– નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ
– વોરન બફેટ; ત્રેસઠ કંપનીઓનું અજબ ઢબે સંચાલન કરે છે, પ૦ વરસથી ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે
ઉદારીકરણ અને નવતર મૂડીવાદના વ્યાપક ફેલાવા પછી ખાસ કરીને એશિયાઈ રાષ્ટ્રોમાં 'ક્રોની કેપિટાલિઝમ’ (સહભાગી મૂડીવાદ) શબ્દ અને પ્રથા બહુ વ્યાપક બન્યા છે. એના વિવિધ અર્થઘટન જોવા મળે છે. ઘણાને મૂડીવાદ, નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ સમજાતો નથી. વિકાસના મુખ્ય ક્ષેત્રો જેવા કે, માળખાકીય સગવડો, વીજ ઉત્પાદન, રાષ્ટૃીય ઘોરીમાર્ગ, ખનીજ આધારિત મોટા ઉદ્યોગો તેમ જ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ખાનગીક્ષેત્રના પ્રવેશ પછી ઔદ્યોગિક વિકાસ અને સુવિધા માટે સરકાર પર આધાર રાખવો પડે છે.
પરિણામે સત્તા પરના રાજકીય નેતાઓને ઉદ્યોગના અવિધિસરના ભાગીદાર બની જવાની તક મળે છે. જમીન, ખનીજ, પાણી જેવી જરૂરિયાતો આવા સહભાગી કે ભાગીદારી મૂડીવાદને આસાનીથી મળે છે અને ધીમે ધીમે આવા મૂડીવાદીઓ પોતાને લાભ થાય એવા નીતિ વિષયક નિર્ણયો કરાવી કરોડ કે અબજપતિ બની જાય છે. પરિણામ એ આવે છે કે સીધી લીટી પર ચાલનારા કુશળ ઉદ્યોગોને પણ હરીફાઈમાં ટકવું મુશ્કેલ બને છે. આવા મૂડીવાદને ક્રોની અથવા સહભાગી મૂડીવાદ કહેવાય છે.
ભ્રષ્ટાચાર ફેલાવવામાં આ મુખ્ય ભાગ ભજવે છે. બીજી તરફ આવા હવામાનમાં પોતાની શકિત અને બુદ્ધિથી વિશ્વકક્ષાના ઉદ્યોગપતિ કે અબજોપતિ બનનારા પણ થોડા સાહસિકો છે. આમાં આજે વિશ્વમાં સૌથી મોટું નામ અમેરિકાના વોરન બફેટનું છે. વોરન બફેટ આજે વિશ્વના બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. એણે પોતાની જાત કમાણીમાંથી ૩,૧૦૦ કરોડ ડોલર એટલે ડોલરના ભાવ રૂ.૬૦ ગણીએ તો ૧,૮૬,૦૦૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. વોરને અગિયાર વરસની ઉંમરે જિન્દગીનો પહેલો શેર ખરીદ્યો હતો.
તો ય બફેટને લાગ્યું કે એણે આવી શરૂઆત મોડી આરંભી. અખબારના ફેરિયાની કામગીરી કરતાં કરતાં કરેલી બચતમાંથી ૧૪ વરસની ઉંમરે વોરને એક નાનું ખેતર ખરીદ્યું; કારણ, વોરન જાણતા હતા કે નાની બચતમાંથી મોટા કામ શક્ય બને છે. આ વાતને વરસો વીતી ગયાં પણ વોરન આજે પણ અમેરિકાના ઓમાહા નામના નાના શહેરમાં એ જ ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે. જે એણે પ૦ વરસ પહેલાં એના લગ્ન થયા ત્યારે ખરીદ્યું હતું. વોરનને એની જરૂરિયાતો આ મકાન પૂરી પાડે છે.
એ કહે છે કે તમારી ખરેખર જરૂર હોય એટલું ખરીદો. એટલું જ નહીં વોરન બફેટ આજે પણ પોતાની ગાડી પોતે જ ચલાવે છે. ન એમની પાસે ડ્રાઇવર છે ન સિક્યુરીટીના માણસો. વોરન પાસે વિશ્વનું સૌથી મોટું જેટ વિમાન છે. પણ એ કદી ખાનગી જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. વોરન માને છે. પોતાની જરૂરિયાત કરકસરપૂર્વક મેળવી લેવી જોઇએ. વોરન બફેટની કંપની 'બર્કશાયર હાથવે’ ત્રેસઠ જેટલી કંપનીઓની માલિકી ધરાવે છે. વોરન પોતાની કંપનીઓના મુખ્ય સંચાલકોને દર વરસે માત્ર એક જ પત્ર લખે છે અને એ પત્રમાં વરસના લક્ષ્યાંક નક્કી કરી આપે છે.
એ એમની સાથે ન બેઠકો યોજે છે, ન નિયમિતપણે એમને સાથે ચર્ચા યોજે છે. એ માને છે કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય કામ સોંપવું એ જ મુખ્ય સાચો માર્ગ છે. પોતાની ત્રેસઠ કંપનીઓના મુખ્ય સંચાલકો માટે વોરને બે નિયમ અમલ માટે નક્કી કર્યા છે. નિયમ નંબર : (૧) તમારા શેરધારકોનાં નાણાં ગુમાવશો નહીં. (૨) ઉપરનો પહેલો નિયમ કદી ભૂલવો નહીં. તમારા લક્ષ્યાંકો નક્કી કરો અને પછી સંચાલકો એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને એની કાળજી રાખો. વોરન ઉચ્ચ કક્ષાનાં ટોળાં સાથે હળતા મળતા નથી.
એના ઘેર પહોંચ્યા પછી નવરાશ વેળાએ એ પોતાના માટે 'પોપ ર્કોન’ બનાવે છે અને ટીવી જુએ છે. તેઓ ન મોબાઇલ રાખે છે, ન એના ટેબલ પર કોમ્પ્યુટર હોય છે. પાંચ-છ વરસ પહેલાં, વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ બિલગેટ્સ પહેલીવાર વોરનને મળ્યા. બિલગેટને પોતાની અને વોરન વચ્ચે બહુ મેળ નહોતો ખાતો એટલે એણે અડધા કલાકની મુલાકાત માંગી : પણ બિલગેટ્સ વોરનથી એટલા પ્રભાવિત થયા કે અડધા કલાકની બેઠક ૧૦ કલાક ચાલી અને બિલગેટ્સ વોરનના અનુયાયી બની ગયા.
વોરન યુવકોને સલાહ આપે છે કે, ક્રેડિટ કાર્ડથી (બેંક લોનથી) દૂર રહો : તમારા પોતાનામાં જ રોકાણ કરો અને યાદ રાખો કે – નાણાં માનવીને પેદા નથી કરતાં પણ માનવીએ જ નાણાં પેદા કર્યા છે. શક્ય તેટલું સાદગીભર્યું જીવન જીવો. બીજા કહે એમ કરવાને બદલે એને ધ્યાનથી સાંભળો અને એમાંથી તમને સારું લાગે તેટલું સ્વીકારો. બજારની બ્રાન્ડવાળાં કપડાં પાછળ ન દોડો, પણ તમને જેવા સગવડભર્યું લાગે એ પહેરો. બિનજરૂરી ચીજો પાછળ નાણાં ન વેડફો, જેની ખરે જ જરૂરિયાત હોય તેમાં નાણાં ખર્ચો.
બીજા લોકોને તમારું જીવન નક્કી ન કરવા દો. જેની પાસે જીવનની બધી શ્રેષ્ઠ બાબતો હોય એ જ સૌથી વધુ સુખી હોય એવું હોતું નથી. ટૂંકમાં ક્રોની મૂડીવાદીઓ, કે અબજોપતિઓ કે મેનેજમેન્ટ ગુરુ કહેવરાવતા તજ્જ્ઞો કરતાં વોરન બફેટ અત્યંત સાદું જીવન જીવે છે. એની કંપનીઓનું સંચાલન એ સાવ અલગ રીતે કરે છે. બજારના શેરધારકોના નાણાંની પોતાના નાણાં જેટલી જ કાળજી લે છે. મોબાઇલ, ખાનગી જેટ વિમાન કે મોટા મહાલયોમાં રહેવા કરતાં પોતાના મકાનમાં વરસોથી રહે છે.
વિશ્વના શ્રીમંતોમાં વોરન બફેટ બીજા નંબરના સ્થાને પહોંચ્યા છતાં દાનમાં પાછળ પડતા નથી. દર વરસે વિશ્વના નામી અબજોપતિઓની બેઠક યોજી જાહેર કાર્યમાં દાન એકઠા કરે છે. અમેરિકા વૈશ્વિકમંદી સપડાયું ત્યારે પોતે સામે ચાલીને શ્રીમંતો પર વધુ કર નાંખવાની તરફેણ કરી હતી. વોરન બફેટના જીવનમંત્રને સમજીએ તો ક્રોની – એટલે સામાન્ય માનવી મૂડીવાદ વચ્ચેના પલભરમાં સાચા ખોટાનો ભેદ પામી શકે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 26 જૂન 2014