આશ્ચર્યની વાત છે કે વધતી જતી અવૈજ્ઞાનિક મનોવૃત્તિની સાથે-સાથે જ પોતાને વૈજ્ઞાનિકમાં ખપાવવાની પ્રવૃત્તિ પણ જોર પકડતી જાય છે. ધર્મ અને વિજ્ઞાનની સૃજનજૂની દુશ્મનાવટને વીસરી જઈને ધર્મો પણ પોતાને ‘વૈજ્ઞાનિક’માં ખપાવવા માંડ્યા છે. આ મહિને ન્યૂજર્સીમાં મળેલા (Federation of JAINA (Jain Associations in Nroth America))ના દ્વિવાર્ષિક અધિવેશનનું તો સૂત્ર જ હતું ‘જૈનધર્મ અને વિજ્ઞાન.’ બીજા ધર્મોએ પણ અવારનવાર આવા દાવા કર્યા છે. અમેરિકામાં પણ રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ આજે પણ ડાર્વિનના સિદ્ધાંતને બદલે બાઇબલ પ્રમાણે સૃષ્ટિના સર્જનની કથા ભણાવવાનો દુરાગ્રહ રાખે છે.
આમ તો જ્ઞાન માત્રને વિજ્ઞાનમાં સમાવી શકાય, પરંતુ સામાન્ય રીતે વિજ્ઞાન એટલે પદાર્થોનું ઇન્દ્રિયો દ્વારા અથવા બીજાં સાધનો દ્વારા માપી શકાય તેવું જ્ઞાન, એમ મનાય છે. તે સિવાયનું બધું અજ્ઞાન છે, તેમ નથી, પણ તેને વૈજ્ઞાનિક જ્ઞાન ન કહેવાય. વેદાંત તો વિજ્ઞાનને ‘અવિદ્યા’ જ ગણાવે છે. તો પછી ધર્મોને વૈજ્ઞાનિક ગણાવાનું ઘેલું કેમ લાગ્યું છે, તે વિચારવાયોગ્ય છે. મુખ્ય પ્રશ્ન તો એ છે કે આપણે શું સાચ્ચે જ ધર્મને વિજ્ઞાનના માપદંડથી માપવા માંગીએ છીએ?
ધર્મ કોઈ શાસ્ત્રકાર કે પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખે છે, તેને સર્વજ્ઞના જ્ઞાન તરીકે સ્વીકારી લે છે અને તેની સામે પછી દલીલને અવકાશ રહેતો નથી. આત્મા, પુનર્જન્મ, કર્મફળ, સ્વર્ગ, નર્ક, ઇત્યાદિમાં આપણે માનીએ કે ન માનીએ, પણ તે આ કે પેલી બાજુ સાબિત થઈ શકે તેમ નથી. ધર્મના સિદ્ધાંતો શાશ્વત ગણાય છે, અને તે સમય જતાં બદલાતા નથી, તે સનાતન સત્યો કહેવાય છે. ધર્મના સિદ્ધાંતોના અર્થ ઉપર શાસ્ત્રાર્થ અને વાદવિવાદ થઈ શકે, અને એક યા બીજો પક્ષ તેમાં હારે કે જીતે, પણ તેથી તે સિદ્ધાંત નથી પુરવાર થતો કે નથી તેને ફગાવી દેવાતો. ધર્મના માર્ગે ચાલીને માણસ પ્રગતિ કરી શકે, પણ ધર્મ પ્રગતિ કરે છે, તેવું સાંભળવામાં આવતું નથી.
આપણે નથી ધર્મનું સ્વરૂપ સમજતા કે નથી વિજ્ઞાનનું, અને તેથી આપણે વિતંડાવાદમાં ફસાઈ પડીએ છીએ, ધર્મ તથા વિજ્ઞાન-બંનેને અન્યાય કરીએ છીએ અને તેમને જોખમમાં નાખીએ છીએ. ગાડાનાં બંને પૈડાંઓની આપણને જરૂર છે, પણ એ બંનેને આપણે ભેગાં ન કરીએ તો સારું. વિજ્ઞાન પુરાવા ઉપર ચાલે છે, એવી એક ભ્રમણા છે. હકીકતમાં વિજ્ઞાનમાં કશું પુરવાર નથી થઈ શકતું. ‘સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, ઈંડાં નથી મૂકતી,’ એ વિધાન વૈજ્ઞાનિક છે, પણ અબજો સ્ત્રીઓનો અભ્યાસ કર્યા પછી પણ તે સાબિત નથી થતું, પરંતુ એક જ સ્ત્રી જો ઈંડું મૂકતી મળી આવે, તો એ વિધાન અસત્ય છે, તેમ સ્વીકારાય છે. વિજ્ઞાન માત્ર સ્વીકાર ઉપર ચાલે છે, સાબિતી ઉપર નહીં.
વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત ખોટો નીવડે, તો તેનો શોક નથી પળાતો, કેમ કે વિજ્ઞાન ત્યારે જ આગળ વધે છે. કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતની સૌથી સારી ગતિ તો એ છે કે તે ગલત નીકળે. નવો સિદ્ધાંત તેનું સ્થાન લે, પણ તેણે જૂનો સિદ્ધાંત માત્ર ખોટો હોવાનો દાવો કર્યે ન ચાલે, પણ જૂનો સિદ્ધાંત કેમ અમલમાં આવ્યો હશે તે પણ સમજાવું પડે. ‘હું જ ડાહ્યો અને બાકી બધા મૂર્ખ’ના આધારે વિજ્ઞાન નથી ચાલતું. વિજ્ઞાનમાં ચર્ચા સૈદ્ધાન્તિક હોય છે, તે સિદ્ધાંત કોનો છે તે મહત્ત્વનું નથી. એક અદનો વિદ્યાર્થી પણ ન્યૂટન કે આઈન્સ્ટાઇનનું માનવા બંધાયેલો નથી. પંડિત, આચાર્ય, પ.પૂ.ધ.ધૂ. કે સ્વામીનો ત્યાં જરા પણ ભાર નથી પડતો.
ધાર્મિક પુસ્તકો મહદંશે તો એની એ જ વાત દોહરાવતાં હોય છે, અલબત્ત, જુદા-જુદા સ્વરૂપે. કથાઓ અને પ્રવચનોનું પણ એવું જ છે. વ્યાખ્યાનોના અંતે તો વક્તા અત્યંત નમ્રતાપૂર્વક બે હાથ જોડીને, શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ કંઈ બોલી જવાયું હોય તે બદલ ક્ષમા યાચે છે. બીજી બાજુ, કોઈ વૈજ્ઞાનિક જર્નલ ઉઘાડીને જુઓ. તેનો પ્રત્યેક લેખ, અત્યાર સુધીની મજલની વાત કરીને સત્વરે તે દરમિયાન થયેલી ભૂલો અને શરતચૂકની વાત કરીને, કોઈ એક નવા સિદ્ધાંતની રજૂઆત કરે છે, કે જે અલબત્ત, અત્યાર સુધીનું જે સંગૃહીત જ્ઞાન હતું તેની સદંતર વિરુદ્ધ જાય છે, નહીંતર તો તે લખવાની જરૂર જ શી હતી?
ધ્યાનમાં રહે કે અદ્યાપિ કોઈ દિવસ વિજ્ઞાને પોતે ધાર્મિક હોવાનો દાવો કર્યો નથી. તેણે કોઈ ધર્મગુરુને શૂળીએ ચડાવ્યા નથી કે જીવતા બાળી મૂક્યા નથી. જ્યારે ધર્મના નામે કેટલા ય વૈજ્ઞાનિકોને ‘મોક્ષ’માં પહોંચાડી દેવાયા છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં વાહિયાત વાત કરવામાં આવે, તો તેની થોડી ચકાસણી કર્યા બાદ તેમાં કંઈ સત્ત્વ ન હોવાની ખાતરી થતાં જ તેને એક બાજુ ઉપર મૂકી દેવાય છે, ભવિષ્યમાં ક્વચિત્ ફરીથી તેની જરૂર પડે તે ખ્યાલથી. ધર્મ સંપૂર્ણ જ્ઞાન ધરાવવાનો દાવો નમ્રતાપૂર્વક કરે છે. જ્યારે વિજ્ઞાન સંપૂર્ણ જ્ઞાનમાં પોતાનો કાળ જુએ છે. જ્યાં જ્ઞાનની શોધ પૂરી થાય, ત્યાં વિજ્ઞાનનો અંત આવે છે.
હવે આ કોયડાને જરા વધારે ગૂંચવીએ. મારા જેવા કેટલા ય યોગભ્રષ્ટ આત્માઓ આ જગતમાં વસે છે કે જેમને ધર્મ અને વિજ્ઞાન બંનેને માટે આદર અને પ્રીતિ છે. તેઓ એ બેયની આવશ્યકતા સ્વીકારે છે અને બેમાંથી એક પણ ક્ષેત્રમાંથી તેમની હકાલપટ્ટી કરવાના પ્રયત્નો સામે તેઓ ઝઝૂમે છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કે સહઅસ્તિત્વની શક્યતાઓ સારી છે અને તે આવકારપાત્ર છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ ધર્મમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી શકે અને ધાર્મિક દૃષ્ટિ વિજ્ઞાનને હૃદયહીન થતું અટકાવી શકે, પરંતુ કોઈ પણ ધર્મ વૈજ્ઞાનિક છે, એવો દાવો કરનારાઓએ જરા ખમી જઈને પોતાની જાતને થોડા પ્રશ્નો પૂછવાની જરૂર છે :
૧. આપણા ફિરસ્તાઓનાં વચનો કે સિદ્ધાંતોની નિર્દય ચકાસણી માટે આપણે તૈયાર છીએ?
૨. ચકાસણીના નિર્ણયના આધારે આપણે તેમાં ફેરફાર કરવા કે તેને ફગાવી દેવા તૈયાર છીએ?
૩. સત્ય સિવાયની બધી અધિકૃતતાઓ – જેમ કે, સર્વજ્ઞ, સર્વદર્શિન, સર્વશક્તિમાન, વ્યક્તિઓને દૂર મૂકવા આપણે તૈયાર છીએ?
૪. વિજ્ઞાનમાં પુરાવાના નિયમો છે કે જેના આધારે સાબિતી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય બને છે. કશું પણ સાચું છે તે કોઈ આધાર વિના, માત્ર કોઈના પવિત્ર વચન ઉપર ભરોસો રાખી માની લેવાથી આપણે દૂર રહી શકીશું?
૫. માત્ર એક યા બીજી ધાર્મિક ક્રિયા કરવાથી આરોગ્યને ફાયદો થાય છે, એટલાથી જ, આરોગ્યને હાનિકર્તા સેંકડો ક્રિયાઓને અવગણીને આપણે તે ધર્મને વૈજ્ઞાનિક કહેવાનું બંધ કરવા રાજી છીએ?
૬ ‘નારી નર્કની ખાણ છે, માસિક ધર્મ વખતે સ્ત્રી અપવિત્ર હોય છે’, ‘સ્ત્રીને વેદાભ્યાસનો કે મોક્ષનો અધિકાર નથી’, ‘દરિયો ઓળંગવાથી ધર્મને હાનિ પહોંચે છે’, ‘શાકાહારથી અહિંસાની ભાવના થાય છે (હિટલર પણ શાકાહારી હતો)’, ‘સૌ સૌનાં કરમ ભોગવે છે, તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી. લાખ વખત ફલાણા ભગવાનનું નામ લખવાથી મોક્ષ મળી જાય છે’, ‘જિંદગીભર નાહ્યા વગર કે દાતણ કર્યા વગર માત્ર જટા રાખવાથી કે મૂંડણ કરવાથી શરીરની અને આત્માની શુદ્ધિ થાય છે’, આ બધાં વિધાનોને આપણે વૈજ્ઞાનિક કહીશું?
એક સ્પષ્ટતા, ધાર્મિક સિદ્ધાંતો કે મંતવ્યો ખોટાં છે કે વાહિયાત છે, એમ કહેવાનું અહીં પ્રયોજન નથી. આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, ઇત્યાદિ અતિ ઊંચી વિચારધારાનાં ફળ છે, અને તેમનું માનવજાતના ઉત્થાનમાં મહત્ત્વનું સ્થાન અને પ્રદાન છે, પણ … એ સર્વે વૈજ્ઞાનિક સિદ્ધાંતો નથી જ, વૈજ્ઞાનિક સિદ્ધાંત એને જ કહેવાય કે જેને ખોટો પાડી શકાય તો પછી તે વિધાનને વૈજ્ઞાનિક ન જ કહેવાય, આપણો આ કે પેલો ધર્મ તો વૈજ્ઞાનિક છે, એવો દુરાગ્રહ શા માટે?
(આ જ લેખ જુદા સ્વરૂપે JAINAના અધિવેશનના ગૌરવગ્રંથ માટે મોકલાવેલો, પણ સુયોગ્ય કારણોસર તે છપાયો નથી, અને એ બાબત ફરિયાદનું કંઈ કારણ નથી, પણ જરા વિચાર તો કરો કે ‘ધર્મ અને વિજ્ઞાન’ના વિષય ઉપરના સામયિકમાં “Religion and Science: Sellers Beware” એવો લેખ છપાય તો વૈજ્ઞાનિકતાના આપણા દાવાને કેટલો મોટો ધોકો પહોંચે! ‘અનેકાન્તવાદ’ એટલે એકસરખા સો લેખોનો સંગ્રહ)
ગ્રેટ નૅક, ન્યૂયૉર્ક
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 10-11