નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે
4 જૂને વીતેલા યુગની શાનદાર અભિનેત્રી નૂતનનો જન્મદિન હતો. નૂતનના નામ સાથે જે ફિલ્મો યાદ આવે છે તે છે ‘સીમા’, ‘સુજાતા’ અને બંદિની’ – નૂતનને જે ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ મળ્યો એમાંની પહેલી ત્રણ ફિલ્મો. નૂતને જિંદગીમાં માત્ર આ ત્રણ ફિલ્મ કરી હોત તો પણ એ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સ્થાન પામી હોત.
નૂતનનો જન્મ 1936માં. ચાર દાયકાની કારકિર્દી. 80થી વધુ, મોટેભાગે પાત્રકેન્દ્રી, મોટા પ્રોડક્શનની, કલાત્મક, વાસ્તવદર્શી ફિલ્મો. અર્બન રોમાન્સથી લઈને મનોવૈજ્ઞાનિક, અપરંપરાગત પાત્રોમાં છવાઈ જતી નૂતન અભિનેત્રી શોભના સમર્થ અને દિગ્દર્શક કુમારસેન સમર્થની પુત્રી. સંગીત-નૃત્ય શીખી, કૉન્વેન્ટમાં ભણી, સ્વીટ્ઝરલૅન્ડમાં પણ એક વર્ષ ભણી. મિસ ઇન્ડિયા બનનાર એ પહેલી અભિનેત્રી હતી.
નૂતને પહેલો અભિનય 11 વર્ષની ઉંમરે પિતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં કર્યો. પહેલી હિંદી ફિલ્મ ‘હમારી બેટી’ (1950) શોભના સમર્થે 14 વર્ષની નૂતન માટે બનાવી હતી. નૂતન સારી ગાયિકા પણ હતી. ‘હમારી બેટી’નું એક ગીત ‘તુઝે કૈસા દુલ્હા ભાયે’ નૂતને ગાયું હતું. ‘છબીલી’માં હેમંતકુમાર સાથે ‘લહરોં પે લહર’ પણ ગાયેલું. પણ કારકિર્દી ઊંચકાઈ 1955ની ફિલ્મ ‘સીમા’થી. 60 અને 70ના દાયકામાં ‘સુજાતા’, ‘બંદિની’, ‘મિલન’, ‘અનાડી’, ‘છલિયા’, ‘તેરે ઘર કે સામને’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘ખાનદાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘સૌદાગર’, ‘મૈં તુલસી તેરે આંગન કી’ જેવી ફિલ્મોમાં નૈસર્ગિક પ્રતિભા બતાવી નૂતને ગ્લેમરજગતમાં પોતાની એક સન્માનભરી જગ્યા બનાવી. નૂતન રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર ત્રણે સાથે કામ કરનાર જૂજ અભિનેત્રીઓમાંની એક છે. સાધના અને સ્મિતા પાટિલ નૂતનને આદર્શ માનતાં.
તે વખતની નાયિકાઓ મોટેભાગે ભોગ બનતી, પુષ્કળ રડતી ત્યાગ-કરુણતાની મૂર્તિઓ હતી. નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે.
મોટી સ્ટાર હોવા છતાં એ ગ્લેમર-પ્રતિષ્ઠાથી દૂર રહેતી. કે. આસિફની મુગલ-એ-આઝમ પહેલા નૂતનને ઑફર થઈ હતી. તેને સમજાતું હતું અને તેણે કહ્યું પણ, કે પોતે અનારકલીના પાત્ર માટે અનુરૂપ નથી. એટલું જ નહીં, તેણે મધુબાલાનું નામ પણ સૂચવ્યું. ફિલ્મોના અતિશય સ્પર્ધાત્મક વાતાવરણમાં આવું ભાગ્યે જ કોઈ કરી શકે. ‘કાલીગંજ કી બહૂ’ની પડકારરૂપ ભૂમિકામાં તથા ‘મુજરિમ હાજિર’ શીર્ષક હેઠળની દૂરદર્શન શ્રેણીમાં નૂતને અભિનય કર્યો હતો.
અને છતાં દેવ આનંદે એક વાર કહેલું તેમ નૂતન પર એક ઉદાસીની છાયા હંમેશાં રહી. નૂતન અને તેની મા વચ્ચે મિલકતના પ્રશ્ને વીસ વર્ષ સુધી અબોલા રહ્યા. માંડ સંબંધો સુધર્યા, ત્યાં કેન્સરનું નિદાન થયું. તેણે માને કહ્યું, ‘આઈ, મી સૂટલી. – મા, હું મુક્ત થઈ.’ 1991ની 21મી ફેબ્રુઆરીએ 54 વર્ષની ઉંમરે તેણે ચિરવિદાય લીધી. એક વાર તેણે કહ્યું હતું, ‘અસેન મી, નસેન મી – હું હોઉં કે ન હોઉં, છતાં હું હોઈશ.’ તેના આ શબ્દોને યાદ કરી લલિતા તામ્હણેએ નૂતનનાં સંસ્મરણો આલેખ્યા છે.
તો હવે વાત કરીએ તેની ફિલ્મોની.
‘સીમા’ 1955ની ફિલ્મ. વૈતરું કરવા છતાં સગાંઓનાં મહેણાં જ ખાઈને મોટી થયેલી અનાથ ગૌરી(નૂતન)નું તરુણ મન, એક દિવસ એને ચોર ઠરાવીને સુધારગૃહમાં માટે મોકલાય છે ત્યારે વિફરે છે. એ નિયમો પાળતી નથી, સામી થાય છે, તોડફોડ કરે છે ને ભાગી જવાનો પ્રયાસ પણ કરે છે. સંચાલક અશોક (બલરાજ સહાની) ખૂબ ધીરજ અને સ્નેહથી તેને શાંત કરે છે, એનામાં રહેલા ઉમદા ગુણો બહાર લાવે છે અને એ ચોર નહોતી એ પણ સાબિત કરે છે. હવે એ સુધારગૃહમાં રહેવા બંધાયેલી નથી. પણ એ ક્યાં જાય? એનું કોઈ નથી. ઉપરાંત એ અશોકને ચાહે છે. અશોક પણ એને ચાહે છે પણ પોતે હૃદયરોગથી પીડાતો હોવાથી ઈચ્છે છે કે એનો ભાઈ મુરલીધર (સુંદર) ગૌરી સાથે લગ્ન કરે. ગૌરી અનિચ્છાએ હા પાડે છે, ત્યારે મુરલીધર એને ખખડાવે છે, ‘અત્યાર સુધી તો કદી કોઈનું માનતી નહોતી અને અત્યારે એ માણસને પડતો મૂકવા તૈયાર થઈ છે, જેણે તને ખરાબ દિવસોમાં સાથ આપ્યો?’ ગૌરી તમામ સીમાઓ તોડી અશોકને કહી દે છે, ‘હું તમારું માનવાની નથી.’
અમિય ચક્રવર્તી આ ફિલ્મના દિગ્દર્શક હતા. ‘દાગ’ ‘પતિતા’ અને ‘સીમા’ એમની યાદગાર ફિલ્મો. દિલીપકુમારને શોધવાનું શ્રેય દેવિકારાણી સાથે એમને પણ જાય છે. દિલિપકુમારને પહેલો બ્રેક અમિય ચક્રવર્તીની ‘જ્વારભાટા’ ફિલ્મથી મળ્યો અને પહેલો ફિલ્મફેર પણ એમની ફિલ્મ ‘દાગ’માં મળ્યો. ‘તૂ પ્યારકા સાગર હૈ’ ‘કહાં જા રહા હૈ’, ‘મનમોહના બડે જૂઠે’, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની’ ‘બાત બાત મેં રૂઠો ના’ – ‘સીમા’નાં સદાબહાર ગીતો શૈલેન્દ્ર-હસરતે લખ્યાં હતાં અને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં.
‘સીમા’માં નૂતને અભિનેત્રી તરીકેની પોતાની ક્ષમતા સિદ્ધ કરી અને આ ક્ષમતાને પૂર્ણતા બક્ષી બિમલ રૉયે. 1959માં બિમલ રૉયે બનાવેલી ‘સુજાતા’એ નૂતનને ટોચ પર મૂકી આપી. સુબોધ ઘોષની આ જ નામની બંગાળી વાર્તા પરથી બનેલી ‘સુજાતા’માં એક બ્રાહ્મણ દંપતી ઉપેન-ચારુ અનાથ અછૂત કન્યાને સુજાતા નામ આપી ઉછેરે છે, પણ એક અંતર રહી જાય છે. સુજાતા ‘બેટી જૈસી’માંથી ‘બેટી’ બનવા તલસતી રહે છે. ઉપેન-ચારુ પોતાની દીકરી રમા(શશીકલા)નાં લગ્ન અધીર (સુનીલ દત્ત) સાથે કરવા માગે છે, પણ અધીર સુજાતાને ચાહે છે. ઉશ્કેરાયેલી ચારુ સીડી પરથી પડી હૉસ્પિટલાઈઝ્ડ થાય છે ત્યારે સુજાતા એને લોહી આપી બચાવે છે. છેવટે ચારુ સુજાતાને દીકરી તરીકે સ્વીકારી અધીર સાથે એનાં લગ્ન કરાવે છે.
બુદ્ધની જાતકકથા પરથી ટાગોરે લખેલી ‘ચાંડાલિકા’ અને અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીએ ચલાવેલી ઝૂંબેશ આ ફિલ્મના પાયામાં છે. પ્રબળ સંદેશ છતાં એની કલાત્મકતા જોખમાઈ નથી. ફિલ્મને પાંચ અવૉર્ડ મળ્યા હતા. ‘સુન મેરે બંધુ રે’, ‘જલતે હૈં જિસ કે લિયે’, ‘કાલી ઘટા છાય’, ‘તુમ જિયો હજારોં સાલ, ‘નન્હી કલી સોને ચલી’ મજરુહનાં લખેલાં અને એસ.ડી. બર્મનનાં સ્વરબદ્ધ કરેલાં આ ગીતોમાં અનોખી પકડ છે.
અને ‘બંદિની’ – 1959માં નૂતન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલને પરણી. લગ્ન પછી એને ફિલ્મો છોડવી હતી, પણ બિમલ રૉયે આવીને કહ્યું કે જો નૂતન નહીં કરે તો પોતે ‘બંદિની’ બનાવશે જ નહીં. વાર્તા સંભળ્યા પછી રજનીશ બહલે પણ આગ્રહ કર્યો અને નૂતને એ ભૂમિકા સ્વીકારી.
ફિલ્મ 1934 આસપાસની એક જેલમાં શરૂ થાય છે, જ્યાં કલ્યાણી (નૂતન) ખૂન માટે જનમટીપ ભોગવી રહી છે. ફ્લેશબેકથી આપણે જાણીએ છીએ કે પોસ્ટમાસ્તરની દીકરી કલ્યાણી, અચાનક આવી ચડેલા એક ક્રાંતિકારી બિકાસ(અશોકકુમાર)ને ચાહી બેસે છે. બિકાસ ‘પાછો આવીશ’ કહીને ચાલ્યો જાય છે ત્યારે પિતાને બદનામીથી બચાવવા કલ્યાણી ઘર-ગામ છોડી શહેરમાં ચાલી જાય છે. એને એક પાગલ ઓરતની દેખભાળ કરવાનું કામ મળે છે, જે બિકાસની પત્ની નીકળે છે. એ જ સમયે તેને ખબર પડે છે કે પોતાને શોધવા શહેરમાં આવેલા પિતા અકસ્માતથી મૃત્યુ પામ્યા છે. દુ:ખ અને ગુસ્સાથી ફાટતા મગજે કલ્યાણી બિકાસની પત્નીને ઝેર આપી દે છે ને એ જ આવેશમાં કબૂલાત પણ કરે છે. બધું જાણીને પણ જેલનો ડૉક્ટર દેવેન (ધર્મેન્દ્ર) એને અપનાવવા માગે છે. પણ કલ્યાણી બીમાર, બદહાલ બિકાસની સાથે ચાલી જાય છે – ‘મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી’ – બંદિની શબ્દની અર્થછાયાઓ આમ પ્રેમ અને મુક્તિની ક્ષિતિજોને આંબે છે.
જેલજીવનની સુંદર સત્યકથાઓ લખનાર જરાસંઘ(ચારુચંદ્ર ચક્રવર્તી)ની ‘તમસી’ વાર્તા પરથી ‘બંદિની’ ફિલ્મ બની હતી. તેને સાત ફિલ્મફેર મળ્યા હતા. એસ.ડી. બર્મનના સંગીતમાં ‘મોરા ગોરા અંગ લઈ લે’, ગુલઝારનું પહેલું ફિલ્મી ગીત હતું. બાકીના ‘જોગી જબ સે તૂ આયા મેરે દ્વારે’, અબ કે બરસ’, ‘ઓ જાને વાલે’ અને બર્મનદાનું અદ્દભુત ‘મેરે સાજન હૈ ઉસ પાર’ શૈલેન્દ્રએ લખ્યાં હતાં.
નૂતન અને તેની આ અદ્દભુત ફિલ્મોને એક લેખમાં સમાવતાં હાંફી જવાય. એના જ એક ગીતના શબ્દોથી વિરમીએ, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની, જૈસે તારોં કી બાત સુને રાત સુહાની …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 જૂન 2023