કોવિડ-૧૯ની સૌથી વધુ અસર મોટી ઉમરની વ્યક્તિઓને થાય છે. એટલે અમદાવાદ મહાનગરપાલિકાએ લૉક ડાઉનના માસિયે વડીલોની સવિશેષ સંભાળ માટેનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. પરંતુ વડાપ્રધાને તો લૉક ડાઉન શરૂ થયું ત્યારથી જ આવું અભિયાન શરૂ કરી દીધું હતું. કોરોના તો એની ગતિએ વધઘટ થયા કરશે, પણ નવરાશ મળી છે તો લાવ, જરી ખબરઅંતર લઈ લઉં — એમ માનીને વડાપ્રધાને વડીલસ્મરણવંદનાનો કાર્યક્રમ શરૂ કરી દીધો.
અખબારી અહેવાલો મુજબ, વડાપ્રધાનનું આ અભિયાન “તને સાંભરે, મને કેમ વિસરે રે” પ્રકારનું છે. અત્યાર સુધી તેમણે ગુજરાત અને ગુજરાત બહાર જેમનો પણ ટેલિફોનિક સંપર્ક કર્યો છે તેને, “તમે મને યાદ કરતા હતા કે નહીં?“ એવું જરૂર પૂછ્યું છે. અહેવાલો મુજબ તો તે, લૉક ડાઉનમાં વડાપ્રધાનની લોકપ્રિયતા માપતી એજન્સીઓની જેમ, “મારા લૉક ડાઉનના પગલાંથી લોકોને કેવું લાગે છે?” તેવું પણ પૂછતા હોવાનું જાણવા મળે છે.
આત્મરાગના જણ તરીકે વડાપ્રધાન માટે આવા સવાલોની નવાઈ ન લાગવી જોઈએ. પરંતુ તેમણે જે લોકોનો સંપર્ક કર્યો છે તે તમામ કાં તો જન સંઘના કે ભા.જ.પ.ના નિવૃત્ત રાજકારણીઓ છે. વડાપ્રધાનને અને તેમના સમર્થકોને તે ભા.જ.પ.ના નહીં, દેશના વડાપ્રધાન છે એમ કહેવડાવવાનું બહુ ગમે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વડાપ્રધાન જો આખા દેશના હોય તો તેમને શું થોડા ય પોતાના પક્ષ બહારના લોકો આવા આફત કાળમાં ખબરઅંતર લેવા જેવા નથી લાગતા? વળી માત્ર રાજકારણી જ કેમ તેમની યાદીમાં છે? વાંકદેખાઓ તો એમ પણ પૂછી શકે કે નરેન્દ્રભાઈ પંદર વરસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે, આજે તે જે વડીલોની સ્મરણવંદના કરે છે તેમનો ક્યારે ય ભાવ પૂછ્યો હતો ખરો?
વડાપ્રધાનને રાજકારણના અને તે ય માત્ર પોતાના પક્ષના જ રાજકારણીઓ સાથે સંબંધ હોય તે તેમના પુરોગામી વડાપ્રધાનોનું બૌદ્ધિક કદ જોતાં અનેક સવાલો જન્માવે છે. ૨૦૧૪ પછી પદ્મશ્રી પામેલા ડઝનેક ગુજરાતીઓ વડાપ્રધાનની વડીલવંદનામાં સામેલ થઈ શકે તેવા છે. તેમાંના ઘણા તો વડા પ્રધાને તેમના મુખ્ય મંત્રી અવતાર વખતે અમદાવાદમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં જણાવી હતી તેવી વ્યાખ્યા મુજબના રાજકારણીઓ પણ છે. વડાપ્રધાન એમના પણ ખબરઅંતર ન લે એ તો કેવું ? વડાપ્રધાને ભા.જ.પ.ના વડાપ્રધાન મટી ભારતના વડાપ્રધાન થવું હશે તો તે માટેનો પ્રયત્ન તેમણે જાતે જ કરવો પડશે. સૌનો સાથ જ નહીં લો તો સૌનો વિશ્વાસ ક્યાંથી મેળવી શકશો?
e.mail : maheriyachandu @gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020
![]()


બંધારણના ઘડવૈયાઓએ ‘વી ધ પીપલ’ને બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારો અભરાઈ પર ચઢાવી દીધા હતા. ૧૯૭૬માં કટોકટી દરમિયાન થયેલા બેતાળીસમા બંધારણ સુધારા દ્વારા, જેમ આમુખમાં ધર્મનિરપેક્ષતા અને સમાજવાદી શબ્દ ઉમેરાયા હતા તેમ નાગરિકની મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી. ૨૦૧૫માં બંધારણના પ્રમુખ ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સવાસોમા જન્મ જયંતી વરસથી વર્તમાન વડાપ્રધાને ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે રાષ્ટ્રીય ધોરણે મનાવવાનું શરૂ કર્યું છે.
કમિશનરસાહેબને પોતાના કર્મચારી એવા એક મૅડિકલ ઓફિસર બહેનને સારવારમાં રહેલી ઢીલ અને કચાશના વીડિયો અંગે પણ દુ:ખ વ્યક્ત છે. તે કહે છે કે સમગ્ર તંત્ર જ્યારે કોરોના સામે યુદ્ધ લડે છે ત્યારે આવા વીડિયો યુદ્ધ લડતા સૈનિકના બૂટને પોલીશ નથી કરી કે શર્ટનું એકાદ બટન ખુલ્લું છે — તેવા છે. આમ જણાવી તે આવા કૃત્યને ‘નકારાત્મક’ ગણાવે છે. આ જ વીડિયો મેસેજમાં કમિશનર એમ પણ કહે છે કે આ વીડિયોને કારણે આખો દિવસ મારું તંત્ર દોડતું રહ્યું છે. જો નાગરિકોની ફરિયાદો સૈનિકોના બૂટની પોલીશ કે શર્ટનાં બટન જેવી ક્ષુલ્લક હતી કે તેમાં કોઈ દમ ન હતો કે માત્ર નકારાત્મકતા જ હતી, તો તંત્ર આખો દિવસ દોડતું શા માટે રહ્યું? સરકારની કે તંત્રની ટીકા એ નકારાત્મકતા નથી. એ તો લોકતંત્રની પાયાની બાબત છે, લોકશાહીનો પ્રાણ છે. મિસ્ટર નહેરાને કોણ સમજાવે કે કટોકટી વખતે નગર અમદાવાદના લોકસભા સભ્ય પુરુષોત્તમ માવળંકરે લોકસભામાં કટોકટી વિરોધી જે પ્રવચનો આપેલાં, તેના પુસ્તકનું નામ જ “નો, સર“ છે !
પહેલાં નાણા મંત્રીએ અને પછી ગૃહ મંત્રીએ વધામણી આપી છે કે અત્યારે દેશમાં વડાપ્રધાનની લોકપ્રિયતા સાતમા આસમાને છે. મોદી મંત્રીમંડળના આ બે વરિષ્ઠ મંત્રીઓની આ દિવસોમાં ઉપસ્થિતિ આ રીતે દેખાય તે પણ વડાપ્રધાનની સિદ્ધિ ગણાવી જોઈએ! માનવજાત જ્યારે તેના અસ્તિત્વની લડાઈ લડતી હોય ત્યારે પણ, કાયમ ઈલેકશન મોડમાં રહેતા પ્રધાનસેવક અને તેમના દરબારીઓને લોકપ્રિયતાના ગાણાં ગાવાના સૂઝે તેનાથી આશ્ચર્ય ન થવું જોઈએ. કોરોનાકાળના પૂર્વ દિવસોમાં દિલ્હીના દંગાઓમાં માર્યા ગયેલા લોકોને ભરી લોકસભામાં દેશના ગૃહમંત્રી કેવી માસૂમિયતથી હિંદુ કે મુસ્લિમ નહીં, પણ ભારતીયો ગણાવતા હતા. અને આજે કોવિડ-૧૯ની મહામારીમાં કેટલા જમાતીઓ છે અને કેટલા ભારતીયો છે એવાં વિભાજનો ખુદ સરકાર કરે છે અને સત્તાવાર રીતે એવા આંકડા જાહેર કરે છે. વડાપ્રધાનની લોકપ્રિયતાનું રહસ્ય આ હશે?