Opinion Magazine
Number of visits: 9448977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાન દિવસની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતે દાખવેલ ધ્રુવતારકની દિશામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2024

બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ

ન તો ઇજારાશાહી મૂડીવાદ, ન તો રાજ્યનો મૂડીવાદ, વિવેકસર રાજ્ય અને બજાર વચ્ચેની રમઝટભેર નાગરિકને કેન્દ્રમાં રાખી સમતા–સ્વતંત્રતા–બંધુતાના આદર્શ સાથે આપણા પ્રજાસત્તાક સ્વરાજે આગળ વધવાપણું છે.

પ્રકાશ ન. શાહ

અલબત્ત, હતો તો એ એક જોગાનુજોગ જ, પણ એ નિઃશક સૂચક બની રહેશે. છવ્વીસમી નવેમ્બરના બંધારણ દિવસની પૂર્વસંધ્યાએ સ્વાભાવિક જ યાદ કરવાનું બન્યું હતું કે, બંધારણ પસાર થયું એને આગલે દિવસે, પચીસમી નવેમ્બરે બંધારણ સમિતિના વાસ્તવિક અગ્રપુરુષ આંબેડકરે ચિંતા અને ચેતવણીનાં શાંશાં વચનો ઉચ્ચાર્યા હતા. નાતજાત કોમ ધરમમજહબમાં વહેંચાયેલા આપણે ખરા ને પૂરા અર્થમાં હજુ ‘રાષ્ટ્ર’ બનવાનું છે.

આર્થિક-સામાજિક ખાઈ પણ આપણને ‘રાષ્ટ્ર’ બનતા રોકે, એનીયે એમણે ચિંતા દાખવી હતી. હવે તમે જુઓ, ઓણ બરાબર એ જ તારીખે – પચીસમી નવેમ્બરે – સર્વોચ્ચ અદાલતે રણકતો ચુકાદો આપ્યો કે બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને સમાજવાદ (સોશલિઝમ) એ શબ્દો કાઢવાનું કોઈ લૉજિક નથી. વડા ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે આ બંને સંજ્ઞાઓની સરળ સમજૂત પણ સુપેરે આપી કે જ્યારે ‘સેક્યુલર’ એ સંજ્ઞા ખપમાં લઈએ છીએ ત્યારે અભિપ્રેત મુદ્દો એ છે કે એક પ્રજાસત્તાકને નાતે આપણે સર્વ ધર્મ પરત્વે સમાદરની ભૂમિકાએ છીએ. ‘સમાજવાદ’ કહેતાં અભિષ્ટ વાનું રાજકીય, આર્થિક, સામાજિક હર શોષણમાંથી મુક્તિનું છે. એક રીતે, આંબેડકરના બંધારણ સભાના વક્તવ્યનું સહજ વાર્તિક હોય એવી આ સુપ્રીમ ટિપ્પણી હતી અને છે.

આમુખમાંથી આ બંને સંજ્ઞાઓ પડતી મૂકવા માટેનો ધક્કો એ વિગતથી લાગતો રહ્યો છે કે ઇંદિરાજીએ તે કટોકટી દરમિયાન દાખલ કરાવી હતી. વાત સાચી, પણ એ બંધારણીય પ્રક્રિયાથી દાખલ થયેલી સંજ્ઞાઓ હતી અને હજુ હમણે જ સર્વોચ્ચ અદાલતે વળી એક વાર સ્પષ્ટ અને સ્ફુટ કર્યો છે તેમ તે બંધારણના મૂળભૂત માળખાને અનુવર્તી છે.

જનસંઘ અને ભા.જ.પ. સ્વરાજની લડત દરમિયાન સેક્યુલરિઝમનો જે ખયાલ વિકસ્યો એને અંગે સલામત અંતરની કંઈક વિરોધની, કંઈક વૈકલ્પિક વિમર્શની ભૂમિકાએ જણાય છે. તેમ છતાં ભા.જ.પે. જનસંઘના જનતાઅવતાર પછી સ્વતંત્ર પક્ષબાંધણીનો રાહ લીધો ત્યારે પોતાની મૂળભૂત નિષ્ઠાઓ તરીકે સકારાત્મક સેક્યુલરિઝ અને ગાંધીવાદી સમાજવાદનો બાકાયદા સ્વીકાર તો જાહેર કર્યો જ હતો. હિંદુરાષ્ટ્રવાદ અગર તો હિંદુત્વ રાજનીતિને કારણે એને અસુખ હોય તો પણ બહુધર્મી દેશમાં એક સમાવેશી અભિગમની અને ધરમમજહબને ધોરણે ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાથી પરહેજ કરવાની જરૂરત છે, હતી અને રહેશે. કાઁગ્રેસ શાસનમાં કે અન્યથા બિનસાંપ્રદાયિકતાના ગેરઅમલ અગર અણઅમલ અંગે તીખાં ટીકાટિપ્પણને અવકાશ હોય તો પણ નાવણિયા સાથે બાળુડાને ય ફગાવી દેવાનું ન જ સ્વીકારી શકાય.

જ્યાં સુધી સમાજવાદનો સવાલ છે, એને સોવિયેત સમાજવાદ સાથે એટલે કે રાજ્ય માલિકી સાથે ગોટવી દેવાનો તો સવાલ જ નથી. નેહરુ શાસનમાં જાહેર સાહસોની જરૂરત સાથે પણ આ રાજ્યનો મૂડીવાદ નથી એ એક સ્પષ્ટતા સતત રહી છે. જરૂર પ્રમાણે રાજ્યની સલાહકારીથી માંડી સામેલગીરીની ભૂમિકા હોઈ શકે પણ તે રાજ્યનો મૂડીવાદ ન હોઈ શકે. રાજ્યવાદ, ઇજારાશાહી મૂડીવાદ, ક્રોની કેપિટલિઝમ કરતાં લોકશાહી સમાજવાદ એ ન્યારો પદારથ છે.

ગોર્બાચેફે ગ્લાસનોંસ્ત(ખુલ્લાપણું) અને નવવિધાન (પેરેસ્ત્રોઇકા)ના રાહે સામ્યવાદી રૂસમાં પરિવર્તન આણ્યું ત્યારે એમની સમક્ષનો વિકલ્પ નેહરુના હિંદ પેઠે મિશ્ર અર્થતંત્રનો સ્તો હતો.

પક્ષો પોતાની સમજ અને જરૂરત પ્રમાણે રાજ્ય અગર સમાજને છેડેથી બાંધછોડ કે ગાંઠ બાંધવાનું કરે ત્યારે પણ એ મૂળ વિચારધારાની ‘મિથ’ને વળગી રહેવું પસંદ કરતાં હોય છે. ક્યારેક આદર્શવાદને ધોરણે ભલે સત્તાલક્ષી ખેંચાણથી પણ જેઓ એકત્ર આવ્યા હોય એમને સૌને ઘટતી બાંધછોડ અગર ગાંઠબાંધ છતાં સાથે રાખવાની દૃષ્ટિએ ‘મિથ’નો કારોબાર ખપ પણ આપતો હોય છે.

મુદ્દે, રાજ્ય મૂડીવાદ અને ઈજારાશાહી મૂડીવાદથી ઉફરાટે નાગરિક માત્ર પઇસે ઓછીવત્તી પણ ખરીદશક્તિ શક્ય બને અને વિષમતા હાલની બેફામ અનવસ્થાને બદલે પ્રમાણસરની બને એટલું તો થવું જ જોઈએ. આવો કોઈ ત્રીજો રસ્તો નથી એવું તો નથી. રાજ્યછેડે અને સમાજછેડેથી યથાસમય યથાર્હ આર્થિક નિર્ણયને અવકાશ ન હોવાનું કારણ નથી.

આમુખનો ધ્રુવતારક સાદ દે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024

Loading

28 November 2024 Vipool Kalyani
← શું રણનીતિ હતી ! આભા થઈ જઈએ
સંસદ બંધ રહે એથી વિપક્ષને કોઈ લાભ નથી …  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved