એક વાર જવાહરલાલે કહ્યું હતું કે વડાપ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ વચ્ચે મતભેદ હોય ત્યારે હું પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ

પ્રકાશ ન. શાહ
હવે તો ખાસાં આઠ વરસ થયાં એને : વર્તમાન શાસન વ્યવસ્થા – ડબલ એન્જિન સરકાર – હસ્તક સમાજસંભાળ બાબતે સહિષ્ણુતાને મુદ્દે પ્રશ્નાર્થ ઊભો થયો ત્યારે સંવેદનશીલ સર્જકોએ એવોર્ડ વાપસીનો રાહ લીધો હતો. આમ તો એનાથી શેક્યો પાપડે દેખીતો ન ભાંગે, પણ ચોક્કસ અર્થમાં સત્તાપક્ષ ને સત્તારૂઢ વિચારધારાની સ્વીકૃતિનો નૈતિક પાયો જોખમાય જરૂર. ગમે તેમ પણ, આપણે તો બને કે આખા ઘટનાક્રમને લગભગ ભૂલી જવામાં હોઈએ, પણ એકાએક જ એ મુદ્દો વળીને સામે આવ્યો છે …. તે પણ, જોવાનું એ છે કે, સરકારી પાટલીઓ પરથી કે લેખકો ને કલાકારોને છેડેથી નહીં !
વાત એમ છે કે ગયે અઠવાડિયે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિ(પાર્લમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઑન ટ્રાન્સ્પોર્ટ, ટુરિઝમ ઍન્ડ કલ્ચર)નો હેવાલ સદનના ટેબલ પર મુકાયો છે. 2015ના ઘટનાક્રમ સંદર્ભે ભલામણ હેવાલ 2019થી આવેલી નવી લોકસભામાં (અને તે પણ એની મુદ્દત પૂરી થવા આડે મહિના ગણાતા હોય ત્યારે) રજૂ થાય એ આલમની આઠમી અજાયબી હોય તો નવમી વળી એ છે કે શૂરા સાંસદોને લોકશાહીની દૃષ્ટિએ અભિવ્યક્તિની આઝાદી અને અસંમતિના અવાજનું કોઈ બુનિયાદી મૂલ્ય પાધરું વસ્યું જણાતું નથી. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસ સાંસદોમાંથી સમ ખાવા પૂરતા બે જ જણે જુદો સૂર પુરાવ્યો છે. બાકી, એકતાલીસમાંથી ઓગણચાલીસની તોતિંગ બહુમતીનું કહેવું છે કે એવોર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર પ્રતિષ્ઠા અને મોભાને હાણ પહોંચાડે છે અને અન્ય એવૉર્ડ-સન્માનિત પ્રતિભાઓની સિદ્ધિઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’
જે બે સાંસદો જુદા પડ્યા છે (સી.પી.એમ.ના રહીમ અને કૉંગ્રેસના મુરલીધરન્) એમણે કહ્યું છે કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત એક સમિતિ તરીકે ખરેખર તો આપણે સરકારને આગ્રહી ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે. દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ત્યારે વિશ્વનાથ તિવારી હતા. ચાલુ વરસે એમને પદ્મશ્રીનું માન મળ્યું ત્યારે એમણે ‘એક તટસ્થ લેખક’ તરીકે આ વણમાંગ્યા સન્માન પરત્વે ‘દેર આયે દુરસ્ત આયે’ની તરજ પર આભાર લાગણી પ્રગટ કરી હતી. એવૉર્ડ વાપસી અંગે એમની નારાજગી એમણે છુપાવી નહોતી અને જ્યારે વિરોધકૂચ અકાદેમીને દ્વારે પહોંચી ત્યારે એમણે તાળાબંધ દરવાજાની અંદર રહીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
જે ઇતિહાસસમજ સંબંધિત સૌને હોવી જોઈએ તે એ છે કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. એના પહેલા પ્રમુખ તરીકે જવાહરલાલ નેહરુ વડા પ્રધાનને નાતે હોદ્દાની રૂએ નહોતા, લેખકને નાતે ચૂંટાયેલ જણ હતા. સરકારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા તરીકે પોતાની કામગીરી બજાવી શકે તે દૃષ્ટિએ સરકાર તેના પર કોઈ અંકુશ મૂકવાથી પરહેજ કરશે. અકાદેમીનું, કેમ કે તે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે અને તેમાં બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિઓ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે કોઈ બાબતમાં વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખની સાથે રહેવું પસંદ કરીશ.
વડા પ્રધાન કદાચ સોવિયેત બાબતમાં દરમિયાન ન પણ થયા હોત, પણ ડૉ. ઝિવાગોના લેખક પાસ્તરનાકને રશિયામાં કનડગતનો અનુભવ થયો ત્યારે અકાદેમી પ્રમુખના ફોનથી, પાસ્તરનાક વતનનિકાલ થાય એ ભય ટળ્યો હતો તે વિગત ઇતિહાસદર્જ છે. ગમે તેમ પણ, આપણે પ્રસ્તુત ખડી સમિતિની અણુમતી સાથે સંમત થઈશું કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે અને એની પૂંઠે રહેલ મુદ્દાને શાસને સમજી તેના નિકાલની કોશિશ કરવી જોઈએ. અસંમતિના અવાજને જમાત બહાર ન કરાય.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023
 ![]()



તે દિવસે પ્રભાકરને મળવા સાંભળવાનું થયું અને સહસા સાક્ષાત્કાર શું અનુભવાયું. એ કોઈ ઝમકદાર ભાષા પ્રયોજતા ચબરાક જણ નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના એ પતિ છે, અને નમો નીતિના ટીકાકાર છે, એટલી સરળ ને સપાટ સમજૂત મારા ‘સાક્ષાત્કાર’ એ પ્રયોગની પૂંઠે નથી. જે.એન.યુ. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના આ મેધાવી છાત્ર અને તેજસ્વી નિર્મલા બેઉ નમો ભા.જ.પ.થી આકર્ષાયા અને પક્ષ સાથે સંકળાયાં. 2014ની ચૂંટણીમાં નમો પાસે બે હુકમનાં પાનાં, પ્રભાકરને મતે હતા : વિકાસ અને સુશાસન. ગુજરાતની કામગીરી ને કારકિર્દી દરમિયાન, એક રક્તિમ પિછવાઈ છતાં, નમોએ સતત આલાપેલ રાગ ને બહેલાવેલ ખયાલ વિકાસનો હતો. વિકાસ અને સુશાસનને મુદ્દે એમણે ભા.જ.પ.ના અયોધ્યે રસ્યા પરંપરાગત સ્થાયી મતને વિસ્તારી જાણ્યો અને દિલ્હી પહોંચ્યા.
બીજી ઘણી વાતો કરવા સાંભળવાનું બન્યું. પણ એક ઉલ્લેખ અને બસ! કટોકટી સાથે આ દિવસોની સરખામણી સબબ એમણે દાખલો આપ્યો કે. મારું પુસ્તક ‘The Crooked Timber of New India’ (Essays on A Republic in Crisis) કેટલા બધા પ્રકાશકોએ હમણાં કોરોનાને કારણે નહીં તેમ કહી ટાળ્યું, કોઈકે જરી ખુલ્લું મન દાખવ્યું. એણે કહ્યું કે, કોરોના પછી વરસેક થાય ત્યારે વિચારી શકાય … સરવાળે બધા 2024 મે કુદાવવા માગતા હતા. સદ્દભાગ્યે, Speacking Tigerએ હિંમત કરી અને 2023માં આ પુસ્તક આવી શક્યું.