તાજેતરમાં બોસ્ટન યુ.એસ.એ.માં મેરેથન દોડ પૂરી થઈ, તેવે ટાણે બે વિસ્ફોટ થયા, જેમાં ત્રણ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને સોથી વધુ ઘવાયાના સમાચારથી ફરી નિ:સાસો નખાઈ ગયો.
ઘાયલ થયેલામાંથી નવ, સાત અને બાર વર્ષનાં બાળકો છે અને મૃત્યુ પામેલામાંથી એક તો માત્ર આઠ વર્ષનો બાળક હતો, એ સંભાળીને પૂર્ણિમાબહેનની આઠ વર્ષની પુત્રી અભિલાષા પણ વ્યથિત થઈ ગઈ. તેને થયું, હું એમની જગ્યાએ હોઉં તો મારું અને મારા મમ્મી-ડેડીનું શું થાય? એ સાથે જ એના મનને બીજા અનેક સવાલો સતાવવા લાગ્યા. એ કુમળી બાલિકા પોતાના ઓરડામાં જઈને વિચારે ચડી. છેવટ પોતાના સવાલોના જવાબ શોધવા તેણે ઇન્ટરનેટનો સહારો લીધો. પડદા પર એક પછી એક કડીઓ ખૂલતી ગઈ અને અભિલાષા વિસ્ફારિત આંખે જોઈ રહી.
અચાનક અભિલાષા દોડીને તેની મમ્મીને બોલાવી લાવી અને એક શ્વાસે બોલવા લાગી, ‘મમ્મી, આ જો તો, મેં આતંકવાદી સંગઠનોના નામની શોધ કરી તો કેટલાં બધાં નામ આવ્યાં? એ જોઇને મને વિચાર આવે છે કે એ બધા કોણ છે, કઈ ભાષા બોલાતા હશે, દુનિયામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ક્યાં રહેતા હશે, કયો ધર્મ પાળતા હશે. અને સૌથી મોટી વાત તો એ કે એ લોકો શા માટે આતંક ફેલાવતા હશે?’
ખરું પૂછો તો પૂર્ણિમાએ કોઈ દિવસ આવી બાબતોનો વિચાર નહીં કરેલો, એમ માનીને કે આપણે કદિ આ પરિસ્થિતિમાં સુધારો કરી શકવાના નથી, તો ઉપાધિ શા સારુ કરવી ? પણ નાના બાળકો આપણા કરતાં વધુ સંવેદનશીલ હોતાં હશે; એટલે જ અભિલાષા તરત પોતાના સવાલોના જવાબ શોધવા સક્રિય થઇ ગઈ. પછી તો બંને મા-દીકરીએ મળીને એ માહિતીનો અભ્યાસ કર્યો અને કૈંક આવું તારણ કાઢ્યું :
૧. આતંકવાદી સંગઠનોનાં નામ પરથી એવું લાગે છે કે મોટા ભાગના પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાંથી ઊભા થયેલા છે.
૨. સંગઠનોમાં એટલી વિવિધતા છે કે તેઓ વ્યવહારમાં કઈ ભાષા બોલતા હશે તે કહેવું મુશ્કેલ છે, પણ વર્તનમાં એક માત્ર હિંસક આક્રમણની ભાષા જાણતા લાગે છે.
૩. વળી આ બાબતે વધુ ઊંડા ઉતરવાની જરૂર જણાય છે, પણ સંગઠનોનાં નામ ઉપરથી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તે શક્ય લાગે છે.
૪. આતંક ફેલાવવા પાછળનો તેમનો હેતુ આ માહિતી પરથી સ્પષ્ટ નથી થતો.
૫. આતંકવાદી હુમલાઓનો સહુથી વધુ ભોગ યુ.એસ.એ, બ્રિટન, કેનેડા અને ભારત જેવા દેશો બને છે.
પૂર્ણિમાએ વિચાર્યું, શાળામાં નાના પાયે અભ્યાસ સંશોધનો હાથ ધરવાનું શીખેલી અભિલાષાને આટલા તારણથી સંતોષ થશે. બરાબર તે જ વખતે અભિલાષાના ડેડી વિવેક આવ્યા, તેથી સહુ જમવા બેઠાં. પણ તેના હાથ વારે વારે જમતા અટકી જતા હતા. પૂર્ણિમાએ શું બન્યું તેની ટૂંકમાં વાત કરી. અભિલાષા હવે તેના ડેડી તરફ ફરીને પૂછવા લાગી, ‘ડેડી, આતંકવાદી સંગઠનો મોટે ભાગે પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં ઊભા થયેલા છે. એવું કેમ હશે, એ લોકોને સારી રીતે વાટાઘાટો કરતાં નથી આવડતું? વળી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તેવું પણ શક્ય લાગે છે, તો એ લોકો પાસે પોતાની વાત કે માગણી રજૂ કરવાનો બીજો માર્ગ નહીં હોય કે શું? નવાઈની વાત તો એ છે કે એનો ભોગ પશ્ચિમના દેશો વધુ બને છે, તો એમણે એવું તે શું ખોટું કર્યું છે તે આમ ઘર આંગણે અને દુનિયામાં બીજે ક્યાં ય પણ એમનાં થાણાં હોય એના પર આક્રમણ થાય? ડેડી, મને ખરેખર આ આતંકવાદીઓના હુમલાઓ પાછળનું કારણ નથી સમજાતું.’ આટલા બધા અને તે પણ આવા ગંભીર પ્રશ્નો આઠ વર્ષની છોકરી પાસેથી સાંભળીને તેનો શું જવાબ આપવો તે મમ્મી-ડેડીમાંથી કોઈને ન સમજાયું.
આજના સમાચારોથી અસ્વસ્થ થયેલી અભિલાષાએ રાત્રે સૂતી વખતે વાર્તાનું પુસ્તક સાથે વાંચવાની પણ ના પાડી, તેથી વિવેક તેની પાસે બેસીને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. અને કહ્યું, ‘જો બેટા, મારી સમજ પ્રમાણે યુરોપ અને અમેરિકા જેવા ધનાઢ્ય દેશોએ વર્ષો પહેલાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં રાજ્ય કર્યું, અથવા એક બીજાની સામે લડવા લશ્કરી મદદ મોકલી, જેનાથી એ દેશોને ખૂબ અન્યાય થયો અને નુકસાન થયું. આને પરિણામે જેમને અન્યાય થયો તેઓએ હિંસક પ્રતિકારનો રસ્તો લીધો, અને જેઓએ અન્યાય કર્યો તેમને એનો માર સહન કરવો પડે છે. તારી વાત ખરી છે કે તેઓ બધા અમુક એક જ ધર્મના અનુયાયીઓ હોવાનું જણાય છે, પણ કદાચ એમને બીજા દેશની સંસ્કૃિતનાં ભયસ્થાનોનો વધુ ડર હોય. જો કે તું કહે છે તેમ એ લોકોએ શાંતિમય પદ્ધતિથી પોતાની વાત કરતાં શીખવું તો જોઈએ જ. ચાલ આપણે શોધી કાઢશું કે તેઓએ પહેલાં એવી કોશિશ કરેલી અને હજુ પણ વાટાઘાટો કરવા માગે છે કે નહીં? બાકી વ્યક્તિ કે નાના સમૂહો હિંસાત્મક આક્રમણ કરે તો તેને આતંકવાદી હુમલો કહેવાય અને કોઈ સરકાર કરે તો તેને યુદ્ધ કહેવાય એવું તને નથી લાગતું? આજે આપણે આટલી ચર્ચા કરીને અટકીએ. તારો સુવાનો સમય થયો છે અને આવી અટપટી વાતો સમજવા માટે તારી પાસે ઘણાં વર્ષો છે. ચાલ બેટા ગૂડ નાઈટ!’
અભિલાષા કદાચ તેના ડેડીએ આપેલ ખુલાસાઓની યોગ્યતાનો વિચાર કરતી મોડી સૂતી હશે. સવારે ઉઠતા જ તેણે જાહેર કર્યું, ‘મમ્મી, ડેડી, હું મોટી થઈને આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ સાથે વાત કરીને તેમને શું જોઈએ છે, તે શોધી કાઢી, જેમના પર તેઓ હુમલા કરે છે તેમને કહીશ. બધા એક બીજાની વાત સાંભળશે. એટલે મારા-મારીથી નહીં પણ શાંતિથી દરેક ઝઘડાનો ઉકેલ લાવશે એટકે બોમ્બ વિસ્ફોટ કે લડાઈથી કોઈ નાહક નહીં મરે તમે જોજો તો ખરા!’
e.mail : 71abuch@gmail.com