Opinion Magazine
Number of visits: 9449528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 November 2023

રમેશ ઓઝા

જેના પર ભરોસો મૂકી શકાય એવો શ્રદ્ધેય માણસ ધાર્મિક હોવો જરૂરી છે? શું માણસાઈ અને ધાર્મિકતા એકબીજાથી અલગ ન કરી શકાય એવાં અવિભાજ્ય છે અથવા એકના વિના બીજાનું અસ્તિત્વ સંભવી જ ન શકે એવાં અવિનાભવી છે? તમારો અનુભવ શું કહે છે? ઘડીભર માની લો કે તમે હિન્દુ કન્યાનાં હિન્દુ પિતા છો અને તેનાં હિન્દુ યુવક સાથે સગપણનો પ્રસ્તાવ આવ્યો છે. તમે એ યુવક હિન્દુ છે, દેખાવડો છે અને સુખી છે એટલું જોઈને પ્રસ્તાવ મંજૂર રાખશો કે પછી તે અને જે ઘરે દીકરી જવાની છે એ પરિવાર કેટલો સંસ્કારી છે એ પણ જોશો? આપણે દરેક સામેના પક્ષની માણસાઈની અલગથી ચકાસણી કરીએ છીએ. આને અર્થ એ થયો કે ધર્મ અને ધાર્મિકતા માણસાઈની ગેરંટી આપતાં નથી. આનો બીજો અર્થ એ થયો કે માણસાઈ એક ધર્મનિરપેક્ષ મૂલ્ય છે અર્થાત્ માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે. તેને ધાર્મિક હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. અને આ વાત દરેક ધર્મને લાગુ પડે છે, દરેક પ્રજાને લાગુ પડે છે અને ઇતિહાસના કોઈ પણ સમયખંડને લાગુ પડે છે.

માનવીય જીવનમાં જો માણસાઈ સૌથી મૂલ્યવાન જણસ હોય અને એ જો સેક્યુલર હોય એટલે કે ધર્મનિરપેક્ષ હોય તો પછી ધર્મનો શું ખપ? કોઈ ધર્મ પાપ કરવાનું શીખવતો નથી. દરેક ધર્મ સારાં કર્મો કરવાનું અને એ રીતે પુણ્ય કમાવાનું કહે છે. મોક્ષની, નિર્વાણની, મુક્તિની, કયામતના દિવસે રહેમની સીડી સારાં કર્મો દ્વારા જ ચડી શકાય છે. તો પછી દેખીતી રીતે માણસાઈ ધર્મજન્ય હોવી જોઈતી હતી, પણ અનુભવ એમ કહે છે કે માણસાઈ આપણે કોઈ વ્યક્તિના ધાર્મિક હોવાપણામાં નહીં, પણ ધર્મની બહાર જે તે વ્યક્તિના વહેવારમાં શોધીએ છીએ. ઊલટો એવો અનુભવ પણ થાય છે કે અતિ ધાર્મિક માણસ વહેવારમાં ખોટો હોય, સ્વાર્થી હોય અને કોઈને ય પણ છેતરવામાં લાજતો ન હોય.

ટૂંકમાં ધર્મ જો માણસાઈની ગેરંટી ન આપતો હોય અને માણસાઈ ધર્મનિરપેક્ષ સ્વતંત્ર ગુણ હોય તો પછી ધર્મનો શું ખપ? ધર્મિક માણસ મૂલ્યપરાયણ હોય એની કોઈ ખાતરી નથી. ધર્મપરાયણ માણસ અનિવાર્યપણે મૂલ્યપરાયણ ન હોવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એવું બનતું નથી. કેમ? આ લાખ રૂપિયાનો સવાલ છે?

ધર્મનું એક આધ્યાત્મિક પાસું છે જે માળખાથી મુક્ત છે અને ધર્મનું એક અસ્મિતાકીય પાસું છે જે માળખાબદ્ધ છે. કોઈ સાચો હિંદુ સાચા હિંદુ બનવા માટેની યાત્રા શરૂ કરે તો એ સાચા માણસ બનવા સુધી પહોંચી જશે. એનું અસ્મિતાકીય હિંદુપણું ખરી જશે. અને જ્યાં સુધી માળખાબદ્ધ અસ્મિતાકીય હિંદુપણું ખરી ન જાય ત્યાં સુધી એ હિંદુ માણસ બની શકવાનો નથી. અને કોઈ પણ ધર્મનો કોઈ પણ સાધક જ્યાં સુધી શુદ્ધ માણસ ન બને ત્યાં સુધી એ મુક્તિનો અધિકારી બનવાનો નથી. આ વાત માત્ર હિન્દુ માટે સાચી નથી, દરેક વ્યક્તિ માટે સાચી છે પછી તે ગમે તે ધર્મનો હોય. એટલે તો સંતો અને સૂફીઓ એક મુકામે પહોંચી જાય છે. બન્નેનું મુકામ એક જ છે, અલગ અલગ નથી.

પણ ધર્મનું અસ્મિતાકીય માળખાબદ્ધ પાસું વધારે પ્રબળ છે અને વર્તમાન યુગમાં એ વધારે પ્રબળ બની રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે એ તમને ચોક્ક્સ ધર્મના અનુયાયી હોવાની અને એ અનુયાયીઓના સમૂહનો હિસ્સો હોવાની સુરક્ષા આપે છે. સમૂહનો હિસ્સો બનવાથી માણસ તરીકેની વ્યક્તિગત જવાબદારીઓ અને માનવીય ધર્મથી મુક્તિ મળી જાય છે. લોકોનાં આવાં પલાયનપારાયણ માનસનો રાજકારણીઓ, ધર્મગુરુઓ અને પુરોહિતો લાભ લે છે. ડરાવો અને વાડામાં પૂરી રાખો. રાજકારણીઓ વિધર્મીથી ડરાવે છે અને પુરોહિતો નર્કનો તેમ જ ૮૪ લાખ યોનિમાં પુનર્જન્મનાં ચકરવાથી ડરાવે છે. ધર્મનું રાજકારણ કરનારા રાજકારણીઓ સુરક્ષાની ગેરંટી આપે છે અને પુરોહિતો તેમ જ ધર્મગુરુઓ સદ્દગતિની ગેરંટી આપે છે. પણ આ બેમાંથી કોઈ માણસાઇની ગેરંટી આપતાં નથી.

ધર્મનું આધ્યાત્મિક પાસું માણસાઈની ખોજ કરનારું પાસું છે, માણસાઈને સમૃદ્ધ કરનારું પાસું છે, અસ્મિતામુક્ત કરનારું પાસું છે, ભયમુક્ત કરનારું પાસું છે, ઈશ્વર સાથે અને માણસ માણસની વચ્ચે એકત્વ સાધનારું પાસું છે. અસ્મિતાકીય માળખાબદ્ધ ધાર્મિકતાથી બિલકુલ સામેના છેડાનું છે. માટે દરેક ધર્મના કોમવાદીઓ (ફરીવાર કહું છું દરેક ધર્મના કોમવાદીઓ) પોતાના ધર્મના હાર્દને તમારી સમક્ષ રજૂ નહીં કરે. ઈશુનાં વચન, મહમ્મદનાં વચન, બુદ્ધનાં વચન, મહાવીરનાં વચન, વેદો તેમ જ ઋષિઓનાં વચન, સંતોનાં વચન, સૂફીઓનાં વચન, મરમીઓનાં વચન જે તે ધર્મના હાર્દરૂપ છે. પણ કોમવાદીઓ તેને તમારી સમક્ષ રજૂ નહીં કરે. એ તેમને માફક આવતાં નથી. એ વચનો માણસને અસ્મિતામુક્ત કરે છે, એ વચન માણસને ભયમુકત કરે છે, એ વચન માણસને માણસ સાથે જોડે છે, એ વચન દીવાલોને તોડે છે.

મારા વાચકમિત્ર, તારે ચાર કામ કરવાં જોઈએ. એક, તારા ધર્મનો હાર્દ શું છે અને શું કહે છે અથવા શીખવે છે એની તપાસ કર. જો તું તારા ધર્મ માટે ગૌરવ અનુભવે છે તો તેનાં અમૂલ્ય હાર્દ માટે અનુભવે છે કે બાહ્ય માળખાં માટે? બીજું, બીજાના ધર્મના હાર્દ પર (હાર્દ પર, બાહ્ય માળખા પર નહીં) પણ એક દૃષ્ટિ કરી જો. એના ધર્મના હાર્દ અને તારા ધર્મના હાર્દ વચ્ચે કેટલો તફાવત છે એ તું પોતે ચકાસી જો. ત્રીજું, તમારા ધર્મના અને એ સાથે વિધર્મીઓના ધર્મના કોમવાદીઓનાં કથન પર એક નજર કરી જો. તેમણે ક્યારે ય તેમના ધર્મના હાર્દની વાત કરી છે? કોમવાદનો લગભગ પોણા બસો વરસનો ઇતિહાસ છે અને એમાં તમને કોઈ ધર્મના કોઇ કોમવાદીનું પોતાનાં ધર્મના હાર્દને સ્પર્શતું હોય એવું એક પણ નિવેદન નહીં મળે. ગેરંટી. તમે પોતે ચકાસી જુઓ. ઘણું કરીને તેઓ એના વિષે જાણતા પણ નહીં હોય. કોમવાદી માનસ વિકસાવવા માટે તેની જરૂર પણ નથી, ઊલટું બાધારૂપ છે. અને ચોથું, માણસ તરીકેનો એક જ જન્મ મળ્યો છે તો માણસાઈની આરાધના કરવાની કે નીચતાની? વિચારી જો. તારું જીવન છે, તારે માર્ગ નક્કી કરવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 નવેમ્બર 2023

Loading

26 November 2023 Vipool Kalyani
← ડીપફેકનું અસલી-નકલી : શું નૈતિક, શું અનૈતિક?
‘લોકોને કઈ રીતે ખબર પડે કે આઝાદી આવી છે?’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved