ગઇ કાલે (20 જાન્યુઆરી 2016) રાતે “નિરીક્ષક”ની નવીનતમ પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી.
“નિરીક્ષક”ના તંત્રીએ રઘુવીર ચૌધરી વિરુદ્ધ અભિયાન ચલાવવા માટે ગંધાતા ટેબ્લોઇડની માફક આ સામયિકનો ઉપયોગ ના કરવો જોઈએ. ભાઈ ભરત મહેતાએ મુદ્દાસર લખ્યું છે, પણ બાકીના લોકો અંગત અદાવત પર ઉતર્યા હોય તેમ લાગ્યું.
કોઈ પણ લેખક કે વ્યક્તિએ સરકાર વિરુદ્ધ ક્યારે, કેટલું અને કેવું બોલવું એ નક્કી કરવાનો હક માત્ર એ વ્યક્તિનો છે. એક પુત્રી તરીકે મેં રઘુવીર ચૌધરીના મુખે કદાપિ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કારભારની પ્રશંસા સાંભળી નથી. એ સાથે જ ગુજરાતના તમામ રાજકારણીઓના પોતાના પ્રત્યેના પ્રેમ અને આદરનો રઘુવીરભાઇ હંમેશાં ઉલ્લેખ કરે છે, જેમાં ચિમનભાઈ પટેલથી માંડીને અર્જુન મોઢવાડિયા તેમ જ નરેન્દ્ર મોદી અને આનંદીબહેનનો પણ સમાવેશ થાય છે.
હું પોતે નરેન્દ્ર મોદીની પ્રખર વિરોધી છું, પણ નરેન્દ્ર મોદી કે બીજેપી કે આરએસએસ ભારતની અસહિષ્ણુતા માટે એકલા હાથે જવાબદાર છે તેવું હું બિલકુલ માનતી નથી. એવોર્ડ વાપસી એ લેખકોનો અધિકાર ચોક્કસ છે, પણ એની સમાજ પર ખાસ કોઈ અસર થઈ નથી એ પણ હકીકત છે. નરેન્દ્ર મોદીને બૌદ્ધિક રીતે હંફાવવા માટે બહુ ઊંચી કક્ષાની રણનીતિ જોઈએ, એમાં ફક્ત ટીવી, અખબાર સુધી સીમિત રહેલ એવોર્ડ વાપસી ના ચાલે.
પ્રકાશભાઈ શાહ મોદી સરકાર વિરુદ્ધ સતત લખતા રહ્યા છે, જે એક પત્રકાર માટે સારી બાબત છે. પણ પ્રકાશભાઈનાં લખાણ પ્રજા સુધી ત્યારે જ પહોંચશે જ્યારે તેનો કોઈ સમજાય તેવી ગુજરાતી ભાષામાં અનુવાદ કરે.
ગુજરાતી સાહિત્ય પરિષદ નામની સંસ્થા પાછળ લેખક રઘુવીર ચૌધરીની ઘણી બધી શક્તિ અને આવડત ખર્ચાઈ ગઈ, અને મારા પિતા રઘુવીર ચૌધરીનો ઘણો બધો સમય અને કદાચ થોડાં નાણાં પણ, જેની અમારે ચાર ભાઈ-બહેનોને બહુ જ જરુર હતી અને કદાચ મારી માને સૌથી વધારે.
પરેશભાઈ નાયકને હું મોટા ભાઈ સમાન જ ગણું છું અને ગુજરાતી સાહિત્ય પરિષદના ગંધાતા રાજકારણે તેમના ઉત્સાહનો ભોગ પણ લીધો હશે, કદાચ. પણ આ ગંધાતા રાજકારણના ખેલાડીઓ ક્યારેક પરમ મિત્રો હતા અને જ્યાં સુધી તેઓ પરમ મિત્રો હતા અને પરિષદ પર "રાજ" કરતા હતા, ત્યાં સુધી તેમને પોતાને રઘુવીરભાઈથી તકલીફ નહોતી થતી.
મારા જેવા સામાન્ય વાચક અને ગુજરાતી માટે પરિષદ એક સુંદર સંકુલ માત્ર છે અને ત્યાંનાં ઝાડપાન શ્રેષ્ઠતમ છે. બાકી આ પરિષદ એક જાહેર સંસ્થા છે. એમાં જેને જે કરવું હોય એ કરે, રઘુવીર ચૌધરીની મંજૂરીની ક્યાં જરુર છે? ચૂંટણી લડો, જીતો અને કરો, જેમ ચંદ્રકાન્ત ટોપીવાળા હવે કરશે.
ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી હોય કે ના હોય, આમ જનતાને કોઈ ફરક પડવાનો નથી. રઘુવીર ચૌધરીએ અનેક મહાનતમ રચનાઓ આપી છે, જેનું સર્ટીફિકેટ પરેશ નાયક પાસેથી લેવું જરુરી નથી.
રઘુવીર, સિતાંશુ, લાભશંકર, ધ્રુવ ભટ્ટ અને અન્ય થોડું અઘરું પણ વૈશ્વિક કક્ષાનું સાહિત્ય સર્જી ચૂક્યા છે. પોપ્યુલર હોવાનું અપમાન સહન કરનાર અિશ્વની ભટ્ટની કેટલીક રચનાઓમાં ઘણી વાર અદ્દભુત ચમકારો જોવા મળે છે. મેં વાંચેલી કૃતિઓ વિશે અલગથી ક્યારેક લખીશ. હું અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટની વિદ્યાર્થિની રહી છું, એટલે વિવેચનના "મોડલો" સમજતી કે વાપરતી નથી. સાહિત્યનું મોડલ હોઈ જ ન શકે. કળા કે કળાકાર મોડલોને અનુસરી શકે જ નહીં. તમે કહો એટલે ગભરાઈને હેમિંગ્વે, પિકાસો કે ડાલી એમની સરકારોની પાછળ પડી જવાના હતા?!
અરે સાહેબો, સરકારો અને એવોર્ડો તો આવે ને જાય, તમે આ પ્રજા સાથે સફળ સંવાદ કરી શક્યા છો?
તમારી "ક્રાંતિ"ઓ કેમ સંસ્થાઓ પૂરતી સીમિત રહી છે? લેખક અને પરિષદના ટ્રસ્ટી રઘુવીર વિશે તમારે જે લખવું હોય એ લખવું જ જોઈએ, પણ એક વ્યક્તિ રઘુવીર વિશે લખતી વખતે જો મર્યાદા ઓળંગવામાં આવશે તો મારે પણ લખવું જ પડશે. ટીકા સકારાત્મક હોવી જોઈએ, સકારણ નકારાત્મક નહીં.
અને હા, હ્યુમન રાઇટ્સના પ્રખર સમર્થકો ગાય, સુવર અને બીજાં પશુ પંખીના એનિમલ રાઇટ્સ વિશે બોલતા થાય અને બીફ /પોર્ક ફેસ્ટીવલ જેવી પ્રવૃત્તિઓમાં પણ અસહિષ્ણુતા જોતા થાય તેવી પ્રભુને પ્રાર્થના.
અમદાવાદ
e.mail : surta.mehta@gmail.com