આવા ઉપાલંભ આપવાના બંધ કરીએ એ જરૂરી છે.
કારણ કહું ? એક હજાર ‘ને એક છે, બોલો છે તૈયારી સાંભળવાની ?
૧. કોઈ પશુ, પક્ષી કે પ્રાણી પોતાને નર કે માદા અવતરશે એ જાણવા તપાસ કરાવવા જાય છે? અને જો જાણ થાય તો માદા આપનાર ઈંડાને સેવે નહીં કે ઈંડામાંથી માદા નીકળતી જુએ તો તેની ડોક મરડી નાખે એવું જાણ્યું નથી હોં, ભાઈ !
૨. પ્રાણી પોતાના બચ્ચાં માટે મારણ લાવીને, પક્ષી ચણ લાવીને અને જીવ જંતુ નાની જીવાત લાવીને ભરણ-પોષણ કરે અને બીજા ભક્ષકોથી એમનું જતન કરે છે. કોઈ દી હાથી કે હાથણી પોતાના મદનિયાને જન્મ આપતા જ જંગલની કેડીઓ પર મૂકીને રફુચક્કર થઈ ગયા હોય એવું છાપામાં આવ્યું નથી.
૩. મનુષ્ય બુદ્ધિ અને વાણીનો સ્વામી હોવાને કારણે અન્ય પ્રાણીઓથી પોતે ઉચ્ચતર કોટિનો છે એમ માને છે. બંધુઓ, એ જ એક એવી જાત છે જે પોતાના બચ્ચાંને સાચવવા ભાડૂતી માણસો રોકે છે, જયારે બીજા પ્રાણીઓમાં એ કામ જન્મ આપનાર પોતે જ કરે છે (કોયલનો દાખલો આપશો મા, એ પણ કુદરત નિર્મિત નિયમનું પાલન કરે છે).
૪. જળચર, ભૂચર અને ખેચર એવા તમામ પ્રાણીઓ પોતાનાં બચ્ચાંઓને જીવન ટકાવવા માટે ખોરાક કેમ મેળવવો એ ય જાતે જ શીખવે છે, કંઈ એને માટે બીજા પ્રાણીઓને નોકરીએ રાખીને એમને ‘ડોનેશન’ના નામે લાંચ આપીને પોતાની સંસ્કૃિતને એ લોકો લાંછન નથી લગાડતા. સાચ્ચું ને?
૫. સિંહ પોતાનું અને પોતાના બચ્ચાંનું પેટ ભરવા હરણ કે ઝેબ્રા મારશે પણ કોઈ દી સાંભળ્યું છે કે બે સિંહને એક બીજા સાથે દુશ્મનાવટ થઈ અને એકે બીજાનો વિના કારણ જાન લઈ લીધો? માણસ આવું કામ કરી દે, હો ભાઈ !
૬. પ્રાણી જગતમાં માદા પર પોતાનો અધિકાર જમાવવા બે નર વચ્ચે ખુલ્લે આમ લડાઈ થાય છે, તેની ના નહીં. પણ એક બળદની ગાય પર બીજો બળદ બદનજર નાખે, એને ભગાડીને લઈ જાય કે એના પર બલાત્કાર કરે એવું તો કળિયુગમાં ય નથી બનતું. પણ માનવ જાતને તો આમાંનું કાંઈ પણ કરતા થડકારો ન થાય, ભાઈ.
૭. વાનર જાત કેટલાંક શસ્ત્રો વાપરતાં શીખી છે, જેમ કે પત્થરનો ઉપયોગ લીલાં-સૂકાં ફળો તોડવાં અને ઝાડની ડાળનો ઉપયોગ મધપૂડામાંથી મધ મેળવવા કરે છે. પણ કોઈ દી વાનરે એ સાધનો કોઅલા બેરને વેંચ્યાનું સાંભળ્યું છે, મારા વીરા? માણસ જ એક એવી કજાત છે જે શસ્ત્રો બનાવી પોતાની જ જાતના લોકોને મારે, અને એનાથી ધરાયો ન હોય એમ વધુ શસ્ત્રો બનાવી બીજા દેશોને વેંચે! મોતનો વેપાર કરવાની સૂઝ કેળવવા બદલ ધન્ય છે એને.
૮. દરેક પશુ-પક્ષી પોતાના રહેઠાણ માટે બખોલ બનાવે, માળો બાંધે કે પોતાની સરહદો નક્કી કરીને એનું રક્ષણ કરે. બીજા જીવોને મારીને અને અમુક ચરાણમાંથી ઘાસ ખાઈને પોતાનું તથા પોતાના બચ્ચાંનું ભરણ-પોષણ કરે, પણ એ કુદરતના નિયમોને અનુસરીને એની નક્કી કરેલી મર્યાદામાં રહીને જીવે. ગાયની ગમાણમાં ઘોડા ચડી આવે, ઝપાઝપી થાય અને ગાયો વિસ્થાપિત થાય, નિરાશ્રિત બને એવી કલ્પના આવે છે?
૯. કીડીને કણ અને હાથીને મણ જોઈએ એ ખરું. આમ જુઓ તો માનવેતર હર જીવ સૃષ્ટિ રોજે રોજનો ખોરાક મહેનત કરીને મેળવે છે. તમે કીડીને ક્યારેય કણની બદલે મણ જેટલો ખોરાક એકઠો કરીને સંતાડતી નહીં જુઓ. તેમ હાથી ય મણ જેટલાં ઝાડ-પાનની જગ્યાએ દસ મણ ઝાડ-પાનનો સોથ વાળી, એ જથ્થાને દબાવીને બેસી નહીં જાય તેના પર. આવું તો માણસ જ કરે, ભાઈ.
૧૦. જીવો જીવસ્ય ભોજનમ એ કુદરતના ક્રમ ઉપર સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહી છે. આ શૃંખલામાં માનવ જાત સહુથી ઉપર છે એટલે બીજાં કોઈ પ્રાણીઓનું એ ભક્ષ્ય નથી બનતો. આ સ્થિતિનો લાભ લઈને એ પરસ્પર વૈમનસ્યના વાવેતર કરીને છુટ્ટે હાથે આતંકવાદ વેરે છે. સૌથી વધુ ઝેરી, વિકરાળ કે મહાકાય પ્રાણીઓ, પક્ષીઓ કે જંતુઓ પણ પોતાની કે બીજી જાત ઉપર માણસની જેમ પદ્ધતિસરનું આક્રમણ કરીને જાનહાનિ નથી કરતાં, એ સર્વ વિદિત છે.
૧૧. તમામે તમામ જીવ સૃષ્ટિ જીવન ટકાવવા અને સંવર્ધન કરવા પ્રાકૃતિક સંસાધનોનો પોતાના ખપ પૂરતો – (અહીં ખપ પૂરતો શબ્દ નોંધવા વિનંતી છે) ઉપયોગ કરે છે, જેમાં એક માનવ જાત અપવાદ છે. પ્રાણીની એક પણ જાત એવી નથી જે કુદરતે આપેલ હવા પાણી અને ખોરાકને ચાર હાથે લૂંટે અને બદલામાં કાંઈ ન આપે.
આપણી આસપાસ નજર કરીશું તો ખ્યાલ આવશે કે અન્ય જીવસૃષ્ટિનો એક પણ પ્રકાર એવો નથી કે જે ખોરાક મેળવવા કે ખાધા પછી, મળ-મૂત્રના વિસર્જન પછી કે પોતાની જીવન રીતિના પરિણામ રૂપ ગંદકીના એવા ઢગ સર્જતા હોય જેને કારણે પોતાનું અને બીજા જીવોનું સ્વાસ્થ્ય માત્ર નહીં, પણ સમૂળગું અસ્તિત્વ પણ જોખમાય. પૃથ્વી પરની ગંદકી અને પ્રદૂષણ જોઈને માનવને થોડી બુદ્ધિ અને વાચા આપ્યા બદલ બ્રહ્માને પેટ ભરીને પસ્તાવો થતો હશે.
માનવીની ઉણપો બતાવતા પાસાઓના આટલા ઉદાહરણો આપીને આજે અટકું. બાકીના ૯૯૦ દાખલા વાચકોને અવશ્ય સ્ફુરશે. હવે કયારેય પણ તમારા પરિચિત/અપરિચિત વ્યક્તિ કે સમૂહને સમાજના ધોરણ, કાયદા કે નીતિ નિયમો વિરુદ્ધ વર્તન કરતા જુઓ તો ‘આ તો સાવ જાનવર જેવો છે’ કે ‘આ તો ઢોરથી પણ બદતર છે’ એવા ઉદ્દગાર કાઢતાં વિચાર કરજો. માનવ જાત જેવો અત્યાચારી, દૂરાચારી, અનાચારી, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી બીજો કયો પ્રાણી સમૂહ છે એની ભાળ મળે તો બીજાને ય જાણ કરજો. ક્યારેક વિમાસણ થાય કે ઉત્ક્રાંતિની ફલશ્રુતિ સ્વરૂપ માનવ જાત અસ્તિત્વમાં આવી અને તે પછીની સહસ્ત્રાબ્દીઓમાં પહેલેથી ભ્રુણ હત્યા કરતો આવ્યો હશે? પોતાના જ સંતાનો પ્રત્યે ક્રુરતા આચરવી, એનો ઉછેર ભાડૂતી લોકો પાસે કરાવવો, એનું શિક્ષણ નિષ્ઠા-શૂન્ય શિક્ષણ પદ્ધતિને હવાલે કરવું એ જ એની પ્રગતિનો માપદંડ બન્યો? અન્ય દેશો પર આક્રમણ, આતંકવાદનો ફેલાવો અને શસ્ત્રોનો વેપાર એ શું માનવની યુગો જૂની પ્રવૃત્તિ રહી હશે? હવસખોરી શું એની પ્રકૃતિનું અંગ હશે? સંઘરાખોરી, ગંદકી અને પ્રદૂષણ માનવ જાતના આભૂષણ ક્યારથી બન્યાં હશે?
માનવી પોતે ‘સંસ્કૃત’ થયો એમ માનવા લાગ્યો ત્યારથી એની પ્રકૃતિમાં વિકૃતિ આવવા લાગી એમ પૂરવાર થાય છે. મનુષ્ય માત્રએ અગણિત ક્ષેત્રોમાં અદ્દભુત સિદ્ધિઓ મેળવી છે પરંતુ માનવેતર પ્રાણી જગત પાસેથી આપણે ઘણું શીખવાનું છે અને તેના શ્રીગણેશ પ્રાણીઓને આપણાથી ઉપરતી કોટીના ગણીને આપણા દુષ્કૃત્યોને ઢોર સાથે સરખાવવાનું બંધ કરવાથી કરવા રહ્યા. જો પ્રાણીઓને વાચા હોય તો એક ગાય બીજી ગાયના કપાસિયાના તગારા પર તરાપ મારે તો પહેલી ગાય, ‘અરે, સાવ માણસ જેવી ભૂખાળવી કાં થા? જરા ગાયની સંસ્કૃિત સાચવ, નહીં તો ગાયોના ધણમાંથી ગઈ સમજ!’ એવું કહેતી સંભળાય તો નવાઈ નહીં. આવું બને તે પહેલાં જ મનુષ્ય જાતિને શોભે તેવું વર્તન કરતા થઈએ.
e.mail : ten_men@hotmail.com
("અોપિનિયન", 26 માર્ચ 2013)