ન્યૂરોલોજિસ્ટ્સે પૂરવાર કર્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ લાંબું જીવે છે. તેનું એક કારણ એ છે કે સ્ત્રીઓ એકબીજાના સુખદુઃખમાં સહભાગી બને છે. કોઈક રોમાન્ટિક સંબંધ તૂટી જાય, તો પણ તે ભાંગી નથી પડતી, કેમ કે તેની પાસે તેના સ્ત્રી મિત્રોનો સંગાથ છે, જેને તે પેટછૂટી વાત કરી, મનનું દુઃખ કે દ્વિધા હલકાં કરી શકે છે. આ વાતનો પુરાવો આપ સમક્ષ આજે મોજૂદ છે. પન્નાબહેનને જોઈ, કોણ કહી શકશે કે આ વર્ષની ૨૮ ડિસેમ્બરના તેમને ૮૦ વર્ષ પૂરાં થશે. દીર્ઘ આયુષ્ય માટે, હું તો પેટછૂટી વાત બહેનપણીઓને કહેવાનું કહું છું, જ્યારે પન્નાબહેન તો તેમની અંતરની વાતો સમગ્ર ગુજરાતી વાચકવર્ગ સુધી પહોંચાડે છે. પછી તેમના ઉપર કોઈ પણ જાતના સ્ટ્રેસની અસર શા માટે થાય ? કેટલાં સુંદર અને યુવાન દેખાય છે, જુઓ તો ખરાં !
તરફડાટ એટલે ? -
તમે કહેશો, જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
આવા આવા તરફડાટને પન્નાબહેને પોતાની કવિતામાં કશા ય ક્ષોભ કે છોછ વિના છતા કર્યા છે.
અને એ પ્રેરણા તેમને મળી એક અમેરિકન કવયિત્રી પાસેથી. એમના જ શબ્દોમાં કહું, ‘લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય, એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે, ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.’
એ વાત કરી પન્નાબહેને. તેવી જ રીતે હું પણ લાઈબ્રેરી માટેનાં પુસ્તકોનું કેટેલોગીંગ કરી રહી હતી, ત્યારે, મારા માટે તે સમયે સાવ અજાણ, એવાં પન્નાબહેનનું, 'તું આંખોમાં આંખ પરોવી દીર્ઘ ચુંબન કરે' કાવ્ય મેં વાંચ્યું. મારાથી બોલાઈ ગયું, 'Wow! શયનગૃહની અંદરનું આટલું અંગત દૃશ્ય, એક ગુજરાતી સ્ત્રી, આટલી હદે ખુલ્લી રીતે વર્ણવી શકે ? 'ત્વચાની રજાઈ ઓઢાડે, વાઘા ઉતારે’ – કેટલી ૠજુતા સમાયેલી છે આ શબ્દોમાં ? અમે પુષ્ટિમાર્ગીઓ ઠાકોરજીનાં વસ્ત્રોને વાઘા કહીએ. મને ખબર નથી કે પન્નાબહેને પણ એ શબ્દ અહીં એ જ કારણસર વાપર્યો છે કે નહીં, પણ મારા માટે સંભોગની પ્રક્રિયાને તેમણે સમાધિની કક્ષાએ પહોંચાડી છે. એ જ કાવ્યમાંની બીજી એક પંક્તિ ય મને સ્પર્શી ગઈ તે હતી, 'આ બધું મને એટલું ગમે છે, એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.'
આધ્યાત્મિક લખાણોમાં આપણે વાંચીએ છીએ કે 'સૌ પ્રથમ પોતાને પ્રેમ કરતાં શીખો, તો જ બીજાને પ્રેમ આપી શકશો.' પન્નાબહેન માટે પોતાને ગમવાનું કારણ ભલે બીજું છે, પણ એમાં આધ્યત્મિક્તાની થોડી છાંટ કદાચ છૂપાઈ હશે ? એ છાંટ વિશે ત્યારે મને વિચાર નહોતો આવ્યો, પણ હવે વિલાસબહેનના રંગે રંગાઈ છું, અને ઉંમરલાયક થઈ છું, એટલે આવે છે.
પ્રેમની પરાકાષ્ટાને પોરસતી એ જ કવયિત્રી ઘેલછાભર્યા પ્રેમ માટે ટકોર પણ કરી જાણે છે ઃ
પાંદડી વાયરાને વળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
અને વળી ક્યારેક પુરુષપ્રધાન સમાજમાં પત્નીને જે રીતે પતિનો પડછાયો થઈને રહેવું પડે છે, તેને પડકાર આપવામાં પણ પન્નાબહેને પાછું જોયું નથી. મને પ્રિય તેમનું આ કાવ્ય માયા એનજેલુની કૃતિ Phenomenal Woman ની ઝાંખી કરાવે છે.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.
બારણાની બ્હાર આ રસ્તો પડયો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે ઃ
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.
સતી નામના કાવ્યમાં તેમણે લખ્યું છે ઃ
પતિને પરમેશ્વર માનનારી
હું સતી સ્ત્રી નથી.
અને એટલે જ
પતિના અવસાન પછી
રદ્દ થઈ ગયેલા અસ્તિત્વમાં
મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ
શેષ આયુષ્ય વીતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.
હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં !
દિલમાં દીવો કરો રે દીવો કરો
દયા દીવેલ, પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દીવેટ બનાવો;
મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે … દિલમાં દીવો કરો
માનવ પાસે પોતાનો આંતરિક દીવો પ્રગટાવવા માટે બધી સામગ્રી હશે – દયાનું દીવેલ, પ્રેમનું પરણાયું અને સુરતાની દીવેટ – પણ દીવાને બ્રહ્મઅગ્નિથી એ પેટાવશે નહીં, ત્યાં સુધી તેમાંથી પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. તે જ રીતે પન્નાબહેન સંવેદનશીલ કૃતિઓ સાથેસાથે, દરરોજની સામાન્ય વસ્તુઓ પર પણ, હૃદયસ્પર્શી કાવ્યો લખી શકે છે, પછી તે છત પરનો કરોળિયો હોય કે કપડે ચોટ્યું ઘાસ હોય કે પછી ભીંત પર પડતો સવારનો તડકો હોય કે કરમાયેલો તુલસીછોડ હોય. તેમની કલમ હેઠળ એ બધાં કવિતા બની જાય છે, કેમ કે આ કવયિત્રીમાં એક કારીગરની કળા અને આત્મા વસેલાં છે. તેમણે કવિતારૂપી દીવો પ્રગટાવવા એકઠી કરેલી સામગ્રીઓ – વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, આસપાસની ઝીણી ઝીણી વસ્તુઓ, માનવસંબંધો – ને સુંદર રીતે ગોઠવીને તેમાં બ્રહ્મઅગ્નિને પેટાવ્યો છે; તેમાં પોતાનો આત્મા રેડ્યો છે, એટલે જ એમની કૃતિઓ ઉત્કૃષ્ટ છે.
એવાં એ મારાં સખી પન્નાબહેનને, તેમના આગામી ૮૦મા વર્ષગાંઠ નિમિત્તે, અત્યારથી જ, અભિનંદન પાઠવું છું; અને પ્રભુ તેમને સુંદર સ્વાસ્થ્ય સહિતનું દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના કરી વંદુ છું.
e.mail : bhadra.v@btinternet.com
(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)