કૃષ્ણ અને કવિતાનો સંબંધ આપણી ભાષામાં નરસિંહ મહેતા જેટલો જૂનો તો છે જ. પરફોર્મિંગ આર્ટસનાં મુખ્ય મધ્યકાલીન સ્વરૂપ આખ્યાન અને ભવાઈ પણ કૃષ્ણના રંગે રંગાયાં હતાં. આપણાં લોકગીતોને તો કૃષ્ણ વિના ચાલે જ નહિ. ઓગણીસમી સદીમાં રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે પણ બીજી પૌરાણિક કથાઓની સાથે કૃષ્ણકથા પણ રંગમંચ પરથી રજૂ થવા લાગી. પણ આ બધાંની સરખામણીમાં આપણી ભાષાની નવલકથાનો કૃષ્ણકથા સાથે ઘણો મોડો સંબંધ બંધાયો. હકીકતમાં પુરાણકથાઓ તરફ જ આપણા નવલકથાકારોનું ધ્યાન બહુ મોડું ગયું. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’થી ગુજરાતી નવલકથાનો આરંભ કર્યો અને પહેલી સામાજિક નવલકથા મહીપતરામ રૂપરામ નીલકંઠની ‘સાસુ વહુની લડાઈ’ પણ તેના પછી એ જ વર્ષે પ્રગટ થઈ. તે પછી કેટલાક વખત સુધી આપણી નવલકથા ઐતિહાસિક અને સામાજિક એવી બે જ ધારાઓમાં વહેતી રહી. આજે આપણને નવાઈ લાગે પણ પહેલી પૌરાણિક નવલકથા આપણને છેક ૧૯૧૫માં મળે છે – મણિલાલ જીવરામ ગાંધીની ‘અભિમન્યુનું યુદ્ધગમન અને ઉત્તરાની વિનવણી.’ તેમાં એક પાત્ર તરીકે કૃષ્ણ રજૂ થયા છે. તે પછી કૃષ્ણને લગતી બીજી નવલકથા મળે છે છેક ૧૯૪૦માં, ‘રાધા-કૃષ્ણ : દર્શાદર્શ મેળ.’ લેખક છે કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ.
પણ ગુજરાતી નવલકથામાં કૃષ્ણનું અવતરણ વાજતે ગાજતે થયું તે તો બીજા કનૈયાલાલને હાથે, ૧૯૬૩માં. એ વર્ષે કનૈયાલાલ મુનશીની નવલકથા ‘કૃષ્ણાવતાર’નો પહેલો ભાગ બહાર પડ્યો. અલબત્ત, આ અવતરણ સીધું ગુજરાતીમાં નહિ પણ વાયા અંગ્રેજી થયું હતું. મુનશી જેવો ગુજરાતી ભાષાનો પ્રસિદ્ધ અને સિદ્ધ નવલકથાકાર કૃષ્ણ વિશેની નવલકથા લખે, પણ તે ગુજરાતીમાં નહિ, અંગ્રેજીમાં એમ કેમ? ગુજરાતી ‘કૃષ્ણાવતાર’ અંગ્રેજીમાંથી અનુવાદ થઈને આપણી પાસે આવી છે, અને તે અનુવાદ પણ મુનશીએ પોતે નથી કર્યો, બીજા પાસે કરાવ્યો છે. આ અંગે મુનશીએ ૧૯૬૨ના ઓક્ટોબરની પહેલી તારીખે લખાયેલા ‘કુલપતિનો પત્ર’માં આ પ્રમાણે ખુલાસો આપ્યો છે : ‘મેં સહેતુકપણે અંગ્રેજી માધ્યમનો જ સ્વીકાર કર્યો. મારે શ્રી કૃષ્ણ વિશેની વાત સમગ્ર ભારતને ઉદ્દેશીને કરવી હતી અને અર્ધા લાખથી પણ વધુ ફેલાવો ધરાવતાં ભવનનાં સામયિકો મને ઓછામાં ઓછા એથી ત્રણ ગણા વાચકો સુધી પહોંચવામાં તો સહાયક થઇ શકે જ.’
વાચકોના મોટા સમૂહ સુધી પહોંચવામાં મુનશીને સફળતા મળી હશે, પણ કૃષ્ણાવતારનો ગુજરાતી અનુવાદ વાંચતાં સૌથી પહેલી ખોટ વર્તાય છે તે મુનશીની ભાષાની મોહક ભભકની. અનુવાદક ગમે તેટલો સુસજ્જ હોય, મુનશીની ભાષાની છાયા અનુવાદમાં ઝીલવાનું કામ લગભગ અશક્ય ગણાય. એક વિચાર એ આવે કે મુનશીએ પોતે આ નવલકથા પહેલાં ગુજરાતીમાં જ લખીને પછી તેનો અંગ્રેજી અનુવાદ કરાવવાનો રસ્તો કેમ નહિ લીધો હોય? મુનશી અત્યંત વિચક્ષણ અને વ્યવહારદક્ષ હતા. એ જાણતા જ હોય કે ગુજરાતીનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ ઘણું વધુ મુશ્કેલ બની શકે. અને તેમના પોતાના અંગ્રેજી પરના પ્રભુત્ત્વ અંગે તો બે મત હોઈ શકે જ નહિ. આજ સુધીમાં જેમનાં મોટી સંખ્યામાં અંગ્રેજીમાં પુસ્તકો પ્રગટ થયાં હોય, અને હજી સુધી વંચાતાં હોય, તેવા માત્ર બે જ ગુજરાતી લેખકો છે. પહેલા મુનશી, અને બીજા કૃષ્ણલાલ શ્રીધરાણી. અને છતાં અંગ્રેજીમાં નવલકથા લખવાથી જે મર્યાદાઓ આવે તેનો મુનશીને પૂરેપૂરો ખ્યાલ છે. લખે છે : ‘અંગ્રેજી ભાષામાં આ પહેલી જ નવલકથા મેં લખી છે. અત્યાર સુધીની મારી નવલકથાઓ મૂળ ગુજરાતીમાં લખાતી. જો મેં આ સર્જન પણ મારી માતૃભાષામાં કર્યું હોત તો સાહિત્યિક દૃષ્ટિએ એ વધુ ઉત્તમ નીવડત. કારણ કે અંગ્રેજી તો આખરે પરભાષા છે, એમાં લખતાં હંમેશા મુશ્કેલી અનુભવાય છે.’
આ નવલકથા માટે મુનશીએ આપણા પ્રશિષ્ટ ગ્રંથોનો પૂરતો અભ્યાસ કર્યો છે અને કૃષ્ણના પાત્રની તથા તેમની સાથે સંકળાયેલાં બીજાં અનેક પાત્રોની વ્યક્તિત્વરેખા જાણવાનો અને નાણવાનો પ્રયત્ન કર્યો છે. મુનશી માને છે કે કૃષ્ણ એ પુરાણકારોની કલ્પના નથી, પણ એક ઐતિહાસિક પાત્ર છે. તેમના જીવન કાળ દરમ્યાન જ કૃષ્ણ લોકોત્તર પુરુષ ગણાયા હતા અને દેવની જેમ પૂજાયા હતા. પણ મુનશી તેમને માનવ માને છે એટલે કૃષ્ણની સાથે સંકળાયેલા ચમત્કારોને તેમણે પોતાની નવલકથામાંથી કાં ગાળી નાખ્યા છે, કાં ચમત્કારનો તાર્કિક ખુલાસો આપવાનો પ્રયત્ન કર્યો છે.
કૃષ્ણાવતાર એ મુનશીની છેલ્લી (અને મૃત્યુને કારણે અધૂરી રહેલી) નવલકથા છે. ‘પ્રચંડ મનોઘટનાશાલી’ વ્યક્તિઓ માટે અદમ્ય આકર્ષણ ધરાવનાર મુનશીને કૃષ્ણ જેવું પાત્ર ન આકર્ષે તો જ નવાઈ. કૃષ્ણ માટેનું આકર્ષણ તેમને બાળપણથી મળ્યું છે. મુનશી કહે છે : ‘બચપણથી જ મને કૃષ્ણ માટે ગજબનું આકર્ષણ હતું, જેવું પરશુરામ અને રામ માટે હતું તેવું જ.’ પહેલો પરિચય થયો માતાને મુખેથી સાંભળેલી કથાઓ દ્વારા અને પછી ગાગરિયા માણ ભટ્ટો પાસેથી સાંભળેલાં આખ્યાનો દ્વારા. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, વ્રજ ભાષાના કૃષ્ણ વિષયક સાહિત્યનો પરિચય વધતો ગયો. કૃષ્ણ અંગેના મુનશીના અભ્યાસ અને આદરનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. ૧૯૬૩ના ડિસેમ્બરમાં ગુજરાતી કૃષ્ણાવતારનો ‘મોહક વાંસળી’ નામનો પહેલો ખંડ પ્રગટ થયો. ત્યાર બાદ બીજો ખંડ ‘સમ્રાટનો પ્રકોપ’, ૧૯૬૬માં, ત્રીજો ખંડ ‘પાંચ પાંડવો’ ૧૯૬૮માં, ચોથો ખંડ ‘ભીમનું કથાનક’ ૧૯૬૯માં, પાંચમો ખંડ ‘સત્યભામાનું કથાનક’ ૧૯૭૦માં, છઠ્ઠો ખંડ ‘મહામુનિ વ્યાસનું કથાનક’ ૧૯૭૨માં અને સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક’ ૧૯૭૪માં પ્રગટ થયો. ‘કુરુક્ષેત્રનું કથાનક’ નામનો આઠમો ખંડ લખવાની શરૂઆત મુનશીએ કરેલી પણ તેનું ૧૩મું પ્રકરણ લખાયા પછી થોડાક દિવસોમાં, ૧૯૭૧ના ફેબ્રુઆરીની આઠમી તારીખે, મુનશીનું અવસાન થતાં આ નવલકથા અધૂરી રહી. પણ જેટલી લખાઈ છે તેટલી પણ ડિમાઈ કરતાં મોટા કદનાં સાડા સત્તર સો પાનાં જેટલી થવા જાય છે. અને હજી તો યુધિષ્ઠિરની દ્યુતમાં થતી હારના પ્રસંગ સુધી જ લેખક પહોંચ્યા છે. આ ગતિએ જો નવલકથા આગળ વધી હોત તો ઓછામાં ઓછાં બીજાં આટલાં જ પાનાં તો લખાયાં જ હોત. ૧૮૮૭માં મુનશીની જન્મ શતાબ્દી નિમિત્તે ૧૯૮૬માં મુનશીનાં બીજાં પુસ્તકોની સાથોસાથ આ નવલકથાની પણ ‘શતાબ્દી આવૃત્તિ’ પ્રગટ થઈ ત્યારે મૂળના બધા ખંડોને ત્રણ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા. પ્રસ્તાવના એ પુસ્તકનું એક અવિભાજ્ય અંગ છે એ હજી આપણા અભ્યાસીઓનેય સમજાયું નથી, ત્યાં પ્રકાશકોને તો ક્યાંથી સમજાય? મૂળ સાત ભાગ સાથે મુનશીએ લખેલી પ્રસ્તાવનાઓ આ ‘શતાબ્દી આવૃત્તિ’માંથી દૂર કરવામાં આવી અને સાતમા ખંડ માટે મુનશીએ લખેલી પ્રસ્તાવના જ ત્રણે પુસ્તકમાં છાપવામાં આવી. પણ આમ થવાથી મુનશીનો દૃષ્ટિકોણ અને અભિગમ સમજવા માટેનું એક મહત્ત્વનું સાધન આપણા હાથમાંથી સરી ગયું.
‘કૃષ્ણાવતાર’ મુનશીની સૌથી વધુ લાંબી અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી નવલકથા છે. પણ મુનશીની અગાઉની નવલકથાઓ વાંચતાં જે રોમાંચ થતો તે આ નવલકથા વાચતાં ઝાઝો થતો નથી. આ માટે ભાષા ઉપરાંત બીજું કારણ એ છે કે પાત્રો અને પ્રસંગો આપણી નજર સમક્ષ ખડા થઈ જતા હોય એવો અનુભવ અહીં ઓછો જ થાય છે. અગાઉ બનેલા પ્રસંગો જાણે નેરેટર દ્વારા કહેવાઈ જતા હોય એવો અનુભવ વધારે તો થાય છે. આ નવલકથાના પહેલા ખંડનું અવલોકન “ગ્રંથ”માં કરતાં યશવંત દોશીએ લખ્યું હતું તેમ ‘ક્રિકેટની રનિંગ કોમેન્ટરી જેવી લાગવી જોઈતી કથા અહીં બીજા દિવસના છાપાના અહેવાલ જેવી લાગે છે.’
અને છતાં એ પણ હકીકત છે કે આજ સુધી આ નવલકથા સારા પ્રમાણમાં વાચક-પ્રિય રહી છે. એટલું જ નહિ, તેના પછી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલી ઘણી બધી નવલકથાઓ આપણને મળી છે. ‘કૃષ્ણાવતાર’નો ગુજરાતી અનુવાદ કરનાર હરીન્દ્ર દવેએ તેનાથી પ્રેરાઈને ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ લખી. આ ઉપરાંત પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, મકરંદ દવે, દિનકર જોશી અને બીજા લેખકોએ પણ કૃષ્ણ વિષયક નવલકથાઓ લખી. તો કાજલ ઓઝા-વૈદ્યે ‘કૃષ્ણાયન’માં કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી સ્ત્રીઓની દૃષ્ટિએ કૃષ્ણને નીરખવા અને નીરૂપવાનો સબળ પ્રયત્ન કર્યો. આમ, કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’ દ્વારા ગુજરાતી નવલકથામાં કૃષ્ણનું અવતરણ કર્યા પછી બીજા નવલકથાકારોએ પોતપોતાની રીતે કૃષ્ણકથાનો ઓચ્છવ ઉજવ્યો છે.
XXX XXX XXX
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’ કટાર, “ગુજરાતમિત્ર”, 17 અૉગસ્ટ 2014
![]()


“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”
ઈચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટીશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટીશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.
નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઈ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઈ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે.
પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટીશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઈ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!
“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!
આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”