Opinion Magazine
Number of visits: 9482770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત ઘટવાની હતી, પણ પેટ્રોલના ભાવ વધ્યા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 January 2024

રવીન્દ્ર પારેખ

સરકાર માને છે કે પ્રજા મૂર્ખ છે ને વધારે મૂર્ખ બનવા સદા તત્પર રહે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો, પ્રજા જે રીતે સહી લે છે તે પરથી પણ લાગે છે કે તે મૂર્ખ બનવા ઉતાવળી છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે, એટલે તે બહુ ઝડપથી આગલી પાછલી વાતો ભૂલી જાય છે. લોકોને સતત યાદ અપાવવું પડે છે કે લોકડાઉન વખતે આખી દુનિયાને તાળું લાગેલું, ત્યારે પરિવહન જ બંધ જેવું હતું, પરિણામે દુનિયામાં ક્રૂડના ભાવ ખૂબ ઘટ્યા હતા ને એ વખતે પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવાનો આનંદ લઈ રહી હતી. ડ્યૂટી ને ટેક્સ ને બીજું ઘણું એટલું વધ્યું છે કે પેટ્રોલના ભાવ ડબલ થઈને સામે આવે છે. એ ખરું કે દેશની 80 કરોડ જનતાને સરકાર મફત અનાજ આજે પણ પૂરું પાડે છે ને હજી પૂરું પાડવાની ‘ગેરંટી’ આપે છે, તેથી આ ભાવ વધારો કેટલાકને ક્ષમ્ય પણ લાગતો હશે, પણ એમાં સચ્ચાઈ ઓછી છે. ઓછી એટલા માટે કે જે હેતુસર ભાવ વધતાં હોય તે નીતિ અને જે મદદ થતી હોય તે નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. એમાં એકને ગોળ ને એકને ખોળ – જેવું થવાની શક્યતાઓ છે. એવું ન થાય તેટલું જોવાય તો ય ઘણું છે.

સરકાર ગોળ-ખોળ જેવું પેટ્રોલ-ડીઝલમાં કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પોતે કબૂલ કર્યું છે કે સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક ક્વાર્ટર્સમાં નફો ચોક્કસ કર્યો છે, પણ તે અગાઉ કિંમત વધવાથી ખોટ પણ કરી છે. એ ખોટ ક્યારે અને કેવી રીતે કરી છે તેનો ખુલાસો નથી થયો. એ ખોટ કંપનીઓએ ખરેખર જ કરી હોય તો એ સરભર થયા પછી પણ, છેલ્લા છ મહિનામાં 47,000 કરોડનો નફો કંપનીઓ કેવી રીતે કરતી થઈ તેનો ખુલાસો થવો જોઈએ. સાદી નીતિ તો એ જ હોય કે વૈશ્વિક સ્તરે ભાવ વધે તો દેશમાં ભાવ વધે ને ભાવ ઘટે તો દેશમાં પણ ઘટે, પણ અહીં એવું થતું નથી. વૈશ્વિક બજારોમાં ભાવ વધે ત્યારે તો ભાવ વધે જ છે, પણ ઘટે તો ઘટતા નથી કે સ્થિર પણ રહેતા નથી, બલકે, વધે છે ને એ કોરોના વખતે ભારતીય પ્રજાએ તીવ્રપણે અનુભવ્યું છે.

બીજું એક બહાનું યુદ્ધનું આગળ કરાય છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસનાં યુદ્ધની અસર વૈશ્વિક રીતે પડતી હોય એ સમજી શકાય એવું છે. યુદ્ધને લીધે કાર્ગો શિપ પર આક્રમણો થઈ રહ્યાં હોય કે વૈશ્વિક બજાર અકળ જણાતું હોય ને એને લીધે ભવિષ્યમાં સપ્લાયના પ્રશ્નો ઊભા થઈ શકે એમ હોય ને તે સાચું હોય તો પણ, ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો દાટ વળે એ તો બરાબર નથીને ! વર્ષો પછી ફાંસી થવાની હોય એની ચિંતામાં આજથી તો દોરડું ગળામાં ઘાલીને ન ફર્યા કરાયને ! પેટ્રોલ-ડીઝલના  ભાવ આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો અહીં વધે, એ જ રીતે ઘટે તો અહીં પણ ઘટે એ સીધો હિસાબ છે.

