Opinion Magazine
Number of visits: 9448903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈ પકડી રાખવી કે છોડવી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2021

આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે. 

નિર્ણય એ વાતનો લેવાનો છે કે માણસાઈના ગુણોને અપનાવીને, આત્મસાત કરીને, તેને હજુ વધુ સમૃદ્ધ કરીને ટકોરાબંધ માણસ બનવું અને સંતાનને માણસ બનવાનું કહેતા જવું કે પછી જેવા સાથે તેવા થવું અને સંતાનને એ જ શિખામણ આપતા જવું. આ જગતમાં એક પણ માણસ એવો નહીં મળે જેણે આ યક્ષપ્રશ્ન વિષે નિર્ણય લેવો ન પડ્યો હોય. કુટુંબની અંદર સગા ભાઈ સાથેના વહેવારમાં પણ આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અપનાવવો પડતો હોય છે. માણસાઈ પકડી રાખવી કે માણસાઈ છોડવી? 

આપણા નિર્ણયને ત્રણ ચીજો પ્રભાવિત કરતી હોય છે. એક તો આપણો સ્વભાવ. દરેક વ્યક્તિમાં સત્, રજસ અને તમસ એ ત્રણ ગુણનો માત્રાફેર હોય છે અને તેની માત્રા માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. સાંખ્ય અને યોગદર્શન કહે છે કે માણસ જો ધારે તો માત્રાફેર કરી શકે છે. આ ફેરફાર મુશ્કેલ છે પણ અસંભવ નથી. તામસી માણસ સાત્ત્વિક બની શકે છે. તેની સાથે બીજી ચીજ છે સહિયારો સાંસ્કૃતિક વારસો. આ વારસો સહિયારો છે અને માટે અનેક રસાયણોનો બનેલો હોય છે. વરસો વહેતાં જાય છે એમ એવો પીંડ રચાય છે જેમાંથી ઘટક તત્ત્વોને અલગ તારવવાં મુશ્કેલ હોય છે. વરસ અને વારસો એક જ ધાતુના શબ્દો હોય એવો ભાસ થશે, પણ એવું નથી. એ વારસો મને મળેલો છે, મારો છે, મારાં સંતાનોને મારે આપતા જવાનો છે; પણ છે સહિયારો. એ મારો છે, પણ આપણો છે. આ સહિયારા સાંસ્કૃતિક વારસાએ રચેલો માનસપીંડ માણસના નિર્ણયને પ્રભાવિત કરે છે. ત્રીજી ચીજ છે, અનુભવ અને અનુભવકથન. આમાંથી પ્રત્યક્ષ અનુભવ તો બહુ ઓછો હોય છે, માંડ ચાર-પાંચ દાયકાનો, પણ અનુભવકથન હજારો વર્ષનું હોય છે. આ કહેવાતું અનુભવકથન એટલે કહેવાતો ઇતિહાસ. કહેવાતો એટલા માટે કે એ કોઈકે કહેલો છે.

એક તો માણસ માત્ર ત્રિગુણીય સ્વભાવ સાથે જન્મતો હોય છે તેમ જ તેની ગુણમાત્રા અલગ અલગ હોય છે અને એમાં એણે નિર્ણય લેવાનો હોય છે કે માણસાઈ પકડી રાખવી, તેને વધુ સમૃદ્ધ કરવી કે તેને છોડવી અને જેવા સાથે તેવા થવું? જો આપણે માણસાઈને જાળવી રાખવાનો પહેલો વિકલ્પ પસંદ કરીએ તો સહિયારો સાંસ્કૃતિક વારસો ઘણે અંશે ઉપયોગી થશે અને જો માણસાઈને ફગાવીને જેવા સાથે થવું હોય તો કોઈક દ્વારા કહેવાયેલું અનુભવકથન અથવા ઇતિહાસ ઉપયોગી થશે. વીતેલા યુગના ટકોરાબંધ પ્રમાણ કોઈ પાસે નથી એટલે તેનો લાભ લઈને આપણને આજે માફક આવે એ રીતે ગઈકાલની વાત કહી શકાય છે. જગત આખામાં ઇતિહાસકારો આજે માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે; પછી તે ઇતિહાસકાર સામ્યવાદી હોય, રાષ્ટ્રવાદી હોય, કોમવાદી હોય કે વંશવાદી હોય. તટસ્થ ઇતિહાસ અને તટસ્થ ઇતિહાસકાર જેવું કશું હોતું નથી. દરેક ઇતિહાસકારને એમ લાગે છે કે મારે ઇતિહાસ એ રીતે કહેવો જોઈએ કે જે વર્તમાનમાં વાચકની વર્તણુકને પ્રભાવિત કરે. ઇતિહાસલેખનમાં એજન્ડા હોય જ છે, એજન્ડામુક્ત ઇતિહાસલેખન હોતું નથી.

હવે જો આપણે માણસાઈને જાળવી રાખવી હોય, તેને વધારે સમૃદ્ધ કરવી હોય અને માણસાઈનો વારસો આગલી પેઢીને આપીને જવો હોય તો આપણે ત્રિગુણમાત્રામાં શક્ય એટલો ફેરફાર કરીને વિવેક કેળવવો પડશે. ખુલ્લી આંખે દુનિયાને જોતાં શીખવું પડશે. કોઈકનું સારું અપનાવવું પડશે અને આપણું જે કાંઈ કલંકરૂપ હોય તેને છોડવું પડશે. આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને વિવેકપૂર્વક અપનાવવો અને છોડવો પડશે. એ વારસાનું સહિયારાપણું પણ સ્વીકારવું પડશે અને એ તો પહેલી શરત છે. બીજા માટેનો તિરસ્કાર છોડવો પડશે અને આપણા શ્રેષ્ઠત્વનું ગુમાન છોડવું પડશે. બીજાની નિંદા નહીં કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે આપણી ઉણપ પણ જોવી પડશે અને બીજાનું સારાપણું પણ જોવું પડશે. વળી આ બધું આજે જ અને આપણે જ કરવું પડશે, કારણ કે જિંદગી તો એક જ મળી છે જે આજે જીવી રહ્યા છીએ અને તે તમારી છે. કરો અથવા ન કરો, આમાં ત્રીજો વિકલ્પ જ નથી. જો માણસાઈના પક્ષે નિર્ણય લેશો તો માર્ગ પણ એક જ છે અને તે છે સદ્સદ્ વિવેકનો. 

અને જો તમારો નિર્ણય માણસાઈને છોડીને જેવા સાથે તેવા થવાનો હોય તો ‘આજની જરૂરિયાત’ માટે ‘કોઈકે લખેલો ઇતિહાસ’ હાથવગો છે. કોઈકે લખેલો ઇતિહાસ સાચો માનીને માણસાઈને છોડવાનો નિણર્ય લેતા પહેલાં આજની જરૂરિયાત કોની છે અને કેવી છે એ સમજી લેજો. એના લાભાલાભની વાત અત્યારે બાજુએ મૂકો, પણ તમને કમ સે કમ એટલી જાણ તો હોવી જ જોઈએ કે તમે કોની અને કેવી આજની જરૂરિયાત માટે મૂલ્યવાન આયખું ખર્ચવાના છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021

Loading

25 July 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—105
વિદ્યાની અરથી ઊંચકે તેને વિદ્યાર્થી કહેવાય … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved