અશોકભાઈ દેસાઈને હું નાનપણમાં મળ્યો હતો – ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અમારી સ્કૂલે વારંવાર દેખાય. એમનાં ત્રણ દીકરા-દીકરી અમારી મુંબઈની સ્કૂલમાં વિદ્યાર્થી હતાં. અમારા વાર્ષિક પ્રદર્શનના દિવસે હંમેશાં આવે અને બાળકની નિખાલસતા અને જિજ્ઞાસાથી વિદ્યાર્થીઓને એમના વૈજ્ઞાનિક પ્રયોગો વિષે પ્રશ્ન પૂછે. અશોકભાઈ મારાં મમ્મી-પપ્પાને ઓળખે; મારાં મમ્મીના ખાસ મિત્ર. જ્યારે મમ્મીને એક જટિલ સવાલનો ઉકેલ જડતો નહોતો ત્યારે એમણે શાંતિપૂર્વક બધી વાત સાંભળી, અનુકંપા બતાવી, અને સમસ્યા હલ કરવા સૂચન આપ્યાં. નાનપણથી અમે એમનાથી પ્રભાવિત થયા હતા; મોટા થઈ એમના જેવા વકીલ બનવાનું મને મન હતું.
મને યાદ છે એ ૧૯૮૦-૮૧ના દિવસો જ્યારે એમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અબ્દુલ રહમાન અંતુલે સામે કેસ કર્યો હતો, એ વખતે દેશમાં ચૂનાની અછત હતી. મકાન બાંધનારી કંપનીઓને તો ચૂનાની ખૂબ જરૂર, એટલે જો કંપની બૅગ દીઠ ચાલીસ રૂપિયા અંતુલેના પ્રતિષ્ઠાનને દાનમાં આપે, તો એને વધારે બૅગ મળે. સમાજસેવાને નામે આ એક પ્રકારના ભ્રષ્ટાચારનો નમૂનો હતો. અશોકભાઈનો સ્વભાવ શાંત પણ એમની વિદ્વત્તા પ્રખર અને મગજ હંમેશાં સતેજ. એક પછી એક પગલે પગલે એમને પોતાનો મુદ્દો અભિવ્યક્ત કર્યો અને એક જડબાતોડ દલિલ રજૂ કરી. ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’માં ગોવિંદરાવ તળવથકર અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અરુણ શૌરીના તંત્રીપદ હેઠળ અહેવાલો છપાયા અને કૌભાંડ પ્રચલિત થયું. ન્યાયધીશ બખ્તાવર લેન્ટીને યાદગાર નિર્ણય આપ્યો; અંતુલને રાજીનામુ આપવું પડ્યું – અંતુલેએ અપીલ તો કરી પણ શરદ દેસાઈ અને બી.જે. રેળેનો નિર્ણય પણ અંતુલે વિરુદ્ધ ગયો.
થોડાં વર્ષ પછી અશોકભાઈ મારાં લગ્નમાં આવ્યા હતા અને મને The Oxford Book of Legal Anecdotes નામે પુસ્તક ભેટમાં આપ્યું. મારા વકીલ બનવાનાં સપનાં તો મેડીએ ચડાવી દેવાં પડેલાં અને હું તો બન્યો પત્રકાર, પણ મારું કામ અને લખાણ માનવાધિકાર જોડે સંકળાયેલું રહ્યું. ખાસ કરીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિષે અને એ સંબંધે અશોકભાઈને મળવાનું ઘણું હતું.
કટોકટી પછી જ્યારે પીપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટીઝની સંસ્થાપના થઈ એ પછી એનાં પ્રવચનોમાં અશોકભાઈ ઘણું દેખાતા; ક્યારેક પ્રવચન પણ આપતા. માનવાધિકારના સંઘર્ષ માટે કોઈ વકીલ પાસે જવું પડે તો અશોકભાઈનું નામ તરત યાદ આવતું. સાલવા જુડુમ જેવા બિનકાયદેસર ટોળાંને અટકાવવામાં એમનો ભાગ મહત્ત્વનો હતો. સમલૈંગિક સંબંધને ગુનો ઠરાવતા કાયદા બદલવવાના કેસમાં પણ એમનો ફાળો ઘણો મોટો. ભારતને વિક્ટોરિયા રાણીના જમાનાથી એકવીસમી સદી ખેંચી લાવવામાં એમણે નોંધપાત્ર કામ કર્યું.
ઘણા લેખક, કલાકાર, પત્રકાર અને તંત્રી નિશ્ચિંત રૂપે પોતાનું કામ કરી શકતા, કારણ કે એમને વિશ્વાસ હતો કે જો એમની સામે કોઈ ચૂં કે ચાં કરશે તો અશોકભાઈ એમની વહારે ધાશે. જ્યારે વિજય તેંડુલકરે સખારામ બાઇન્ડર નામે નાટક લખ્યું, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યે એ નાટકને અશ્લીલ કહી એના પર પ્રતિબંધ મૂક્યો – તો એ પ્રતિબંધ ઉઠાવાયો, કારણ કે એની સામે એક સજ્જડ કેસ લડાયો અને એના વકીલ પણ પાછા અશોકભાઈ. હું જ્યારે ‘ઇન્ડિયા ટુડે’ સામયિકમાં રિપોર્ટર હતો, ત્યારે મેં નર્મદાયોજના વિષે એક લાંબો લેખ લખ્યો હતો. છપાયા પછી ગુજરાત સરકારના કોઈ અધિકારીને તકલીફ ઊભી થઈ અને એમણે એક ધમકીવાળો પત્ર મોકલ્યો. હું અશોકભાઈ પાસે ગયો; એમણે પત્ર વાંચ્યો અને મારો લેખ વાંચ્યો અને મને કહ્યું – આ પત્ર પર ધ્યાન દેવાની જરૂર નથી; તું કર ઉપેક્ષા. તું તારું કામ ચાલુ રાખ. આપણને તો ભાવતું’તું ને વૈદે કહ્યું!
એક છેલ્લી વાત : ૧૯૮૧ કે ૧૯૮૨માં એક સામયિક માટે મેં અંતુલે – કૌભાંડ વિષે એક લેખ લખ્યો હતો. સામયિક ગભરાઈ ગયું અને છાપવા તૈયાર નહોતું. હું ૨૧ વર્ષનો હતો અને જરા ગુસ્સામાં હતો અને એમની પાસે ગયો. એમને મારો લેખ વાંચ્યો અને કહ્યું. બીજે ક્યાં ય તો છપાશે જ, કારણ કે મારા લખાણનો પાયો મજબૂત હતો. તો ય મારે એકબે વસ્તુ બરાબર સમજવી હતી. અશોકભાઈ મારો પ્રશ્ન સમજ્યા પણ એ ત્રણેક બિંદુ જોડાવા માટેનો પુરાવો નહોતો તેમની પાસે, નહોતો મારી પાસે. તો તો પછી લખાય નહીં!
જો હું લખું તો શું, મેં પૂછ્યું.
પુરાવા વગર આવું કહેવાય નહીં, એમણે મને કહ્યું.
હું તમારો ઉલ્લેખ ન કરું તો મને તમે કંઈ અણસાર આપશો?
એ હસ્યા.
“गते सलिलं कि सेतु बन्धनम् ?”
સ્વયંસ્ફુરિત શ્લેષ!
મારે શું કહેવું રહ્યું?
મને પત્રકારત્વનો નિયમ પણ સમજાઈ ગયો – જ્યાં સુધી હકીકત લઈ જાય ત્યાં સુધી જવું; એથી આગળ જવું એને અટકળ કહેવાય, પત્રકારત્વ નહીં.
આજે જો અશોકભાઈ હોત, તો મારો કાન પકડીને મારું વ્યાકરણ સુધારત, પણ એમની યાદમાં બીજું તો શું કહુંઃ गते अशोके अस्मकम् को हरिष्यति ?
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 06