1 એપ્રિલ, 2014નો ‘આપ કી અદાલત’નો વીડિયો જોવાનું થયું, જેમાં પ્રશ્નોના ઉત્તરમાં તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એક પ્રશ્નના જવાબમાં આવું કહેતા જોવા મળ્યા :
‘ઇસ નરેન્દ્ર કો બનાને કા કામ અડવાણીજીને કિયા હૈ … નરેન્દ્ર કા ગુજરાત કે વિકાસ કે લિયે પલ પલ માર્ગદર્શન કિસને કિયા હે, તો અડવાણીજીને કિયા હૈ. ગુજરાત કે હમારે સાંસદ હૈ. ગુજરાત કી વિકાસ યાત્રા કૈસે ચલે, હર પલ હમે ઉંગલી પકડ કે ચલાયા હૈ. જિસ વ્યક્તિને નરેન્દ્ર કો ઇતના ચલાયા હૈ, વહ વ્યક્તિ દેસ કો કિતના બઢીયા ચલા સકતે હૈ? ઇસ કે લિયે કોઈ સબૂત કી જરૂરત નહીં હૈ, સબ સે બડા સબૂત મૈં હૂં ઉનકે લિયે.’
નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન મંત્રી પદના ઉમેદવાર બનશે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં એમણે આમ કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી કે પ્રધાન મંત્રી કે ઉમેદવાર શ્રીમાન લાલકૃષ્ણ અડવાણીજી હૈ ઔર હમ સબ પૂરી તાકત સે અડવાણીજી કો પ્રધાન મંત્રી બનાને કે લિયે ખપે હુએ હૈં.’
એ જુદી વાત છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બન્યા ને અડવાણી પછી રાજકારણમાં બહુ દેખાયા નહીં, પણ મોદી પોતે અડવાણીનું મહત્ત્વ ત્યારે પણ પ્રમાણતા હતા અને આજે પણ પ્રમાણે છે, એટલે જ એમની છેલ્લી વર્ષગાંઠ પર વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમને શુભેચ્છાઓ આપવા તેમના ઘરે ગયા હતા.
આ વિષય અત્યારે કાઢવાનું કારણ એ છે કે આવતી 22 જાન્યુઆરી, 2024ને રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં વિવાદ થયો. આમ તો નવા સંસદ ભવનનાં શિલાન્યાસ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવાનું યાદ રખાયું ન હતું, એટલે ક્યારે કોને ભૂલી જવાનું છે તે બરાબર યાદ રખાતું હોય છે, પણ અડવાણી અને જોશીને આમંત્રણ આપવામાં રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભાંગરો વાટ્યો. તેમણે કહ્યું કે અડવાણીજીનું હોવું અનિવાર્ય છે અને અમે એ પણ કહીશું કે તેઓ મહેરબાની કરીને ન આવે. ડો. જોશી સાથે ચંપત રાયે ફોન પર વાત કરતાં કહ્યું કે તમે ન આવશો ને એ જીદ કરતા રહ્યા કે હું તો આવીશ. અડવાણી 96 વર્ષના છે અને જોશી 90ના થવાના. જોશીએ તો ઘૂંટણો બદલાવ્યા છે, એટલે એમની ઉંમરને કારણે 78 વર્ષનાં જનરલ સેક્રેટરીએ ઠંડીમાં તકલીફ ન લેવાનું કહ્યું હોય તે સમજી શકાય એવું છે. આ બંને સાથે ચંપત રાયના સંબંધો ના કહેવાનો અધિકાર ધરાવતા હોય, તેથી તેમણે ‘આવું’ આમંત્રણ આપ્યું હોય એ શક્ય છે, પણ મીડિયામાં એની અસરો કેવી પડશે એનો ખ્યાલ એમણે રાખવો જોઈતો હતો. એમાં કોઈ શંકા નથી કે ચંપત રાયે અડવાણી અને જોશીની તબિયતને લીધે જ ન આવવાનું કહ્યું હશે, પણ તેમના ટોનમાં નમ્રતા અને વિવેકનાં દર્શન ન થયાં, બલકે આધિકારિક તોછડાઈ વધુ જણાઈ. પ્રેસને સંબોધતાં પણ તેમણે એમ કહ્યું કે તમારામાંના ઘણા અડવાણીને જાણતા નહીં હોય, એમ બને, પણ વાત એટલી જ ન હતી, પોતે જાણે છે એવો ભાવ પણ એમાં અછતો રહ્યો ન હતો. અડવાણી કે જોશીને ન આવવાનું ફોન પર કહીને ચંપત રાય અટકી ગયા હોત તો આ મુદ્દે ચર્ચા વધી ન હોત, પણ તેમણે વધુ પડતી સ્પષ્ટતા સાથે પ્રેસને કહ્યું. જનરલ સેક્રેટરી તરીકે કે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે માત્ર આમંત્રણ આપીને તેમણે વિવેક જાળવી લેવાનો હતો. એવું તો હતું નહીં કે તબિયત સારી ન હોય તો પણ અડવાણી-જોશી આવવાની હઠે ચડે. બંને એટલી પાકટ ઉંમરનાં છે કે કયાં જવું અથવા ન જવું તે નક્કી કરવા તેમને કોઇની સલાહની જરૂર ન પડે. એ એટલા નાદાન નથી કે એમના જવા-આવવાનો નિર્ણય ચંપત રાયે કરવો પડે. એ ખરું કે એમનાં મનમાં કશું નહીં હોય, પણ એમના કહેવાની રીતે ઘણાંને દુભવ્યાં હોય એમ બને. ચંપત રાય, અડવાણી અને જોશીને ન જાણતા હોય એવું તો ન જ હોય, પણ એટલું નક્કી કે અડવાણી અને જોશી ન હોત તો રામ મંદિરનું અસ્તિત્વ હોવા વિષે ભારોભાર શંકા જ હોત !
પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ જેમણે રામ મંદિર માટે જાત ખર્ચી નાખી હોય, તેમને રામલલ્લાનાં દર્શન કરતાં, 22 મી જાન્યુઆરી, 2024નું આમંત્રણ આપ્યાં પછી, અયોધ્યા આવતાં, મજાકમાં પણ રોકી ન શકાય. વળી હજારેક વર્ષે આવો ભવ્ય મહોત્સવ આવતો હોય, સાતેક હજાર વી.વી.આઇ.પી.ને આમંત્રણ અપાયું હોય ને એમાં 91 વર્ષનાં પૂર્વ પ્રધાન મંત્રી દેવેગૌડા, 88 વર્ષનાં દલાઇ લામા, 81 વર્ષનાં અમિતાભ બચ્ચન ને બીજી અનેક સેલિબ્રિટિઝને આમંત્રણો હોય, એમાં પણ ઘણાં 80ની ઉપરનાં હોય ને કોઇને ન આવવાનું કહેવાયું ન હોય, તો આ બેને જ ન આવવાનું મોં ફોડીને કહેવાનું વિચિત્ર તો લાગે જ છે. સંજોગોવશાત કોઈ ન આવે એ વાત જુદી છે, પણ ન આવવાનું આ બે પાયાના પથ્થરોને જ ભાન કરાવવું યોગ્ય નથી. વારુ, અયોધ્યાથી ચંપત રાયે નન્નો ભણ્યો ને બીજી બાજુએ વી.એચ.પી. નેતાઓ અડવાણીને ઘરે જઈને આમંત્રણ આપી આવ્યા ને એના ફોટા પણ રિલીઝ કરી દેવાયા. અડવાણી-જોશીએ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાની હર સંભવ કોશિશ કરશે એવું આશ્વાસન પણ આપ્યું.
અયોધ્યામાં મંદિર બનાવીશું એવા નારા જેમણે દેશમાં વહેતા કર્યા ને તેને માટે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા કાઢી, એવા બે રથચક્રો અડવાણી-જોશીને ન આવવાનું કહેવાની તો કલ્પના ય ન આવે. ન જ આવવી જોઈએ. ગમ્મત તો એ છે કે વિપક્ષના એક પણ સભ્યને આનું આમંત્રણ નથી. તે એટલે કે એ વિપક્ષ છે. કેમ, વિપક્ષમાં કોઈ હિન્દુ નથી? એમાંનું કોઈ રામ ભક્ત નથી, એવું? આ ઉપેક્ષા અસહ્ય છે.
આ એ જ અડવાણી, જોશી, અશોક સિંઘલ, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણ સિંહ વગેરે છે, જેમણે 6 ડિસેમ્બર, 1992ને રોજ બાબરી ધ્વંસનાં સાક્ષી બનવાનું સ્વીકાર્યું. અડવાણી-જોશી પર તો બાબરી તોડવાનાં ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂકીને, ત્રણેક દાયકા સુધી ફોજદારી કેસ પણ ચલાવવામાં આવ્યો. રામ મંદિર આંદોલનનું નેતૃત્વ આ સૌએ કર્યું છે. એમાંના ઘણાંને આમંત્રણો છે, પણ, 30 ઓકટોબર, 1990ને રોજ અયોધ્યામાં કારસેવા કરવા ગયેલા કારસેવકોમાંથી 5નાં ગોળીબારમાં મૃત્યુ થયેલાં. એમનાં કુટુંબીજનો બદથી બદતર હાલતમાં અત્યારે જીવે છે, એ તો રામભક્તો હતાને? એમને આ પ્રસંગે યાદ કરવાની જરૂર નથી લાગતી? 2002માં સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને આગ લગાવીને, કારસેવા કરીને આયોધ્યાથી પરત આવી રહેલા યાત્રીઓને નિશાન બનાવીને 58 લોકોનાં કોલસા પાડી દેવાયા. રામ મંદિર દર્શનનો એમના કુટુંબી જનોનો હક માન્ય ખરો કે કેમ? એમને પણ આમંત્રિત કરવા જોઈએ, એવું નહીં?
ટૂંકમાં, આ માત્ર અયોધ્યાની જ નહીં, દેશ આખાની ઐતિહાસિક-ધાર્મિક ઘટના છે. યૌવનનો મહત્ત્વનો કાળ રામે વનવિહારમાં-પ્રકૃતિ વચ્ચે ગાળ્યો છે ને સાચું તો એ છે કે સત્તા લાલસા આ ચારે ભાઈઓમાં હતી જ નહીં, એટલે તો રામની પાદુકાએ 14 વર્ષ રાજ કર્યું. જગતના કોઈ ઇતિહાસમાં આવું થયું નથી. શાસન માટે લોહી રેડાયું છે. ભાઈઓ ગાદી માટે લડ્યા છે. દીકરાએ સત્તા માટે બાપની હત્યા કરી છે, જ્યારે રામ પોતાના કોઈ વાંક વગર વનમાં રહ્યા છે. હવે આવા રામ વનમાં રહે, તો મનમાં રહે તેની નવાઈ નથી. પિતાને ત્રણ રાણીઓ હતી, પણ વનમાં મોકલેલી સીતાની અવેજીમાં એ બીજી પત્ની કરતા નથી ને યજ્ઞમાં સીતાની મૂર્તિથી ચલાવે છે. લોકશાહીમાં લોક મહત્ત્વનો છે એટલે બધું જાણવા છતાં, નિર્દોષ સીતાને રાજા રામ ફરી વનમાં મોકલે છે. પતિને કારણે એક વાર નહીં, બબ્બે વાર સીતા વનવાસ વેઠે છે. આમ તો તે મહારાણી હતી, છતાં અયોધ્યામાં સીતા ઓછામાં ઓછું રહી છે. આજના અયોધ્યામાં એ રહેશે કે પછી ધરતીમાં જ સમાશે તે ખબર નથી. જેમ અડવાણી-જોશીનું અયોધ્યાનું નિશ્ચિત નથી, એમ જ સીતાનું ય હોય તો નવાઈ નહીં. જોઈએ, શું થાય છે તે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ડિસેમ્બર 2023