૨૦૧૪થી કેન્દ્રમાં સત્તાનશીન સરકારે અનેક જરીપુરાણા કાયદાઓ રદ્દ કર્યા છે. હવે તેની પ્રાથમિકતા કાયદાઓના વર્ગીકરણ અને સરળીકરણની છે. ૪૪ શ્રમ કાયદાઓને રદ્દ કરી તેને ચાર શ્રમસુધાર સંહિતામાં ગૂંથી લેવાનો સરકારનો ઈરાદો છે. સરકારની દલીલ છે કે વર્તમાન શ્રમ કાયદાઓમાં વેતનની એક ડઝન વ્યાખ્યાઓ છે. જે અમલીકરણમાં બાધા બને છે. એટલે આ ૪૪ કાયદા રદ્દ કરી તેને વેતન, દ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને દ્યોગિક સુરક્ષા તથા કામદાર કલ્યાણ એવી ચાર શ્રમસુધાર સંહિતામાં સમાવી લેવામાં આવશે. આ દિશાના પ્રથમ ચરણ તરીકે ગયા અંદાજપત્ર સત્રમાં સંસદે ‘ધ કોડ ઓફ વેજીસ બિલ, ૨૦૧૯’ પસાર કર્યું છે. સંસદે મંજૂર કરેલું આ બિલ(અને હવે રાષ્ટ્રપ્રમુખની મંજૂરી પછી કાયદો)માં ચાર કેન્દ્રીય કાયદા, વેતન ચુકવણી કાયદો-૧૯૩૬, લઘુતમ વેતન ધારો-૧૯૪૮, બોનસ ચુકવણી કાયદો-૧૯૬૫ અને સમાન વેતન કાયદો-૧૯૭૬ રદ્દ કરવામાં આવ્યા છે ને તેના સ્થાને નવો વેતન કાયદો અસ્તિત્વમાં આવ્યો છે.
વેતન સંહિતા ૨૦૧૯ને સરકાર ઐતિહાસિક અને ૫૦ કરોડ લોકોનાં જીવનને અસર કરનાર ગણાવે છે. આ કાયદાના ફયદા દર્શાવતાં સરકાર કહે છે કે તે કામદાર કલ્યાણ સાથે, ઉદ્યોગોના પ્રવેશને સરળ બનાવશે. તેના દ્વારા લઘુતમ વેતનને રાષ્ટ્રીય ધોરણે અનિવાર્ય અને એકસરખું બનાવાયું છે. વેતન અને બોનસની ચુકવણીના નિયમો બહેતર બનાવાયા છે. આ શ્રમસુધાર દ્વારા જીવનનો અધિકાર સુનિશ્ચિત થશે, કાનૂની રીતે લઘુતમ વેતન લાગુ કરવું અનિવાર્ય બન્યું છે. લઘુતમ વેતનનો દર અને વેતન ચુકવણીની તારીખો નક્કી કરાઈ છે. દહાડિયા મજૂરને રોજ સાંજે, અઠવાડિકને અઠવાડિયાના અંતે, પખવાડિકને પખવાડિયાના બે દિવસ પછી અને માસિક વેતનની ચુકવણી મહિનો પૂરો થયાના સાત દિવસમાં કરી દેવાની રહેશે. આશ્રિત તરીકે દાદા-દાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ત્રીઓને નાઈટ શિફ્ટની મંજૂરી આપી છે રેલવે અને ખાણ ઉદ્યોગનું લઘુતમ વેતન કેન્દ્ર અને અન્યનું રાજ્યો નક્કી કરશે. કાયદામાં નક્કી કરાયેલા વેતનની દર ત્રણ વરસે સમીક્ષા કરવામાં આવશે.
જો કે કામદાર સંગઠનો અને વિપક્ષો આ કાયદાનો વિરોધ કરે છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના શ્રમિક સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’ના અધ્યક્ષ સાજી નારાયણન કાયદાને આવકારે છે. પણ બાકીની ત્રણ શ્રમસંહિતાની કેટલીક જોગવાઈઓનો વિરોધ કરે છે. તેમની દલીલ છે કે દેશની કુલ વસતીનો સાત ટકા ભાગ જ જો કામદાર કાનૂનો હેઠળ આવરી લેવાયો હોય તો કામદાર કલ્યાણના કાયદાને કારણે ઉદ્યોગોનો વિકાસ થતો નથી તે વાત સાચી નથી. વેતન સંહિતા ૨૦૧૯નો વિરોધ અનેક ડાબેરી ટ્રેડ યુનિયન્સ કરે છે. આ કાયદાના દાયરામાં કેવળ ૧૦ કે તેથી વધુ કામદારો ધરાવતાં ક્ષેત્રો જ આવરી લીધાં છે એટલે ૮૫ ટકાની અવગણના થઈ છે. કાયદામાં ૫૦૦થી ઓછી કંપનીઓનું નિરીક્ષણ ઘટાડવામાં આવ્યું છે અને આઈ.ટી. સેકટરને કાયદાની બહાર રખાયું છે. એ રીતે આ કાયદો વરસોના સંઘર્ષ બાદ મળેલા શ્રમિક અધિકારો પર તરાપ મારે છે. તે શ્રમિકોના નહીં એટલો માલિકોના હિતમાં છે અને તેના દ્વારા કોર્પોરેટ ક્ષેત્રને લાભ પહોંચાડવાની કોશિશ થઈ છે. આ કાયદો કોન્ટ્રાક્ટ પ્રથાને ઉત્તેજન આપે છે, એપ્રેન્ટિસને કર્મચારી ગણતો નથી, બાળમજૂરીને કાયદેસર બનાવે છે. આગોતરા વેતન ચુકવણીને માન્ય રાખે છે એટલે વેઠિયા મજૂરી માન્ય બને છે. માલિક સામે ફરિયાદ કરનારને સંરક્ષણ આપવાની જોગવાઈ નથી. વગર રજાએ ગેરહાજર રહેનારને વેતનકાપની સજા કરે છે. આ કામ નહીં તો વેતન નહીં કરતાં આકરું પગલું છે. કાયદાની જોગવાઈઓ કરતાં તેના અમલના પ્રશ્નો મોટા છે, કેમ કે સરકાર પાસે વેતન સંબંધી ફરિયાદોના નિવારણ માટેનું તંત્ર જ નથી. કાયદાના અમલના નિરીક્ષણ માટે લેબર ઈન્સપેક્ટરને બદલે ઈન્સપેક્ટર કમ ફ્સિલિટરની જોગવાઈ છે. કેન્દ્ર અને રાજ્યોના શ્રમ વિભાગમાં મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે ત્યારે રૂપાળી જોગવાઈઓનો પણ વાસ્તવમાં અમલ થવાનો નથી.
ઓછું વેતન અને વેતનમાં અસમાનતા સમાવેશી વિકાસમાં બાધક છે. આઝાદી પૂર્વે ૧૯૩૬માં વેતન ચુકવણીનો અને ૧૯૪૮માં લઘુતમ વેતનનો કાયદો ઘડાયો હતો. ૧૯૬૯ના પ્રથમ રાષ્ટ્રીય શ્રમ આયોગે રાષ્ટ્રીય લઘુતમ વેતન ન તો સંભવ છે કે ન તો ઈચ્છનીય તેમ જણાવ્યું હતું ! ભૂતલિંગમ સમિતિ(૧૯૭૮)એ સંગઠિત ક્ષેત્ર માટે રાષ્ટ્રીય લઘુતમ વેતન જરૂરી માન્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ શ્રમ આયોગ(૧૯૯૧)ની રાષ્ટ્રીય લઘુતમ વેતન માટેની ભલામણ હતી. વિકાસશીલ દેશોમાં લઘુતમ વેતન ધારો લાગુ કરનાર ભારત પ્રથમ દેશ હતો. પણ આજે આઝાદીના સાત દાયકા પછી આપણે હજુ લઘુતમ વેતનથી આગળ વધ્યા નથી. નવા શ્રમસુધારમાં ફ્લોર વેજની જોગવાઈ છે. એનો મતલબ એ કે દેશમાં કોઈ પણ ખૂણે આટલું ન્યૂનતમ વેતન તો આપવું જ પડશે. પરંતુ ફેર વેજ કે લિંવિંગ વેજ માટે હજુ વિચારાતું નથી. ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે લઘુતમ વેતનમાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને સામેલ કરેલ છે. ૨,૭૦૦ કેલેરીનો સમાવેશ કરવાનો હોય છે, પરંતુ સરકાર તેમાં જરા ય આગળ વધી નથી. કઈ રીતે વેતન નક્કી થશે અને કઈ રીતે વધારાશે તે સલાહકાર બોર્ડ પર છોડી દેવાયું છે.
૧લી જૂન, ૨૦૧૭થી રાષ્ટ્રીય લઘુતમ વેતનનો દર રૂ.૧૭૬/- છે. સરકારે રચેલી અર્થશાસ્ત્રી અનુપ સતપતિ સમિતિએ રૂ. ૩૭૫/ના રાષ્ટ્રીય લઘુતમ વેતનની ભલામણ કરી છે, પરંતુ સરકારને તે સ્વીકાર્ય નથી. સરકાર રૂ.૧૭૬/-નું ફ્લોર વેજ વધારીને રૂ.૨૦૦/- થી ૨૨૫/- જ કરવા માંગે છે. જે ખૂબ જ ઓછું છે.
ભારતમાં દર ત્રણમાંથી એક કામદારને લઘુતમ વેતન મળતું નથી. ૧૯૮૩થી ૨૦૧૩નાં ૩૦ વરસોમાં વેતનવધારો માંડ એક ટકો જ થયો છે. ભારત સરકારના શ્રમ મંત્રાલય ૨૦૧૫-૧૬ના સર્વેક્ષણ મુજબ ૭૭ ટકા ભારતીય પરિવારોમાં સ્થાયી વતન મેળવનાર એક પણ વ્યક્તિ નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ભારતને શ્રમ કાનૂનોના અમલમાં અતિ નબળો દેશ માને છે. ૩૧ ટકા ભારતીય કામદારો ખરાબ સ્થિતિમાં કામ કરતા હોવાનું અને તે પૈકી ૪૨ ટકાને ખૂબ જ ઓછું વેતન મળતું હોવાનું પણ આઈ.એલ.ઓ.નું તારણ છે. ભારત આ બાબતમાં એશિયા પેસિફ્કિના ૨૨ દેશોમાં ૧૯માં સ્થાને છે. આ સઘળી બાબતોના ઉજાસમાં નવા શ્રમસુધારા શ્રમિકોનું જીવન બહેતર કરશે કે બદતર તે સવાલ છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 06 નવેમ્બર 2019