ભારતના અગ્રણી લેખક અરુણ શૌરીએ સૌથી મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું છે. તેમનું પુસ્તક ‘The New Icon : Savarkar And The Facts – ધ ન્યૂ આઇકોન : સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’,નું વિમોચન 30 જાન્યુઆરી 2025ના રોજ થવાનું હતું, પણ તે એક દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું.
સાવરકરના ચાહકો પહેલેથી જ નારાજ છે. મહાત્મા ગાંધીની હત્યા, સાવરકરની વિચારધારાના મૂળ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. ટ્રાયલ કોર્ટમાં સાવરકરે અનેક દાવા કર્યા હતા કે ‘મારે નાથુરામ ગોડસેના ગુના સાથે કોઈ લેવાદેવા નથી !’
શૌરી પોતે ભા.જ.પ. અને RSSના આજીવન વિરોધી રહ્યા નથી. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી (1998-2004) હતા.
હિંદુ સમાજમાં અસ્પૃશ્યતા સામેના જુસ્સાદાર અભિયાન માટે તેઓ સાવરકરને યોગ્ય શ્રેય આપે છે. ગૌરક્ષા અંગે સાવરકરના સાહસિક અને બિનપરંપરાગત વિચારોને વિગતવાર દર્શાવવામાં આવ્યા છે. 1909માં પ્રકાશિત થયેલ સાવરકરનું પુસ્તક ‘ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ 1857’, હિંદુ-મુસ્લિમ એકતાની ભાવનાનું સમર્થન કરે છે. જેણે તે સમયે બ્રિટિશ શાસન સામે ભારતીયોના સામાન્ય સંઘર્ષને પ્રેરણા આપી હતી.
પરંતુ આ એવા કારણો નથી કે જેના કારણે સાવરકર (1883-1966) હિંદુ દક્ષિણપંથીના ‘નવા પ્રતીક’ બની જાય. વાસ્તવમાં, તેમના ચાહકો 1857માં ગાય અને હિંદુ-મુસ્લિમ એકતા અંગેના તેમના વિચારોને આજે છૂપાવવા માંગે છે. 2014 પછી સાવરકરને સૌથી મોટા હિંદુ હીરો એટલે બનાવ્યા કે તે ‘નવા ભા.જ.પ.’ના સમર્થનને મજબૂત કરવા અને તેને સત્તામાં રાખવા માટે મુસ્લિમ વિરોધી નફરત / ધૃણા / દ્વેષને વૈચારિક અને પ્રેરણાત્મક બળતણ પૂરું પાડે છે. આ આધાર દેશભક્તિને આક્રમક હિંદુ સર્વોપરિતાવાદ સાથે સરખાવે છે જેની હિમાયત સાવરકરે આંદામાનની સેલ્યુલર જેલમાંથી (1911-21) છૂટ્યા પછી કરી હતી. RSSના સ્થાપક હેડગેવાર અથવા તેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા ગોલવલકર કરતાં પણ સાવરકર હિંદુ રાષ્ટ્રવાદના ધ્રુવીકરણ માટે વધુ ઉશ્કેરણીજનક સમર્થન પૂરું પાડે છે.
