Opinion Magazine
Number of visits: 9446652
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2023

રમેશ ઓઝા

યુવાલ નોઆહ હરારીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ સાંપ્રતયુગના પહેલી હરોળના ચિંતક છે, યહૂદી છે અને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવે છે. તેમનાં માનવજાતિનાં ઇતિહાસનાં બે પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે, અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે, પણ જે વાચકો અંગ્રેજી વાંચી શકે છે તેમને ’21 Lessons for the 21st Century’ વાંચવાની ખાસ ભલામણ છે. યુવાલ હરારીએ ઇઝરાયેલમાં ચાલી રહેલા આંદોલન વિષે જે લેખ લખ્યો છે એ વિષે કેટલીક વાત કરવી છે, પણ એ પહેલાં આદોલન કોણ કરી રહ્યા છે અને તેનું કારણ શું છે એ જાણી લઈએ.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આજે જે રીતે વિશ્વના કેટલાક લોકશાહી દેશોમાં જોવા મળી રહ્યું છે એમ તાનાશાહ છે. લોકતાંત્રિક માર્ગે સત્તામાં આવ્યા પછી એ જ લોકતંત્રને ક્ષીણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૧ની સાલમાં ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતાન્યાહુને ત્યાંની લોકસભાની ચૂંટણીમાં સુજ્ઞ નાગરિકોએ અન્ય રાજકીય પક્ષોએ મળીને મોરચો રચીને પરાજીત કર્યા હતા. અલબત્ત તેમનો લીકુડ પક્ષ પ્રતિનિધિગૃહમાં સૌથી મોટો પક્ષ તો હતો જ, કારણ કે આપણી જેમ ઝનૂની યહૂદીઓનો એક મોટો વર્ગ ઇઝરાયેલમાં છે જેને મુસલમાનોને હેરાન થતાં જોઇને પરપીડનનું સુખ મળે છે. નાગરિક સમાજે આગળ આવીને અમેરિકામાં ટ્રમ્પને અને બ્રાઝીલમાં જેર બોલસાનારોને હરાવ્યા હતા. તુર્કીમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ઓર્દેગોનને પરાજીત કરવામાં સફળતા મળી નહોતી. ઇઝરાયેલમાં અન્ય પક્ષો સરકાર ચલાવી શક્યા નહીં અને ૨૦૨૨માં ફરી ચૂંટણી યોજવી પડી જેમાં નેતાન્યાહુના પક્ષને જેમ તેમ સરકાર રચી શકાય એટલી બેઠકો તો મળી પણ બહુમતી નહીં મળી.

બેન્જામીન નેતાન્યાહુને કોઈ સવાલ કરે એ ગમતું નથી. તેને નૈતિકતાની તેમ જ લોકતાંત્રિક મર્યાદાઓ માફક આવતી નથી. તેને જિંદગીભર સત્તા છોડવી નથી અને એમાં બહુમતી મળી નહીં. તેમણે ઇતામાર બેન-ગ્વિર નામના ગામના ઉતાર જેવા માણસના પક્ષનો ટેકો મેળવ્યો અને તેને ગૃહ પ્રધાન બનાવ્યો. આ માણસ કાનમાંથી કીડા ખરે એવી ગંદી ભાષામાં મુસલમાનો અને ઉદારમતવાદી યહૂદીઓ વિષે બોલે છે. પણ આપણે ત્યાં અને જગતના બીજા દેશોમાં જોવા મળી રહ્યું એમ તેનાં પણ સમર્થકો છે જેને ગંદકી અને અસંસ્કાર જોઇને અકળામણ નથી થતી. બેન-ગ્વીર એક કરતાં વધુ વખત જેલમાં જઈ આવ્યો છે અને તેને નેતાન્યાહુએ ઇઝરાયેલનો ગૃહ પ્રધાન બનાવ્યો. ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતમાં પીટીશન કરવામાં આવી અને ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે બેન-ગ્વિરની પ્રધાન તરીકેની નિમણૂકને ગેર બંધારણીય ઠરાવી.

હવે? લોકશાહી દ્વારા સત્તા સુધી પહોંચેલા તાનાશાહ સર્વોચ્ચ અદાલતની સ્વતંત્રતા અને બંધારણનિષ્ઠા જોઇને લાલચોળ થઈ ગયા. તેમણે બેન-ગ્વિરને કહ્યું કે થોડો સમય રાહ જો હું સર્વોચ્ચ અદાલતને ઠીક કરું છું અને તને પાછો પ્રધાન બનાવું છું. આ બાજુ બેન-ગ્વિર છાતી ઉપર બેઠો છે અને કહે છે કે કાં પ્રધાન બનાવ અથવા તું પણ મારી માફક ઘરે બેસ.

બેન્જામીન નેતાન્યાહુએ ગયા માર્ચ મહિનામાં સર્વોચ્ચ અદાલતની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો અને ઇઝરાયેલમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. ઇઝરાયેલમાં સતત બાવીસ અઠવાડિયાંથી આંદોલન ચાલી રહ્યું છે અને થમવાનું નામ નથી લેતું. મને ખાતરી છે મોટાભાગના વાચકો આ વિષે ખાસ કાંઈ નહીં જાણતા હોય. એનું કારણ એ છે કે ગોદી મીડિયા તમને એ જ બતાવે છે જે બતાવવાનું કહેવામાં આવે છે. ઘેટાંને તેનો માલિક જે ચારો આપે એ ઘેટાં ચરે છે.

યુવાલ હરારી

હવે હરારી શું કહે છે એ જોઈએ : “ઇઝરાયેલ માટે ગર્વ ધરાવનારો હું નાગરિક છું, પણ અત્યારે ચિંતિત છું કે મારા દેશની સરકાર મારા દેશમાં તાનાશાહી લાદવા માગે છે. ઇતિહાસમાં એવા ઘણા તાનાશાહો આવ્યા છે જેમણે બંદૂકથી સત્તા કબજે નથી કરી, પણ લોકશાહી માર્ગે કરી છે.  તેમની એ રમત સમજવામાં વાર લાગે છે અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે. ન્યાયતંત્ર ઉપરાંત ફેડરલ સ્ટ્રકચર, અલગ અલગ સ્તરે અનેક પ્રતિનિધિગૃહો વગેરે અમેરિકામાં સત્તાધીશોને નિયંત્રણમાં રાખે છે. પણ ઇઝરાયેલ પાસે તો સર્વોચ્ચ અદાલત સિવાય નિયંત્રણ કરનારી કોઈ વ્યવસ્થા નથી. જો સર્વોચ્ચ અદાલતને પાંગળી કરી નાખવામાં આવશે તો સત્તાધીશો મનમાની કરી શકશે. એ પછી ચૂંટણી યોજાશે, પણ રશિયામાં યોજાય છે એવી નામ પૂરતી.”

તેમણે અમેરિકાને અને જગત આખાના અનિવાસી યહૂદીઓને આગળ આવીને ઇઝરાયેલના લોકતંત્રને બચાવી લેવા અપીલ કરી છે. દેખીતી રીતે નેતાન્યાહુના ભક્તો તેમને દેશદ્રોહી તરીકે ઓળખાવશે.

હરારી બહુ મોટા વિચારક છે. પણ તેમણે જે દલીલો કરી છે એમાં તેમણે એક મહત્ત્વની તાકાતનો ઉલ્લેખ કર્યો નથી. લોકશાહી બચાવનારું અને શાસન-વ્યવસ્થામાં સંતુલન જાળવનારુ એક અત્યંત મહત્ત્વનું પરીબળ છે વિવિધતા. બહુ ગણતરીપૂર્વક મુસલમાનોને યહૂદી શાસકોએ ઇઝરાયેલ બહાર અથવા પાડોશી મુસ્લિમ દેશોને લાગીને આવેલી સરહદે ધકેલવામાં આવ્યા છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇન નામના મુસ્લિમ બહુમતી દેશમાં ધરાર વસાવવામાં આવેલું યહૂદી રાષ્ટ્ર છે. મુસલમાનોએ દેખીતી રીતે તેનો વિરોધ કર્યો હતો એટલે ઇઝરાયેલી શાસકોએ ઇઝરાયેલના અસ્તિત્વને નામે અત્યાચારો કર્યા હતા અને હજુ કરી રહ્યા છે. ઇઝરાયેલના હરારીઓએ ત્યારે મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયનો વિરોધ નહોતો કર્યો. તેમને મૂળસોતાં ઊખેડી નંખાયાં ત્યારે ચૂપ રહ્યા હતા. જો ઇઝરાયેલમાં મુસલમાનોને નાગરિક અધિકારો સાથે નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો હોત તો નેતાન્યાહુ તાનાશાહ ન થઈ શક્યો હોત. એક જ કોમવિશેષમાંથી ચૂંટણી જીતી શકાય એટલા ઝનૂનીઓને રાજકીય રીતે એકઠા કરવા એ સહેલું કામ છે. અનેકવિધ કોમમાં એ મુશ્કેલ બને છે.

પાકિસ્તાને પણ આ જ માર્ગ અપનાવ્યો હતો અને પરિણામ આપણી નજર સામે છે. પાકિસ્તાનમાંથી હિંદુઓને હેરાન કરીને તગેડવામાં આવતા હતા ત્યારે પાકિસ્તાનના હરારીઓ મૂંગા રહ્યા હતા. આવું જ બંગલાદેશમાં અને જગતનાં બીજા દેશોમાં બન્યું હતું અને અપવાદ વિના દરેક દેશો બરબાદ થઈ ગયા છે. ઇઝરાયેલ પણ એક તાનાશાહના કારણે બરબાદીના માર્ગે જઈ રહ્યું છે એ જોઇને હરારી દુઃખી છે. ઇઝરાયેલમાં અત્યાર સુધી એક વણલખી સમજણ રહી છે. અસ્તિત્વના નામે મુસલમાનોને હેરાન કરીને તગેડવામાં આવે. તેમને નાગરિક અધિકારો આપવા એ તો બહુ દૂરની વાત થઈ. પણ યહૂદીઓને ભેદભાવ વિના નાગરિક અધિકારો આપવામાં આવે, લોકતંત્રને સુરક્ષિત રાખવામાં આવે, ઉદારમતનો આદર કરવામાં આવે, જાહેરજીવનમાં ધર્મને વચ્ચે લાવવામાં ન આવે, વગેરે. અત્યાર સુધી આ માર્ગ અપનાવવામાં આવતો હતો અને હરારી જેવા સેક્યુલર ઉદારમતવાદીઓને તેની સામે વાંધી નહોતો. રાજ્ય ભલે પક્ષપાતી હોય પણ યહૂદીઓને તો સ્વતંત્રતા મળે છે ને?

નેતાન્યાહુએ વણલખી પરંપરાને તોડી છે. સત્તાભૂખ્યા તાનાશાહે ઉદારમતવાદી સેક્યુલર યહૂદીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું. માટે હરારીઓ ડરી ગયા છે, પણ આવું તો એક દિવસ બનવાનું જ હતું. બાવળની વાવણી કરો તો વહેલા કે મોડા કાંટા તો ઊગવાના જ. જો ઉદારમતવાદી યહૂદીઓ ત્યારે મુસલમાનોના પડખે ઊભા રહ્યા હોત તો ઇઝરાયેલમાં લોકતાંત્રિક રાજકીય સંતુલન જળવાઈ રહ્યું હોત અને નેતાન્યાહુને પેદા થતો રોકી શકાયો હોત. જો પાકિસ્તાનના ઉદારમતવાદી મુસલમાનો હિંદુઓના પડખે ઊભા રહ્યા હોત તો પાકિસ્તાનની દુર્દશા ન થઈ હોત.

અહીં બે અભિપ્રાય ટાંકવા જરૂરી લાગે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાયેલની સ્થાપના કરવાની વાત આવી ત્યારે તેમાં ગાંધીજીનો ટેકો માગવામાં આવ્યો હતો. ગાંધીજીએ ઇઝરાયેલની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યહૂદીઓ ઈચ્છે ત્યારે જેરુસલેમ જઈ શકે છે અને જો કોઈને ત્યાં સ્થાયી થવું હોય તો થઈ શકે એવી માગણી પેલેસ્ટાઇનના શાસકો પાસે કરવી જોઈએ. એક કોમ માટે અલાયદો દેશ સ્થાપવાની શી જરૂર છે! અને જો દેશ વસાવવો જ હોય તો તે પેલેસ્ટાઇનના મુસલમાનોનાં દિલ જીતીને વસાવવો જોઈએ. છાતી પર ચડીને નહીં અને જો મુસલમાનોની છાતી પર ચડીને યહૂદીઓ દેશ વસાવશે તો યહૂદીઓ ક્યારે ય સુખેથી નહીં જીવી શકે. આજે પરિણામ જુઓ. એક યહૂદી તાનાશાહ યહૂદીઓનું જ સુખ છીનવી રહ્યો છે. અનીતિનાં પરિણામ આવાં જ હોવાનાં.

બીજો અભિપ્રાય વિશ્વપ્રસિદ્ધ વિચારક અને પૌર્વાત્યવાદની સ્થાપના કરનારા એડવર્ડ સઈદ(કે સિદ)નો છે. તેમણે કહ્યું હતું કે આરબ એક જાતિવાચક શબ્દ છે, ધર્મવાચક નથી. આજે લોકો આરબ એટલે મુસલમાન એવી જે સમજણ ધરાવે છે એ ખોટી છે. એક જમાનામાં આરબ દેશોમાં ત્રણેય ધર્મના (મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ) લોકો રહેતા હતા અને પોતાને આરબ તરીકે ઓળખાવતા હતા. જો ઇઝરાયેલના યહૂદીઓ આરબ તરીકેની વ્યાપક ઓળખ અપનાવે તો ઇઝરાયેલના આરબ યહૂદીઓ આરબ મુસલમાનો સાથે સુખેથી જીવી શકે. સહઅસ્તિત્વ માટે ધાર્મિક ઓળખ અપનાવવા કરતાં પ્રાદેશિક જાતિય ઓળખ વધારે ઉપયોગી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023

Loading

23 July 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—206
ભારતમાં ગઠબંધનનો ઇતિહાસઃ આંકડાના ખેલ સાચવવામાં એક થતા વિરોધપક્ષો હંમેશાં સ્થિરતા નથી લાવી શકતા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved