ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૯ : ગોધરાની નિર્ઘૃણ ઘટનાને સાત વરસ પૂરાં થશે અને એ દિવસોમાં માર્યા ગયેલાઓનો સત્તાવાર જુમલો હાલ સ્વીકૃત ૯૫૨ માં બીજા ૨૨૮ 'ગુમ થયેલાઓ' વિધિવત્ મૃત જાહેર કરતાં ૧૧૮૦નો થશે. ૨૦૦૨ની પૃષ્ઠભૂ ઉપર ફિલ્માવાયેલ 'પરઝાનિયા'નું વસ્તુ જે એક ખોવાયેલ બાળકની સત્યઘટના આસપાસનું હતું તે બાળક પણ આ સાથે મૃત જાહેર થશે. એક વાત સાચી કે આવા વિધિવત્ સ્વીકારને કારણે મૃતાત્માના કુટુંબને વળતર આપવાની પ્રક્રિયા પૂરી થઈ શકશે, અને એ મોડો પણ એક લાભ જ છે. પણ તે સાથે ૨૨૮ ગુમ થયેલાઓની આ સાત-સાલી દાસ્તાં બીજી પણ એક વાત સૂચવે છે. અને તે એ કે ન્યાયની પ્રક્રિયા આપણે ત્યાં કઈ હદે ધીમી છે.
અહીં ન્યાયની પ્રક્રિયા અગર તો કાયદો કાયદાનું કામ કરશે એ પ્રકારની ભૂમિકા વિશે કંઈક ઊહાપોહ કરવાનું તત્કાળ નિમિત્ત અમદાવાદની જુમા મસ્જિદના ઇમામ મુફતી સિદ્દીકીએ પૂરું પાડ્યું છે. મુફતી સિદ્દીકીના હવાલા સાથે ડિસેમ્બર ૨૦૦૨ની ચૂંટણીઓમાં મુસ્લિમોએ ભાજપને મત આપવો નહીં એવો ફતવો અખબારી જાહેરખબર વાટે પ્રસારિત થયો ત્યારથી તેઓ એકસાથે વિવાદ અને ધ્યાનનું કેન્દ્ર રહ્યા છે. તેઓ ભાજપનાં વર્તુળોની નજીક છે અને મુસ્લિમો માટે આ પ્રકારના ફતવાથી હિંદુ મતોનું વળતું દૃઢીકરણ ભાજપની તરફેણમાં થાય એ હેતુસર આવી પ્રયુક્તિ અજમાવાઈ છે એવો એક મત ત્યારે પ્રવર્તતો હતો. મુફતી સિદ્દીકીએ હમણાં, પૂરાં સાત વરસે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની પૃચ્છાના ઉત્તરમાં ખુલાસો કર્યો છે કે આ જાહેરખબર કૉંગ્રેસવાળાઓએ આપી હતી અને એમાં મારા નામનો ઉપયોગ કરવા બાબત એમણે મને જાણ સુદ્ધાં નહોતી કરી. કૉંગ્રેસ અને ભાજપ બેઉ એકબીજાને આંતરવા અને મતબૅન્કો ઓળવવા આવા ખેલ પાડવામાં માહેર છે એટલે, સિવાય કે, આ પક્ષો સત્તાવાર કોઈ રદિયો કે ખુલાસો બહાર પાડે આપણું સત્યાન્વેષણ સવાલિયા દાયરામાં જ રહેવાનું. તેમ છતાં, જેમ ખેલપાડુ પક્ષમાસ્તરોની તેમ ખેલપાડુ મજહબ માર્તંડોનીયે ખોટ નથી, એ ચિંતાનો વિષય હતો, છે અને રહેશે. માત્ર, મુફતી સિદ્દીકીની એ મુદ્દે ટીકા મ્યાન ને મોકૂફ રાખી અહીં એમના બીજાં એકબે વિધાન આસપાસ ટૂંકો નિર્દેશ કરવાનો ખયાલ છે.
મુસ્લિમોને કૉંગ્રેસ અને ભાજપ બેઉ તરફથી અન્યાય થતો રહ્યો છે એવી ભૂમિકા સાથે મુફતી સિદ્દીકીનું કહેવું છે કે ૨૦૦૨માં જે બન્યું તેને વાસ્તવ કરતાં વધુ વગોવાયું છે. મોદીને જીતવા સારુ મુસ્લિમ મતોની ગરજ નથી એ સમજીને મુસ્લિમોએ મોદીની બાકી કામગીરીની કદર બૂજવી જોઈએ. બાકી, કાયદો કાયદાનું કામ કરશે.
ઝડપથી એક બે નિરીક્ષણો, અને વાત પૂરી. સવાલ મોદીને મુસ્લિમ મતોની ગરજ ન હોવાનો કે કૉંગ્રેસ અને ભાજપ બેઉ કોમી હોવાનો કે ન્યાયની પ્રક્રિયાનો જ એટલો નથી, જેટલો કાયદાના શાસનનો અને નાગરિક ભાવનાનો છે. કાયદાને કાયદાનું કામ કરવા દેવા માટે બેસ્ટ બેકરીના કેસને રાજ્ય બહાર લઈ જવો પડે અથવા સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ઉતારવી પડે એ મોદીના ગુજરાતમાં પ્રવર્તતી અનવસ્થા સૂચવે છે. બીજું, કૉંગ્રેસ કે ભાજપ સાથે તેમ સંખ્યાબંધ મુસ્લિમો અગ્રણીઓ સાથે નાગરિક સમાજ તરીકે આપણી પાયાની ફરિયાદ એ છે કે ભેદભાવ વગરનું રાજકારણ અને કાયદાનું શાસન એ કોઈ હિંદુઓ અગર મુસ્લિમોમાં સીમિત સવાલ નથી. તમે નાગરિક તરીકે આખી વાતને જોવાસમજવા તૈયાર છો કે કેમ એ પાયાનો સવાલ છે. મુફતી સિદ્દીકીએ, જેમ બીજા અનેકે, આવા વ્યાપક સંદર્ભમાં આખી વાતને જોવાપણું છે.
(photoline : 1. drishti patel, prakash n.shah, labhshankar thakar, sitanshu maheta, himmat kapasi. 2. chinu modi, harshad trivedi 3. madhu rye 4. with avinash parekh 5. with suvarnaben 6. with suvarnaben and brother arun thakar 7. with mother and suvarnaben)
All photos : Binit Modi
(શનિવાર, તા.21 ફેબ્રુઆરીની સાંજે પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં મધુ રાયની પંચાયત યોજાઇ હતી. રમેશ તન્ના (‘ગુજરાત ટાઇમ્સ’) અને બીજી કેટલીક સંસ્થાઓના સહયોગથી થયેલા આ કાર્યક્રમ વખતે હું બહારગામ હતો, પણ બિનીત મોદી, પ્રણવ અધ્યારુ અને બીરેન કોઠારી તેમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા. તેમની સાથેની વાતચીત અને બિનીતે લખેલા અહેવાલ પરથી આ નોંધ મુકી છે.)
‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ જેવી કૃતિઓમાં આવતું કેશવ ઠાકરનું પાત્ર જેમનો ઓલ્ટર ઇગો હોવાનો ભાસ થાય, એવા લેખક મધુ રાય ઉર્ફે ગગનવાલા જૂના અનેસંગીન અપરાધી છે. ઓછું લેખન તેમનો મુખ્ય ગુનો છે. (‘ભાસ્કર’ની કોલમમાં આવે છે એવું ડાબા હાથનું લેખન બીજો ગુનોઃ-)
અંગત રીતે નાજુક મિજાજના માણસ તરીકે જાણીતા ગગનવાલા સામે ખુલી-ખેલીને મુકદ્દમો ચલાવવાનું કામ સહેલું નથી. એટલે જ, ચિનુ મોદી જેવા ‘આકંઠ’ મિત્ર ફરિયાદી પક્ષના વકીલ અને સાક્ષીઓમાં લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક જેવાં મિત્રો હોવા છતાં, કાર્યક્રમમાં આરોપ-પ્રતિઆરોપોની ફટકાબાજી ન થાય એ સમજાય એવું હતું.
અગાઉ અશ્વિની ભટ્ટને પોતાની નવલકથા ધરાર પાસે બેસાડીને સંભળાવી ચૂકેલા અને ત્યાર પછી પંદરસો પાનાંની નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇ ક્યાંક બદલો ન લે એ બીકે તેમનાથી દૂર ભાગતા રહેલા મધુભાઇની પંચાયતમાં સૌથી વધુ મઝા અશ્વિનીભાઇએ કરાવી. તેમણે મધુ રાયનો બચાવ કર્યો હતો.
કોર્ટમાં, ઓ.કે.- પંચાયતમાં, સાક્ષીઓનો ક્રમઃ વિનાયક રાવલ, ચંદ્રકાંત શેઠ, પ્રીતિ સેનગુપ્તા, ઇન્દુ પુવાર, ઠાકોરભાઇ પટેલ, અશ્વિની ભટ્ટ, હર્ષદ ત્રિવેદી અને પન્ના નાયક. ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર (છતાં) સાહિત્યકાર-સાહિત્યપ્રેમી તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કિરીટ દૂધાત, દામિની મહેતા, મૃણાલિની સારાભાઇ અને લલિત લાડ હાજર રહી શક્યાં ન હતાં.
આરોપીના પિંજરા જેવી ગોઠવણમાં ખુરશી પર બેઠેલા મધુ રાય સાક્ષીઓના આરોપોનો એક જ જવાબ આપતા રહ્યાઃ ‘નો કમેન્ટ્સ’. પણ બચાવ પક્ષના વકીલ અને ‘અભિયાન’ના ભૂતપૂર્વ માલિક-બિલ્ડર અવિનાશ પારેખને તે સતત કાનમાં બચાવમંત્રો ફૂંકતા હતા.
મંચ પર બેઠેલા પંચ તરીકે લાભશંકર ઠાકર, હિંમત કપાસી, સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશ ન. શાહ અને દૃષ્ટિ પટેલ હતાં. ‘ગુજરાત ટાઇમ્સ’ના ઠાકોરભાઇ પટેલે અખબારનો આરંભકાળ અને મધુ રાયની તેમાં ભૂમિકાને યાદ કરીને કહ્યું કે ‘આ ખટલો ત્રીસ વર્ષ પહેલાં મંડાવો જોઇતો હતો. મધુ રાયને તંત્રી બનાવ્યા પછી મારા ઉજાગરા ઘટવાને બદલે વધી ગયા હતા. કારણ કે એ લીટીએ લીટીએ પ્રૂફની-ભાષાની-વાક્યરચનાની-જોડણીની ભૂલો કાઢતા હતા.’ પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે ‘મધુ રાયે મિસ્ટર યોગીને પરણાવી દીધો, પણ તેની અમેરિકન ગર્લફ્રેન્ડ હજુ હડસન નદીના કિનારે રાહ જુએ છે, તેનું યોગ્ય ઠેકાણું લેખક શોધી શકતા નથી.’ મધુ રાય ક્યાંય ટકતા નથી એવા એક આરોપના જવાબમાં તેમની સાથે અમેરિકામાં કામ કરી ચૂકેલાં એક ‘પંચ’ દૃષ્ટિ પટેલે કહ્યું કે’છેલ્લા પંદર વર્ષથી તે ન્યૂ જર્સીમાં સ્થાયી છે.’ પંચ ‘થોડું મવાળવાદી અને આરોપીતરફી’ હોવાની કબૂલાત સિતાંશુભાઇએ કરીને વાતાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.
છેલ્લે સ્વબચાવમાં મધુ રાયે કહ્યું,’આ બધું ભેટવાને બદલે ધબ્બો મારવા જેવું છે. અહીંથી પરદેશ ગયો, તો દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટને બદલે ટેકનિકલરમાં જોવા મળી. ભરત જેવો ભાઇ (અરૂણ ઠાકર) અને હર્ષદ ત્રિવેદી જેવા મિત્ર મળ્યા એટલો હું નસીબદાર છું- અને જેવું છું એવો, મારા વિશે બે કલાક ચર્ચા થઇ શકે એટલો તો સૌભાગ્યશાળી છું ને’.
સજા સંભળાવતાં દૃષ્ટિ પટેલે કહ્યું,’જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ.’ (મધુ રાયઃ જવાનો જ છું.) સિતાંશુભાઇએ ગગનવાલાના ઘણા પ્રેમીઓની લાગણીને વાચા આપતાં કહ્યું,’મધુ, તમે અમેરિકા ગયા અને અમે એક સર્જક ગુમાવ્યો એનોય વાંધો નથી. વાંધો એ છે કે અમારો શાલિગ્રામ ત્યાં ચટણી વાટવા માટે વપરાય છે.’ લાભશંકર ઠાકરે કહ્યું,’મધુ ઉત્તમ અભિનેતા છે. હૃદયપૂર્વક ઇચ્છીએ કે તે પાછો અમદાવાદ-ગુજરાત આવે. જો કે એ જ્યાં પણ રહેશે, ગમે તેટલું લખશે, લખશે તો ગુજરાતીમાં જ.’
પંચાયત પૂરી થતાં રમેશ તન્નાએ મધુ રાયનાં બા સહિત બીજા કુટુંબીજનોનું શાલથી સન્માન કર્યું. સન્માનના પ્રત્યુત્તરમાં મધુ રાયે કહ્યું,’અહીં એક વ્યક્તિ એવી છે જેનું મારા જીવનમાં એક ચોક્કસ સમયગાળા માટે વિશેષ સ્થાન રહ્યું છે. મને મળેલું સન્માન હું તેને અર્પણ કરું છું.’ એમ કહીને તે બીજી હરોળમાં બેઠેલાં સુવર્ણાબહેન (ભૂતપૂર્વ સુવર્ણા રાય) તરફ આગળ વધ્યા. સુવર્ણાબહેન ઊભાં થઇને આગળ આવ્યાં, મધુ રાયને મળ્યાં, બા અને બીજાં કુટુંબીજનોનાં ખબરઅંતર પૂછ્યાં. બન્નેએ સાથે બેસીને હેવમોરનો ‘લોનાવલી’ આઇસક્રીમ ખાધો. વિશિષ્ટ તસવીરો માટે જાણીતા બિનીતે એક ‘કપલ ફોટો’ માટે વિનંતી કરી એટલે મધુભાઇ કહે,’કેમ નહીં. કહો તો એકબીજાને ચમચી-ચમચી આઇસક્રીમ પણ ખવડાવીએ.’ પણ એવું થાય તે પહેલાં હરિયાની ઉર્ફે અર્ચન ત્રિવેદીની ‘કાન’ નાટકનો અંશ ભજવવા સ્ટેજ પર એન્ટ્રી થઇ.
કાર્યક્રમના અંતે ‘અરૂણોદય પ્રકાશન’ દ્વારા મધુ રાયનાં લખેલાં ત્રણ પુસ્તકો ‘યાર અને દિલદાર’, ‘કાન્તા કહે’ અને ‘સુરા, સુરા, સુરા’નું વિમોચન થયું. શરૂઆતમાં તેમની મધુ રાયની જૂની તસવીરો અને તેમની કૃતિઓ પરથી ટેલીફિલ્મ-નાટક-સિરીયલ બનાવનાર કેતન મહેતાનો ટૂંકો ઇન્ટરવ્યુ રજૂ થયાં.
મુકદ્દમાની નોંધ નિમિત્તે એટલું જણાવવાનું કે કોઇ પણ વાચકમિત્રો પાસે મધુ રાયનાં લખેલાં – અને પુસ્તક તરીકે પ્રગટ ન થયેલાં- નાટકોની સ્ક્રીપ્ટ, સંવાદો, ઓડિયો રેકોર્ડિંગ, પ્રચારસામગ્રી કે બીજું કંઇ પણ મટીરિયલ હોય તો જણાવવા વિનંતી. તેના થકી મધુ રાયના લેખનને લગતી ઘણી ખૂટતી દસ્તાવેજી કડીઓ જોડી શકાશે.