ખેડૂતો માટે વીસ દિવસનું ખાસ સંસદીય સત્ર, પ્રધાન મંત્રી બીમા ફસલ યોજનાનો પર્દાફાશ અને ‘ઇન્ડિયા ફૉર ફાર્મર્સ’ મંચ જેવી બાબતો સાઇનાથ પાસેથી મળી છે
ગયા અઠવાડિયે દિલ્હીમાં નીકળેલી કિસાન મુક્તિ કૂચ પાછળ વરિષ્ટ પત્રકાર પી. સાઈનાથ એક બહુ મહત્ત્વનું વૈચારિક પરિબળ હતા. કૂચનાં ધ્યેય, ખેતીની કટોકટીની ચર્ચા માટે એકવીસ દિવસના સંસદીય સત્રની માગણી અને શહેરી મધ્યમવર્ગની કિસાનોના પ્રશ્નોમાં સામેલગીરીના મુદ્દામાં સાઇનાથનો સહયોગ મહત્ત્વનો હતો. પ્રધાન મંત્રી બિમા ફસલ યોજનાને તેમણે ‘રાફેલ ડીલ કરતાં ય મોટું કૌભાંડ’ તરીકે રજૂ કરી. સાઇનાથે આ બધી બાબતો વ્યાખ્યાનો, મુલાકાતો, વિડિયોઝ અને ટ્વિટર થકી લોકો સમક્ષ મૂકી. અમદાવાદમાં પણ તેમણે એક વ્યાખ્યાનમાં વિચારો વહેતાં મૂક્યા હતા. એ વ્યાખ્યાન ‘આશા’ સંગઠન અને ગૂજરાત વિદ્યાપીઠે બીજી નવેમ્બરે યોજેલાં ત્રણ દિવસના કિસાન સ્વરાજ સંમેલન દરમિયાન આપ્યું હતું. કિસાન-કૂચમાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિનું આયોજન અને દેશભરના ખેડૂતોની એકજૂટ પણ મહત્ત્વનાં હતાં. કૂચમાં સુરતથી એક કિસાન જૂથ જોડાયું હતું, અને અમદાવાદમાં એક સમર્થન રેલી નીકળી હતી.
પી. સાઇનાથ ખેડૂત આત્મહત્યાઓ તેમ જ ગ્રામીણ ભારતની દુર્દશા પર અભ્યાસ અને પ્રભાવથી લખનારા પત્રકાર છે. ‘ભારતમાં ૧૯૯૭થી ૨૦૦૫નાં વર્ષો દરમિયાન દર બત્રીસ મિનિટે એક ખેડૂતે આપઘાત કર્યો છે’ – એમ સાબિત કરતો લેખ સાઈનાથ, પંદરમી નવેમ્બર ૨૦૦૭ના ‘ધ હિન્દુ’ દૈનિકમાં લખી ચૂક્યા છે. આ અખબારનાં માધ્યમથી તેમણે, અનેક રાજ્યોનાં આત્મહત્યાગ્રસ્ત ગામડાંમાં રખડીને, ‘ઍગ્રેરિઅયન ડિસ્ટ્રેસ’ અર્થાત્ ખેતીમાં કટોકટી વિશે કરેલાં સંશોધનને સરકારો પડકારી શકી નથી. મનમોહન સિંહની સરકારે પહેલવહેલી વખત ખેડૂતોની દેવામુક્તિ કરી, તેની પાછળ સાઇનાથની પત્રકારિતાની પણ ભૂમિકા હતી. ચેન્નાઈમાં જન્મેલા તેલુગુભાષી પલગુમી સાઇનાથના મૅગસેસે અવૉર્ડનાં સન્માનપત્રમાં નોંધવામાં આવ્યું છે : ‘પત્રકારત્વ દ્વારા ભારતને ગામડાંના ગરીબોનું ભાન કરાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.’ અખબારી સંશોધન લેખોનું તેમનું દળદાર પુસ્તક છે ‘એવરિબડિ લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’ (દુષ્કાળ સહુને ગમે, 1996). વક્રોક્તિભર્યાં નામવાળાં આ પુસ્તકનું પેટા મથાળું છે ‘સ્ટોરીઝ ફ્રૉમ ઇન્ડિયાઝ પૂઅરેસ્ટ ડિસ્ટ્રિક્ટસ’ (ભારતના સૌથી ગરીબ જિલ્લાઓના સમાચાર લેખો). ગયાં ત્રણ વર્ષ દરમિયાન સાઇનાથે હાથ પર લીધેલો એક રસપ્રદ પ્રોજેક્ટ એટલે ‘પારી’ – ‘પિપલ્સ આર્કાઇવ્ઝ ફૉર રુરલ ઇન્ડિયા’. ઇન્ટરનેટ પર સરળતાથી જોઈ શકાતા ‘પારી’માં ગામડાંનાં લોકોની રોજિંદી જિંદગીમાંથી સંગ્રહ કરવા જેવી બાબતોનું દૃશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ છે. [https://ruralindiaonline.org] તેમાં તસ્વીરો, વીડિયો ક્લીપ્સ અને ઑડિયો સાઉન્ડ ટ્રૅક્સ સાથે સેંકડો હૃદયસ્પર્શી માહિતીલેખો મળે છે.
