અપરાધ કહેશો ?
ડેમના ડુબાણમાં જતી પોતાની જમીન માટે
વલખતા આદિવાસીને જોઇ
વહારે આવ્યા એ અપરાધ?
તમે આદિવાસીનાં જંગલ ખાઓ
જળ ઉપાડી જાઓ
એમને જમીનથી બેદખલ કરો
જેલમાં પૂરો
આદિવાસીને જીવવાનો કુદરતી આધાર રહે
એમના હામી થયા એટલે દેશ પર જોખમ?
આંબાની ડાળ પર
પંખીના ભાગની કેરી
આદિવાસી રહેવા દે
આ શીખે, જીવે, એ આદિવાસીનો અને એમનો ગુનો?
અરે! મહારાજ,
આમ તો નજર પડે એ સકલ આપનું જ છે
પણ કીડી પીસે એનો કણ તો રહેવા દો
દવલાંની વહારે જ્જે, એવું મા અને નિશાળ ભણાવે
અને તમે ધરાયેલાં, વહાલાંને આપો છો
કુદરતી ઓટલો અને પરસેવાનો રોટલો ઝૂટવીને
આદિવાસીનાં જળ, જંગલ અને જમીનપર કુરુક્ષેત્ર માંડ્યું છે
બસ, વંચિતને મારો અને વીર થાઓ
પોતાનાં જળ, જંગલ ને જમીન
ખોવાતાં જોઇ ના જાગે આદિવાસી ?
ધરતીમા સાથે સલૂકાઇ રાખો
એવો અવાજ ઉઠાવે, એમને સાથ આપે
એ અપરાધ હોય તો એમ
સોક્રેટિસની ધીરજથી
દુઃખિયાની વહારે શહીદ થઇ
ફાધર સ્ટેનસ્વામાી
આ જેલમાંથી
અનંતની વાટે ચાલી નીકળ્યા છે
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 07