પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ શા માટે? સાદો જવાબ એ કે, એ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું એટલે, પણ અઘરો સવાલ એ કે, 26 જાન્યુઆરી, 1950 જ શા માટે? 31 જાન્યુઆરી કે 1લી ફેબ્રુઆરી કેમ નહીં? વાત લાંબી છે, પણ ટૂંકમાં જવાબ એ કે, 26 જાન્યુઆરી ‘પૂર્ણ સ્વરાજ’ની પણ સાલગિરાહ હતી. ભારતીય નેશનલ કૉંગ્રેસે ડિસેમ્બર 1929ના એના રાષ્ટ્રીય અધિવેશનમાં ઠરાવ પસાર કર્યો હતો કે, જાન્યુઆરી 1930ના અંતિમ રવિવારથી ભારતમાં સંપૂર્ણપણે સ્વ-તંત્ર હશે. યોગાનુયોગ છેલ્લા રવિવારે 26 જાન્યુઆરી હતી.
આમ તો ભારત બ્રિટિશ શાસનમાંથી 15 ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયું હતું, પણ ત્યારે એનું સંવિધાન તૈયાર ન હતું. સંવિધાનનો પહેલો ડ્રાફ્ટ નેશનલ એસેમ્બ્લીને 4 નવેમ્બર, 1947ના રોજ પેશ કરવામાં આવ્યો હતો. એસેમ્બ્લીએ અંતિમ ઇંગ્લિશ અને હિન્દી ડ્રાફ્ટ 24 જાન્યુઆરી, 1950ના રોજ મંજૂર કર્યો. આમ પણ, છેલ્લાં 20 વર્ષથી 26 જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ’ દિવસ તરીકે મનાવામાં આવતો જ હતો, એટલે સંવિધાન 24 જાન્યુઆરીએ ફાઇનલ થયું, ત્યારે એનો અમલ પણ 26 જાન્યુઆરીથી જ કરવો એમ નક્કી થયું, અને એવી રીતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ગણાવા લાગ્યો.
એટલે, દ્વિતીય મહાયુદ્ધમાં ખોખરા થયેલા બ્રિટિશરો 16 ઑગસ્ટથી જ ઘર-વાપસી કરવા માગતા હતા, અને એ કારણથી જ સંવિધાનને ઝડપથી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બીજા ત્રણ વર્ષ નીકળી ગયાં. આ બહુ વિસ્તૃત કવાયત હતી. સંવિધાન સમિતિના 389 સભ્યોએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસોમાં 11 બેઠક કરી હતી. આ દરમિયાન 7,635 પ્રસ્તાવ અને સંશોધન રજૂ થયેલાં. મૂળ સંવિધાન દિલ્હીના જાણીતા કેલીગ્રાફર પ્રેમબિહારી રાઈજાદાએ પ્રવાહી ઇટાલિક્સમાં લખ્યું છે, જેના દરેક પાને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભન કર્યું છે. 25 ભાગનું દુનિયાનું આ સૌથી લાંબું સંવિધાન છે, અને તે સંસદની લાઈબ્રેરીમાં હિલીયમ ભરેલા ગ્લાસ-કેસમાં સચવાયેલું છે.
આ ઇતિહાસ સાથે જોડાયેલી એક બીજી દિલચસ્પ કહાની એ વિલ્સન ફાઉન્ટન પેનની છે, જેના વડે સંવિધાનના આર્કિટેક્ટ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના ઘડાનો કાંઠો બાંધ્યો હતો. વિલ્સન નામ આમ તો વિદેશી છે, પણ એનું પૂરું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થતું હતું, અને પેનની નીબ અમેરિકાથી આયાત હતી, એટલે એનું નામ વિલ્સન પેન પડ્યું હતું. આપણને મઝા પડે એવી વાત એ છે કે, આ વિલ્સન કંપની અમરેલી જિલ્લાના રાજુલા ગામના વેપારી દ્વારકાદાસ જીવનલાલ સંઘવી અને તેમના ભાઈ વલ્લભદાસ સંઘવીએ સ્થાપેલી.
એમાં ય વાત એવી છે કે, સંઘવીબંધુઓ સીટા એન્ડ સીટી બ્રાન્ડની નીબ્સ અમેરિકાથી મગાવતા હતા, પણ મહાયુદ્ધના કારણે અડચણમાં વિલ્સન નામની નીબ્સ આવી ગઈ, અને એ પાછી મોકલી શકાય તેમ ન હતી, એટલે તેમને વિલ્સન નામથી પેન બનાવવી પડી, જે એટલી લોકપ્રિય બની કે, પછી તેમણે એ જ નામથી પેન વેચવાનું ચાલુ રાખ્યું. ઘરમાં લગભગ ભૂખમરો, એટલે 4 ચોપડી ભણેલા દ્વારકાદાસ 14 વર્ષની ઉમરે રોજગારીની તલાશમાં રંગૂન ગયેલા, અને પાછળ એમના ભાઈ પણ જોડાયા. ત્યાં દ્વારકાદાસ બેબી સિટિંગ કરે, અને ભાઈ વલ્લભદાસ જનરલ સ્ટોર ઉપર કટલરી અને કિચનનો સામાન વેચે.
એમાંથી બંને ભાઈઓએ લોકલ વેપારીઓ પાસેથી પેન ખરીદીને ફૂટપાથ ઉપર એને વેચવાનો ધંધો શરૂ કર્યો. પાછળથી રાજુલાનો બાકી પરિવાર પણ રંગૂનમાં જોડાયો.1941માં દ્વિતીય મહાયુદ્ધ શરૂ થયું, એટલે સંઘવી પરિવાર બાળ-બચ્ચાં સાથે કલકત્તા આવી ગયો, અને ત્યાં હોલસેલ ટ્રેડિંગ કંપની કિરણ એન્ડ કું. શરૂ કરી (કિરણ એટલે દ્વારકાદાસનો દીકરો, જેની દીકરી પૂર્વી સંઘવીએ વિલ્સન પેનની આ આખી કહાની ઇન્ડિયન મેમરી પ્રોજેક્ટ નામની અફલાતૂન વેબસાઈટ ઉપર મૂકી છે.)
છબિમાં જમણી બાજુએ કાળા ડગલામાં દ્રારકાદાસ જીવણલાલ સંઘવી છે. એમની પડખે એમના ભાઈ વલ્લભદાસ જીવણલાલ સંઘવી જોવા મળે છે. મુંબઈ ખાતે સન 1951 વેળા આ ફોટો લેવાયો હોય તેમ કહેવાય છે.
કલકત્તામાં ધંધામાં હાથ એવો બેઠો કે, બંને ભાઈઓ ‘ઘર’માં નસીબ અજમાવવા વલસાડ અને ત્યાંથી મુંબઈ આવ્યા. મુંબઈમાં એમણે દાદરની એક મિલના કમ્પાઉન્ડમાં લેથ મશીન નાખીને જાતે જ પેનના સ્પેર-પાર્ટ્સ બનાવનું શરૂ કર્યું. અહીં જ એ અમેરિકાથી નીબ્સ મગાવતા હતા, જેમાં ભૂલથી વિલ્સન નીબ આવી ગયેલી. દાદરમાંથી યુનિટ અંધેરીમાં ખસ્યું, અને ત્યાં એમણે પ્રેસિડેન્ટ બ્રાન્ડની પેન પણ બનાવી હતી. અહીં 1200 કારીગરો કામ કરતા હતા.
એ સમયે વિલ્સન પેન પૂરા દેશમાં છવાઈ ગયેલી. એક તરફ આઝાદીની ચળવળનો જુસ્સો, અને બીજી તરફ આધુનિક ભણતરનો ક્રેઝ, એમાં આ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ પેન ખાસ્સી રુઆબ આપતી. દફતરોમાં, સરકારી કચેરીઓમાં અને સ્કૂલોમાં વિલ્સનની ડિમાન્ડ ખૂબ હતી. દેશભરના સેલ્સમેન મુંબઈ આવીને વિલ્સન પેન અને સ્ટેશનરી લઇ જતા. પછી તો આ પેનની બીજા દેશોમાં નિકાસ પણ થવા લાગેલી. આજે અંધેરી-પાર્લામાં ડી.જે. સંઘવી એન્જિનિયર કૉલેજ અને અમૃતબહેન જીવનલાલ કોમર્સ કૉલેજ છે, તે વિલ્સન પેનવાળા સંઘવી પરિવારની છે. રાજુલામાં પણ તેમના નામે જીવનલાલ આનંદજી સ્કૂલ છે.
દ્વારકાદાસની પૌત્રી પૂર્વી સંઘવી આ કહાનીમાં લખે છે, અમારા આ પરિવારની અનેક દિલચસ્પ વાતોમાં મને સૌથી વધુ ગૌરવ એ વાતનું છે કે, અમારે ત્યાં જ બનેલી નારંગી રંગની જાડી નીબવાળી એક પેન ડૉ. આંબેડકર પાસે હતી, અને એના વડે જ એમણે સંવિધાન લખ્યું હતું. આ વર્લ્ડ-ફેમસ પાર્કર વેક્યુમેટિક પેન જેવી હતી. આ પેન ક્યાં છે?
એક સમાચારપત્રમાં એવા ખબર આવ્યા હતા કે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના પૂર્વ વડા અને ઑલ ઇન્ડિયા દલિત પેન્થરના સ્થાપક પ્રમુખ ડૉ. અરુણ કાંબલે પાસે બાબાસાહેબની એ પેન છે, જે એમણે સંવિધાન લખવા માટે ઉપયોગમાં લીધી હતી. બાબાસાહેબના લાઈબ્રેરિયન અને અગંત સહાયક એસ.એસ. રેગેએ (જેમનું 2004માં અવસાન થયું હતું) 2001માં બાબાસાહેબની યાદગીરીઓ કાંબલેને સાચવવા માટે આપી હતી, જેમાં હસ્તાક્ષર, લેધર ફોલિયો, સાઈન્ડ પદચિહ્નો, અંગત પત્રો અને આ વિલ્સન પેન હતી. કાંબલે પાસે રેગે અને બાબાસાહેબનાં પત્ની સવિતાનો એ પત્ર પણ છે, જેમાં આ વિલ્સન પેનથી સંવિધાન લખ્યાનો ઉલ્લેખ છે.
કાંબલે કહે છે, ભારતમાં બાબાસાહેબની ચીજ-વસ્તુનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હતી, એટલે તેમણે આ પેન અને બીજી યાદગીરીઓ બ્રિટનના દલિત પેન્થર પ્રમુખ કૃષ્ણ ઘમરેને મોકલી આપી હતી. 2006માં પ્રગટ થયેલા આ સમાચારપત્રના અહેવાલમાં કાંબલેએ કહ્યું હતું, હું આ વસ્તુઓને પછી લાવવા બ્રિટિશ મ્યુિઝયમ સાથે સંપર્કમાં છું, અને મુંબઈ યુનિવર્સિટીએ બાબાસાહેબની યાદગીરી સાચવવા જગ્યા ઊભી કરવી જોઈએ. 2009માં કાંબલેનું હૈદરાબાદમાં અવસાન થઈ ગયું.
‘ધ ક્વિન્ટ’ વેબસાઈટ ઉપર પલ્લવી પ્રસાદ નામની પત્રકારે આ પેનની શોધમાં તે ક્યાં ક્યાં ફરી તેનો રિપોર્ટ લખ્યો છે. કાંબલેનાં પરિવારજનો પેનથી સાવ અજાણ્યાં હતાં. એ બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરને મળી. એમને પણ પેનની કંઈ જ ખબર ન હતી. એ પુણેમાં બાબાસાહેબના મ્યુિઝયમ સિમ્બાયોસીસના નિર્દેશક સંજીવની મજમુદારને મળી, જેમણે કહ્યું, ‘ના, અમારી પાસે ન તો એ પેન છે કે, ન તો અમને એની કોઈ ખબર. મારે એના કોઈ રાજકારણ ઉપર કોમેન્ટ કરવી નથી. અમારી પાસે પુસ્તકોવાળું એક ડેસ્ક છે, જેના ઉપર બેસીને બાબાસાહેબે સંવિધાનનું કામ કર્યું હતું.’
પલ્લવી કહે છે, ‘મેં જ્યારે એ ડેસ્ક જોયું તો પેન સિવાય બધું દેખાયું. જાણે બાબાસાહેબ ‘નેશનલિઝમ એન્ડ લિબર્ટી’ વાંચવામાં એટલા મશગૂલ હતા કે, ભૂલમાં એ ક્યાંક મુકાઇ ગઈ હતી.’
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018