રાજા વિક્રમાદિત્ય વેતાળને ખંભે નાખી ચાલતા થયા કે તરત જ વેતાળ બોલ્યો : “રાજન ! જુમલાદ્વિપના રાજા જૂઠજીવીના રાજમાં બેરોજગારી / મોંઘવારી આકાશે આંબી ગઈ હતી; તે સ્થિતિમાં રાજા જૂઠજીવીએ છાશ / દહીં / અનાજ ઉપર GST નાંખીને પ્રજાને દાઝ્યા પર ડામ દેવાનું પગલું ભર્યું; છતાં આશ્ચર્યની બાબત એ હતી કે રાજા જૂઠજીવીની લોકપ્રિયતા વધી રહી હતી !
તેમની લોકપ્રિયતા કેમ વધી રહી છે તે જાણવા બૌદ્ધિકોએ એક તપાસપંચ નીમ્યું. તપાસપંચનું તારણ હતું કે ‘રાજા જૂઠજીવીએ એવી યુક્તિ અજમાવી હતી કે પ્રજા બૌદ્ધિકોનું સાંભળતી ન હતી; પણ કથાકારો / બાપુઓ /શ્રી શ્રીઓ / બાબાઓ /સદ્ગુરુઓ /સાધુઓ / મુનિઓનું જ સાંભળતી હતી ! આ ઘર્મગુરુઓએ રાજા જૂઠજીવીમાં દિવ્યશક્તિ છે; તેવી માન્યતા ફેલાવી હતી ! રાજા જૂઠજીવીએ જોયું કે બૌદ્ધિકો તર્ક કરે છે / દલીલો કરે છે; એટલે પ્રજાને તર્કથી દૂર કરવા તેમણે પ્રજાને લાગણીના ખીલે બાંધી દીધી ! પ્રજા લાગણીથી દોરવાતી હતી; પ્રજા તર્કને રાજ્ય વિરોધી માનતી હતી ! પ્રજાના મતે રાજા જૂઠજીવીનો વિરોધ એ દેશદ્રોહ હતો ! રાજા જૂઠજીવીની સમજ એ હતી કે સત્તા મેળવવા અને મળેલી સત્તાને ટકાવી રાખવામાં બૌદ્ધિકો કામ ન લાગે; લાગણી જ કામ લાગે ! પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ માણસ ક્યારે ય સત્તા સાથે ઊભો ન રહી શકે; લાગણીઘેલા માણસો જ સત્તાની વાહવાહી કરી શકે ! પ્રજા; પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ બનવા ઈચ્છતી નથી; ધર્મઘેલી બનવા વધુ ઈચ્છે છે ! પ્રજાને અસત્યમાં સત્ય દેખાય છે; ખોટી બાબત સાચી લાગે છે; વિનાશમાં સર્જન દેખાય છે ! રાજા જૂઠજીવી માનતા કે જો પ્રજા વિચારના ક્ષેત્રમાં નિષ્ક્રિય બને તો જ રાજાની વાહવાહી કરી શકે ! પ્રજા તો જ નૈતિક અને બૌદ્ધિક સમસ્યાઓ પર ધ્યાન આપવાનું ટાળે ! તેથી પ્રજા વિચારે નહીં તે માટે સાધુ / બાબા / સ્વામિઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપોને કામે લગાડ્યા હતા ! ઉપરાંત રાષ્ટ્રવાદનો મસાલો પણ ભભરાવતા હતા !’
ચારે ય દિશાઓમાં રાજા જૂઠજીવીની વાહવાહી થઈ રહી હતી ! હે રાજન ! આટલું કર્યા પછી પણ રાજા જૂઠજીવી બૌદ્ધિકોથી ફફડતા હતા; તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજવાની સલાહ સતત અવગણતા હતા ! રાજા જૂઠજીવીને હવે એક જ ઈચ્છા બાકી રહી ગઈ હતી કે ‘બૌદ્ધિકો તેમની આરતી ઊતારે ! વાહવાહી કરે ! એક દેશ, એક ભક્તિ !’ રાજા જૂઠજીવીની તરફેણમાં બુદ્ધિજીવીઓ / કવિઓ / લેખકો / પત્રકારો હતા; ગોદી મીડિયા આખું હતું; પરંતુ રાજા જૂઠજીવીને સંતોષ ન હતો; તેમની ઈચ્છા હતી કે ‘સર્વે બુદ્ધિજીવીઓ વાહવાહી કરે !’ પરંતુ એ શક્ય બનતું ન હતું; તેથી રાજા જૂઠજીવી સતત ચિંતામાં રહેતા હતા ! ચિંતામાં તેઓ ઊંઘી શકતા ન હતા ! દેશ-વિદેશમાં ઈલાજ કરાવ્યો છતાં ઊંઘી શકતા ન હતા ! ગોદી મીડિયાએ આ બીમારીને પરિશ્રમમાં બદલી નાખી હતી ! પરંતુ આઠ વર્ષના અંતે એક દિવસ રાજા જૂઠજીવી સિંહાસન પરથી કૂદકો મારીને જોશપૂર્વક બોલી ઊઠ્યા – ‘યૂરેકા ! યૂરેકા ! ઉકેલ મળી ગયો ! સચોટ ઉકેલ મળી ગયો !’ હે રાજન ! એવો તે ક્યો ઉકેલ રાજા જૂઠજીવીને મળી ગયો હતો?”
વિક્રમાદિત્યે કહ્યું : “ભાઈ વેતાળ, રાજા જૂઠજીવી માટે તો આવા ઉકેલ કાઢવાનું રોજિંદું હતું ! કાખમાં છોકરું અને ગામ ગાંડું કર્યા જેવું લાગે ! આશ્ચર્યની બાબત એ છે કે ઉકેલ શોધવામાં આટલો સમય કેમ લાગ્યો હશે? ઉકેલ સરળ હતો ! રાજા જૂઠજીવીએ; જે કોઈ બુદ્ધિજીવીઓ વિરોધ કરે તેની ઉપર 28% GST નાખી દીધો ! મોંઘવારી જ એટલી હતી કે આ ટેક્સ ભરપાઈ થઈ શકે તેમ ન હતો ! ભાઈ વેતાળ ! જે બુદ્ધિજીવીઓ ખોટા કેસથી / જેલથી ડરતા ન હતા તે આ ટેક્સથી જ ચૂપ થઈ ગયા !”
“રાજન ! આપે બોલીને મૌનભંગ કર્યો છે !” એમ કહીને વેતાળ ઊડીને વૃક્ષની ડાળીએ જઈને ઊંધો લટકી ગયો ! આજે તેમના મગજમાં રાજા જૂઠજીવીની ચતુરાઈ ગોળગોળ ફરતી હતી !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર