સાદગી અને હૈયાનો વલવલતો ભાવ બેઉ ભેગા મળીને જ્યારે લોકસંગીતનો લિબાસ ઓઢે ત્યારે તેને દિવાળીબહેન ભીલ કહેવાય. તળપદો લહેકો, સ્ફટિકવત્ રણકો, અવાજમાં કરુણા અને આર્દ્રતા એવા લથબથ કે સાંભળનારના રૂદિયાના નગારે જ સીધો ઘા કરે.
થોડા મહિના અગાઉ જૂનાગઢ જવાનું થયું ત્યારે નક્કી જ હતું કે દિવાળીબહેન ભીલને મળવાનું જ છે. જૂનાગઢ પહોંચ્યાને બીજે જ દિવસે પત્રકારમિત્રને ફોન જોડ્યો કે દિવાળીબહેન ક્યાં રહે છે? જવાબ મળ્યો, “ગાંધીગ્રામ વિસ્તારમાં જઈને પૂછશો એટલે કોઈ પણ વ્યક્તિ તેમનું ઘર બતાવી દેશે.” આથમતે ટાણે સાંજે તેમના ઘરે પહોંચ્યો તો આંગણું દિવાળીબહેનથી ઝળહળતું હતું. તેઓ આંગણાંમાં જ બેઠાં હતાં. વાતોનો દૌર શરુ થયો.
તમે લોકસંગીત કેવી રીતે શીખ્યાં – એવું પૂછતાં જ હસતાં હસતાં દિવાળીબહેન કહે કે “હું સંગીત શીખી જ નથી. મોંઘી બા એટલે કે મારી બા ખૂબ ગાતાં. તેમને અમે સાંભળતાં. તેમને સાંભળતાં સાંભળતાં હું ય ગાતી. સંગીતનું જે શિક્ષણ કહેવાય એવું તો ક્યારે ય લીધું જ નથી.”
સંગીતનું શિક્ષણ તો જવા દો સાદું મૂળભૂત શાળાકીય શિક્ષણ પણ દિવાળીબહેને લીધું નથી. દિવાળીબહેન કહે છે કે, “મારી બા અભણ ને હું ય અભણ. મને સહી કરતાં ય માંડ આવડે.” દિવાળીબહેન ભીલની ગાયકી ભાવબળકટ ગાયકી છે. લોકસંગીત હંમેશાં ભાવપ્રધાન હોય છે. લોકસંગીતમાંથી જ શાસ્ત્રીય સંગીત અને એની રાગદારીઓ જન્મ્યાં છે. તેથી શાસ્ત્રીય સંગીતનું મૂળ પણ લોકસંગીત છે.
શાળા-કોલેજનાં શિક્ષણની અનિવાર્યતાને ક્યારે ય નકારી ન શકાય, પણ શિક્ષણની આડઅસરને લીધે વ્યક્તિમાં વ્યાવહારિક ઔપચારિકતા તો આવી જ જાય છે. દિવાળીબહેને સ્કૂલનું શિક્ષણ નહોતું લીધું, તેથી તેઓ બનાવટ વિનાના નખશીખ નક્કર રહી શક્યાં, એવું માનવાનું મન થાય. પોતે ફોક-સીંગર છે, એવી સભાનતા તો તેમનામાં ક્યારે ય રહી જ નથી. તેથી પોતે મહાન ગાયક છે, એવો આછોપાતળો અહમ્ પણ તેમના વ્યક્તિત્વમાં ડોકાતો-પરખાતો નથી. વિશ્વના અનેક દેશોમાં જઈને ગાનારાં દિવાળીબહેન જૂનાગઢમાં કોઈ શેરીમાં ગાવાં બોલાવે તો એટલી જ સહજતાથી ગાવાં જાય.
તમે ક્યા ક્યા દેશમાં જઈ આવ્યાં? એ સવાલનો જવાબ આપતાં દિવાળીબહેન કહે છે કે “હું અમેરિકા ચાર-પાંચ વખત ગઈ છું. એ ઉપરાંત એવા એવા દેશોમાં જઈ આવી છું કે એનાં નામ પણ મને નથી આવડતાં. મને તો ક્યારેક એવું લાગે છે કે સંગીતને બહાને મેં બ્રહ્માંડ ફરી લીધું.”
બ્રહ્માંડ ફરી લીધું પણ ધરી તો જૂનાગઢને જ રાખી. ઘણા કલાકારો નાનાં શહેરો કે ગામમાંથી આવતા હોય, પણ એક વખત સહેજ નામ બને એટલે અમદાવાદ કે મુંબઈ જેવાં શહેરોમાં નિવાસસ્થાન બનાવી લે છે. દિવાળીબહેનને જૂનાગઢ જ સોરવતું.
દિવાળીબહેન ગાયિકા તરીકે ગુજરાતભરમાં પહોંચ્યાં એનું ઘણું શ્રેય હેમુ ગઢવીને જાય છે. હેમુભાઈનું નામ પડે એટલે દિવાળીબહેન ખૂબ ગળગળાં થઈ જાય છે. તેઓ કહે છે કે, “હું નોરતામાં વણઝારીના ચોકે (જૂનાગઢ) ગરબા ગાવા જતી. એ વખતે મારી ઉંમર 15-16 વર્ષ હશે. ત્યાં હેમુભાઈએ મારો અવાજ સાંભળ્યો. તેમણે પૂછ્યું કે આ કોણ ગાય છે? પછી મારા અવાજમાં ગરબા-ગીતો રેકોર્ડ કર્યાં. ત્યાંથી મારી કલાકાર તરીકેની સફર શરૂ થઈ. હેમુભાઈના પ્રતાપે હું અહીં સુધી પહોંચી છું. એ પછી હું આકાશવાણી રાજકોટમાં પણ રેકોર્ડીંગ માટે નિયમિત જતી થઈ હતી.”
કલ્યાણજી-આણંદજી પણ દિવાળીબહેન ભીલના અવાજ પર ઓવારી ગયા હતા. ઉઘડતી કારકિર્દીએ દિવાળીબહેનને મુંબઈમાં કાર્યક્રમો મળે, એ માટે તેઓ મદદરૂપ થયા હતા. દિવાળીબહેન કહે છે કે, “હું મુંબઈમાં રેકોર્ડીંગ માટે જતી હતી. હું ત્યાં દયારામ દામોદર મીઠાઈવાલાને ત્યાં રોકાઉં. એક દિવસ કલ્યાણજીભાઈએ ભોજન માટે ઘરે બોલાવી. હું તેમને ઘરે ગઈ, પછી તેમણે મારી પાસે ગીતો ગવડાવ્યાં. એ પછી મેં જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી. પચાસેક વર્ષ પહેલાંની આ વાત હશે.”
હેમુભાઈએ દિવાળીબહેનનું હીર પારખ્યું ને તેમને સ્ટુડિયો સુધી લાવ્યાં તો દિવાળીબહેન જાહેર કાર્યક્રમો આપતાં થયાં એમાં કલ્યાણજી-આણંદજી પણ નિમિત્ત બન્યા.
થોડા વખત પહેલાં દિવાળીબહેનને કરાંચી-પાકિસ્તાનથી તેડું આવ્યું હતું. કરાંચીના કોઈ મુસ્લિમ બિરાદરે ત્યાં તેમને રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ ગીતો ગાવાં માટે આમંત્રણ આપ્યું હતું. દિવાળીબહેને છેલ્લાં કેટલાંક વખતથી કાર્યક્રમો બંધ કરી દીધા હોવાથી કરાંચી જવાની તેમણે ના પાડી દીધી હતી.
સાંસ્કૃિતક શંભુમેળા જેવું શહેર જૂનાગઢ તેની ગિરનાર-દાતારી તહેઝીબ માટે જાણીતું છે. ભગા ચારણ અને દાસી જીવણનાં ભજનો ગાતાં દિવાળીબહેન મોહર્રમનાં મરસિયા અને રમજાનનાં મુસ્લિમ ગીતો પણ ગાય છે. વાત વાતમાં ગીત સંભળાવે છે …
‘આંગણ માંડવ રોપો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
હાથો મેં મીંઢોળ બાંધો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
લીલી તે ઓઢણી ઓઢો બીબી. હાથોં મેં મેંદિયા લગાવો બીબી
ઇમામ મારે ઘેર આયે, સજન મેરે ઘર આયે.
પચાસેક વર્ષ તમે કાર્યક્રમો આપ્યા. અનેક દેશોમાં ફર્યા. આટલાં વર્ષ પછી પાછું વળીને કારકિર્દીને નિહાળો છો ત્યારે શું વિચાર આવે છે? એવો ટિપિકલ પત્રકારી સવાલ પૂછતાં દિવાળીબહેન કહે છે કે, “મને એવા કોઈ વિચાર આવતા જ નથી. ઇશ્વરની દયાથી બસ ગાયા ંકર્યું.”
વર્ષો પહેલાં વણજારીના ચોકમાં જ્યારે ગાતાં અને જાણીતાં કલાકાર નહોતાં બન્યાં એ વખતનાં દિવાળીબહેન અને ઘેર ઘેર જાણીતાં થઈ ચૂકેલાં દિવાળીબહેન બંને એક જ હતાં. કબીરની ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા’ની જેમ દિવાળીબહેને આયખું ઇશ્વરને અકબંધ ધર્યું. સાદગી અને સરળતા તેમનાં સંગીતના જ નહીં, સ્વભાવનાં પણ મુખ્ય અંગ હતાં. ગુજરાત દિવાળીબહેનથી રળિયાત હતું. ગુજરાત તેમના સંગીતનું ઋણી રહેશે.
(દિવાળીબહેન ભીલે 19.05.16ના રોજ દેહ છોડ્યો. આ વાર્તાલાપ આજથી છ-આઠ મહિના અગાઉ થયો હતો. દાવો ન થઈ શકે, પણ સંભવતઃ આ તેમનો છેલ્લો ઇન્ટરવ્યૂ હોઈ શકે.)
http://wordswatching.blogspot.co.uk/2016/05/blog-post.html