આ પુસ્તકમાં, શૌરી એક નીડર મૂર્તિભંજક છે. ‘સાવરકર ભારતના સ્વાતંત્ર્ય ચળવળના મહાન ક્રાંતિકારી નેતા હતા’ આ વ્યાપક પ્રચલિત માન્યતાને તેઓ ખોટી સાબિત કરે છે. તેમની 9 દયા અરજીઓનું પૃથ્થકરણ કર્યા પછી, જેમાં સાવરકરે જેલમાંથી મુક્ત થવા પર અંગ્રેજો પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું, શૌરી નિર્ણાયક રીતે બતાવે છે કે કેવી રીતે સાવરકરે, 1921થી 1947 સુધી, ‘તેમણે જે કરવાનું વચન આપ્યું હતું તે કર્યું’ એટલે કે અંગ્રેજોની સેવા-ચાકરી કરી. તેણે આ બે રીતે કર્યું : એવા સમયે જ્યારે શક્તિશાળી સંસ્થાનવાદી સામ્રાજ્યને હરાવવા માટે સૌથી વ્યાપક અને મજબૂત રાષ્ટ્રીય એકતાની જરૂર હતી, ત્યારે તેમણે સ્વતંત્રતા ચળવળને સામાજિક અને રાજકીય રીતે વિભાજિત કરવામાં ફાળો આપ્યો. અંગ્રેજો નહીં પણ મુસલમાનોને અસલી દુ:શ્મન તરીકે રજૂ કરીને સામાજિક એકતા ખંડિત કરી. તેમણે ભારત છોડો આંદોલનની આલોચના કરી. સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત, તેમણે અંગ્રેજોને ટેકો આપ્યો. અલબત્ત, આ રમતમાં સાવરકરની હિન્દુ મહાસભા એકલી નહોતી. મુહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગે આખરે ભારતના વિભાજનમાં વધુ મજબૂત અને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જે અંગ્રેજોનું વ્યૂહાત્મક લક્ષ્ય હતું. પરંતુ મુસ્લિમ લીગની જેમ, સાવરકરનો પણ પોતાનો ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’ હતો, જે અંગ્રેજો માટે ખૂબ અનુકૂળ હતો. ઝીણા એ જ સિદ્ધાંત પર આગળ વધ્યા હતા પણ તે પહેલા સાવરકરે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજનને આગળ ધપાવવાનું શરૂ કરી દીધું હતું.
મુસોલિની અને હિટલરના પ્રશંસક સાવરકર લોકશાહીના વિરોધી હતા અને એક માણસની સરકારની હિમાયત કરતા હતા. ‘ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ’માં, તેમણે કહ્યું હતું કે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ક્યારે ય અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતા નહીં. તેથી તેમણે હિંસાનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. સાવરકરે મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ઉદારતા દર્શાવવા માટે શિવાજીની આલોચના કરી હતી.
શૌરી સાવરકર દ્વારા પ્રચારિત નફરતના કેટલાક પરિણામોની યાદી આપે છે : ટ્રક ડ્રાઈવરને બહાર ખેંચીને મારી નાખવો; એક લાચાર, ગરીબ બંગડી વેચનારની ટોપલી ઉથલાવી તેને માર મારવો; શાળાની છોકરીઓને ડરાવવી; ‘લવ-જેહાદ’ના નામે યુગલોને મારઝૂડ કરવી; મુસ્લિમોની દુકાનોનો બહિષ્કાર કરવા એલાન કરવા; ઘરોને બુલડોઝ કરવા …
આ જોખમી પુસ્તક લખવા માટે શૌરી કેમ મજબૂર બન્યા? પુસ્તકનું છેલ્લું પાનું જવાબ આપે છે. ભારત હાલમાં હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચેના સંઘર્ષમાં ફસાયેલ છે. હિંદુધર્મ અલગ છે અને હિંદુત્વ અલગ છે. હિંદુત્વ એ રાજ્યને કબજે કરવાનો, વર્ચસ્વ જમાવવાનો, જાળવી રાખવાનો, પ્રોજેક્ટ છે. હિન્દુધર્મ માટે સત્યનું પાલન, નમ્રતા, સેવા, નૈતિક આચરણ જરૂરી છે. તેનાથી વિપરિત, હિંદુત્વ એવી ચીસો પાડે છે કે આપણે દરેક રીતે રાજ્ય પર કબજો જમાવો / આપણે સમાજને દરેક રીતે વશ કરો / જૂઠ અને બળ, ધમકીઓ અને ક્રૂરતા, છેતરપિંડી અને લાંચનો ઉપયોગ કરો ! જ્યારે કોઈ ધર્મને રાજ્ય અને તેના હેતુઓ માટે બળજબરીથી એક સાધન બનાવવામાં આવે છે, ત્યારે તે તેને ગળી જાય છે. એટલે શૌરી ભાવુકતાપૂર્વક કહે છે : ‘હિન્દુધર્મને હિન્દુત્વથી બચાવો !
[સૌજન્ય : સુધીન્દ્ર કુલકર્ણી, 30 જાન્યુઆરી, 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર