ભારતીય લોકશાહી માટે સાંસ્કૃતિક મર્યાદાઓ : ભીખુભાઈ પારેખ
આયોજક – પ્રકાશક : સમાજ વિજ્ઞાન ભવન, સુરત : ૨૦૧૯
લોર્ડ ભીખુ પારેખનું આ વ્યાખ્યાન પુસ્તિકારૂપે મળ્યું અને ઉત્સુક થઈને વાંચ્યું પણ ખરું. ભીખુભાઈએ આત્મિયતાપૂર્વક આઈ.પી. દેસાઈ, ઘનશ્યામભાઈ અને પ્રવીણભાઈ સાથેના હૂંફાળા સંબંધોના ઉલ્લેખ સાથે પ્રવચનની શરૂઆત કરી એટલે એને અંગત સ્પર્શ મળ્યો. આવી અનૌપચારિક શરૂઆત ગમે કારણ કે તેનાથી વાતાવરણમાં વિદ્વત્તા અને ગંભીર ચર્ચાનો ભાર થોડો ઓછો થઈ જાય. વિષય તો ભારેખમ ખરો એટલે મને એમાં ઊંડા ઊતરવા માટે અવઢવ હતી. આજકાલ સામ્પ્રત અને આગળપાછળના સમયને અનુલક્ષીને પણ લોકશાહી માટે ખતરો હતો અને છે એવું સાંભળવાં મળે છે, એટલે અણસાર તો આવે કે કઈ મર્યાદા વિશે વાત થઈ હશે. જો કે અહીં ખૂબ તટસ્થતાપૂર્વક જનમાનસનો ઉલ્લેખ થયો છે. એમના વ્યાખ્યાનના અગત્યના મુદ્દાઓને સમાજવિજ્ઞાની ભાઈ કિરણે સંક્ષિપ્તમાં પોતાની પ્રસ્તાવનામાં પણ વણી લીધા છે. પૂરું વ્યાખ્યાન સમજવાનું એ પ્રસ્તાવના વાંચ્યા પછી સરળ થઈ જાય છે.
ભીખુભાઈએ લોકશાહી અને પ્રજાસત્તાક એટલે કે Democracy અને Republic શબ્દોનાં ગહન વિચારની વ્યાખ્યા સમેત ઘૂંટીને વાત કરી છે. લોકશાહીનું ઘડતર કોઈપણ પ્રજાની આર્થિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક સમજ કે પરંપરાથી આકાર લે છે. ભારતીય જનમાનસનું વૈચારિક ઘડતર અને સંસ્થાકરણનો લોકશાહી સાથે સંબંધ રહ્યો છે. દેશવિદેશની એ વિષયક વિભાવના અને એમના જનમાનસના ઉલ્લેખ સાથે એમણે ભારતીય વિભાવના અને માનસને પણ સ્પષ્ટ કરી આપ્યું છે. જો કે એમણે આઝાદી પશ્ચાત્ મુખરિત જનમાનસ પર પ્રકાશ પાડ્યો કે આપણા પૂર્વસૂરિ બંધારણકર્તાઓ ખાસ કરીને બાબાસાહેબ આંબેડકરજી, જવાહરલાલ નહેરુજીએ ક્રાન્તિકારી, સમાજવાદી, આર્થિક – સામાજિક- સાંસ્કૃતિક સમાનતાવાદી લોકશાહીનું ગઠન વિચારેલું જેને વિસરી જવાયું છે. લોકશાહીને રાજ્ય, ચૂંટણી, લોકસત્તા સાથે જોડીને રાજતંત્ર, નેતાગીરી સમેત પ્રજામાનસના વિચારવર્તન માટે એમણે ઉદાહરણો સમેત ચર્ચા કરી છે. દુનિયાની લોકશાહીઓ, એનાં શાસકો, પ્રજાની સમજની ભારતીયો અને એમની સમજ સાથે તુલના પણ કરી છે.
બ્રિટન કે ભારતની લઢણ કે સમજ અલગ છે તો પણ બન્નેને લોકતંત્ર કે લોકશાહી સાથે સંબંધ છે અને તે કેવો છે એનું સરળ સમજી શકાય તેવું વિવરણ એમણે કર્યું છે. ચૂંટણીની નિર્ણાયક પ્રક્રિયા માટે એમનું નિરીક્ષણ એવું રહ્યું કે એ રાજકીય કરતાં સામાજિક અને સાંસ્કૃતિક રીતે વ્યક્તિગત સમાનતાને વધારે પ્રતિષ્ઠિત કરે છે. એમણે મતદાન, ગોદાન અને સંપત્તિદાનના સમાન ગૌરવ વિશે વિવરણ કર્યું છે. સારું થયું કે સાથે એમણે કન્યાદાન શબ્દપ્રયોગ ન કર્યો! જો કે તટસ્થ ચિંતક તરીકે તેઓ ન જ કરે તે સમજાય એવું છે.
કૌટુંબિક પરિચયાત્મકતાના ભાવનાશીલ વલણ વિશે ખાસ્સી વાત કરી એમણે ગાંધી – નહેરુના દાખલા આપી વર્તમાન સંસદમાં પણ પારિવારિક વારસાઈ જેવો જે ઘાટ દેખાયો છે તેની આંકડાકીય વિગતો સાથે ચર્ચા કરી છે. ગાંધીજીએ નહેરુજીને પોતાના વારસદાર કહેલા તેનું હાર્દ પકડીને એમણે લોકમાનસ કેવી રીતે ઘડાયું તે મુદ્દાને પણ છેડ્યો છે. પરિવારવાદ અને જાતિવાદે આપણાં દેશમાં ખાનગી અને જાહેરક્ષેત્રે કેવું જડબેસલાક માનસઘડતર કર્યું છે તે વિશે એમણે તાર સ્વરે એની મર્યાદાઓ પર નુકતેચીની કરી છે. વ્યક્તિગત સત્તાશીલ માનસિકતાએ બન્ને સંસ્થાને કેવી રીતે ગ્રસ્ત કરી છે તેની મર્યાદા પણ બતાવી દીધી છે.
સત્તા પર આવ્યા એટલે કાયદાથી પર અને તે સર્વજ્ઞ એવા વલણને પણ એમણે સુપેરે નોંધ્યું છે. ગરીબી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની પ્રાથમિક બાબતોને કેન્દ્રિત કરી એમણે સ્પષ્ટપણે દુનિયાના દેશોની સરખામણીએ આપણું ક્યું, કેવું અને કેટલું નિમ્ન સ્થાન છે તે બતાવ્યું છે. આપણાં વડાપ્રધાનોએ અગત્યના મુદ્દાને બદલે દેશ આઝાદ થયો પછી હજી તે જ વાતનું રટણ કરવું પડે છે તે વિશે એમણે ખાસ્સી છણાવટ કરી છે. નહેરુજી, ઇંદિરાજી અને મોદીજીના ઉલ્લેખ સાથે ચર્ચા કરવાનો એમનો ઉદ્દેશ એમની સરખામણી કરતાં વધારે વાસ્તવિક સત્યદર્શન કરાવવાનો રહ્યો છે. એમણે ભારતીય પરંપરાની સંવાદ, મતમતાંતરની સહિષ્ણુતા અને અંતિમવાદી વલણો અને વિચાર માટે નિસ્પૃહ વલણ જેવી ગુણાનુરાગી તાકાતના કારણે લોકશાહીએ મૂળિયાં સમેત કેવું કાઠું કાઢ્યું તેની સાથે ઊંચનીચ, જાતિવાદ, પરિવારવાદ, ગરીબી માટે ઉદાસીનતા, અસહિષ્ણુત્માક સહનશીલતા, માનવીય મૂલ્યોના જતન માટે ઈન્કાર અને નબળું જાહેર ઉત્તરદાયિત્વ જેવી મર્યાદા પર પણ ખાસ ભાર મૂકીને ચર્ચા કરી છે. આ મર્યાદાએ જનગણને સામૂહિક ગઠબંધનમાં રાખીને એમને સ્વાતંત્ર્ય અને સમાનતાના લક્ષ્ય માટે રોકી રાખ્યા છે એ હકીકત પર પણ ધ્યાન દોર્યું છે. જો ભારતને શાંતિપ્રિય, માનવીય સમાજનો આદર્શ સિદ્ધ કરવો હોય તો તેના સાંસ્કૃતિક પાસા માટે કોઈ નિર્ણાયક મંતવ્ય આપી શકે તેવા તટસ્થ ઉદ્દામ ટીકાકારની તાતી જરૂર છે એમ કહી સમાપન કર્યું છે.
આપણી લોકશાહીને એના વિવિધ પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે આ વ્યાખ્યાન ખાસ્સી પીઠિકા પૂરી પાડે છે. છતાં રહી રહીને મારા મનમાં આવ્યા કરે છે તે એ કે વખત વખતે એક જ વાત દ્રશ્યાંકિત થતી હોય તેવું ચિત્ર કેમ ઉપસે છે કે જાણે કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ! મને એવી અપેક્ષા હતી કે ભીખુભાઈ લોકશાહી મૂલ્યોનાં જતન માટે અને પોતે બંધારણીય આચારસંહિતા જેવી સાંસ્કૃતિક વિભાવનાના આધાર સાથે માનવ અધિકાર અને કારણો સંગ પોતાને પ્રજાસત્તાક વ્યક્તિ માનનાર ટોમ પેઈન્સથી છેક ૧૮૭૦થી પ્રભાવિત જ્યોતિરાવ ફૂલેની પરિપાટી સાથે જે ચર્ચાનો ઉઘાડ કર્યો હતો તે સંદર્ભે વિશાળ જનમાનસના પટ પર પ્રભાવ પાડી શકે તેવા અસરકારક ઉપાયો બતાવશે. જો કે એમણે જે સમાલોચકની વાત કરી છે તેવી કોઈ વ્યક્તિ ઊભરી આવે અને માર્ગદર્શક બને એવું પણ એમના મનમાં હોય પરંતુ તેઓ કે એમની સાથે જે અન્ય ભારતીય લોર્ડ્સ છે તેઓ જ કેમ એ ભૂમિકા ન ભજવે?
હવે બીજો વિચાર એ ય આવ્યો કે સેન્ટર દ્વારા આઈ.પી. દેસાઈની સ્મૃતિમાં આ પચીસમું વ્યાખ્યાન હતું તો સેન્ટરે એની અસરકારકતા વિશે મૂલ્યાંકન કરવું રહ્યું. વધારે ને વધારે લોકો સુધી એની પહોંચ વધે અને એનું મહત્ત્વ સમજાય, સંબંધિત સમૂહથી લઈ સરકારી સ્તરે પણ એ ચર્ચાઓની નોંધ લઈ નીતિવિષયક સકારાત્મક ઉપયોગ થાય તેવા નક્કર પ્રયાસો પણ જરૂરી છે.
વગર માંગેલી સલાહ આપવા સાથે મને યોગ્ય લાગ્યું કે આ વ્યાખ્યાન વિષયક પુસ્તિકાની નોંધ લઈ એનો પ્રસાર કરવો જોઈએ, એટલે મેં એમ કર્યું ને મિત્રો/ મિત્રાઓ સાથે એ વાત આમ વહેંચી.
વલસાડ, ૮/૭/૨૦૧૯