Opinion Magazine
Number of visits: 9448809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્યજ્યોત (૨૭) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંજ્ઞાપ્રક્રિયા – સૅમિયોસિસ

સુમન શાહ|Opinion - Literature|19 January 2023

સૅમિયોસિસ અથવા સાઇન-પ્રોસેસ. ગુજરાતીમાં, સંજ્ઞાપ્રક્રિયા. એ એક પ્રક્રિયા છે, ક્રિયા છે, ને તેથી સૅમિયોસિસ એક કર્મ છે, વર્તન છે. સંજ્ઞાઓને સાથે રાખીને હું એક એવું કર્મ કરું છું જેમાં સંજ્ઞાઓ અને તેનાં અર્થઘટનોનો મેં સમાસ કર્યો હોય છે; અને એ સઘળું લઈને હું આગળ ચાલું છું. મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ છે. (લેખમાં હું ‘સંજ્ઞાપ્રક્રિયા’ ને સ્થાને ‘સૅમિયોસિસ’ પ્રયોજીશ).

સંજ્ઞાઓ મને વસ્તુઓ દર્શાવે છે. જેમ કે ખુરશી એક સંજ્ઞા છે. હું એનો અર્થ ઘટાવું છું, ખુરશી મને દેખાય છે, ને હું ખુરશી સુધી પ્હૉંચી જઉં છું. સંજ્ઞા, વસ્તુ (ખુરશી) અને (હું) અર્થઘટનકાર, ત્રણ મળીને જે સંકુલ રચાય છે એને સંકેતવિજ્ઞાનમાં ‘સાઈન રીલેશનલ કૉમ્પલેક્સ’ કહે છે. સંકેતવિજ્ઞાનની એ એક અગત્યની વિભાવના છે.

સૅમિયોસિસ એ સંકુલની ભૂમિકાએ સંભવે છે. સમજીએ :

ખુરશી લાકડાની કે લોખંડની? ગાદીવાળી પોચી કે આરામ આપનારી આરામખુરશી? કે પ્લાસ્ટિકની? એમાંનો એક પણ વિશેષ કે ગુણવિશેષ ‘ખુરશી’ સંજ્ઞામાં પોતામાં નથી. એટલું જ નહીં, એ સંજ્ઞાથી જે કંઈ સૂચવાતું નથી હોતું એ માટે મારે, એટલે કે, અર્થઘટનકારે સર્વસાધારણ સ્વરૂપની વિભાવનાઓમાં જવું જરૂરી બની જાય છે. શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એથી રીલેશનલ ડેટાબેઝની કૉલમ્સમાં જે ડેટા ખૂટતો હોય તેને પામી શકાય છે અને તે માટે પૂર્તિ કરી શકાય છે.

બાકી, જનસામાન્ય અને શિક્ષિતો પણ એમ માનીને ચાલે છે કે સંજ્ઞાએ સરજેલા બધા જ અર્થસમ્બન્ધો સરળ અને અકબંધ છે; પણ હકીકત જુદી છે, સંજ્ઞાઓ માત્ર ચિહ્નો છે. ગુજરાતીમાં તો ‘સંજ્ઞા’ એટલે જ, ચિહ્ન.

મુદ્દાની બીજી વાત એ છે કે સંજ્ઞાની પાછળ તેનો યોજક પોતાના આશયને છુપાવી શકે છે. અર્થઘટનકાર એ સંજ્ઞાવૃત આશયોને પામી શકતો નથી.

પેલાએ કરેલો પ્રયોગ : ‘એ બિલ્લી છે’.

દાખલા તરીકે, કોઈ કહે કે ‘એ બિલ્લી છે’ તો ‘બિલ્લી’ સંજ્ઞા એણે અમુક યુવતી માટે પ્રયોજી છે અને તે યુવતીમાં ચપળતાથી શિકાર કરવાની ક્ષમતા છે એવો એ કહેનારનો આશય હોય, તો તે મને નથી પ્હૉંચતો. એટલું જ નહીં, એના ‘એ બિલ્લી છે’ પ્રયોગથી ‘બિલ્લી’ સંજ્ઞાનો અત્યારલગીમાં મારામાં સંચિત થયેલો અર્થ જાગે છે. મારામાં સંચિત અર્થ આ છે : બિલ્લી એક ક્યુટ અને વ્હાલ કરવું ગમે એવું પ્રાણી છે, એને પાળી-પોષી શકાય છે. એટલું જ નહીં, અમારા બે સિવાયની ત્રીજી વ્યક્તિ પાસે, કદાચ એ જ યુવતી પાસે, એક ત્રીજો અર્થ આ પણ છે : બિલ્લીથી ડરતા રહેવું કેમ કે એ વાઘતણી માસી છે. 

અમારા ભાષા-સાહિત્ય ભવનમાં એક પટાવાળો દુબળો-પાતળો અને ઢીલા સ્વભાવનો હતો, કરમાયેલો લાગે, છતાં એનું નામ ગુલાબ હતું. જોગાનુજોગ, અમારી કામવાળીનું નામ પણ ગુલાબ હતું. સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર સૌને જાણીતું નામ. હું જાતે સુમન છતાં નર-નારીના ભેદ વગરનાં એ બધાં ગુલાબની સુગન્ધ લેવાનો માત્ર પ્રયત્ન કરી શકતો. મુમ્બઇ ગયો હોઉં ને કામસર ગુલાબદાસને મળવા ગયો હોઉં, તો ક્હેતા – સુમન, એનું (એમનાં પત્નીનું) નામ પણ સુમન છે ને ઘણી વાર એ મને ગુલાબ કહે છે. સ્વીકારવામાં મને થોડી મૂંઝવણ તો થતી જ ! યાદ કરો, ગુજરાતી વ્યાકરણમાં નામોને ‘સંજ્ઞા’વાચક કહ્યાં જ છે.

