગાતે પગલે બારણે આવીને જુએ છે, તો નજર પહોંચે ત્યાં સુધી, માનવ મહેરામણ, ધીમે અવાજે, એકધારો, ‘મા, કોઈ રોટી દે દે, મા કોઈ રોટી દે દે.’ એમ બોલ્યા કરે છે. એ જોઇને બેશુદ્ધ થતાં પહેલાં મા બોલી ઉઠ્યાં, ‘અ…ધ…ધ આટલા બધા કરોડ લોકો ?’
ચારેક મહિના પહેલાં, “The Times of India”માં વાંચેલ એક લેખ, જરૂર કરતાં વધારે લંબાયેલા શિયાળાના હિમ નીચે ઢબુરાઈને પડ્યો રહ્યો, જે આજે નરમ સૂર્યનાં કિરણોના સ્પર્શે વિચારોમાં ફેર ફૂટી નીકળ્યો. એ લેખમાંના આંકડાઓને અધિકૃત માની લઈએ, તો ઉપરોક્ત દ્રશ્ય શા માટે જોવા મળે, એ પ્રશ્ન જરૂર થયા વિના ન રહે.
ભારતમાં અત્યારે ૬૬૭ લાખ ટન અનાજનો જથ્થો જમા પાસામાં છે. છેલ્લા પાંચ વર્ષમાં, ૧૯૨ લાખ ટનનો, એટલે કે અગાઉના જથ્થામાં ૨૫૦%નો વધારો થયો. ખરેખર ખુશ થવા જેવી હકીકત છે આ. સરકારી નીતિ પ્રમાણે ભારત જેવા વિશાળ દેશ પાસે ૨૦૦ લાખ ટનનો બફર સ્ટોક અને ૫૦ લાખ ટન strategic (વ્યૂહાત્મક) જથ્થો હોવો જરૂરી છે. જેથી દુષ્કાળ કે પૂર જેવી કટોકટીના સમયમાં કામ આવે. પરંતુ આજે તો એના કરતાં ય અઢી ગણો અનાજ સંગ્રહ છે.
ગૌરવ લેવા જેવી વાત છે. પણ જુદા જુદા અભ્યાસો દ્વારા જાણવા મળેલા આંકડા જોઈએ, તો ભારતમાં ૨૦૦ મીલિયન લોકો ભૂખ અને અપૂરતા પોષણથી પીડાય છે. ગયે વર્ષે ભયંકર ભૂખમરાથી પીડાતા ૭૯ દેશોમાંથી ભારતનું સ્થાન ૬૫મું હતું. ૪૩% બાળકો અપૂરતાં પોષણથી પીડાય છે. આ બાબતમાં ભારત ઈથિયોપિયા, નીજર, નેપાળ અને બાંગ્લાદેશથી ય નીચા ક્રમાંકમાં આવે છે. આથી જ અનાજની વિપુલતાના આંકડાઓ જોઈને હરખાયેલું હૈયુ,ં ભૂખ્યા જનોની સંખ્યાના આંકડા જોઈને, હારી જાય છે.
સવાલ એ થાય છે કે જીવનદાયી અનાજનો પર્વત, ભૂખ્યા માનવ સમુદાયના દરિયાથી, કેમ ઘેરાયેલો છે ? સરકાર કુલ ઉત્પાદનના ૧/૩ ભાગ લેવી પેટે લે છે, તે ઉપરાંત તેના વિતરણમાં નડતી તુમારશાહી અને નફાખોરીની લાલચને કારણે અનાજનો ભરાવો વધે છે, એવું નિષ્ણાતો માને છે. સરકારી નીતિ છે કે ગરીબીની રેખા નીચે જીવનારને ઓછી કિંમતે અને ગરીબીની રેખાથી ઉપર જીવનારને વધુ ભાવે અનાજ વેચી શકે, પણ ખરેખર એવું અમલમાં મૂકાય છે ? સરકાર ૧૯૯૧ની વસતી ગણતરીના આંકડાનો ૨૦૦૦ની સાલમાં ઉપયોગ કરીને કહે છે કે ભારતમાં આઠથી દસ કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. ભારતની જનસંખ્યાનો આંક ૨૦૦૦માં ૯૯ કરોડનો હતો તે ૨૦૧૨માં વધીને ૧૨૨ કરોડનો થયો છે. સંશોધન કરીએ તો કદાચ જનસંખ્યાનો એ વધારો ભૂખમરો વેઠતી પ્રજામાં જ વધુ થયો હશે, એમ બહાર આવે તો નવાઈ નહીં. તો વધારાનું અનાજ એ વધેલી જનસંખ્યા પાસે પહોંચ્યું હશે ?
અમારી પુત્રવધૂ ભારત ફરવા આવેલી, પણ કુટુંબ વચ્ચે રહેવાનો પહેલીવાર તાજેતરમાં મોકો મળ્યો. તેને મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આધુનિક સગવડતાઓથી સુસજ્જિત રહેણી કરણી તેમ જ શહેરી ગરીબીનો જાત અનુભવ થયો. આવા વિરોધાભાસનું કારણ સમજાવવું મુશ્કેલ છે. મેં નિર્દેશ કર્યો કે આસપાસ નજર કરતાં એમ લાગે કે જાણે ઘણા લોકો ‘દુનિયામાં આવી ગયા છીએ તો ગમે તેમ કરીને પેટ તો ભરવું ને?’ એવું વિચારીને જે મળે તે કામ કરે, જેટલી મળે તેટલી રોજી કમાય, પણ ભીખ નથી માગતા એવું જોવા મળશે. ભૂખ્યાં-નાગાં હોય પણ કાળી મજૂરી કરીને કૈક પણ ઉપાર્જન કરે. નવરા બેસી રહેવાને બદલે કોલસાની ખાણ પાસે નકામો પડેલો કોલસો એકઠો કરીને (ગેર કાયદેસર છે, છતાં) ૨૦૦-૨૫૦ કિ.ગ્રા. જેટલું વજન ઉપાડીને ૬૦થી ૮૦ કિ.મિ. ચાલીને જનાર મજૂર એક કિલો કોલસાના છથી આઠ રૂપિયા મળે તો પણ એ પસંદ કરે છે.
ભારતમાં ખેતી અને મજૂરી કરનારો મોટો વર્ગ છે. એમને પૂરતી જમીન, શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, મકાન અને કામની તકો પૂરી પાડવામાં આવે તો તેઓ દેશને સુજલામ સુફલામ બનાવી શકે. કરી જોવું છે ? એક બાજુ ધાન્યના ઢગલા ખડકાયા છે, તો બીજી બાજુ શહેરમાં રૂ.૧૮ની કે ગામડામાં રૂ.૧૨ની રોજીંદી માથાદીઠ આવક ધરાવનાર સંખ્યાબંધ કુટુંબો, સરકાર ૧કિલોના રૂ ૬.૧૦ના ભાવે ઘઉં અને રૂ. ૮.૩૦ના ભાવે ચોખા વેંચે તે પણ ખરીદી ન શકે, તેટલી બેકારી અને મોંઘવારીના ભાર તળે દબાય છે. યાદ રહે કે એ તમામ લોકો કામ કરવાને શક્તિમાન છે, એમની પાસે રોજગારીની તકો નથી. આવી મહેનતકશ પ્રજા માટે તો સરકારને વહાલ ઊભરાવું જોઈએ. તેમને માટે કામની તકો ઊભી કરવી જોઈએ.
ભૂખમરાનો ઉકેલ છે અનાજ વિતરણની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં. તમામે તમામ પ્રજાજનને કિફાયત દામે અનાજ મળે છતાં બચે તેટલું અનાજ ભંડારોમાં ભર્યું છે. એક પણ માઈનો લાલ ભૂખ્યો ન સૂએ એટલી અન્ન સંપદા આપણી પાસે છે. આ વાત પેલી બેશુદ્ધ થયેલી મા શુદ્ધિમાં આવે ત્યારે સુધબુધ ગુમાવી બેઠેલા રાજકારણીઓને સમજાવશે ત્યારે ‘મા કોઈ રોટી દે દે.’ એમ કહેનારો એક પણ અવાજ નહીં હોય.
e.mail : 71abuch@gmail.com