કમાલ તો એ છે કે 28 ડિસેમ્બર, 2023ના અખબારોમાં પ્રગટ થયેલા સમાચારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરે 6થી 10 રૂપિયા ઘટાડવા સરકાર જઈ રહી છે એવી વાત હતી. આ ઘટાડાની કોઈએ માંગ કરી નથી કે નથી કોઈએ એ અંગે કોઈ વાત પણ કાઢી. આ વાત સરકાર તરફથી જ મીડિયામાં આવી છે ને હવે સરકાર કહે છે કે ભાવ ઘટાડવાની વાત સરકારે કરી નથી. એ અફવા છે. તો સવાલ એ થાય કે એ અફવા કોણે ફેલાવી? સરકારે કે અખબારે? હવે મીડિયા અફવાઓ ફેલાવવા માટે જ છે એમ માનવાનું છે? કે સરકાર બોલીને ફરી જાય છે? સાચું તો એ છે કે વિશ્વસનીયતા બંનેએ ગુમાવી છે.

છેલ્લા 19 મહિનામાં ક્રૂડ 31 ટકા સસ્તું થયું છે, પણ કેન્દ્ર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં. અગાઉ મે, 2022માં પેટ્રોલ-ડીઝલની કિંમત 8 ટકા ઘટી હતી, તે પછીથી ભાવો સ્થિર રહ્યા છે. એની સામે ક્રૂડ 116.01 ડોલર પરથી જાન્યુઆરી 2024માં 75 ડોલર સુધી નીચે ઊતરી આવ્યું છે, જ્યારે દિલ્હીમાં 22 જૂન, 2022થી 3 જાન્યુઆરી. 2024 સુધીમાં પેટ્રોલ 96.72 પ્રતિ લિટરના ભાવે સ્થિર જ છે. ઓઇલ કંપનીઓ સરકારની માલિકીની છે, પણ તેના પર તેનો કાબૂ જણાતો નથી. ભાવની વધઘટ માટે સરકારે કંપનીઓની મંજૂરી લેવી પડતી હોય તેમ સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે કંપનીઓ સાથે વાત થઈ નથી.

28 ડિસેમ્બર, 2023ના અખબારો કહે છે કે ઓઇલના ભાવો ઘટાડવા અંગે સરકાર – નાણાં મંત્રાલય અને તેલ કંપનીઓ વચ્ચે વાટાઘાટ ચાલે છે ને 4 જાન્યુઆરી, 2024ને રોજ સમાચાર આવે છે કે ભાવ ઘટાડાની વાત અફવા છે. કાલે કોઈ આ અફવાને પણ અફવા કહે એટલી જ વિશ્વસનીયતા હવે બચી છે. ગમ્મત તો એ છે કે પેટ્રોલ કંપનીઓએ 6 મહિનામાં 47,000 કરોડનો નફો કર્યો છે, પણ ભાવ ઘટાડવાની વાત આવે છે તો બહાના બનાવાય છે. કમાલ એ છે કે યુદ્ધને બહાને ભાવ ઘટાડો થઈ શકતો નથી, ભલે પછી ક્રૂડના ભાવો યુદ્ધમાં પણ ઘટતા જતા હોય ! એ યુદ્ધ અલબત્ત ! ભાવ વધારવામાં તો કામ લાગે જ છે. 28 ડિસેમ્બરના સમાચારને સરકાર અફવા ગણાવે છે, પણ 4 જાન્યુઆરી, 2024ના  સમાચાર મુજબ ગુજરાતમાં પેટ્રોલ લિટરે 84 પૈસા વધવાની વાત અફવા નથી, કારણ એની અસર સીધી ગજવાને થવા લાગી છે. પંજાબમાં તો ડીઝલ પણ 48 પૈસા મોંઘું થયું છે. એ જ સ્થિતિ ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગોવાની છે. જો કે, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવો 11-12 પૈસા ઘટ્યા પણ છે.

