ડિસેમ્બર 2015માં પ્રકાશિત થયેલા એક લેખમાં મેં લખ્યું હતું કે દેશમાં માત્ર ચૂંટણી પૂરતી જ લોકશાહી રહી ગઈ છે. ભારતમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે ચૂંટણી જીત્યા પછી રાજકીય પક્ષો અને નેતાઓ પોતાને ટીકાથી પર માને છે. એટલું જ નહીં, ચૂંટણી જીતી ગયા પછી તેમને લાગે છે કે પાંચ વર્ષ સુધી તે ફાવે તેમ રાજ કરી શકે છે.
લોકશાહી દેશોમાં ચૂંટણી જીતીને આવેલા નેતાઓની તાનાશાહી પર અંકુશ રાખવા માટે નિયમસર અને નિયમિત કામ કરનારાં વિધાનગૃહો, સ્વતંત્ર મીડિયા, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પશ્ચિમી યુરોપ અને ઉત્તર અમેરિકામાં ઘણાં ખરાં ઠેકાણે આવી વ્યવસ્થા છે. આપણા બંધારણનાં ઘડવૈયાઓએ પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરી છે.
ઇંદિરા ગાંધીઃ સીધી શરૂઆત પછીનું પતન
આઝાદી પછીના બે દાયકા સુધી આ પ્રકારે શાસન ચાલ્યું. શરૂઆતનાં વર્ષોમાં વડા પ્રધાન ઇંદિરા ગાંધી પણ તેમના પુરાગામી વડા પ્રધાનો જવાહરલાલ નહેરુ તથા લાલબહાદુર શાસ્ત્રીના રસ્તે ચાલ્યાં હતાં. એટલે કે તે સંસદમાં નિયમિત હાજર રહેતાં અને ચર્ચાઓમાં ભાગ લેતા હતાં. તેમણે વહીવટીતંત્ર અને ન્યાયતંત્રને રાજકીય દખલગીરીથી દૂર રાખ્યાં હતાં. અગાઉનાં વડા પ્રધાનોની જેમ તેમણે પણ મીડિયાને ડરાવવાની કોશિશ કરી ન હતી.
પરંતુ 1969માં કૉંગ્રેસના ભાગલા પછી ઇંદિરા ગાંધીની કાર્યપદ્વતિમાં પરિવર્તન આવ્યું. ન્યાયતંત્ર અને વહીવટીતંત્રમાં તેમણે પોતાના તરફદારોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યુ તેમણે સંસદની પરવા કરવાનું છોડી દીધું અને છાપાંના માલિકો – તંત્રીઓને ડરાવવાનું શરૂ કર્યું. કૉંગ્રેસ પક્ષની આંતરિક લોકશાહીને તેમણે ખતમ કરી દીધી. કૉંગ્રેસને તેમણે પહેલાં એક વ્યક્તિની અને પછી એક પરિવારની પાર્ટી બનાવી દીધી.
એ સમજવાનું-યાદ રાખવાનું અગત્યનું છે કે સ્વતંત્ર સંસ્થાઓને ખોખલી કરવાનું કામ ઇંદિરા ગાંધીએ કટોકટીનાં વર્ષો પહેલાંથી શરૂ કરી દીધું હતું. જૂન 1975થી માર્ચ 1977 સુધીના કટોકટીકાળમાં ભારતની લોકશાહી કાયદેસર મૃતઃપ્રાય બની. ત્યાર પછી કટોકટી હઠાવીને લોકસભાની ચૂંટણી યોજવાની ચમત્કારિક જાહેરાત ઇંદિરા ગાંધીએ કરી. આ ચૂંટણીમાં તેમણે અને કૉંગ્રેસ પાર્ટીએ ભારે પછડાટ ખાધી. ત્યાર પછી દેશની મીડિયા સહિતની લોકશાહી સંસ્થાઓએ પોતાની સ્વતંત્રતા પાછી મેળવી.
ફરી સંધાતું ગયું લોકશાહીનું પોત
રૉબિન જેફરીએ તેમના ચર્ચાસ્પદ પુસ્તક 'ઇન્ડિયાઝ ન્યૂઝપેપર રેવૉલ્યુશન'માં તેનું વર્ણન કરતાં લખ્યું છે કે, અંગ્રેજી અને ખાસ કરીને ભારતીય ભાષાઓમાં છપાતાં અખબારો અને સામયિકો વધુ નીડર બની ગયાં. તેમાં તમામ પક્ષોના રાજનેતાઓનાં કરતૂતો અંગે તપાસ-ખણખોદ કરીને તૈયાર થતા અહેવાલો છપાયા હતા.
ન્યાયતંત્રની—ખાસ તો સર્વોચ્ચ અદાલતની સ્વતંત્રતાની—વાપસી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હતી. 1950માં સંસદમાં થતી તાર્કિક અને ઉગ્ર ચર્ચાઓનો દૌર ૧૯૮૦ અને ૧૯૯૦ના દશકામાં ફરી જોવા મળ્યો. હા, માત્ર નોકરશાહી કે વહીવટીતંત્ર એક માત્ર એવી લોકશાહી સંસ્થા હતી જે કટોકટી પછીના સમયમાં તેની સ્વતંત્રતા ફરી ન મેળવી શકી. હવે સરકારી અધિકારીઓની નિમણૂક, બદલી અને બઢતી તેમની વ્યવસાયિક ક્ષમતા અને કાર્યદક્ષતાના આધારે નહીં, પણ રાજનેતાઓ પ્રત્યેની વફાદારીના આધારે નક્કી થવા લાગ્યાં.
જો કે, દેશની લોકશાહી સંસ્થાઓને મળેલી આ સ્વતંત્રતા આંશિક અને અધૂરી હતી. તેમ છતાં આ પરિવર્તને મારા જેવા ઘણા વિશ્લેષકોના મનમાં આશા જન્માવી. અમને લાગ્યું કે આપણી લોકશાહી સંસ્થાઓના પાયા નાખનારા લોકોને મનમાં જેનો ખ્યાલ હતો, એવી એવી મંઝિલના અડધા રસ્તા સુધી તો આપણે પહોંચી ગયા.
નરેન્દ્ર મોદીઃ ઇંદિરા ગાંધી ઑન સ્ટેરોઇડ્સ
2014ની લોકસભા ચૂંટણી આવી અને એક એવા વડા પ્રધાને દિલ્હીની સત્તા સંભાળી જેમને તેમની રાજકીય શૈલીના કારણે 'ઇંદિરા ગાંધી ઑન સ્ટેરોઇડ્સ' કહી શકાય. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે જ એ સ્પષ્ટ થઈ ગયુ હતું કે, તે લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા પ્રત્યે ઇંદિરા ગાંધી કરતાં વધુ શંકાશીલ છે. આ સંસ્થાઓને ખોખલી કરવાની તેમની ઈચ્છા પૂર્વ પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી કરતાં પણ વધુ તીવ્ર હતી. ઇંદિરા ગાંધીની જેમ નરેન્દ્ર મોદીના સમયમાં પણ મીડિયાને પોતાની તરફે ખેંચવાની અને ડરાવવાની કોશિશ કરવામાં આવી. પોતાના રાજકીય હરીફો અને વિરોધીઓની પાછળ કેન્દ્રીય તપાસ એજન્સીઓને છોડી મુકાઈ. આ દરમિયાન રાજકીય દખલગીરીથી અલિપ્ત-મુક્ત રહેલાં ભારતીય સેના, રિર્ઝવ બેંક અને ચૂંટણી પંચને પણ બાકાત રખાયાં નહીં.
પોતાના પક્ષ, સરકાર અને દેશને નિયંત્રણમાં રાખવાના આ પ્રયત્નોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જૂના અને મહત્ત્વપૂર્ણ ગુજરાતી સાથી અમિત શાહનો સહયોગ મળ્યો, પહેલાં પક્ષના અધ્યક્ષ અને હવે ગૃહપ્રધાન તરીકે અમિત શાહે સરકાર સામેના વિરોધને દબાવવા માટે ખતરનાક રીતે અસરકારક ભૂમિકા ભજવી છે. સરકારની અંદર પણ જે સ્વાયત્ત સંસ્થાઓ હતી તે આજે સત્તાધારી નેતાઓ અને પક્ષ સામે નતમસ્તક છે. આ બધું અમિત શાહના કારણે જ શક્ય બન્યું છે.