આમ, સંજ્ઞા એટલે ઘણું બધું અને સંજ્ઞા એટલે કંઈ નહીં. સંજ્ઞાની પ્રકૃતિ ધૂંધળી છે. સંજ્ઞાઓ વિશ્વસનીય નથી. એને કારણે પ્રજાઓ અને કોમો વચ્ચે વાદવિવાદ મતભેદ દુ:ખો ઝઘડા અને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો થયાં છે. ભારતીય વર્ણવ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવું મહા દુ:ખદ દૂષણ જન્મ્યું કે સંસારમાં હિન્દુ-મુસ્લિમ કે નાઝી-જ્યૂ જેવા ઘાતક ભેદ પેદા થયા, એમાં એ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાતન્ત્રોનો ફાળો ઓછો ન્હૉતો.

એમ પણ કહેવું જોઈએ કે સંજ્ઞા એટલે સાવચેતીસૂચક લક્ષણ – સિમ્પટમ. મારું મૉં લેવાઈ ગયું હોય ને હું કણસતો હોઉં એ, મને આવેલા કે આવનારા તાવનું લક્ષણ છે. સંજ્ઞાને સાવધાનીસૂચક લક્ષણ ગણીને હું તપાસ, ગવેષણા, ઇન્વેસ્ટિગેશન ચલાવું એ મારી ગતિશીલ પ્રવૃત્તિ કહેવાય અને તે પ્રવૃત્તિ સૅમિયોસિસ છે.

મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં, એક લેખમાં, મેં ‘ઑલ આઉટ ફૉર અમૂલ’ અને બીજી જાહેરાતોની સંરચનાવાદની રીતે ચર્ચા કરી છે. અમદાવાદના નહેરુ બ્રિજના એક છેડેના હોર્ડિન્ગમાં ક્રિકેટરને અમૂલ માટે આઉટ થતો ચીતર્યો હતો અને એ દિવસોમાં શ્હૅરમાં મૅચ પણ રમાતી હતી. અમૂલ કમ્પનીનો આશય તો એટલું જ સૂચવવાનો હતો કે અમૂલબટર પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક છે એટલે તો જુઓ ને, બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. મને એ સૂત્રના રચયિતા કલાકારનું નામ યાદ હતું પણ આ ક્ષણે નથી યાદ આવતું.

પણ શ્હૅરમાં રમાઈ રહેલી મૅચના જીવન્ત સંદર્ભ સાથેનું અને શ્હૅરની અતિખ્યાત જગ્યા પરનું એ પેઇન્ટિન્ગ મારા માટે સંજ્ઞાતન્ત્ર હતું ને મને એના અર્થઘટન માટે પ્રેરતું હતું. અને પ્રેરાઈને મેં જે લખ્યું એ ક્રિયા કે મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ હતી.

હું એવી પ્રવૃત્તિ કેમ કરું છું? કેમ કે ‘ઑલ આઉટ ફૉર અમૂલ’-નું એ વિશાળ હોર્ડિન્ગ કે ચિહ્નરૂપ તેમ જ લક્ષણરૂપ સંજ્ઞાઓ મને જંપવા દેતાં નથી. હું સંજ્ઞાનો સામાના અર્થ જોડે અને મારામાં કે અન્ય કોઈમાં રહેલા સંચિત અર્થ જોડે મેળ પાડતો હોઉં છું.

એમ કરીને હું એક એવો મૅસેજ રચું છું જે મને તો પ્હૉંચ્યો જ હોય છે પણ મને સાંભળનાર સૌને પ્હૉંચવાની ક્ષમતા ધરાવતો હોય છે. જેમ કે, હું કહું કે અમૂલે પોતાનું બટર વધુ ને વધુ વેચાય એવી ધંધાદારી દૃષ્ટિથી એ જાહેરાત બનાવરાવેલી અને તે માટે ‘ક્રિકેટર’ ‘ઑલ’ અને ‘આઉટ’ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો, ચિત્ર અને જાહેરાત જેવાં સંજ્ઞાતન્ત્રોનો ઉપયોગ કરેલો, તો સૌને એ મૅસેજ ગળે ઊતરવાનો. એને કહેવાશે, એક સાર્થક સંક્રમણ – કૉમ્યુનિકેશન.

અને, એવા સાર્થક કૉમ્યુનિકેશન્સથી સૅમિયોસિસ પ્રવૃત્તિનો આકાર બંધાય છે.

પણ કૉમ્યુનિકેશનની સુખ્યાત પદ્ધતિ છે – ડીકોડિન્ગ અને તે પૂર્વે થતું ઍન્કોડિન્ગ.

ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ પણ ડીનોટેશન-કોનોટેશન અને સાઈન રીલેશનલ કૉમ્પ્લેક્સ જેવી સંકેતવિજ્ઞાનની નૉંધપાત્ર વિભાવના છે.

એ વિશે હવે પછી.

= = =

(Jan 20, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 January 2023 Vipool Kalyani
← નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય
ઇન્દુબહેન અનિલભાઈ શાહઃ એક અણમોલ વારસો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved