આજે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પક્ષ સામસામી છાવણીમાં ડેરા તંબુ નાખીને ચૂંટણીનો જંગ ખેલવા લાગ્યા છે. જો ચૂંટાઈને સત્તા પર આવે તો બંને પક્ષ પોતપોતાની વહીવટી નીતિઓ કઈ હશે અને લોકોની માંગણીઓને લક્ષમાં લઈને કયા સુધારાઓ કરવામાં આવશે તે સિવાયની ઘણી બધી ક્ષુલ્લક બાબતોમાં કાદવ ઉછાળવાની પ્રવૃત્તિનું ઉત્પાદન જથ્થાબંધ પ્રમાણમાં કરી રહ્યા છે. તેમાંની એક રમત છે, “મારા નહેરુ, તમારા સરદાર કરતાં સા….રા”, “મારા સરદાર તમારા નહેરુ કરતાં ઊં……ચા” − બંને ટુકડીઓ પોતાને ગમતા નેતાની ઊંચાઈ અને સારાઈ સાબિત કરવા જાતજાતના નુસ્ખા અજમાવે છે. સરદારની પ્રતિમાનું અનાવરણ કરીને ભારતીય જનતા પક્ષ જાણે કોંગ્રેસને અંગૂઠો બતાવીને કહે છે, “છે તમારામાં તાકાત આનાથીય ઊંચી નહેરુની મૂર્તિ બનાવવાની?”
જાગૃત અને તટસ્થ વલણ ધરાવતા ભારતવાસીઓને આવી બેહૂદી હરકતથી પર ઊઠીને કેટલીક સત્ય હકીકતો જાણવામાં રસ હોય તે સ્વાભાવિક છે. તાજેતરમાં જાણીતા ટેલિવિઝન ખબરપત્રી રવીશકુમારે ઇતિહાસકાર રાજમોહન ગાંધી સાથે એક મુલાકાત લીધી, તે દરમ્યાન જાણવા મળેલી વિગતોનો સાર અહીં પ્રસ્તુત છે. રાજમોહન ગાંધીએ આશરે 160 પુસ્તકો વાંચ્યા બાદ સરદારનું જીવન ચરિત્ર લખ્યુંછે. તેમને બંને મહાનુભાવોના વિચારો, કાર્યો અને પારસ્પરિક સંબંધોનો અંતરંગ પરિચય હોવાથી તેઓનો અભિપ્રાય વાચકોને પણ માન્ય રહેશે એવી શ્રદ્ધા.
એક વાત સ્પષ્ટ છે કે સરદારની મૂર્તિ બનાવવાથી પ્રજામાં ઇતિહાસની સમજ કેળવાઈ ન જાય. કે ન તો સરદાર પ્રત્યેની ના-ઇન્સાફી કદાચ મટે. જોવાનું એ છે કે સરદાર પાસે સંપત્તિ નહોતી, પરંતુ તેમના નિધન બાદ 68 વર્ષે ત્રણ હજાર કરોડની પ્રતિમા બની. ખરેખર તો એ મુઠ્ઠી ઊંચેરા માનવીને સમજવા અને જાણવા માટે સરદાર વિશેના લખાણો અને તેમની કાર્યસૂચિ વાંચવી પડે. સરદાર અને નહેરુ એક માત્ર એવી રાજનૈતિક જોડી હતી જેમણે એકમેકને ખબરઅંતર પૂછવા પત્રો લખેલ અને રાજીનામાં આપવા માટે પણ. સરદાર એક માત્ર એવા નેતા હતા જે પ્રધાનમંત્રીને ચુનૌતી આપી શકતા. પણ નહેરુ વિષે અપમાનજનક શબ્દ કહેવા માટે કોઈને ય મોકો ન આપે. પટેલ જેવા ગૃહમંત્રી આજે ક્યાં છે? તો નહેરુ જેવા પ્રધાનમંત્રી ક્યાં શોધવા જઈશું? બંને સ્વતંત્ર ભારતના નિર્માતા હતા. જાગૃત પ્રહરી હતા. તો પટેલની વિરાસત પર આટલી સિયાસત કેમ?
રાજમોહન ગાંધીના કહેવા મુજબ, પટેલના સ્વભાવમાં ત્યાગભાવના નાનપણથી જોવા મળે. વિદેશ અભ્યાસ કરવા જવા માટેનો વલ્લભભાઈ પટેલના નામનો પાસપોર્ટ વિઠ્ઠલભાઈને ઘેર ગયો. તે જમાનામાં પાસપોર્ટ માટે ફોટાની જરૂર નહોતી પડતી. વલ્લભભાઈએ પોતાની જગ્યાએ મોટાભાઈને વિલાયત ભણવા જવા દીધા, એટલું જ નહીં, વિઠ્ઠલભાઈને વિલાયત જવા માટે ધન એકઠું કરવામાં સહાય કરી અને તેમના કુટુંબને પણ નભાવ્યું. વડાપ્રધાન પદના ત્યાગના બીજ અહીં રોપાયેલાં જણાય છે.
વિચારવાનું એ છે કે સરદારને અન્યાય થયેલો તેમ મનાય છે તો શું મૂર્તિ બનાવવાથી તેનું સાટું વળ્યું? તેમના વ્યક્તિત્વનું કદ મોટું થયું? આ વાત વ્યાજબી નથી. 1946માં કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટવાના હતા. નહેરુ, સરદાર, રાજેન્દ્રપ્રસાદ અને મૌલાના આઝાદ ઉમેદવારો હતા, જેમાંથી સરદાર ઉંમરમાં સહુથી મોટા હતા. તેમની તબિયત લથડેલી. બધાની રાય હતી સરદાર અધ્યક્ષ બને, પણ સરદારે ગાંધીની વાત માન્ય રાખી અને નહેરુ અધ્યક્ષ બન્યા. કોઈને પટેલ વડાપ્રધાન બને તેવી ધારણા નહોતી. કોઈ વર્તમાનપત્રો કે રિપોર્ટ એ પ્રસ્તાવને બહાલી આપતા નહોતા. અરે, પટેલે પોતે મૃત્યુના એક મહિના પહેલાં કહેલું, ગાંધીજીનો નહેરુ વડાપ્રધાન બને એ વિચાર સાચો જ હતો. ગાંધી, જનતા અને પટેલ વગેરે બધા ખોટા હતા, તેમ કહી જરૂર શકાય પણ એ હકીકત સત્યથી વેગળી સાબિત થશે.
બીજી એક વાત નોંધવા યોગ્ય છે. આઝાદી બાદ અને મૃત્ય પહેલાં સરદાર ચાર વખત કાર્યવાહક પ્રધાનમંત્રી રહી ચુક્યા; બહુ સક્ષમ હતા તે એ સમયના તેમના દક્ષ વહીવટ પરથી સાબિત થઇ ચૂક્યું. તેઓ જ પ્રધાન મંત્રી બન્યા હોત તો …. એવી ચર્ચા બહુ ચાલી. પણ તે વખતે પટેલને પ્રધાનમંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા હતી ખરી? જયપ્રકાશ નારાયણ અને રાજાજીએ એક સમયે કહેલું, સરદારે એ પદ સ્વીકાર્યું હોત તો સારું થાત. પણ 1945થી 1950ના સમયગાળા દરમ્યાન કોઈએ એ વિચાર પ્રગટ ન કર્યો, સરદારે તો કદી નહીં. એક તો નહેરુથી સરદાર વયમાં 14 વર્ષ મોટા અને તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ પોતે કે બીજા કોઈ આ સંભાવના વિષે વિચારતા જ નહોતા. એક બીજો મુદ્દો પણ વિવાદાસ્પદ રહી ચૂક્યો છે. પાકિસ્તાનને રૂ. 55 કરોડ આપવાની બાબત પણ સરદાર વિરુદ્ધ પ્રચારમાં કહેવાય છે. પાકિસ્તાન એ રાશિનો કાશ્મીરનો કબજો મેળવવા શસ્ત્રો પાછળ ખર્ચ ન કરે તેવું વચન મળે તો એ રકમ આપવા સરદાર તૈયાર થયેલા. ગાંધીજીએ માત્ર આ કારણસર અનશન કરેલા એ વાતમાં 10% સત્ય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ ભારતને ભાગે જમા થયેલ રકમના બટવારા વિષે ભારત, પાકિસ્તાન અને બ્રિટન વચ્ચે સમજૂતી થયેલ. ઉપવાસ માટે બીજા પણ પાંચ-છ મુદ્દા હતા, જેનું સમાધાન થયે જ ગાંધીજીના ઉપવાસ છૂટ્યા. આ બધી માહિતીઓ ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરવામાં આવી છે અથવા તેનું ખરેખર કોઈને જ્ઞાન જ નથી, જેને પરિણામે આજે જાતજાતની વાતો વહેતી થયેલ છે.
બીજી એક વાતની નોંધ લેવી રહી કે નહેરુ અને સરદાર બંને એકબીજાની કોંગ્રેસની અધ્યક્ષતામાં સામાન્ય સચિવ રહી ચૂક્યા હતા. એ સૂચવે છે કે બંનેએ હંમેશ પોતાના મૈત્રીભર્યા સંબંધોને અકબંધ રાખીને દેશના હિત માટે સહકારથી ઉત્તમ કાર્ય કરેલું. બંનેનું ટીમવર્ક ગજબનું. ગાંધી કહેતા, સરદાર અને નહેરુ તો ભારતની ગાડીના બે બળદ છે. નહેરુની અપીલ બુદ્ધિવાનો અને સમગ્ર જનતાને માટે, તો પટેલની અપીલ કિસાનો અને વેપારીઓ માટે. બંનેના લક્ષમાં પૂરું ભારત સમાઈ ગયું. નહેરુ-પટેલને મજબૂત હિન્દુસ્તાન બનાવવાની ખ્વાહિશ હતી. નહેરુ આંતરરાષ્ટ્રીય ભૂમિકા અને યુવાનોના વિકાસ પર ભાર મુકતા, તો પટેલ પ્રજાની આંતરિક શક્તિઓને બઢાવો આપીને દેશને સુદ્રઢ કરવા લાગી ગયેલા.
જો કે નહેરુ-પટેલના પત્રો વાંચતા એમ લાગે ખરું કે સરદાર તો નહેરુનો વિરોધ જ કરે છે. ક્યારેક સરદાર દીર્ઘદ્રષ્ટિવાળા લાગે. નહેરુ જાણે એમનું સૂચન ન ગણકારે એમ સ્પષ્ટ થાય છે. રાજમોહન ગાંધી કહે છે તેમ બંને વચ્ચે મતભેદો તીવ્ર હતા, પણ દુશ્મની બિલકુલ નહીં. ગાંધીની હત્યા બાદ જયપ્રકાશ નારાયણ અને અખબારના તંત્રીઓએ કહેલું કે ગૃહમંત્રી હોવાને નાતે પોતાની જવાબદારી સમજીને સરદારે રાજીનામું આપવું જોઈએ. સરદારને પોતાને પણ એ જ યોગ્ય લાગ્યું. રાજીનામાનો પત્ર લખ્યો, પણ નહેરુને આપ્યો તે પહેલાં નહેરુએ તેમને શું લખ્યું તે જોઈએ: “મેં અને તમે આટલાં વર્ષો સાથે કામ કર્યું. ગાંધીજીના જવાથી આપણે સાથે મળીને કામ કરવું વધુ જરૂરી બન્યું છે. હું વાયદો કરું છું કે હું તમારી વાત નહીં ટાળું. તમે મારો સાથ નહીં છોડો એવી મારી અપેક્ષા છે.” હવે આ વિગતો જનતા અને તમામ રાજકીય પક્ષના આ મુદ્દા વિષે નિસબત ધરાવતા લોકોને જરૂર જાણમાં હોવી જોઈએ.
પટેલના અંતિમ સંસ્કાર સમયના નહેરુના શબ્દો વાંચવા યોગ્ય છે. સરદાર ગાંધીની હત્યા માટે પોતાને કદી માફ ન કરી શક્યા. એમને હાર્ટ એટેક આવી ગયો. સ્મરણ રહે કે ગાંધી અને પટેલ ખૂબ નિકટ હતા. પટેલ ગાંધીની ખૂબ મજાક કરતા, એટલું જ નહીં, ગાંધી ઇચ્છતા કૈં પટેલ તેમની હાજરીમાં ગાંધીની મજાક કરે! આવી નિકટતમ વ્યક્તિના જવાથી બંને નહેરુ અને સરદાર અત્યંત વ્યથિત હતા એ સમજવું અનિવાર્ય છે.
નહેરુ-સરદાર વિશેના વિરોધાભાસી પ્રચારમાં એક બાબત એવી પણ ચર્ચાય છે કે ભારતના વિભાજન બાદ સરદારને કાશ્મીરના પ્રશ્ને શરણાર્થીઓ બાબતે કઇંક મતભેદો કોંગ્રેસીઓ સાથે થયેલા અને શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામુ આપેલ. તે વિષે ખુલાસો આપતાં રાજમોહન ગાંધી કહે છે કે હકીકત એ છે કે પાકિસ્તનના તત્કાલીન વડાપ્રધાન ભારત આવેલા, શરણાર્થીઓ વિષે નહેરુ સાથે સમજૂતી થયેલ જેનું સરદારે પૂરેપૂરું સમર્થન કરેલ. પરંતુ શ્યામાપ્રસાદ મુખરજીએ તે સમયે જુદું વલણ અપનાવીને રાજીનામું આપેલું. નોંધનીય હકીકત એ છે કે આઝાદી બાદની સરકારમાં આંબેડકર અને શ્યામાપ્રસાદ મુખરજી કોંગ્રેસમાં ન હોવા છતાં શામેલ હતા. એ માત્ર કોંગ્રેસીઓની કે હિન્દુઓના પ્રતિનિધિઓની જ સરકાર નહોતી; તેમાં દલિત જગજીવનબાબુ, ક્રિશ્ચિયન રાજકુમારી અમૃત કૌર અને મુસ્લિમ મૌલાના આઝાદ સહુનો સમાવેશ હતો. એ નહેરુની સરકાર નહોતી, નહેરુ-પટેલની સરકાર હતી જેમાં ગાંધીજીના સૂચનોનો પણ અમલ કરાયેલો. આજે એવો સહકાર ભર્યો વહીવટ જોવા ન મળે.
જો સરદારના વ્યક્તિત્વના આ તમામ ઊજળાં પાસાંઓ જાણતા હોઈએ તો વિમાસણ થયા વિના રહે નહીં કે આજે હિન્દુત્વવાદી તત્ત્વો સરદારને કેમ સહેલાઈથી અપનાવે છે? એમનામાં એવું એક પણ તત્ત્વ હતું ખરું જે એમને હિન્દુત્વના તરફદાર તરીકે માનવ પ્રેરે? તેનો ઘટસ્ફોટ રાજમોહન ગાંધીએ આ પ્રમાણે કર્યો. વલ્લભભાઈ પટેલ હિન્દુઓનો બચાવ જરૂર કરતા. હિન્દુઓની હત્યાના ખબર મળતાં મુસ્લિમો પર ગુસ્સો જરૂર કરતા. પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સવાલ આવે ત્યારે તટસ્થપણે ન્યાય કરતા. જેણે જુલમ કર્યો હોય તેને સજા અને કમજોરોનો બચાવ કરવા તત્પર રહે તેટલા ન્યાયપ્રિય હતા. અત્યારે તો આર.એસ.એસ. નહેરુને પસંદ નથી કરતા માટે તેઓ પટેલ તરફી વલણ અપનાવે છે એ ચોખ્ખું દેખાય.
સરદારે ઉદ્યોગપતિઓ સાથેના પોતાના મીઠા સબંધો ક્યારે ય છુપાવ્યા નથી પણ તેના થકી સંપત્તિ બિલકુલ અર્જિત ન કરી. મૃત્યુ સમયે તેઓ સાવ અકિંચન હતા. તેમના પુત્રી મણિબહેન તદ્દન સાધારણ સ્થિતિમાં લગભગ નિર્ધન અવસ્થામાં જીવ્યાં. એટલી તો તેમની પ્રામાણિકતા. આજે એવું વિશુદ્ધ ચારિત્ર્ય ધરાવનાર રાજકારણી કે સમાજસેવી મળવા દુર્લભ. જેમને સરદારના જીવનનું આ પાસું જ્ઞાત હોય તે તેમના વિરોધ માટે કઇં પણ કહેવા લલચાય નહીં. ખરેખર તો સરદાર વિશેની આ બધી વિગતોનો સંચય કરીને પ્રજા માટે ઉપલબ્ધ કરવી જોઈએ.
મુલાકાતનું સમાપન કરતાં રવીશ કુમારે પટેલને અન્યાય થયો છે એમ માનનારને રાજમોહન ગાંધી શો સંદેશ આપશે તેમ પૂછ્યું.
રાજમોહન ગાંધીએ સીધી સરળ ભાષામાં કહ્યું કે પટેલનો આદર કરનારને નહેરુની જીવની વાંચવા ભલામણ કરીશ. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કુલ મળીને દસ વર્ષ જેલવાસ ભોગવ્યો છે. કેટલી ય વાર મરતા મરતા બચ્યા. નહેરુ-પટેલ એવી જોડી છે કે એક વિના બીજો ખેલાડી એક પણ રન ન કરી શકે અને એ વાત તેઓ બંને મહાનુભાવો અને તે સમયના તેમના સાથીદારો સારી પેઠે જાણતા હતા. ભારતનું તો સદ્ભાગ્ય હતું કે તેને આઝાદ ભારતની આ સહુથી મોટી દેણગી હતી. આજે એવા કયા ખેલાડીઓ સાથે મળીને પ્રજાહિતમાં કામ કરતા જોવા મળે? એવી જ રીતે નહેરુનો જયજયકાર બોલાવનારે પણ સરદારને સરદારની દ્રષ્ટિએ જોવા-જાણવા જોઈએ.
એક એવી માન્યાતાનો પ્રચાર કરવામાં આવે છે કે સરદારના નિધન પછી નહેરુએ તેમને ભારતની પ્રજાના દિલમાંથી ભુલાવી દીધા. રાજમોહન ગાંધીનું સ્પષ્ટ માનવું છે કે નહેરુના નિકટના સાથીઓએ એ કોશિશ જરૂર કરી. એટલે પટેલને અન્યાય એ લોકોએ કર્યો, નહેરુએ નહીં. નહેરુનો તેમાં બિલકુલ હાથ નહોતો. ખાસ કરીને ઈન્દિરાજીના સમયમાં એકને ઊંચા બતાવવા બીજાને નીચા પાડવાની વૃત્તિએ જોર પકડ્યું જે પ્રણાલી આજે પણ ચાલુ છે. બાકી કેટલા લોકો એ વાત જાણે છે કે સરદારની હયાતીમાં જ નહેરુએ તેમની એક મૂર્તિનું અનાવરણ કરેલું અને ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરેલી?
રવીશકુમાર અને રાજમોહન ગાંધીના વાર્તાલાપના સાર પરથી એટલું તારણ નીકળે કે આજે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પાસે પોતપોતાના પક્ષની નીતિઓનો નકશો નથી એટલે એકબીજાની ત્રુટીઓ બતાવવા સિવાય કશું જ કરી શકતા નથી. બંને પક્ષો પાસે એવો સબળ નેતા નથી જેના પર વિશ્વાસ મૂકી શકાય; તેથી જ તો નહેરુ અને સરદારને ને પોતપોતાના પક્ષનું મહોરું બનાવી બેઠા છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસમાંથી કોઈને પણ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે ઉપરોક્ત જણાવેલી વિગતોની થોડી ઘણી પણ જાણ હશે તો આશ્ચર્ય થશે. (એ અજ્ઞાનના પ્રદર્શનમાં નહેરુ પરિવારના સભ્યોનો પણ સમાવેશ થઇ શકે). નહેરુના કદને નાના બતાવવા માટે સરદારની લીટી મોટી દોરવાથી કઇં નહીં વળે, હકીકતે નહેરુ અને સરદારનું વિશાળ કાઠું દાયકાઓ પહેલાં સ્થાપિત થઇ ચૂક્યું છે તેની આ બાબતે હુંસાતુંસી કરનારાઓને કદાચ જાણ ન હોય તેમ ભાસે છે.
બહેતર છે, આવી હરકતોને નજરઅંદાજ કરી આવતાં પાંચ વર્ષો દરમ્યાન સક્ષમ રાજ્ય વ્યવસ્થા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો જ ગાંધી, નહેરુ, સરદાર અને શાસ્ત્રીને સાચી અંજલિ આપી ગણાશે.
(મુખ્ય સ્ત્રોત રવીશકુમારની રાજમોહન ગાંધી સાથેની મુલાકાત)
29/01/2019
e.mail : 71abuch@gmail.com