હવે રાક્ષસો જન્મતા નથી, કારણ એને શરમાવે એવા માણસો જન્મે છે ને તે એની ખોટ લાગવા દે એમ નથી. જે તાલિબાનો લાદેનના મોત પછી બહુ પ્રગટ થયા ન હતા તેમણે, અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા સ્થાપવાની ને સરકાર રચવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં સારા દેખાવાનું નાટક તાલિબાને કર્યું છે, પણ તાલિબાન અને સારાઈ એક બીજાના વિરોધી છે તે જગતે સમજી લેવાનું રહે. એ જગ જાહેર વાત છે કે જગતની આતંકી પ્રવૃત્તિઓનાં મૂળમાં પાકિસ્તાન છે, પણ કોઈ દેશ તેને પૂરેપૂરું દંડી શકતું નથી, તેનું એક કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રોની ખરીદ-વેચાણ નીતિ છે. આખું જગત શસ્ત્રોનાં ખરીદ-વેચાણમાં સંડોવાયેલું છે. પાકિસ્તાન પરાવલંબી છે એટલે કોઈ દેશ તેને નિ:શસ્ત્ર રાખીને ખોટ ખાવા તૈયાર ન થાય એ શક્ય છે.
ભારત ધારે તો એક દિવસમાં પાકિસ્તાનનો સફાયો કરી શકે એમ છે, પણ તેને ક્યાંક માણસાઈ નડે છે ને આંતરરાષ્ટ્રીય શરમને કારણે તે 75 વર્ષથી પાકિસ્તાનને વેઠતું આવ્યું છે. પાકિસ્તાન પરોપજીવી રાષ્ટ્ર છે ને તેને ખોળા બદલવાની ટેવ છે. એક સમયે તે અમેરિકાના ખોળામાં હતું તો આજે ચીનનાં આંગળાં ચાટીને પેટ ભરી રહ્યું છે. બાકી હતું તે જેનાં પોતાનાં ટાંટિયાં ભાર નથી ઝીલતાં તે તાલિબાનની સરકારની રચનામાં પાકિસ્તાનની દખલ વધી છે. હક્કાની નેટવર્કને નામે આઈ.એસ.આઈ.ના વડા અને તેમની ટીમ કાબુલમાં ઊતરી પડી છે ને પરિણામ એ આવ્યું છે કે તાલિબાને સરકારની રચના એક અઠવાડિયા સુધી મોકૂફ રાખી છે. તાલિબાન સાથેની ભારતની નીતિ સ્પષ્ટ છે. તે તાલિબાનના ટેકામાં નથી, તો વિરોધમાં પણ નથી. વેપારની નીતિ સંદર્ભે બંનેની એકબીજાની સાથે રહેવાની વાત છે તો પણ તાલિબાનની વાતો તેની પોતાની સગવડ ખાતર બદલાતી રહી છે. તેણે 16 ઓગસ્ટે સત્તા મેળવતાંની સાથે જ એવી જાહેરાત કરી કે ભારત સાથે અમે સારા અને મજબૂત સંબંધો ઇચ્છીએ છીએ. તેણે એમ પણ કહ્યું કે ભારત – પાકિસ્તાન વિવાદમાં તાલિબાનની કોઈ ભૂમિકા નહીં હોય, તો 17 તારીખે તે અપીલ કરે છે કે ભારત અફઘાનમાં અધૂરા પ્રોજેકટ પૂરા કરે ને એમ પણ જાહેર કરે છે કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. 18મીએ વાત બદલાય છે. અફઘાનમાં તાલિબાનોનો વિરોધ કરનારા પર ગોળીબાર થાય છે ને બલ્ખના મહિલા ગવર્નરને બંદી બનાવાય છે. અંધાધૂંધી વધે છે ને 19મીએ કાબુલ એરપોર્ટ બહાર લોકો પર ગોળીબાર થાય છે. એ જ દિવસે આઇ.એમ.એફ. તાલિબાન પર સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. બીજી તરફ તાલિબાનોનું જોર વધતાં જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી ગેલમાં આવી જઈને કેન્દ્રને કહે છે કે તાલિબાને અમેરિકાને ભગાડ્યું ને પોતાનો દરજ્જો હાંસલ કર્યો છે તો તમે પણ અમારી ધીરજની કસોટી ન કરો ને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પાછો આપો. તેમ નહીં થશે તો તમે પણ નહીં બચો. એની સામે પહેલી સપ્ટેમ્બરે તાલિબાન ફરી ભારતને કહે છે કે કાશ્મીર મામલે અમે કોઈ હસ્તક્ષેપ નહીં કરીએ. અમે બીજા દેશના મામલામાં દખલ કરતા નથી ને 3 તારીખે એ જ તાલિબાનના પ્રવકતા પૂરી નાલાયકીથી કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તાલિબાનને અધિકાર છે. 5મીએ તાલિબાન દાવો કરે છે કે તેણે પુંજશીર ઘાટી પર વિજય મેળવી લીધો છે ને વિજયના ઉન્માદમાં હવામાં ગોળીબાર કરે છે, જેમાં 17થી વધુ લોકોનાં મોત થઈ જાય છે. તાલિબાન પ્રજા નથી, તે કેવળ હિંસક ને ઘાતકી માનસ છે. તેનું ટાર્ગેટ માણસ છે. માણસ એટલે મોત, આટલી જ તેની સમજ છે. તેવું ન હોય તો તે જીતની ખુશીમાં આડેધડ 17, 17 માણસોને મારી કઈ રીતે શકે? તાલિબાન જંગાલિયતનું જ બીજું નામ છે. એનું કેવળ આશ્ચર્ય છે કે તેનું માનસ 18મી સદીનું છે ને તેનાં હાથમાં શસ્ત્રો 21મી સદીના છે. તે કોઈ પણ રીતનો વિકાસ કરી શકે એમ જ નથી, કારણ તેને માત્ર વિનાશની જ ખબર છે.
તાલિબાનના સરકાર રચવાના હાલ તુરત તો કોઈ ઠેકાણાં નથી. અત્યારે તો તારીખ પે તારીખનો માહોલ છે. તેના સત્તાધીશો વચ્ચે સમજૂતી સધાય તો વાત આગળ વધે એમ બને, અત્યારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂર હોય એવી સરકાર રચવાનું તાલિબાનને મુશ્કેલ લાગે છે. અમેરિકાએ પોતાનું વર્ચસ્વ અફઘાનિસ્તાન પરથી ઉઠાવી લીધું છે ને જો તાલિબાન સરખું નહીં ચાલે તો અમેરિકા ફરી દમદાટી આપે એમ બને. તાલિબાને પોતે ચીનને મિત્ર બનાવ્યાની વાત જાહેર કરી છે. એક તબક્કે રશિયા, બ્રિટન ચાંચ મારવાની દાનત રાખતું હતું ને એ ઇચ્છા મરી પરવારી હોય એવું પણ કહી શકાય એમ નથી. ટૂંકમાં, બોડી બામણીનું ખેતર કોઈ પણ ખેડવા માંગે તેવી સ્થિતિ અત્યારે તાલિબાનની છે.
સાચું તો એ છે કે તાલિબાનોની વાતો ભરોસાપાત્ર નથી. બીજા બધા દેશોના સંબંધોમાં ફેર પડે તો પણ તાલિબાનની પાકિસ્તાન સાથેની સાંઠગાંઠ રહેવાની છે. પાકિસ્તાનને પોતાનાં અસ્તિત્વ જેવું ખાસ નથી. તેને તો જ્યાં પણ આતંકી પ્રવૃત્તિઓની બોલબાલા રહે તેની ભક્તિ કરવાનો વાંધો નથી. પાકિસ્તાન હશે ત્યાં સુધી તેનો ઉપદ્રવ રહેવાનો છે, એટલું જ નહીં, તાલિબાને પણ પાકિસ્તાનની ભાષામાં ભારત સાથે વાત કરવા માંડી છે તે ચિંત્ય છે. એક તરફ તે કહે છે કે કાશ્મીરને મામલે તે દખલ નહીં કરે ને હવે કહે છે કે કાશ્મીરના મુસ્લિમોને મામલે તે અવાજ ઉઠાવશે, એટલું જ નહીં, દુનિયાના કોઈ પણ મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. તેણે મુસ્લિમોને આપવાના અધિકારો અંગે પણ વિશ્વને નુકતેચીની કરી છે. દુનિયાના કાજી થઈ જવાની તાલિબાનની હિંમતમાં શરમ સિવાય બધું જ છે, ભલે એ સાહસ તે કરે, પણ ભારતને કાશ્મીર મુદ્દે કે તેના મુસ્લિમો મુદ્દે કોઈ પણ સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી. આ દોઢ ડહાપણ છે અને ભારતે આ મામલે સાવધ થઈ જવાની જરૂર છે. આમાં સૌથી દુ:ખદ વાત તો આ જ દેશના રાજનેતાઓ કરે છે. મહેબૂબા મુફ્તી જેવી બાઈ તો કેન્દ્ર સરકારને શાપ આપતાં સર્વનાશની ધમકી ઉચ્ચારે છે. તેમને પૂછી શકાય કે અમરત્વનું લાઇસન્સ તેમને કોણે આપ્યું છે? તાલિબાને કારણ વગર ભારતને છેડવાનો – છંછેડવાનો નાપાક પ્રયત્ન કર્યો છે તે શરમજનક છે. તેની પોતાની બાબરી ઊતરતી નથી ને ભારતને ટાલ પાડવાની વાહિયાત વાત તે કરી રહ્યું છે. આમ કરીને તે કુહાડી પર જ પગ મારશે તે તેણે સમજી લેવાનું રહે.
