સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઈને શીખવવું પડતું નથી. આપ મેળે, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઈ શીખી જવાય છે, આપોઆપ ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઈએ !
ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતી રીતે મૃત્યુ થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતીભરી ઇ-મેલ મળી. આવનારને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામાવાળાનો વિચાર કરવામાં ઇ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઇ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.
છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સૂચન કરેલું, કે જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઇ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા, એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું : ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’
‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?’
મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી કૃષ્ણનું’ આ સગવડિયું સમય બચાવવારું ‘નીક નેમ’ એમના સગવડિયા ભક્તો/ભકતાણીઓએ પાડ્યું છે. અને એકે પહેલ કરી, એટલે બીજાએ પણ કરી ! કેટલાક ભગવાનના આવાં ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવાં પણ શરૂ થઈ ગયાં છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત !
આ સમજાયા પછી હું ભગવાન કૃષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું : ‘પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે, નાણાંની નથી!’
‘વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?’
‘પ્રભુ, તમારા ભક્તો રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વૃંદો માટે ગમે તેવાં કિંમતી કામ છોડીને, સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવવા ‘હાઉસફુલ’કરી દે છે. આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવાં સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ! તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પૂજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે, એ મને સમજાતુ નથી, પ્રભુ! હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે, પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટૂંકાવવાની પાછળ કોઈ કારણ તો હશે જ?’
‘વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!’
‘પ્રભુ, જૂના જમાનામાં બાળકોનાં અસલ નામની સાથે સાથે બોલાવવાનાં નામો પણ અલગ આપવામાં આવતા હતાં. જેમ કે, દીકરાનું નામ ‘કોશલ’ રાખે, પણ બોલાવે એને ‘કીપો’ કહી! એ જ રીતે દીકરીનું નામ ‘અંકીનિ’ પાડી એને ‘શીની’ કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખૂબ ખૂબ વિચારીને ચૂંટેલા નામોવાળા એમના બાળકોને કોઈની બૂરી નજર ન લાગે, અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે, એવું મારું માનવું છે! કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તોએ ટૂંકુ કરી દીધું હશે, એવું મને લાગે છે. પ્રભુ, તમે તમારા નામને આમ ટૂંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઈ ચોપડીમાં તમારા સો (૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામવાળું દૂધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પસંદ છે, તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભુ ?’
‘ચાલ, ચાલ તું હવે જલદી પતાવીશ, તારું ભાષણ?’
‘પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉં. તમારો વધારે સમય નહીં લઉં એની ખાતરી આપું છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઈ શકતો નથી!’
‘એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઈ ઉપાય એનો?’
‘પ્રભુ, છે. જો તમો થોડો વધારે સમય મને આપો તો?’
‘ચાલ, બોલી નાખ!’
‘ભૂતકાળમાં તમારો એક કિંમતી હાર કોઈ ચોરી ગયું હતું, અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઈ હિમ્મત કરે, તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્બધ્ધ કરી દો, તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઈન લાગી જાય છે! … લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?’
e.mail : chiman_patel@hotmail.com
http://chimanpatel.gujaratisahityasarita.org/