હવે ચૂંટણી પણ ગૌણ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જુગલબંધીનું દોઢ વર્ષ સુધી નિરીક્ષણ કર્યા બાદ જ મેં ડિસેમ્બર 2015માં લેખ લખ્યો હતો (જેનો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો છે). એ લેખનો આખરી નિષ્કર્ષ એ હતો કે હવે ચૂંટણી જીતવી એ જ તમામ કસોટીઓનો જવાબ છે. દુ:ખની વાત એ છે કે હવે મારે એ લેખનો નિષ્કર્ષ બદલીને નાછૂટકે કહેવુ પડે છે કે હવે ચૂંટણીઓ ઉત્તરોત્તર મહત્ત્વ ગુમાવી રહી છે. આપણી લોકશાહીનું સ્તર અને દેશનો ઇતિહાસ એવા વળાંકે પહોંચ્યાં છે જ્યારે ચૂંટણીનું મહત્ત્વ પણ સતત ઘટી રહ્યું છે.
થોડા સમય પહેલાં આવકવેરા વિભાગે કેન્દ્ર સરકારના આદેશથી રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના સહયોગીઓ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહી એ સમયે થઈ, જ્યારે ગેહલોતથી ખફા નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ ભા.જ.પ.ના ટેકાથી રાજસ્થાનની રાજ્ય સરકાર ગબડાવવાની કોશિશ કરી રહ્યા હતા. હાલ પૂરતા આ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. પરંતુ એક ખતરનાક મહામારી વચ્ચે જે પ્રકારે આ પ્રયાસો થઈ રહ્યા છે તે સાબિત કરે છે કે બંધારણીય લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાઓ માટે હવે કોઈ સન્માન બચ્યું નથી.
રાજસ્થાનમાં આજે એ જ થઈ રહ્યું છે, જે માર્ચમાં મધ્ય પ્રદેશમાં થયું હતું. આવું જ ગયા વર્ષે કર્ણાટકમાં થયું હતું. આ ત્રણેય રાજ્યોમાં સત્તાધારી ભા.જ.પ.ને મતદારોએ બહુમતી ન આપતાં, તે રાજ્યોમાં તેની સરકારો બની ન હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની, જ્યારે કર્ણાટકમાં જે.ડી.એસ. અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર બની હતી. આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પે. સત્તાધારી પક્ષનાં ધારાસભ્યોને બળવો કરવા ઉશ્કેર્યા, જેથી સરકાર તૂટી પડે અને ભા.જ.પ. સત્તામાં આવી શકે.
કર્ણાટક, મધ્ય પ્રદેશ અને હવે રાજસ્થાનમાં ભા.જ.પે. પૂરેપૂરી અનૈતિક અને ગેરબંધારણીય રીતે પોતાની સામે આવેલા ચૂંટણીના જનાદેશને બદલવાની કોશિશ કરી છે. ભા.જ.પ.ના આ પ્રયાસો માત્ર આ રાજ્યો પૂરતા જ સીમિત નથી રહ્યા. ગોવા અને મણિપુરમાં અપક્ષ અને નાના પક્ષોના ધારાસભ્યો ભા.જ.પ.ની તરફેણમાં આવ્યા, તેનું કારણ નરેન્દ્ર મોદી કે હિન્દુત્વ પ્રત્યે તેમના મનમાં અચાનક જાગેલો પ્રેમ ન હતો. ગુજરાતમાં અને બીજાં રાજ્યોમાં થયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે કૉન્ગ્રેસી ધારાસભ્યોએ આપેલાં રાજી્નામાંનો સંબંધ સત્તાધારી પક્ષ દ્વારા અપાતી મોટી લાલચ સાથે સંકળાયેલા હોય, એવી પૂરી સંભાવના છે. ધારાસભ્યોને કેટલા રૂપિયાની ઑફર થઈ હતી તે અંગે અલગ અલગ અટકળો છે.
અઢળક રૂપિયાનો ખેલ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતનો દાવો છે કે કૉંગ્રેસના ધારાસભ્યોને ભા.જ.પ.માં જોડાવા માટે 15 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી છે. જે પત્રકારો સાથે મેં વાત કરી, તેમનું કહેવું છે કે આ આંકડો ઘણો મોટો છે. તેમના મતે પ્રત્યેક ધારાસભ્યને 25 કરોડની ઓફર થઈ હતી. (આ લેખ પ્રગટ થયા પછી ગહલોતે કહ્યું હતું કે જેમ વિલંબ થાય, તેમ રકમ વધતી જાય છે – સં.) માની શકાય કે મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં પણ કૉંગ્રેસના ધારાસભ્યોને 15 થી 25 કરોડની આસપાસની રકમ અપાઈ હોય. સવાલ એ ઊભો થાય છે કે આટલા બધા રૂપિયા ભા.જ.પ. પાસે આવે છે ક્યાંથી? એ ઇલેક્શન બોન્ડથી કે જેના પર શંકા ઉપજી હતી. અને જેની પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે સર્વોચ્ચ અદાલતે પણ હાથ ઊંચા કરી દીધા હતા? કે પછી બીજા કોઈ વધુ શંકાસ્પદ માધ્યમથી?
આ ખરીદ-વેચાણથી એક પાયાનો સવાલ ઊભો થાય છે. જો ધારાસભ્યોને કોઈ પણ સમયે ખરીદી શકાતા હોય તો પછી ચૂંટણીનો મતલબ શો? જેમણે વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિને પસંદ કર્યા હતા એ ભારતીય મતદારોના જનાદેશનું કશું મહત્ત્વ નથી? માત્ર પૈસાના જોરે જો આ રીતે નિષ્પક્ષ અને સ્વતંત્ર કહી શકાય તેવાં ચૂંટણી પરિણામોને પલટાવી શકાતાં હોય, તો ભારતમાં માત્ર ચૂંટણી પૂરતી લોકશાહી બચી છે એવું પણ કઈ રીતે કહી શકાય ?
નરેન્દ્ર મોદીને 'ઇંદિરા ગાંધી ઓન સ્ટેરોઇડ્સ' કહેવા પાછળનો અર્થ એ છે કે તેમની કાર્યશૈલી પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધી કરતાં પણ વધુ ડંખીલી અને નિર્મમ છે. સંસ્થાઓને કમજોર કરવા ઇંદિરા ગાંધીએ જો કોદાળીનો ઉપયોગ કર્યો હતો, તો નરેન્દ્ર મોદી તેજ ધારવાળી તલવારનો ઉપયોગ કરી રહ્યા છે. ઇંદિરા ગાંધીએ તેમના કેટલાક નિર્ણય અંગે પુનર્વિચાર કર્યો હતો. કટોકટી તે પૈકી એક છે, જ્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીમાં પશ્ચાતાપ કે અપરાધબોધને કોઈ અવકાશ નથી. આ તમામ ભૂલો વચ્ચે પણ ઇંદિરા ગાંધી ધાર્મિક વૈવિધ્ય માટે ગંભીરતાથી સમર્પિત હતાં. બીજી તરફ નરેન્દ્ર મોદીની રાજનીતિ એકાધિકાર અને બહુમતીવાદની છે.
ભારતીય લોકશાહી સંસ્થાઓ અને તેના મૂલ્યોને ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં ઘણું નુકસાન થયું હતું. ધીરે ધીરે તેમાં સુધારો થયો. ભલે તે બંધારણના ઘડવૈયાઓની પરિકલ્પનાના આદર્શ સુધી ન પહોંચ્યાં હોય અને તેમાં ઘણી ખામીઓ રહી ગઈ હોય. પરંતુ 1989થી 2014 સુધી ભારતમાં લોકશાહી છે તેવું લાગતું હતું. હવે જોવાનું રહે છે કે ભારતની લોકશાહી સંસ્થાઓ નરેન્દ્ર મોદીના સત્તાકાળમાં થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે છે કે નહીં.
અનુવાદ : ગૌતમ ડોડીઆ
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 02-04