એ પણ છે કે સત્તા મેળવતી વખતે તેણે સ્ત્રીઓ સંદર્ભે જે વાતો કરી છે એમાં પણ તાલિબાને યુ-ટર્ન લીધો છે. તેણે પોતે શરૂઆતમાં સ્ત્રીની મોકળાશ અંગે વાતો કરી છે ને હવે તે પીછેહઠ કરી રહ્યું છે. અફઘાન પ્રજા સાથેની તેની વર્તણૂક અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હિંસાનો આશરો તેણે લીધો છે ને અનેકોને તેણે ઠાર માર્યા છે, તેમાં સ્ત્રીઓ ને બાળકો પણ બાકાત નથી. સ્ત્રીઓને મામલે તાલિબાનો કેટલા નિષ્ઠુર અને નિર્લજ્જ છે તે કહેવાની જરૂર નથી. તેનો સીધો ઇરાદો સ્ત્રીઓને ગુલામ રાખવાનો જ છે. એની સામે સ્ત્રીઓ પડી છે પણ તે સફળ ન થાય એ માટે તાલિબાને મોકળાશને નામે પ્રતિબંધો લાદીને સ્ત્રીઓની તકો પર તરાપ મારવા માંડી છે. તેણે સ્ત્રીઓને શિક્ષણ અને નોકરીની છૂટ આપી છે, પણ શરત મૂકી છે કે નોકરી કરવી હોય તો બુરખો પહેરવાનું ફરજિયાત છે. એ સાથે જ તેણે અમેરિકાને પોતાની સંસ્કૃતિમાં દખલ ન કરવાની તાકીદ કરી છે. બીજી તરફ 20 વર્ષ સુધી મળેલા અધિકારો સ્ત્રીઓ ગુમાવવા તૈયાર નથી ને તે સડકો પર ઊતરી છે. તેમને સફળ ન થવા દેવા શાસકો તૈયાર છે એટલે ગોળીઓ છોડીને પણ તેમને કાબૂ કરવા મથશે, પણ દમન લાંબો સમય સુધી કોઈને સફળ થવા દેતું નથી. તાલિબાને તેનાં સિવાય જગતમાં બીજું કોઈ નથી એમ માનીને સ્ત્રીઓ સાથે વર્તવાનું રાખ્યું છે, પણ તેણે આજુબાજુનું જગત જોઈને જ ચાલવાનું રહે છે. તે જો પછાત રહેવાનું જ ગૌરવ લેવા માંગતું હોય તો તેણે પોતાને પૂછવાનું રહે કે તેના હાથમાં તીરકામઠાને બદલે એ કે 47 કેમ છે? તે પોતે શસ્ત્રો આધુનિક વાપરે છે ને સ્ત્રીઓને બુરખામાં રાખવા માંગે છે, એમાં જ તેનું સ્વાર્થી અને તકવાદી માનસ પ્રગટ થઈ જાય છે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે દેશમાં કે દુનિયામાં તાલિબાનોએ વિશ્વાસ ઊભો કરવાનું બાકી છે ને તાલિબાન અત્યારે કોઇની ગરજ ન હોય તેમ દુનિયા સાથે વર્તી રહ્યું છે, કાશ્મીરનો મુદ્દો છેડીને તેણે ભારતને નારાજ કર્યું છે, વેપારની વાત કરીને ભારત પર પ્રતિબંધો મૂકવા જેવું પણ કર્યું છે, અમેરિકા સામેનો તેનો અણગમો પણ જગજાહેર છે એટલે છેવટે તો તેણે પાકિસ્તાન અને ચીનની દખલ સહન કર્યે જ છૂટકો છે. પોતાની જ મહિલાઓ નારાજ છે ને તેમની સાથેનું તેનું વલણ માનવીય નથી. આ પરિસ્થિતિમાં તે કેટલું ને ક્યાં સુધી ટકશે તે વિચારવાનું રહે. તે પોતે શાસન કરી શકે એવી શક્યતાઓ જણાતી નથી. એવી પૂરી શક્યતા છે અમેરિકાએ ફરી માથું મારવું પડે ને તેણે ફરી ખૂણો પાળવાનો આવે. વધારે સારું તો એ જ હોય કે તે વધુ માનવીય અભિગમ અપનાવે ને પ્રજાને વિશ્વાસમાં લઈને આગળ વધે, મગર વો દિન કહાં કિ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 સપ્ટેમ્બર 2021