એકથી એક ખાસ મહેનત લઈને પસંદ કરેલા હીરાઓ છે. એમાં મનુસ્મૃતિ ઈરાની તો કોહિનૂર છે. સ્મૃતિ ઈરાનીએ દેશની બહેનોને સલાહ આપી છે કે બહેનો, આપણે ત્યાં તેત્રીસ કરોડ દેવતાઓ છે તો અયપ્પાનાં જ દર્શનનો આગ્રહ શા માટે અને દેશમાં અસંખ્ય મંદિરો છે તો સબરીમાલાનો જ આગ્રહ શા માટે? આવી સલાહ આપનાર વિદુષી છે એ તો આખું જગત જાણે છે. આટલું જ્ઞાન તેમણે ક્યાંથી સંપાદન કર્યું એ જાણવા માટે તેમની ડિગ્રી અને યુનિવર્સિટીની શોધ કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી હાથ લાગ્યાં નથી. ‘શોલે’ ફિલ્મમાં જયે વીરુના શિક્ષણ વિષે મૌસીને કહ્યું હતું એમ માલુમ પડતે હી બતા દિયા જાએગા.
સ્મૃતિ ઈરાનીએ નાગપુર જવું જોઈએ અને ત્યાં તેમનાં ગદાધારી ભાઈઓને કહેવું જોઈએ કે ‘હે ભ્રાતા! દેશમાં તેત્રીસ કરોડ દેવતાઓ છે તો રામનો જ આગ્રહ શા માટે અને અયોધ્યામાં જોઈએ એટલાં મંદિર છે, જોઈએ એટલી જમીન છે તો બાબરી મસ્જિદની જગ્યાએ જ મંદિર બાંધવાનો આગ્રહ શા માટે? ભ્રાતા, આપણે તો મહાન હિંદુ છીએ, સમજદારી આપણી પરંપરા છે, દુરાગ્રહ મ્લેચ્છોને શોભે, આપણને ન શોભે. બસ, આટલું તેઓ પોતાના ગદાધારી ભ્રાતાઓને કહી આવે. સુફિયાણી સલાહ બહેનોને આપે છે તો એક સલાહ ભાઈઓને પણ આપી આવે.
આ એવી જમાત છે જેને બોલતા પહેલાં એટલું પણ ભાન રહેતું નથી કે આપણે જે બોલી રહ્યા છીએ એનો વળતો કેવો પ્રત્યાઘાત આવશે. ન આવડત હોય તો મૂંગા રહેવું જોઈએ, પણ પાછાં એ બહેન તો દરેક જગ્યાએ બોલવા દોડી જાય છે. સ્મૃતિબહેન થોડાં લાડકાં છે એટલે જાહેરમાં દેખા દઈ શકે છે અને બોલવા દેવામાં આવે છે, બાકી બીજા કેટલાક પ્રધાનો તો કેવી રીતે દિવસ પસાર કરે છે, ભગવાન જાણે!
સબરીમાલાના મંદિરમાં પ્રવેશનો મહિલાઓ જે આગ્રહ રાખી રહી છે એ શુદ્ધ આગ્રહ છે, દુરાગ્રહ નથી અને એ ન્યાય માટેનો આગ્રહ છે. ગદાધારીઓ જે આગ્રહ રાખી રહ્યા છે એ આગ્રહ નથી દુરાગ્રહ છે અને એમાં શુદ્ધ નાગાઈ છે. નાગાઈ અને ન્યાયમાં ફરક છે. પણ આ તો વિવેકીજનોનો પ્રદેશ છે. જુનવાણી માનસ અને કોમી દ્વેષ ધરાવનારાઓ માટે આ પ્રદેશ અજાણ્યો છે. વડા પ્રધાને એ.એન.આઈ. નામની ન્યુઝ એજન્સીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ટ્રિપલ તલાક એ મુસ્લિમ મહિલાઓને મળવો જોઈતો ન્યાયનો સવાલ છે, પણ સબરીમાલા હિંદુ પરંપરાનો સવાલ છે. જો ખુલ્લી પત્રકાર પરિષદ હોત તો કોઈ મરદ પત્રકાર સવાલ પૂછત કે રીતસર છૂટાછેડા આપ્યા વિના એકપક્ષીય રીતે જશોદાબહેનને છોડી દેવા એ અંગત બાબત છે, ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને એકપક્ષીય રીતે કોઈ મુસ્લિમ પતિ પત્નીને છોડી દે તો એ મહિલાઓને મળવા જોઈતા ન્યાયની બાબત છે અને સબરીમાલામાં સ્ત્રીઓને મળવા જોઈતાં પ્રવેશની વાત આવે તો એ પરંપરા છે. આ વિસંગતિ નથી? ત્રણેયમાં અન્યાય છે અને ત્રણેયને ન્યાય મળવો જોઈએ. ભેદભાવ વિના, એક સરખો, બહાનાબાજી વિના, શુદ્ધ સમાનતાનાં મૂલ્યોથી તેમ જ કરુણાથી પ્રેરાઈને મહિલાઓને ન્યાય મળવો જોઈએ. એક મહાન હિંદુ તરીકે આ તેમની ફરજ નથી?
શું સ્મૃતિ ઈરાની એક સ્ત્રી તરીકે સ્ત્રીમાં હોવી જોઈતી સંવેદના પણ નથી ધરાવતાં? આટલી સત્તાની ગુલામી કે જુનવાણી માનસિક કાટ? કોઈ દલિત નેતા એમ કહે કે અસ્પૃશ્યતા હિંદુ પરંપરા છે માટે દલિતોએ તેને ચલાવી લેવી જોઈએ તો દલિતો એવા નેતાને ક્યારે ય માફ કરે? બોલતા પહેલાં થોડું તો વિચારો કે તમે શું બોલી રહ્યા છો? બુદ્ધિદરિદ્રતા નરેન્દ્ર મોદીની સરકારનું સ્થાયી લક્ષણ છે એટલે મુદ્દત પૂરી થવા આવી છે અને તરભાણું ખાલીનું ખાલી છે. અંગ્રેજીમાં કહેવત છે કે કોઈ માણસ કેવો છે એ જાણવું હોય તો તે કોની સાથે ઊઠે-બેસે છે એનાં પરથી ખબર પડે. અ કંપની હી કીપ્સ.
બુધવારે વહેલી સવારે બે જુવાન સ્ત્રીઓએ પાછળના રસ્તાનો ઉપયોગ કરીને પોલીસની મદદથી સબરીમાલાના મંદિરમાં પ્રવેશ કર્યો. દેખીતી રીતે કેરળની સામ્યવાદી સરકારનો તેમાં હાથ હતો. સ્ત્રીઓનો પ્રવેશ ન્યાયી છે, તેને રોકી શકાય નહીં અને એ તેનો અધિકાર છે એવો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે એટલે એ બે મહિલા સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે એમ નથી. મંદિરને ધોઈને પાછું પવિત્ર કરવામાં આવ્યું છે. એ પહેલાં મંગળવારે અંદાજે ૪૦થી ૫૦ લાખ સ્ત્રીઓએ જગતની સૌથી લાંબી ૬૨૦ કિલોમીટર લાંબી સાંકળ રચીને જુનવાણી હિંદુ પુરુષોના અને કેન્દ્ર સરકારના વલણ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે જ સાનમાં સમજી જવું જોઈતું હતું. હવે પછી આવી ઘટના બનતી જ રહેવાની, કેટલી વાર મંદિરને ધોતા રહેશો?
નાસિકના કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશના સત્યાગ્રહને સફળતા મળી. અહીં અને એ પછી સનાતની જુનવાણી હિંદુઓ પરંપરાને નામે અસ્પૃશ્યતાનો બચાવ કરતા હતા ત્યારે ડૉ. આંબેડકરે કહ્યું હતું કે તેમની પરંપરાને મૂકો પૂળો, આપણે હિંદુ જ નથી રહેવું. તેમણે ૧૯૩૭માં યેવલામાં જાહેરાત કરી હતી કે હું હિંદુ તરીકે ભલે જન્મ્યો હોઉં, પણ હિંદુ તરીકે મરીશ નહીં. જો પરંપરાવાદી સનાતની હિંદુઓએ વિવેક દાખવ્યો હોત તો દલિતોએ ધર્માંતર ન કર્યા હોત. દલિતો આક્રમક માર્ગ અપનાવીને મંદિરોમાં પ્રવેશ્યા હોત તો ગામડે ગામડે જ્ઞાતિ-વિગ્રહ થાત. આંબેડકરે એમ થવા નહોતું દીધું એ બતાવે છે કે એક દલિત સનાતની હિંદુ બ્રાહ્મણ કરતાં વધારે વિવેકી હતો. તમે શું હિંદુ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશતી રોકીને દરેક હિંદુ પરિવારમાં સ્ત્રી-પુરુષ વચ્ચે વિભાજન પેદા કરવા માગો છો? કાં તો જંગલી પુરુષ સ્ત્રી ઉપર જોહુકમી કરશે અને કાં સ્ત્રી બળવો કરશે, વિવેકપૂર્વક ચર્ચા કરીને ઉકેલ નહીં આવે.
આઘાતજનક વલણ કૉન્ગ્રેસનું છે. કૉન્ગ્રેસ પણ પરંપરાને નામે ૧૦થી ૫૦ વર્ષની વયની સ્ત્રીઓને સબરીમાલાના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરે છે. વિરોધ કરવા રસ્તા પર ઊતરનારાઓમાં કૉન્ગ્રેસીઓ પણ છે. રાહુલ ગાંધી મૂલ્યોની વાતો કરે છે તો શું સ્ત્રીઓ ન્યાયનો અધિકાર નથી ધરાવતી? સમાન ન્યાય એ શું મૂલ્ય નથી? તેઓ શું એમ માને છે કે પુરુષપ્રધાન સમાજમાં પુરુષ કહે એ મુજબ સ્ત્રી મત આપશે એટલે સ્ત્રીઓને થતા ન્યાય-અન્યાયની ચિંતા નથી? રાહુલ ગાંધી જો આંદોલનકારી કૉન્ગ્રેસીઓને વારે નહીં તો કેરળની જ નહીં, પણ દેશભરની સ્ત્રીઓએ બી.જે.પી.ની સાથે કૉન્ગ્રેસનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને તેમાં સંવેદનશીલ પુરુષોએ પણ જોડાવું જોઈએ. રાહુલ ગાંધી જો મહાત્મા ગાંધીની દુહાઈ લેતા હોય તો તેમણે સમજવું જોઈએ કે ગાંધી અને ગોળવળકર એક પંક્તિમાં ન હોઈ શકે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જાન્યુઆરી 2019