તાજેતરની ખેડૂત કૂચ અને તે પહેલાં નાસિક-મુંબઈની રેલીને પગલે દેશભરમાં નીકળેલી વીસેક કૂચોને સાઇનાથ અગત્યની ઘટના ગણે છે કે કારણ કે એ બતાવે છે કે ‘ખેડૂતો ગયાં વીસ વર્ષમાં આત્મહત્યા તરફ દોરી જતી હતાશ માનસિકતામાંથી પોતાની માગણીઓ સરકાર સામે મૂકવા તરફ વળ્યા છે’. સાઇનાથે સૂચવેલી એક માગણી તે ખેતીની ચર્ચા માટે સંસદનાં એકવીસ દિવસના ખાસ સત્રની છે. તેમણે ત્રણ-ત્રણ દિવસ માટે જે એજન્ડા મૂક્યા તેમાં ખેતીના મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ સ્વામીનાથન્ કમિશનનાં અહેવાલની પૂરેપૂરી ચર્ચા માટે હોય. તેમાં, એકવીસ પક્ષોએ જેને ટેકો આપ્યો છે તે ‘દેવામાંથી મુક્તિ’અને ‘ટેકાના લઘુતમ ભાવના અધિકાર’ના વિધેયકોની ચર્ચા અને મંજૂરી પણ આવી જાય. ધીરાણ કટોકટી વિશે ત્રણ દિવસ ફાળવવાના થાય અને પછીના ત્રણમાં એને અટકાવવાના ઉપાય ચર્ચી શકાય. ત્રણ દિવસ જળસંકટ માટે આપવા જોઈએ. આ સંકટ પાણીની પાંચ પ્રકારની ટ્રાન્સફર્સમાંથી આવ્યું છે : ગરીબો તરફથી પૈસાદારો તરફની પાણીની ટ્રાન્સફર, ખેતીથી ઉદ્યોગો તરફ, ખોરાકી પાકથી રોકડ પાક તરફ, ગામડાંથી શહેર તરફ અને જીવનજરૂરિયાતથી જીવનશૈલી તરફ. આ પાંચેયમાં જળવંચિતોનો કોઈ અવાજ નથી.
ખાનગીકરણ થકી પાણીની લૂંટ ચાલી રહી છે. પ્લાસ્ટિકની બૉટલમાં વીસ રૂપિયે વેચાતાં પાણીની મૂળ કિંમત ચાર પૈસા હોય છે. મરાઠવાડામાં મહિલાઓને પાણી 45 પૈસે લીટર મળતું હતું, અને દારૂ ગાળનારને ચાર પૈસે. પાણીના અધિકાર માટેનો કાયદો ઘડવો પડશે. ત્રણ દિવસ મહિલા કિસાનોનાં જમીન અધિકાર અને જમીન માલિકી માટે હોવા અનિવાર્ય છે ,કેમ કે ખેતીમાં તેમનો ફાળો 60% છે. એ જ રીતે, જેમને જમીન ફાળવવામાં આવી છે પણ માલિકી મળી નથી તેવા દલિત ખેડૂતો છે, જેમની જમીન સરકાર વીસ વર્ષે એ ઉદ્યોગગૃહ માટે આંચકી લેશે. આદિવાસીઓના ભૂમિ અધિકારોનો અમલ કરાવવો પડશે; ઘણાં આદિવાસી ખેડૂતોને તો પટ્ટાપદ્ધતિની ખબર જ નથી. ત્રણ દિવસ જમીન-સુધારાના પડતર પ્રશ્નો માટે હોઈ શકે. આવતાં વીસ વર્ષોમાં આપણે કયા પ્રકારની ખેતી જોઈએ છે એની ચર્ચા માટે ત્રણ દિવસની જરૂર પડશે. સાઇનાથ પૂછે છે : ‘આપણે કૉર્પોરેટ કંપનીઓની રસાયણોમાં ભીંજાયેલી ખેતી જોઈએ છે કે પછી લોકો દ્વારા ઍગ્રો-ઇકોલૉજિકલ ખેતી?’ સંસદમાં ત્રણ દિવસ ખેતી-સંકટના પીડિતોને એવાં વિદર્ભની વિધવાઓ અને અને અનંતપૂરનાં અનાથોને સંસદનાં સેન્ટ્રલ ફ્લોર પરથી દેશને સંબોધવા દેવાં જોઈએ. સાઇનાથને મતે સંસદનું આવું સત્ર હોઈ જ શકે. તે પૂછે છે : હજારો નાનાં અને મધ્યમ વ્યવસાયોને સતત તોડતા રહેલા જી.એસ.ટી. ખાતર રાષ્ટ્રપતિની હાજરી સહિત મધરાતે સંસદનું ખાસ સત્ર હોય તો ખેડૂતો માટે શા માટે ન હોય ? જી.એસ.ટી. એક અઠવાડિયામાં ચર્ચી શકાયો છે,પણ સ્વામીનાથન્ અહેવાલ ચૌદ વર્ષથી ચર્ચામાં આવ્યો નથી. અતિ શ્રીમંતોની બનેલી સંસદ જો ડિજિટાઇઝેશન અને ડિમોનેટાઇઝેશનની ચર્ચા કરી શકતી હોય, તો પહેલાં તેણે દેશના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવી જ પડે. ખેડૂતોની કોઈ પણ સમસ્યાને સંસદે ધ્યાનથી તપાસી જ નથી.
સાઇનાથે ‘નેશન ફૉર ફાર્મર્સ’ નામનો એક મંચ ઊભો કર્યો છે. તેની પાછળ નાસિક-મુંબઈની ખેડૂત રેલીમાં સામાન્ય મધ્યમવર્ગીય મુંબઈગરાંઓએ પણ જે અનેક રીતે કૂચ કરનાર ખેડૂતોને પાણી, ખોરાક, દવા, પ્રસાધન વગેરેની ઉમળકાભેર સહાય કરી તેની પ્રેરણા છે. દિલ્હીની રેલીમાં પણ ડૉક્ટર, કર્મચારી, વિદ્યાર્થી, વકીલ, કલાકાર, મહિલા, શિક્ષક, સૈનિક, બૅન્કર જેવા અનેક વર્ગના લોકો ખેડૂતોની સાથે રહ્યા. ખેતી સાથે કોઈ પણ સીધી રીતે જોડાયેલ ન હોય, પણ ધાન ખાતા હોય તેવા દરેક દેશવાસીએ પણ ખેડૂતો સાથે રહેવું જોઈએ.
સાઇનાથને મતે પ્રધાન મંત્રી બીમા ફસલ યોજના બૅન્કો અને ખાનગી વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેની ગોઠવણ છે. એ વાત તેમણે ‘પારી’ના ઇન્ટર્વ્યૂમાં અંગ્રેજીમાં અને ‘ધ વાયર’ માટેના ઇન્ટર્વ્યૂમાં હિન્દીમાં સરળ રીતે સમજાવી છે. વળી હિન્દીમાં તેમણે એ પણ સમજાવ્યું છે કે ટેકાના ભાવની બાબતે ભારતીય જનતા પક્ષની સરકારે ગયાં સાડા ચાર વર્ષમાં કેટલી વાર ફેરવી તોળ્યું છે. ‘ખેડૂતોને લોન માફી એટલે લહાણી’ એવી ટીકાના જવાબમાં તેમણે કહ્યું છે : ‘મહારાષ્ટ્ર સરકારે 82 લાખ ખેડૂતો માટે 32 હજાર કરોડ રૂપિયાની લોન માફી આપી, અને કેન્દ્ર સરકારે વિજય માલ્યા-મેહુલ ચોકસી- નીરવ મોદીને 32 લાખ 30 હજાર કરોડ માફ કર્યા. વળી 2006થી 20015 દરમિયાન 42.3 ટ્રિલિયન (ખર્વ) રૂપિયા ડાયરેક્ટ કૉર્પોરેટ ઇન્કમટૅક્સ, એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી માફ કરી છે એનું શું ?’ સાઇનાથ કહે છે : ‘ગયાં વીસ વર્ષમાં દરરોજ વીસ હજાર ખેડૂતોએ ખેતી છોડી છે, 3.10 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને સરકારે ખેડૂતોની અત્મહત્યાના ગયાં બે વર્ષના આંકડા બહાર પડવા દીધા નથી.’
*******
6 ડિસેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 ડિસેમ્બર 2018
![]()


નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.
મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’ ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.
ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે) એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ પુસ્તકની સાથે હર્ષદભાઈનું પુસ્તક પણ શોભશે.
પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.
બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.
વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.