ડૉ. વીરેન્દ્ર તાવડેની ધરપકડ કરવામાં આવી છે જેનો સનાતન સંસ્થા સાથે સંબંધ છે. કરવી જ પડે એમ હતી, કારણ કે તાજનો એક સાક્ષી એવો છે જેણે હત્યા કરાઈ એ પહેલાં અને એ પછી વ્હિસલ-બ્લોઅરનું કામ કર્યું છે અને સતત કરી રહ્યો છે. આમ તો તે માણસ સનાતન સંસ્થાનો જ કાર્યકર હતો અને ડૉ. તાવડેની નજીક હતો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા માટે ડૉ. વીરેન્દ્ર તાવડેએ તેની મદદ લીધી હતી
જાણીતા રૅશનલિસ્ટ વિચારક અને કાર્યકર ડૉ. નરેન્દ્ર દાભોળકરની હત્યા ૨૦૧૩ના ઑગસ્ટ મહિનામાં પુણેમાં થઈ હતી. તેઓ સવારે મૉર્નિંગ વૉક કરીને ઘરે આવતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જે દિવસે તેમની હત્યા કરવામાં આવી ત્યારથી જ જાણકારોને વહેમ હતો કે આમાં સનાતન સંસ્થા નામના હિન્દુત્વવાદી સંગઠનનો હાથ હોવો જોઈએ. આનું કારણ એ છે કે ડૉ. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવામાં આવી એ પહેલાં અનેક વાર સનાતન સંસ્થાના કાર્યકરોએ તેમના કાર્યક્રમોમાં ધમાલ કરી હતી અને વિવેકવાદી કાર્યકરોની મારઝૂડ કરી હતી. સનાતન સંસ્થાના વિચારો અને એની કામ કરવાની આક્રમકતા તેમ જ ગોપનીયતા મહારાષ્ટ્ર, ગોવા અને ઉત્તર કર્ણાટકમાં કોઈથી અજાણી નથી. સનાતન સંસ્થાનું હેડક્વૉર્ટર ગોવામાં છે અને સ્થાપક ડૉ. જયંત આઠવલે છે. ડૉ. આઠવલેને પરાત્પર ગુરુ તરીકે ઓળખાવવામાં આવે છે જેનો અર્થ થાય છે પરથી પણ પર, શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ. હિન્દુ ધર્મ અને સમાજ પર કોણ કબજો જમાવી રહ્યું છે એ વિશે શાંત ચિત્તે વિચારવું જોઈએ. બધા ગુરુઓ એકથી એક ચડિયાતાં વિશેષણોના મુગટ ધારણ કરે છે અને ગોરખધંધા કરે છે.
૧૯૯૯માં સનાતન સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ એ અનેક કારણે વિવાદમાં છે. પહેલું મહત્ત્વનું કારણ તો એ છે કે એના સ્થાપક ડૉ. જયંત આઠવલે પોતે મોટા મનોવિષ્લેષક છે અને સંમોહનવિદ્યાના ઉત્તમ જાણકાર છે. સંમોહનવિદ્યાનો ગોરખધંધા કરવા માટે કઈ રીતે દુરુપયોગ કરવામાં આવે છે એ સંમોહનના જાહેર પ્રયોગો કરીને સમાજમાં વિવેકવાદી અભિગમ વિકસાવવા માટે પ્રયત્ન કરનારા ડૉ. શ્યામ માનવ પણ કબૂલ કરે છે કે ડૉ. જયંત આઠવલે અવ્વલ દરજ્જાના મનોવિષ્લેષક છે.
એમ પણ કહેવાય છે કે ડૉ. આઠવલે એરિક્સન હિપ્નોટિઝમના જાણકાર છે. એરિક્સન હિપ્નોટિઝમ સંમોહનવિદ્યાનો એવો પ્રકાર છે જેમાં માત્ર વ્યક્તિ નહીં, સમૂહને પણ સંમોહિત કરી શકાય છે. એરિક એરિક્સન ફ્રૉઇડના અને યુંગના શિષ્ય હતા અને તેમણે ગાંધીજીનું મનોવિષલેષણ કરનારું ‘ગાંધીઝ ટ્રુથ’ નામનું વિવાદાસ્પદ પુસ્તક લખ્યું છે. ડૉ. જયંત આઠવલે અને સનાતન ધર્મની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ભારતમાં એરિક્સન હિપ્નોટિઝમની પ્રૅક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી કરતી જાહેર હિતની એક પિટિશન બૉમ્બે હાઈ ર્કોટમાં પડી છે. હિપ્નોટાઇઝ્ડ કરવામાં આવેલું જૂથ કેટલો સમય એકધારું હિપ્નોટાઇઝ્ડ રહે અને આદેશ મુજબ વર્તે એ વિશે શંકા છે એટલે ડૉ. નરેન્દ્ર દાભોળકરના પુત્ર હમીદ દાભોળકર કહે છે કે જ્યાં સુધી અપવાદરહિત ચકાસણીનું નક્કર પરિણામ (ઇમ્પીરિકલી વેરિફાઇડ ફૅક્ટ) હાથમાં ન આવે ત્યાં સુધી ડૉ. જયંત આઠવલે પર આરોપ અને શંકા ન કરવાં જોઈએ. આને કહેવાય વિવેકવાદ. આને કહેવાય માનવતાવાદ. આને કહેવાય સાચો ધર્મ. હમીદ દાભોળકરના પિતાની હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળ ડૉ. જયંત આઠવલેનો હાથ હોવાનું કહેવામાં આવતું હોવા છતાં હમીદ કાચા પુરાવાઓ પર આરોપ કરવામાં માનતા નથી. હમીદ દાભોળકર ધર્માંતરણ કરેલ મુસ્લિમ નથી, પણ નરેન્દ્ર દાભોળકરે કોમી એકતા માટે પુત્રનું નામ હમીદ રાખ્યું હતું.
ડૉ. જયંત આઠવલે એરિક્સન હિપ્નોટિઝમના પ્રયોગ કરે છે કે નહીં અથવા એરિક્સન હિપ્નોટિઝમનું ધાર્યું પરિણામ આવે છે કે નહીં એ વિશે બે મત હોઈ શકે છે, પરંતુ સનાતન સંસ્થા કોમવાદી હિંસક પ્રવૃત્તિ કરે છે એમાં હવે કોઈ શંકા નથી. ૨૦૦૮માં થાણે, વાશી, પનવેલ અને ગોવામાં સનાતન સંસ્થાના કાર્યકરોએ બૉમ્બવિસ્ફોટ કર્યા હતા. એમાંના બે આરોપીઓને અદાલતે સજા કરી છે, ચાર આરોપીઓ ફરાર છે અને બીજા કેટલાક પુરાવાના અભાવે દોષમુક્ત થયા છે. જે ફરાર છે એમાંનો એક સારંગ આકોલકર છે જેણે ડૉ. નરેન્દ્ર દાભોળકર, ગોવિંદ પાનસરે અને એમ. કલબુર્ગીની હત્યા કરી હોવાનું કહેવાય છે. આ ત્રણેય વિવેકવાદીઓ હતા અને ભૂતકાળમાં સનાતન સંસ્થાના કાર્યકરોએ તેમને સતાવ્યા અને ધમકાવ્યા હતા.
કોઈ એવો હાથ છે જે સનાતન સંસ્થાને બચાવી રહ્યો છે અને એ હાથની કલ્પના કરવી મુશ્કેલ નથી. વર્તમાન મહારાષ્ટ્ર સરકાર હિન્દુ કુળની હોવા છતાં એણે માગણી કરી હતી કે સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગોવાના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોએ પ્રતિબંધની માગણી કરી છે. ગોવાના વતનીઓ સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવે એ માટે ૨૦૦૯થી આંદોલન કરી રહ્યા છે. આમ છતાં કેન્દ્ર સરકારે એ માગણી ફગાવી દીધી હતી. ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે પ્રતિબંધ મૂકવા માટે પર્યાપ્ત કારણો નથી. કોઈક હાથ એને બચાવી રહ્યો છે જેને કોમવાદી એજન્ડા માટે સનાતન સંસ્થાનો ખપ છે.
હવે ડૉ. વીરેન્દ્ર તાવડેની ધરપકડ કરવામાં આવી છે જેનો સનાતન સંસ્થા સાથે સંબંધ છે. કરવી જ પડે એમ હતી, કારણ કે તાજનો એક સાક્ષી એવો છે જેણે હત્યા કરાઈ એ પહેલાં અને એ પછી વ્હિસલ-બ્લોઅરનું કામ કર્યું છે અને સતત કરી રહ્યો છે. આમ તો તે માણસ સનાતન સંસ્થાનો જ કાર્યકર હતો અને ડૉ. તાવડેની નજીક હતો. દાભોળકરની હત્યા કરવા માટે ડૉ. તાવડેએ તેની મદદ લીધી હતી. પિસ્તોલ મેળવવાથી લઈને છુપાવવા સુધી તે માણસની મદદ લેવામાં આવી હતી. તેને જ્યારે ખબર પડી કે હત્યા સમાજના હિત માટે કામ કરનારા પણ આપણી વિચારધારાનો વિરોધ કરનારાની કરવાની છે ત્યારે તેને એમ લાગ્યું હતું કે આ ધર્મ નથી. વ્હિસલ-બ્લોઅરે ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ અકળ કારણોસર પગલાં લેવાયાં નહોતાં. જો રાજ્ય સરકાર ધારત તો ત્રણ પારકાના જાગતલ વિદ્વાન કર્મશીલોના જીવ બચાવી શકાયા હોત. આ શિથિલતા માટે વર્તમાન મહારાષ્ટ્ર સરકાર કરતાં આગલી કૉન્ગ્રેસ-નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની સરકાર વધારે જવાબદાર છે.
હવે તપાસ CBIને સોંપવામાં આવી છે અને CBIએ પહેલું કામ પેલા સાક્ષીને મૅજિસ્ટ્રેટની હાજરીમાં સાંભળવાનું કર્યું હતું. વટાણા વેરાઈ ગયા છે અને ડૉ. તાવડે દ્વારા ગુનાનું પગેરું ગોવા સુધી પહોંચે તો પણ આશ્ચર્ય નહીં.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2016
http://www.gujaratimidday.com/features/columns/sanatan-sanstha-controversy-2