આ અકળ છે. અકળ એટલા માટે કે એક જ પેટ્રોલ એક જગ્યાએ મોંઘું છે, તો બીજે સસ્તું છે. અહીં એવી દલીલ થઈ શકે કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, કોઈનું ભૌગોલિક અંતર વધુ હોય તો ભાવમાં ઓછુંવત્તું થાય, પણ ગોવામાં ભાવ વધે છે તો જમ્મુ-કાશ્મીરમાં ઘટે છે, મધ્ય પ્રદેશમાં વધે છે તો મહારાષ્ટ્રમાં ઘટે છે. આની પાછળનું લૉજિક નથી સમજાતું. એક વસ્તુ સમજાય છે તે એ કે કોઈ પણ બજેટમાં દેખાડાનું ફંડ અલગ ફાળવાતું નથી અને જાહેરાતો પાછળ, રેલી-રેલા પાછળ, ઉજવણાંઓ પાછળ જે અઢળક ખર્ચાઓ થાય છે તે ક્યાંથી આવે છે? કોઈ કહી શકે કે એ, લોકોએ આપેલાં ફંડમાંથી, પાર્ટી ફન્ડમાંથી કે ઉદ્યોગપતિઓની મદદથી થાય છે, તો ભલે તેમ, પણ એ પછી થતો ખર્ચ યોગ્ય દિશાનો જ છે એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ છે? ક્યાંક, કૈંક તો ખોટું છે. બીજું કૈં નહીં તો પારદર્શિતા તો ક્યાંક ખૂટે જ છે.

કારણો ગમે તે હોય, બચાવ પણ વાજબી હોય, તો પણ, એમ લાગે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઑર ઘટે તો આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઑર મોંઘા થાય એમ બને. સરકાર એ જાણે છે કે સ્કૂટર, કાર કે ટ્રક હાંકનારાઓ વાહન માથે ઊંચકીને દોડવાનાં નથી. એ મશીનોને ઓઇલ કે બીજું કૈં પણ જોઈવાનું જ છે ને એ મફત કે સસ્તું લાંબે ગાળે પણ મળવાનું નથી, તો બીજાઓની જેમ સરકાર પણ એનો લાભ લેવાનું કેમ ચૂકે? ટૂંકમાં, આ રોજની રામાયણ છે ને રોજ મરે તેનું કોણ રડે? જો લકઝરી પ્રજા ભોગવતી હોય તો સરકારે શો ગુનો કર્યો છે? કોઈ સરકારે અગાઉ ન ભોગવી હોય એવી લકઝરી આજની સરકાર ભોગવે તો એનો વાંક પણ શો કાઢવો? એનેય જગતમાં નામ કરવું હોય ને જગતને બતાવી આપવું હોય તો તે કોના જીવ પર કરશે?

– ને એ હકીકત છે કે આજે તો આ દેશ સૂત્રો, દેખાડા અને ધાર્મિક સંસ્કારો પર નિર્ભર છે. તે રામ નામથી લઈને રામનામ સત્ય હૈ – સુધી વિકસ્યો છે, ત્યારે કિશોરકુમારનું એક ગીત, ‘હરે રામ, હરે કૃષ્ણ’ ફિલ્મનું ‘દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો …’ યાદ આવે છે. લોકોને એ યાદ આવે તો આનંદ થાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જાન્યુઆરી 2024

Loading

5 January 2024 Vipool Kalyani
← ત્રણ રચના
પ્રશ્ન કલાક બચાડો માર્યો ફરે; ન વિપક્ષ,ન ચર્ચા ઉર્ફે સંસદ  →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved