આજની કોરોના જેવી વૈશ્વિક મહામારી તો નહીં, પણ પચીસેક વરસ પહેલાં, ૧૯૯૪માં, સુરતની પ્લેગની મહામારીનો આપણને આંશિક અનુભવ છે. તાપીનાં પૂર ઓસર્યાં પછીની ગંદકીને લીધે એ વખતે સુરત પ્લેગગ્રસ્ત બન્યું હતું. મરણાંક તો સો જેટલો જ હતો પણ પ્લેગ કે મરકીનો ભય એટલો હતો કે અડધું સુરત ખાલી થઈ ગયું હતું. ત્રણેક લાખ પરપ્રાંતીય મજૂરોએ ભરેલા ઉચાળાનાં દ્રશ્યો આજે ૨૦૨૦ના કોરોના વખતની મજૂરોની હિજરત વખતે તાજાં થયાં.
મરકી કે પ્લેગના રોગચાળાને આજે તો ઘણે અંશે ડામી દેવાયો છે પણ તેણે આખા વિશ્વને ઘણાં વરસો સુધી ત્રાહિમામ્ પોકારાવેલી. એક અંદાજ મુજબ એકલા ભારતમાં ૧૮૯૮થી ૧૯૧૮ સુધી એક કરોડ લોકોનાં મોત પ્લેગને કારણે થયા હતાં. એ દિવસોમાં દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો. ભારતીયોનાં જીવનની એમને જાણે કે કોઈ કિમત નહોતી. આજના કોરોના કાળમાં અમલી બનાવાયેલો એપિડેમિક એકટ ૧૮૯૭માં અંગ્રેજ સરકારે ઘડેલો.
મુંબઈ-પૂણેના પ્લેગે કેવો હાહાકાર મચાવેલો અને સામે અંગ્રેજ અફસરોએ પ્લેગગ્રસ્ત ભારતીયો પર કેવા અત્યાચારો ગુજારેલા તેની કહાનીઓ આજે તો ઇતિહાસમાં ધરબાઈ ગઈ છે. વોલ્ટર ચાર્લ્સ રેન્ડ નામક અંગ્રેજ અફસર પ્લેગ કમિશનર હતા. તેમણે રોગીઓને વીણીવીણીને એવા તો મારી નાંખેલા કે તેમના અત્યાચારથી ત્રસ્ત થઈને પૂણેના ચાપેકર બંધુઓને તેમની હત્યા કરવી પડેલી, બદલામાં તેમને ફાંસીની સજા મળેલી.
કોરોનાગ્રસ્ત ભારતમાં આજે નેતાઓ ચેપ લાગવાના ડરે છૂપાઈ ગયા છે, ત્યારે ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદે કોલકાતાના પ્લેગગ્રસ્તોની કરેલી સેવા અવિસ્મરણીય છે. સ્વામી વિવેકાનંદ ઘણા રોગોથી પીડાતા હતા. તેમના જીવનીકારે નોંધ્યું છે તેમ સ્વામીજી ૧૮૯૯ના માર્ચની ત્રીસમીએ કોલકાત્તાથી દાર્જિલિંગ જવા ઉપડ્યા. આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય તે પૂર્વે જ કોલકાત્તામાં પ્લેગ ફાટી નીકળ્યાના સામાચારે તે પરત ફર્યા. માનવ સેવાને વરેલા તાજા રચાયેલા રામકૃષ્ણ મિશન દ્વારા તેઓ સેવાકાર્યોમાં લાગી ગયા. બેલૂરમાં મઠ સ્થાપવા ૨૨ વીઘાં જમીન ખરીદી હતી અને કામ ચાલતું હતું. સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાએ કોલકાત્તાની કોલેજમાં 'પ્લેગ એન્ડ સ્ટુડન્ટ ડ્યુટી’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. એટલે અનેક યુવાનો સ્વયંસેવક તરીકે જોડાયા. કોલકાત્તાની ગંદી ગલીઓ અને ઝૂંપડપટ્ટીઓની સફાઈ સાથે દરદીઓની સારવાર અને સેવાનું કામ હાથ ધરવામાં આવ્યું.
કોલકાત્તાના પ્લેગગ્રસ્તોની સારવાર, સેવા અને રાહતનું કામ ઘણું મોટું હતું. અને સાધનો બહુ ટાંચાં હતાં. એક સાથીએ વિવેકાનંદને પૂછ્યું. ‘કામ તો હાથ પર લીધું છે, સ્વામીજી પરંતુ નાણાં ક્યાંથી લાવીશું ?’ સેવા માટે દ્રઢનિશ્ચયી વિવેકાનંદે જવાબ આપ્યો, ‘જરૂર પડશે તો મઠની જમીન વેચી નાંખીશું. આપણે સન્યાસીઓ છીએ. ઝાડ નીચે સૂવા અને ભિક્ષા માંગી ખાવા ટેવાયેલા છીએ. તો પછી ફિકર શાની ? નજર સામે કણસતા – રિબાતા મરકીગ્રસ્તોની પીડા ટાળી શકાતી હોય તો મઠ અને બીજી માલમિલકતને વેચીને પણ આ કામ કરવું જોઈએ.’ સ્વામી વિવેકાનંદની આ પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનાને, આજે થોડા પગાર કાપ કે એમ.પી., એમ.એલ.એ. ગ્રાન્ટના કોરોનાના કામ માટેના ઉપયોગના સરકારી નિર્ણય સંદર્ભે સૌએ હૈયે ધરવા જેવી છે.
ભારતમાં કોરોનાનાં પગરણ મંડાયાં ત્યારે જ સરકારી તંત્રે લોકોને તેના ચેપથી બચવા માટે શું કરવું અને શું ના કરવું તેની સલાહો આપતી જાહેરાતો કરવા માંડેલી. આ સરકારી જાહેરાતો અને ચોપાનિયાઓની, ૧૮૯૯ના સ્વામી વિવેકાનંદના પ્લેગ ઘોષણાપત્ર સાથે તુલના કરતાં જણાય છે કે શુષ્ક અને બીબાંઢાળ સરકારી વિજ્ઞાપનો અને પત્રિકાઓ કરતાં વિવેકાનંદના પ્લેગ ઘોષણાપત્રમાં આત્મીયતા અને પ્રભાવકતાનો રણકો છે. સ્વામીજીએ મૂળે બાંગ્લા ભાષામાં લખેલા અને અંગ્રેજી – હિન્દીમાં અનુદિત થયેલા સાત મુદ્દાના આ પ્લેગ ઘોષણાપત્રનો આરંભ, આજની સરકારી પત્રિકાઓમાં જેનો અભાવ હોય છે તે ‘કોલકાત્તાવાસી બંધુઓ’ના આત્મીય સંબોધનથી થાય છે. આપણને નાગરિક ધર્મ અને નાગરિક ફરજોની યાદ અપાવતી વર્તમાન સરકારો અને તેના વહીવટકર્તાઓ કરતાં વિવેકાનંદના ઘોષણાપત્રનો આરંભ મધુર આત્મીયતાભર્યા શબ્દોથી થાય છે. ઘોષણાપત્ર જણાવે છે : ‘જ્યારે તમે ખુશ હો છો ત્યારે અમે પણ ખુશ હોઈએ છીએ. જ્યારે તમે મુસીબતમાં હો છો, દુ:ખોનો સામનો કરી રહ્યા હો છો ત્યારે અમને પણ દુ:ખ થાય છે. મુસીબતના આ કપરા કાળે તમારા કલ્યાણ અને આ બીમારી કે મહામારીના ડરથી તમને બચાવવા અમે નિરંતર પ્રાર્થના કરીએ છીએ.’ ઘોષણાપત્ર માત્ર પ્રાર્થનાથી જ નથી અટકતું આજે સરકારો તો હેલ્પલાઈન નંબરો આપીને મદદ કર્યાની ઈતિશ્રી માને છે પણ વિવેકાનંદ કહે છે, ‘જો તમારી મદદ કરનાર કોઈ ના હોય તો તુરત બેલૂર મઠને સાદ કરજો. જે કંઈ થઈ શકશે તે મદદ કરીશું.’
વિવેકાનંદનું ઘોષણાપત્ર ઘર અને ફળિયાની, કપડાં, ગાદલાં, ગોદડાં, પથારીની, આસપાસના ગંદા પાણીના નાળાંની સફાઈ કરવાની અપીલ કરે છે. તાજો, પોષણયુક્ત ખોરાક ખાવાની, સલાહ આપવા સાથે, મોત ચોમેર તાંડવ કરી રહ્યું હોય ત્યારે અનૈતિક વ્યવહારો, લોભ, લાલચ, ક્રોધ, શોષણ અને વ્યસનોથી મુક્ત રહેવા વિનંતી કરે છે. તે સમયે પણ અફવાઓનું જોર હતું અને સરકારી તંત્ર પર અવિશ્વાસ હતો એટલે ઘોષણાપત્રમાં લખ્યું હતું : ‘સરકારી હોસ્પિટલો બીમાર લોકોના ઈલાજમાં કોઈ કમી નહીં રાખે. પણ અફવાઓ ના માનશો.’ આજની જેમ એ વખતે પણ લોકો મહામારીથી ગભરાઈ ગયા હતા. તેમને આશ્વસ્ત કરતાં લખ્યું હતું, ‘પ્લેગની બીમારીથી અમીર-ગરીબ, ઉચ્ચ-નીચ સૌ હાલી ગયા છે અને રોગનો ચેપ ફેલાઈ રહ્યો છે. ત્યારે તમારી સેવા અને દેખભાળ કરતાં જો અમારું મોત આવશે તો પણ અમે ખુદને ભાગ્યશાળી માનીશું.’ કોરોનાની મહામારી વિશ્વવ્યાપી છે અને દુનિયાના સમૃદ્ધ દેશો પણ ઘૂંટણિયે પડી ગયા છે પરંતુ પ્લેગની બીમારીનું એવું નહોતું. એટલે ઘોષણાપત્ર અમીર-ગરીબના ભેદ સંદર્ભે જણાવે છે, ‘જે સમૃદ્ધ છે તેમને ઈલાજ માટે અહીંતહીં ભાગવા દો. પરંતુ આપણે ગરીબ છીએ. અને એક ગરીબના દિલની વ્યથા અમે સારી રીતે સમજીએ છીએ.’ પ્લેગ ઘોષણાપત્રમાં ધર્મ-જાતિના ભેદ સિવાય સૌની સેવાનું વચન હતું, તો મહિલાઓના સવિશેષ સન્માનની ખાતરી હતી. ઘોષણાપત્રનો પ્રમુખ ઉદ્દેશ તો લોકોના મનમાં રહેલો પ્લેગનો ડર દૂર કરવાનો છે. એટલે તેમણે કોલકાત્તાવાસીઓને વિનમ્રભાવે પ્રાર્થના કરાતાં લખ્યું હતું, ‘મહામારીના સમયમાં ડરનો માહોલ બનાવવાની જરૂર નથી. આ મહામારીએ લોકોના દિલોદિમાગમાં જે ડર પેદા કર્યો છે તે પાયા વગરનો છે. દરેકે એક વખત તો મરવાનું જ છે પરંતુ જે ડરપોક છે તે ડરને લીધે વારંવાર મરે છે.’
આજે પણ પ્રસ્તુત આ ઘોષણાપત્ર ઠાલુ પ્રચાર સાહિત્ય નહોતું તેનું વ્યાપક વિતરણ અને અમલ થયો હતો. તેણે લોકોને જાગ્રત કરી મદદ કરી હતી. માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ અસરકારક એવું ૧૮૯૯નું પ્લેગ ઘોષણાપત્ર ઇતિહાસનો દસ્તાવેજ માત્ર નથી તે આજે ય આપણો માર્ગ અજવાળે છે
(તા.૨૯-૦૪-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 ઍપ્રિલ 2020