રાજસ્થાનની રાજકીય કટોકટી ચરમસીમાએ પહોંચી છે – આજે આ લખાય છે ત્યારે રાજસ્થાનની સત્તાની ખેંચતાણના વરવા દૃષ્યો અને ધારાસભ્યોની વાડાબંધી અને અનિર્ણયાત્મક સ્થિતિ છેલ્લા ૩૦ દિવસથી આખો દેશ નજર સામે નિહાળી રહ્યો હતો.
યુવા નેતા સચિન પાયલોટના અતિમહત્ત્વાકાંક્ષા અને અશોક ગેહલોતના સચિન પાયલોટ તરફના ઓરમાયા વર્તનથી કૉન્ગ્રેસની ચાલતી સરકારમાં પડેલું પંચર અને ભા.જ.પ. તરફથી સચિન પાયલોટને હાથો બનાવી કૉન્ગ્રેસની ચાલતી સરકારને ઉથલાવવાનું ષડયંત્ર આપણે ૩૦ દિવસથી જોઇ રહ્યા હતા.
આ એક નગ્ન વાસ્તવિકતા સાથે રાજસ્થાનની સરકાર ક્વોરેન્ટાઇન પર હતી. પ્રજાતંત્ર આમ રગદોળાયું છે. લોકશાહીનાં મૂલ્યોનું અધ:પતન થઇ ચૂક્યું છે. આખો દેશ આ ચિત્ર દયામણી સ્થિતિમાં જોઇને આજના રાજકારણ તરફ નફરત કરવા લાગ્યો છે. અને કોરોના જેવા ભયંકર મહામારીમાં પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે આખી સરકાર સત્તાની નાગચૂડમાં ધારાસભ્યોને બન્ને બાજુના કૉન્ગ્રેસના જ અલગ અલગ હોટલોમાં ૩૦ દિવસથી ઘેટાં બકરાંની જેમ પૂરીને સત્તા મેળવવાનો તેમ જ ટકાવવાનો નિર્લજ પ્રયાસ કરાયો છે અને લાખો રૂપિયાની બરબાદી કરી વેડફી પ્રજાતંત્રને લગભગ નિષ્પ્રાણ બનાવી દીધું છે. ત્યારે કેટલાયે કર્મશીલો, વિચારકો, પત્રકારો, બૌદ્ધિકો એ વિચારે અટવાઇ ગયા છે કે ભારત દેશની આ કેવી લોકશાહી કે જ્યાં લાખો રૂપિયા ધારાસભ્યોન સાચવવા – વેડફવા પડે અને સામે કાંઠે પેલો ફૂટપાથી વસાહતવાળો માણસ બે ટંક ભોજન માટે વલખા મારે છે. આજે આખો દેશ કોરોનાના ભયંકર આફતમાંથી પસાર થાય છે ત્યારે પ્રજાની પડખે રહી કોરોનાનો રોગને કાબૂમાં લેવાની તાતી જરૂરિયાત હોવા છતાં બન્ને પછે કૉન્ગ્રેસ ભા.જ.પ. અને સચિન પાયલોટનું ગ્રુપ સત્તા મેળવવા અને ટકાવવા અત્યંત હલકી કક્ષાના બધા જ પ્રયાસો કરી પ્રજાને મૂર્ખ બનાવવાની હોડમાં લાગ્યા હતા. વળી, ધારાસભ્યોને વાડાબંધીમાં રાખી લાખો રૂપિયાનો ખર્ચ કરી સત્તાનો નાગો નાચ કર્યો છે તે ભારતની લોકશાહી માટે એક મોટુ કલંક છે.
જો તમે હિસાબ માંડો તો એક ધારાસભ્યને રાખવા માટેનો એક રૂમના ૧૦,૦૦૦ રૂપિયા દરરોજના ચા-નાસ્તો ભોજન વગેરેને બીજા ૧૦,૦૦૦ લગભગ એક દિવસના હોય તો ૩૦ દિવસના આ બધા જ અશોક ગેહલોતના ગ્રુપના ૯૯ તેમ જ સચિન પાયલોટના ૧૯ ધારાસભ્યોના ખર્ચ ક્યાં જઇને પહોંચે અને આજે આ ખર્ચ કરે જ છે આજ સુધીમાં આ આંકડો સાંભળીને આંચકો આપી જાય તેમ છે. એટલે એક તટસ્થ પત્રકાર તરીકે અને વિચારશીલ નાગરિક તરીકે પૂછું કે આટલા બધા નાણા આ બન્ને ગ્રુપના લોકો ક્યાંથી લાવે છે – શું આ લોકો અંબાણી, ગૌતમ અદાણી કે તાતા, બીરલા અને બીજા મોટા ઉદ્યોગો મારફત ધંધો કરે છે – આટલાં નાણાં ક્યાંથી લાવે છે – એક જ જવાબ છે કે આ બધો જ ખર્ચ સત્તામાંથી મેળવેલો છે. પ્રજાના નામે ખર્ચ કરવાને બદલે અમુક ખર્ચ સાઇડમાં કરી, આ મૂડી ભેગી કરી હોઈ શકે અને સત્તા મેળવવાની મથામણ પણ એટલે જ કરતા હોય કે સત્તા મળ્યા પછી તો આપણે જ વહીવટ કરવાના છીએ ને આમ રાજકારણને ધંધો બનાવી પ્રજાતંત્રના વહીવટમાંથી ગેરકાયદેસર સંપત્તિ ઊભી કરી ધારાસભ્યોને ખરીદી કરોડોનો વેપલો કરી કોઇપણ હિસાબે સત્તા ટકાવવાનું મેળવવાનું કારસ્તાન આ દેશમાં હવે સામાન્ય બની ગયું છે. અને એટલે જ હું કહું છું કે ભૂતકાળમાં દેવીલાલથી શરૂ થયેલ આયારામ ગયારામની પક્ષપલટની રીતરસમ આજે ફાલી ફૂલીને વિકસી છે કરોડો રૂપિયાનાં વહીવટ ધારાસભ્યોને ખરીદીને યેનકેન પ્રકારે સત્તા મેળવવાના હવાતિયા આપણી લોકશાહીને પાંગળી બનાવે છે તે વાત કહેતા હું જરાપણ ખચકાટ અનુભવતો નથી.
મણિપુર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં જે રીતે ચાલતી સરકારને ઉથલાવવામાં ભારતીય જનતા પાર્ટીએ રીસરસમ અપનાવી તે જ રીત રસમ, રાજસ્થાનની સરકાર ઉથલાવી ભારતીય જનતા પાટી કૉન્ગ્રેસ-મુક્ત શાસન કરવા માંગે છે. પણ હું એમ કહેતા અચકાઇશ નહીં કે રાજસ્થાનમાં સરકાર ઉથલાવવાનું તેમનું કામ કપરું હતું કારણ કે સચિન પાયલોટ પાસે માત્ર ૧૯ ધારાસભ્યો જ હતા. જે બહુમતી મેળવવાના આંકડા નજીક પહોંચી શકે તેમ નહોતા. આ બાબતમાં અશોક ગેહલોતનો માસ્ટર સ્ટ્રોક વધારે મજબૂત રહ્યો અને આજે હું લખું છું ત્યારે ભા.જ.પ.નાં વસુંધરા રાજે સમર્થક ૬ ધારાસભ્યો ગુમ છે. આમ કૉન્ગ્રેસને અને સચિન પાયલોટ ગ્રુપને ધારાસભ્યો સાચવવા પડે તે માટે વાડાબંધી કરવી પડે તેવી વાડાબંધી ભારતીય જનતા પાર્ટીને પણ કરવી પડી છે, અને વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્યો ૧૪મી ઓગષ્ટે ફ્લોર ટેસ્ટમાં તૂટે નહીં એટલે તેમને રાજસ્થાનથી ગુજરાતમાં સોમનાથ મંદિરમાં સાગર હોટલમાં શીફ્ટ કરી વાડાબંધી કરવી પડી હતી. તે બનાવ ભારતીય જનતા પાર્ટીની એકસૂત્રતા, એકજુટતાનો માહોલમાં મોટું ગાબડું પડી ગયું છે. તેમ કહેતા અચકાઇશ નહીં. ભા.જ.પ.ને પણ પોતાના ધારાસભ્યોની તોડફોડની બીક લાગતા કેટલાક ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા હતા. જેમને ૧૪મી ઓગષ્ટે વિધાનનસભાના સત્ર ચાલુ થઇ ત્યારે જયપુર લાવવામાં આવેલા.
૩૦ દિવસથી રાજસ્થાનમાં ચાલતી રાજકીય ચહલપહલ, ધમસાણ-હાઇકોર્ટ સુપ્રીમકોર્ટમાં કરાયેલી અપીલો એસ.ઓ.જી. મારફત રાજસ્થાન સરકારે કરેલી અરજી ૧૨૪ કલમ મુજબ સચિન પાયલોટ ગ્રુપના ધારાસભ્યોને દેશદ્રોહની કરવામાં આવેલી અરજી આ બધા નાટકીય બનાવોની હારમાળામાં સતત ૩૦ દિવસથી પ્રજાતંત્ર રગદોળાયું રહ્યું. હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં ફૂટબોલ માફક ફેકાતી અરજી અને આજ સુધી તેમાં કોઇ નિકાલ કે નિર્ણયાત્મક તબક્કા પર નહીં આવેલો ચુકાદો એ બનાવે રાજસ્થાનના વહીવટ તંત્ર પ્રજાતંત્રને લગભગ લકવાગ્રસ્ત બનાવી દીધું હતું અને આ કોર્ટના અંતિમ ચુકાદો ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના ૬ ધારાસભ્યોના કૉન્ગ્રેસમાં જે દસ મહિના પહેલા ભળી ચૂક્યા છે, તેની સામેનો હાઇકોર્ટમાં ચાલતી અપીલની સુનાવણી છેલ્લે ૧૧મી ઑગષ્ટે પડેલી મુદ્દત, આ બધા જ બનાવોની હારમાળા અને અનિર્ણાયક સ્થિતિએ રાજસ્થાનના સતાકારણના આટાપાટામાં મહત્ત્વનું સ્થાન ભજવ્યું છે. જે આજસુધી રાજસ્થાનની પ્રજા માટે સરકાર માટે અસમંજ સ્થિતિ પેદા કરી છે. …એટલે જ રાજસ્થાનની પ્રજાતંત્ર વધુ એક વખત અનિર્ણાયક સ્થિતિમાં મુકાયું તેમ મને સ્પષ્ટ લાગે છે – અને અન્તે રાષ્ટ્રપતિ શાસન રાજસ્થાનમાં લાદવામાં ન આવ્યું તેની જ નવાઈ.
રાજસ્થાનમાંથી અશોક ગેહલોતને બદલાવી કેન્દ્રમાં કૉન્ગ્રસે પાર્ટીમાં સંગઠનનું કામ આપી, સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન કરાવવું જોઇએ સમાચાર સૂત્રોના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડ આ બાબતમાં ગંભીર રીતે વિચારે છે તેવું મીડિયા દ્વારા જાણવા મળ્યું છે.
જો આમ થાય તો બી.જે.પી.ની સરકાર ઉથલાવવાનું સ્વપનું નાકામયાબ રહે, સચિન પાયલોટને પાછા રાજસ્થાનના રાજકારણમાં સક્રિય બનાવી કૉન્ગ્રેસનું સ્થાન યથાયોગ્ય જળવાઇ રહે અને સચિન પાયલેટનું ગ્રાસરૂટ વર્ક વધારે પાવરફુલ છે તે દિશામાં કૉન્ગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તેમ હું સ્પષ્ટ માનું છું.
ટૂંકમાં ભારતનાં આજના રાજકારણ સત્તાકારણમાં સામાન્ય માણસ ખોવાઇ ગયો છે. વિકાસ માત્ર કાગળ પર છે. ભારતીય રાજકારણમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સત્તાનશીન થવાના સમયથી આજ સુધી ૨૦૧૪થી આજ સુધી રાજકારણ લગભગ પ્રદૂષિત થઇ ચૂક્યું છે. – મૂલ્યનિષ્ટ નીતિ, સુશાસન, લગભગ માઇનસના ગ્રાફમાં છે – ધર્મપ્રેરિત રાજકારણ, નફરતનો સીલસીલો અને અર્થકારણ અને અર્થતંત્રની પાયમાલી એકહથ્થુ સત્તા તરફનું પ્રયાણ આ બધી જ બાબતો ભારતની લોકશાહી માટે ચિંતાજનક છે. કરોડો રૂપિયાથી ધારાસભ્યોને ખરીદી વિરોધપક્ષનો સફાયો કરવાની નેમ વિ.માં આપણી લોકશાહી લંગડાતી સ્થિતિમાં હોવાનું લાગે છે.
આ દેશની લોકશાહી બચાવવા સંવિધાન બચાવવા, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે પણ આજનો યુવાન બિલકુલ નિષ્ક્રિય છે. પ્રજા બિલકુલ દયામણી સ્થિતિમાં જીવી રહી છે. કોરોનાની મહામારીથી પીડાતી પ્રજા, કોરોનાનો કેશમાં દિનપ્રતિદિન વધતાં આંકડો, આપણા દેશ માટે કટોકટીનાં કાળમાં છે, ત્યારે બધી જ પોલિટકલ પાર્ટીઓએ રાજનીતિ બંધ કરી, સરકારને સહયોગ આપી પ્રજાતંત્રને સુસ્વસ્થ બનાવવું જોઇએ. આવનારા સમયમાં જો આમ જ સ્થિતિ રહેશે ખુલ્લેઆમ ધારાસભ્યોને ખરીદી એકહથ્થુ સત્તા મેળવવાનો પ્રયોગ ચાલુ રહેશે તો આપણી લોકશાહીમાંથી પ્રજાના વિશ્વાસ ઊડી જશે. તે વાત સ્પષ્ટ છે.
આજની પરિસ્થિતિમાંથી બહાર આવવા, મૂલ્યનિષ્ઠાનું પુન: સ્થાપન જરૂરી છે હું આવતા સમયમાં નવનિર્માણ જેવા લોકઆંદોલનો થશે અને લોકજુવાળ ફાટી નીકળશે તેવી સ્થિતિ થાય તેવા અણસાર મને દેખાય છે. પ્રજા આજે શાંતિથી બેઠી છે પણ આ શાંતિ ક્યારેક પ્રચંડ તાકાત સાથે લોકઆંદોલનમાં પરિણમે તે કહી શકાય નહીં. આ અંગે ધારાસભ્યો સંસદસભ્યોને રાઇટ ઓફ રિકોલ દ્વારા પાછા બોલાવવા માટે જનઆંદોલન જ એક જ રસ્તો હશે તેમ કહી હું વિરમું છું.
e.mail : koza7024@gmail.com