Opinion Magazine
Number of visits: 9448755
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋણાનુબંધ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 April 2025

પરેશભાઈ અને જ્યોતિબહેનના લગ્નને પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હતો, પણ હજી તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. પ્રાર્થના, માનતા, બાધા, આખડી રાખવામાં કોઈ કમી રાખી નહોતી. જ્યોતિબહેન ઘણી વખત પરેશભાઈને કહેતાં કે ‘મારી કુખે સંતાન યોગ નથી. તમે બીજા લગ્ન કરી લો.’ પરેશભાઈ સદંતર ના કહેતા કે એ વાત નહીં બને. આ બધા દીકરા, દીકરીઓ આપણા સંતાન છે. આપણે બીજું શું જોઈએ.

પરેશભાઈ, જ્યોતિબહેનને તો સમજાવી શક્યા પણ ઘરેથી મમ્મી-પપ્પા અને બીજાં કુટુંબીઓનું દબાણ આવવા માંડ્યું કે સંતાન વગર ખોટું. આ બધું કરીએ છીએ તો કોના માટે. અંતે પરેશભાઈએ કહ્યું, “હું, બીજા લગ્ન તો નહીં જ કરું. તમે લોકો સહમત થતા હો તો અનાથ આશ્રમમાંથી હું દીકરો કે દીકરી, જે નસીબમાં હોય તેને દત્તક લેવા માગું છું.”

બધાંએ સહમતી આપી એટલે પરેશભાઈએ બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું.

“જ્યોતિ, આપણે બાળકને દત્તક લેવા જઈએ છીએ, કોને દત્તક લઈશું? દીકરો કે દીકરી? તારો શું વિચાર છે?”

“તમારો વિચાર એ મારો વિચાર. તમે શું વિચાર્યું છે?”

`મેં કંઈ વિચારી રાખ્યું નથી. આપણે એમ કરીએ, આપણે અનાથ આશ્રમમાં દાખલ થઈએ ત્યારે સામે જે મળે, દીકરો મળે તો દીકરાને અને દીકરી મળે તો દીકરીને દત્તક લઈશું.”

“તમારી વાત બરોબર છે. આપણા નસીબમાં જે હશે એ પહેલાં સામે મળશે.”

પરેશભાઈ અને જ્યોતિબહેન અનાથ આશ્રમમાં દાખલ થયાં. આશરે બે વર્ષની બાળકી સામે મળી.

“બેટા, તારું નામ શું છે?”

બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું, “રેખા.”

“વાહ, બહુ સરસ નામ છે.”

“આપણે આ બાળકીને દત્તક લઈએ.”

પરેશભાઈ અને જ્યોતિબહેનને બે વર્ષની બાળકી પસંદ પડી ગઈ હતી.

પરેશભાઈએ કહ્યું, “જોતાં જ ગમી જાય એવી છે. આપણે આ બાળકીને દત્તક લઈએ.”

“મને પણ ગમી ગઈ છે. કેવું મધુર મધુર હાસ્ય કરે છે. તેનું નામ રેખા જ રાખીશું.”

અનાથઆશ્રમની બધી વિધિ પતાવી, રેખાને ઘરે લઈ આવ્યાં. રેખાના આગમનના અનુસંધાને ઘરમાં એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું.

પરેશભાઈ અને જ્યોતિબહેન રેખામય બની ગયાં હતાં. તેમનો દિવસ ક્યાં પસાર થઈ જતો એ ખબર નહોતી પડતી. માનો કે સુખના સાગર ઉમટ્યા હતા. રેખા, ત્રણ વર્ષની થઈ એટલે સારી સ્કૂલમાં એડમિશન લઈ સ્કૂલમાં દાખલ કરી દીધી. જ્યોતિબહેનની તબિયત થોડા સમયથી જરા ઠીક રહેતી નહોતી.

“ચાલ આપણે, આપણા પરિચિત લેડી ડૉક્ટરને બતાવી દઈએ.”

“ના, ના કંઈ થયું નથી. મારી તબિયત સારી છે”

“ના, એમ નહીં, આજે તો ડૉક્ટર પાસે જવું જ છે.”

“સારુ, સાંજે રેખાને લઈને ડૉક્ટર પાસે જઈશું.”

“જ્યોતિબહેન, પરેશભાઈ, અભિનંદન, તમારે ત્યાં નવા મહેમાનનું આગમન થવાનું છે. જ્યોતિબહેન તમે મમ્મી બનવાનાં છો.”

“ડૉક્ટર સાહેબ તમારી ભૂલ થતી લાગે છે. આટલાં વરસ તમે દવા કરીને, કંઈ ન થયું, તો હવે શું થાય.”

“જ્યોતિબહેન, ઘણી વખત એવું બને છે. બાળકને દત્તક લેતાં, બાળકની દેખભાળથી માતૃત્વ જાગૃત થાય છે અને પછી ઘણી માતાએ બાળકને જન્મ આપ્યાના દાખલા મારી પાસે છે.”

“હવે શું કરશું?”

“કંઈ નહીં, રેખાને બહેનની કે ભાઈની ભેટ મળશે.”

“જ્યોતિબહેન, પરેશભાઈની વાત સાચી છે. બીજું ચિંતાનું કોઈ કારણ નથી. હું છું ને.”

રેખાને ભાઈની ભેટ મળી ગઈ. તેનું નામ ભાગ્ય રાખ્યું. રેખા અને ભાગ્ય મોટાં થવા લાગ્યાં. રેખા અભ્યાસમાં હોશિયાર હતી એટલે એમ.બી.એ.. ફાઇનાન્સ કર્યું પણ ભાગ્ય અભ્યાસમાં નબળો હતો. માંડ, માંડ બી.એ. સુધી પહોંચ્યો. તે વિચારતો હતો. ‘મારે ખૂબ ભણીને શું કામ છે. આખરે પપ્પાનો બિઝનેસ તો સાંભળવાનો છે.’

રેખાએ સારી કંપનીમાં જોબ લઈ લીધી. ભાગ્યએ બિઝનેસ સંભાળી લીધો. રેખાના લગ્ન સારા ઘરના ડૉક્ટર દીકરા સાથે કરી દીધા. રેખાએ જોબ ચાલુ રાખી હતી. રેખાનું સાસરું સુખી અને સંપન્ન કુટુંબ હતું. એટલે પરેશભાઈને કોઈ ચિંતા નહોતી. સરસ જીવન સંસાર ચાલતો હતો.

એક દિવસ ભાગ્યે પરેશભાઈને કહ્યું, “રેખા મારી સગી બહેન નથી. તમારી મિલકતમાં તેનો કોઈ ભાગ નથી એટલે બધી મિલકત મારા નામે કરી દો.”

પરેશભાઈએ ભાગ્યને એક થપ્પડ મારી દીધી અને કહ્યું, “હવે પછી આવી વાત કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ.”

પરેશભાઈને આજે સમજાયું કે ભાગ્યના મનમાં તેની બહેન રેખા વિશે શું ભાવના હતી. દીકરી સુખી હતી એટલે તેના વિશે કદી વિચાર્યું નહોતું. તેનું આ પરિણામ હતું. પરેશભાઈ અને જ્યોતિબહેને ભાગ્યને ખૂબ સમજાવ્યો. પણ બધું વ્યર્થ હતું.

ભાગ્યનો મિલકતને લઈને દિવસે દિવસે ઉપદ્રવ વધતો ગયો. તેની બાજુમાં ઇર્ષ્યાળુ સગાં-સંબંધીઓ ચડી ગયાં હતાં. ‘પરેશભાઈને ચિંતા હતી કે રેખાને કે તેના સાસરિયાંને રેખા તેની દત્તક પુત્રી છે એ વાતની ખબર જ નથી. કારણ કે રેખાને ક્યારે ય એમ લાગવા કે ખબર પાડવા નહોતી દીધી કે તે દત્તક પુત્રી છે અને અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે.’

પતિ-પત્ની ચિંતામાં હતાં કે ‘જો આ વાતની રેખાના સાસરે ખબર પડે, તો દીકરીનો ઘરસંસાર બગડે.’ જ્યારે બીજી બાજુ ભાગ્યની વાત પણ ગેરવ્યાજબી હતી એટલે પરેશભાઈએ ભાગ્યને નમતું ન જોખ્યું. ભાગ્યએ હિતશત્રુના ચડાવે. તેની પત્ની અને સાસરિયાના દબાણથી કોર્ટમાં મિલકત માટેનો કેસ દાખલ કરવાની ધમકી પરેશભાઈને આપી. પરેશભાઈ અને જ્યોતિબહેન દુઃખી થઈ ગયાં.

રેખાને વાતની ખબર પડી એટલે પિયર આવી. પરેશભાઈ અને જ્યોતિબહેન પાસે બેસીને આશ્વાસન આપ્યું. રેખાએ કહ્યું,

“પપ્પા, તમે જરા પણ ચિંતા ન કરતા. મને તમારા જમાઈ અને મારા સાસરામાં બધાંને તમે મને દત્તક લીધી છે, એ ખબર છે. મને તો તમારી ઉપર ગર્વ છે જ પણ મારા સાસરામાં પણ તમારા વખાણ થાય છે કે બાળકને દત્તક લેવું અને ઉચ્ચ સંસ્કાર આપવા એ હિંમતભર્યું અને ઉમદા કામ છે. પપ્પા, મને તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો પણ ભાગ્યની માગવાની રીત ખોટી છે. મને તેની સામે વાંધો છે. આપણે કોર્ટમાં લડી લઈશું.”

“રેખાબહેન, તમારી મને ખબર પડી ગઈ છે. તમારો પપ્પાની મિલકતમાં કોઈ હક નથી.”

“તારી વાત ખોટી છે. મારો કાયદેસરનો હક છે. એ હું મેળવીને રહીશ.”

“તો તમારે મમ્મી-પપ્પાને કાયમ તમારી સાથે રાખવાં પડશે. હું મમ્મી-પપ્પાને સાથે રાખવા તૈયાર નથી.”

“તો એમ વાત છે. હું આખી જિંદગી મારી સાથે મમ્મી-પપ્પાને રાખવા તૈયાર છું.”

પરેશભાઈ અને જ્યોતિબહેન, ભાગ્યની વાત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયાં.

“આજે આપણે જેની સાથે લોહીની સગાઈ છે. મારી કૂખેથી જન્મ આપ્યો છે. એ દીકરો આપણને રાખવા તૈયાર નથી અને જે આપણી સાથે ઋણાનુબંધથી જોડાઈ છે એ દીકરી કોઈપણ જાતની અપેક્ષા વગર આપણને જિંદગીભર રાખવા તૈયાર છે.”

“ભાગ્ય, તું આ શું બોલે છે? તું અમને સાથે રાખવા તૈયાર નથી?”

“ના, હું, તમને સાથે રાખવા માટે તૈયાર નથી અને રેખાબહેનને મિલ્કતમાં ભાગ આપવા પણ તૈયાર નથી. ભાગ જોઈતો હોય તો મારી સામે કોર્ટમાં દાવો કરી લડીને લઈ લે. મને વાંધો નથી.”

“ભાગ્ય, મારા માટે મમ્મી-પપ્પા એ જ સૌથી મોટી મિલકત છે. તું બધી જ મિલકત સુવાંગ રાખ મારે કંઈ જોઈતું નથી. પપ્પાની આબરૂ ખાતર દાવો ન કરતો અને અત્યારે જ હું મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જાઉં છું. તને સદ્દબુદ્ધિ આવે તો તું મળવા આવી શકે છે.”

પરેશભાઈએ જ્યોતિબહેન સામે જોયું, જાણે કહેતા હોય કે ‘ભાગ્ય ભૂંસાઈ ગયું છે પણ હજી ઋણાનુબંધની રેખા અકબંધ છે, જે કદી નહીં ભૂંસાય.’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

24 April 2025 Vipool Kalyani
← એક સ્ત્રીને કેટલું વીતે તો એ દુષ્કર્મનો ગુનો બને?
હિંસાનો વિરોધ અહિંસાના સમર્થકો જ કરી શકે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved