(બે કાલ્પનિક પાત્રો – ભરત અને શરદ વચ્ચે સંવાદ)
ભરત : ગાંધીજી ખરેખર મહાત્મા હતા?
શરદ : કેમ, એમાં કઇં શંકા છે તમને?
ભરત : હા વળી જુઓને, વિષ્ણુના દસ અવતારો તો પૂરા થઇ ગયા, તો શું આ ગાંધી અગિયારમો અવતાર લઈને આવ્યા છે? નથી એ જીસસ, બુદ્ધ, મોહમ્મદ, ગુરુ નાનક કે મહાવીર જેવા કોઈ ધર્મના સ્થાપક, નથી કોઈ સંત મહાત્મા, જેણે હેમાળો ગાળ્યો હોય. ક્યાં કોઈ રામકૃષ્ણ પરમહંસ કે સાંઈબાબા જેવા ચમત્કારો કરીને કોઈને સાજા કર્યા કે સેંકડોની મનોકામનાઓ પૂરી કરી એમણે? છેવટ એલેક્ઝાન્ડર, રામ કે અશોક જેવા સમ્રાટ બનીને મોટું રાજ્ય ઊભું કર્યું હોત તો હજુ ય સમજાય કે લોકો એની જય બોલાવે. નવા જમાનાની વાત કરો તો નવો મુલક શોધે કે નવી ઉપચાર પદ્ધતિ ખોળી કાઢે તેને માન-અકરામથી દુનિયા નવાજે. ગાંધીએ તો એવું ય કંઈ કર્યાનું સાંભળ્યું – જાણ્યું નથી. ભાઈ, મને તો ખરેખર વિચાર આવે કે એમને મહાત્મા માનવાની આપણી ભૂલ તો નથી થઈ ગઈ ને?
શરદ : અરે દોસ્ત, આ છેલ્લા એક વર્ષથી તમે શું જોતા અને સાંભળતા આવ્યા છો, મારા ભાઈ? ઠેક્ઠેકાણે ગાંધીનાં બાવલાં પર તેમના ચેલા હોવાનો દાવો કરનારાઓ અને રાજકારણમાં કોઈ પણ રીતે અડ્ડો જમાવી બેઠેલાઓએ ફૂલના હાર અને ક્યાંકથી ખરીદેલી સૂતરની આંટીઓ પહેરાવી તે જોઈ નથી? એમ તો ‘મહાત્મા ગાંધી કી જય’ના નારા પણ જોરશોરથી બોલાતા સાંભળ્યા જ હશે ને? તો ય હજુ ખાતરી ન થતી હોય તો શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ નાટકો ભજવ્યાં, ગીતો ગાઈને યાદ કર્યા એ તો છાપાંઓમાં વાંચ્યું જ હશે, અને તો ય ગાંધી મહાત્મા હતા એમ તમે ન સ્વીકારો તે હું ના માનું. અમને તો ઑલ ઇન્ડિયા રેડિયો પર લગભગ ચોંત્રીસ જેટલા દેશોમાં સ્થાનિક ગાયકોએ ગાયેલા ‘વૈષ્ણવજન તો તેને રે। …’ એ ભજન સાંભવામાં જલસો પડી ગયો. શું એ દેશોની કુદરતી શોભા, ગાનારના પોષાકો અને તેમના ઉચ્ચારો અને જાણે નરસિંહ મહેતાના એ ભજનનો એકેએક શબ્દનો અર્થ સમજતા હોય તેવા મુખના હાવભાવ હતા! કેવું પડે હો ભાઈ, એમાં ભારતની એલચી કચેરીના કર્મચારીઓએ અલ્જીરિયા, કામરૂન, કિર્ગીસ્તાનથી માંડીને લાઓસ અને રોમેનિયા જેવા દેશોના સાથ સહકારથી સુંદર દ્રશ્ય-શ્રાવ્ય રચના કરી છે.
ભરત : એ બધું તો સમજ્યા, પણ ગાંધીએ જિંદગી આખી એવું તે શું લખ્યું અને ઉપદેશ આપ્યા તે આજે દોઢ સદી વીતી ગઈ તો ય લોક એની માળા જપવાનું છોડતા નથી? ઠીક છે, ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતીઓ અને બહુ બહુ તો ભારતના લાગતા વળગતા લોકો એને લાજે શરમે પણ માન દે તે સમજાય, કેમ કે આઝાદી અપાવવામાં એમનો આગળ પડતો ભાગ હતો, પણ આ તો દુનિયા આખી જાણે સાગમટે એને સાંભરતી આવે છે તે શું કરવા, ભાઈ? સાંભળ્યું છે કે વિશ્વની આ એક માત્ર એવી વ્યક્તિ છે, જેના પર દુનિયા ભરના દેશોએ ટિકિટો અને અને અન્ય પોસ્ટલ સામગ્રીઓ બહાર પાડી હોય. સૌથી પહેલાં પોલેન્ડ દેશે એમના નામથી પોસ્ટકાર્ડ બહાર પાડ્યું, તો રોમેનિયાએ (મેં તો એનું નામે ય ન્હોતું જાણ્યું કોઈ દી’) પહેલું પરબીડિયું બહાર પાડ્યું. મ્યાનમાર અને ઝેકોસ્લોવેકિયાને ગાંધી સાથે શી લેવા-દેવા, તો ય એ દેશોએ પહેલો પોસ્ટ માર્ક ગાંધીના નામનો બનાવેલો. યુ.એન.ઓ. એટલે યુનાઇટેડ નેશન્સ જ ને? એણે તો હદ કરી. ગાંધીની જન્મ તારીખને ‘અહિંસા દિન’ તરીકે જાહેર કરી દીધો અને હવે દર વરસે તે દિવસ એના કામની અને દુનિયા પરની અસરોની વાતો કર્યા કરે છે. બ્રિટન જાણે પાછળ રહી ગયું હોય તેમ તાજેતરમાં તેના ચાન્સેલર ઓફ એક્સચેકર સાજીદ જાવેદે ગાંધીના નામનો સિક્કો બહાર પાડવાની ઘોષણા કરી દીધી. પોતે મૂળ પાકિસ્તાનના છે તો ય! મારું તો માથું ભમી ગયું છે. સમજાતું નથી કે ને મુઠ્ઠી હાડકાનો માણસ એવું તે શું જાદુ કરી ગયો કે ભુલ્યો ભુલાતો નથી? તમે કાઇંક સમજાવો તો થાય.
શરદ : જો, આમ તો હું ય એમના વિષે ઝાઝું જાણતો નથી, પણ તમે વિષ્ણુના અવતારોની વાત કરી, તો કહું કે હવે આ વિજ્ઞાનના વિકાસના જમાનામાં ભાગ્યે જ કોઈ લોકો માનશે કે ભગવાનના અવતારો આવશે અને આપણને તારશે. આમ જુઓ તો એ અવતારોમાંના શ્રી રામ, કૃષ્ણ અને બુદ્ધ ભગવાને જે કહ્યું અને આચર્યું એ જ તો ગાંધીએ કરી બતાવ્યું એમ નથી લાગતું? એવી જ વાત સંત મહાત્મા ઈશ્વરની ખોજમાં અને તેની કૃપા મેળવવા હિમાલયની પ્રાકૃતિક શાંતિમાં જીવન ગાળે અને આકરાં તપ આદરે એટલે સંતપદ પ્રાપ્ત કરે એ જાણીએ છીએ. પણ ગાંધીએ ઈશ્વરના દર્શન માણસ માત્રમાં અને તે પણ દરિદ્રમાં દરિદ્ર માનવીમાં કર્યા એટલે એમને તો ઈશ્વર પ્રાપ્તિ પણ એવા લોકીની સેવામાં જ થાય એ સમજાય છે ને? વળી ગાંધીજીને મન બધા ધર્મોના મૂળ સંદેશ એક સમાન છે અને તે સર્વથી ઉપર એક માનવ ધર્મ જ છે એવી દ્રઢ પ્રતીતિ થઇ એટલે જુદો ધર્મ સ્થાપવાની તો વાત જ ક્યાં આવી? એમનો ધર્મ-માનવ ધર્મ તો માનવીની ઉત્પત્તિ જેટલો જૂનો છે અને માનવ જાત જીવતી હશે ત્યાં સુધી ટકી રહેશે. હા, એ ધર્મનાં મૂલ્યોનું આચરણ કેમ કરવું તે તેમણે જીવી બતાવ્યું.
શરદ : તમે ચમત્કારી પુરુષોને મહાન ગણવાની વાત કરી. જે પાંચ ઈંદ્રિયોથી અનુભવી ન શકાય, જે ઘટનાને બુદ્ધિપૂર્વક સમજી ન શકાય તેને આપણે ‘ચમત્કાર’ની કક્ષામાં મૂકી, એ બતાવી આપનારના પગ પૂજીએ. ગાંધી જુદા પ્રકારના કીમિયાગર હતા. તેમની વાતમાં એટલી સચ્ચાઈ હતી કે ભલભલા વકીલો, રાજકારણીઓ, ધાર્મિક આગેવાનો અને બુદ્ધિજીવીઓ તેમની વાંસળીએ ડોલવા લાગેલા, જેની સામે લડત ઉપાડેલી એ સત્તાના મુખિયાઓએ જ એમને માનપાન આપ્યાં, વિદેશી સત્તાને તડીપાર કરી, પણ સત્તાધારીઓને મિત્રો બનાવી દીધા, ગુલામીની જંજીરો તોડી, પણ હાથમાં એક પણ હથિયાર લીધા વિના, સમાજમાં સંસ્કૃતિને નામે ચાલતાં દૂષણોને ખતમ કર્યાં એ બધું શું ઓછું ચમત્કારિક કહેવાય? તલવારની ધારે યુદ્ધ લડીને રાજ્યવિસ્તાર વધારીને સમ્રાટ તો ઘણા બન્યા, પરંતુ દુનિયાના સહુથી શક્તિશાળી અને વિશાળ સામ્રાજ્યને ‘હવે તમે અહીંથી જાઓ તેમાં જ તમારું ભલું છે’ તેમ કહીને રુખસદ આપવામાં કેટલી હિંમતની જરૂર છે તે જાણો છો? બાકી ગાંધીજીએ પોતે કહ્યું છે તેમ તેમણે કોઈ નવી વાત આપણી સમક્ષ નથી મૂકી, સત્ય અને અહિંસા હિમાલય જેટલાં જૂનાં અને ઉત્તુંગ છે. બુદ્ધ, મહાવીર અને જીસસ કહી ગયા એ જ વાત તેઓ માનતા હતા, માત્ર ફર્ક એટલો કે તે ઉપદેશોનું તેમણે અક્ષરશઃ પાલન કર્યું અને તેથી ય વધુ મોટી વાત તો એ કે વ્યક્તિગત પાયા પર પળાતા નિયમોને તેમણે સમૂહગત સિદ્ધાંતોમાં ફેરવી આપ્યા. કદાચ તેથી જ તેઓ મહાત્મા કહેવાયા.
બીજી એક વાત નોંધીએ, ગાંધીજીએ કોઈ ભૌગોલિક સીમામાં બંધાયેલ મુલક ભલે નથી શોધ્યો, પણ તેમણે માનવ હૃદયની અંદર છુપાયેલ કરુણા, ક્ષમા અને પ્રેમની દુનિયાને ફરી ઉજાગર તો કરી જ. આજથી દોઢસો બસો વર્ષ પહેલાં આજે છે તેવી જ હાલતમાં દુનિયા નફરત, હિંસા અને સ્વહિતના મોહપાશમાં જકડાયેલી એકબીજા સામે મારું કે મરું કરતી વિધ્વંસના માર્ગે આગળ ધસતી હતી તેવે સમયે તેમણે વ્યક્તિગત, સામાજિક અને રાજકીય સમસ્યાઓનો ઉપચાર કરવા અહિંસા નામનું ઔષધ ખોળી કાઢ્યું, જેનો અનેક દેશોમાં એક ય બીજી રીતે અમલ થયો છે અને હજુ થાય છે.
હવે એક વાત એ પણ સમજી લઈએ કે ગાંધી ઠાલા શબ્દો કાગળ પર ચીતરીને કે હજારોની મેદનીને ઉપદેશ આપીને લોકપ્રિય બનનારામાંના એક નહોતા. તેઓ તો કર્મના માણસ હતા. એમના મુખેથી એક શબ્દ એવો નથી નીકળ્યો જેનું જાતે આચરણ ન કર્યું હોય, એટલે તમને એમનાં ઢગલાબંધ પુસ્તકો કે ઉપદેશાત્મક પ્રવચનો ક્યાં ય જોવા નહીં મળે. તેમની મહત્તા જોવી હોય તો તેમને પગલે ચાલેલા લોકોના કાર્યોમાં દેખાઈ જશે. ગુજરાતના એક વણિક પરિવારમાં જન્મેલ મોહન ભારતની આઝાદી હાંસલ કરવામાં અગ્રભાગ ભજવી ગયા તે ખરું, પણ તેમના વિચારો અને કાર્ય પદ્ધતિ એવાં હતાં જે પૂરા વિશ્વને લાગુ પડે. સત્યાચરણ કરવું, બીજાને પ્રેમથી જીતી લેવા, સહુને સમાન ગણવા એ શું કોઈ એક જ્ઞાતિ, ધર્મ કે દેશના લોકોની જ જાગીર છે? આથી જ તેમના માટેની ચાહના દુનિયા આખીમાં ફેલાઈ ગઈ. જુઓને, તેમના જ દેશના એક ઉજળિયાત માણસથી ગાંધીની આવી સર્વદેશી, સર્વસમાવેશક વાત સહન ન થઇ એટલે તેમને ગોળીથી વીંધ્યા, પણ જેમ જીસસને વધસ્તંભ પર ચડાવ્યા તો ઊલટાનો તેમનો પ્રેમ અને કરુણાનો સંદેશ આખી દુનિયામાં ખ્રિસ્તી ધર્મના નામે ફેલાઈ ગયો, એવી જ રીતે ગાંધીને વાગેલી ગોળીના ધડાકા આખી દુનિયામાં ગૂંજી ઊઠ્યા અને તેમના વિચારોની પરાગરજ ઠેર ઠેર ફેલાઈ ગઈ. ખાતરી ન થતી હોય તો અન્યાય, માનવાધિકારની રક્ષા અને સામાજિક-રાજકીય હકની માગણી કરવા માટે વિવિધ દેશોની આમ પ્રજા જે રીતે અહિંસક સાધનોનો ઉપયોગ કરે છે તે તપાસી લો.
મોહનદાસ કરમચંદ ગાંધી નામધારી વ્યક્તિ અનેક સંબોધનોના હાર પહેરતી થઇ ગયેલી. નાનપણમાં મોહન કે મોહનિયો, અભ્યાસ અર્થે લંડન અને વકીલાત અર્થે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મિસ્ટર ગાંધી, ત્યાં વસતી ભારતીય મૂળની પ્રજાના અધિકારો માટે લડત લડ્યા ત્યારે ગાંધીભાઈ અને પછીથી બાપુ એમ અનેક સંબોધનો તેમને મળ્યા. કેટલાકનું માનવું છે કે રવીન્દ્રનાથ ટાગોરે 1915માં તેમને ‘મહાત્મા’ કહીને સંબોધેલા, તો કેટલાક માને છે કે ગુરુકુળ કાંગડીના રહેવાસીઓએ 1915માં તેમને એ બહુમાન આપેલું. ગુજરાતમાં આવેલ જેતપુર ગામના નૌતમલાલ ભગવાનજી મહેતાએ 1915માં તેમનો ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કરેલો એ લખાણ દિલ્હીના મ્યુઝિયમમાં સંગ્રહિત થયું છે. અને 1944માં સિંગાપોર હતા ત્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે બિરદાવેલા. બાકી તેઓ પોતે તો આવાં કોઈ મહત્તા સૂચક ઉદ્દબોધનો સ્વીકારતા નહોતા, ઈશ્વરની જેમ ગમે તે નામે બોલાવો, ગાંધી તો પોતાનું કર્મ કર્યે જવાના જ હતા. એક વાત નક્કી છે કે પોતાને ભારતના ‘રાષ્ટ્રપિતા’ અને ‘મહાત્મા’ કહેવાડવવા ઇચ્છતી શખ્સિયતે તેમના જેવું જ કે એથી ય ઉદ્દાત્ત જીવન અને કર્મ કરી જવું રહ્યું.
ભરત : ભાઈ, મને હવે સમજાય છે કે મહાન થવા ભક્તોની કલ્પનાના અવતાર હોવું, કોઈ ધર્મના સ્થાપક થવું, ચમત્કારી પુરુષ બનવું, કોઈ મોટા સમ્રાટ થવું, સંશોધક બનવું કે મોટા ઉપદેશક હોવું જરૂરી નથી. માત્ર કેટલાક સનાતન સત્યોને મૂર્તિમંત કરતાં મૂલ્યોને સમજીને તેની આંગળી પકડીને સાદું, પ્રામાણિક અને નૈતિક જીવન જીવી જઈએ તો મહાનતા પગ ચુમતી આવશે. પણ, તો મને એ વાતની વિમાસણ થાય છે કે એક બાજુ દુનિયા આખીમાં ગાંધીના સંદેશને સમજવા લોકો પ્રયત્ન કરે છે, અને તેના પગલે ચાલવા કોશિશ કરે છે તો બીજી બાજુ તેની જ જન્મભૂમિમાં કેટલાક લોકો તેમના ચારિત્ર્ય ઉપર લાંછન કેમ લગાડે છે? કોઈ દેશમાં કોઈ પણ ખૂનીનાં બાવલાં બને, તેને હાર પહેરાવાય અને તેનો જયજયકાર થાય એવું હજુ આજ સુધી બન્યું નથી તો ભારતમાં આમ શા માટે બને છે?
શરદ : જુઓ મિત્ર, એક જમણેરી વિચારધારા ધરાવતા સંગઠનની ઉશ્કેરણીથી ભારતમાં કોમવાદ ખૂબ વકર્યો અને અંતે તેણે ગાંધીનો પ્રાણ હરી લીધો. પણ વિચારો અને કર્મો આત્મા જેવાં અનાશવંત હોય છે, જેને કોઈ શસ્ત્ર વીંધી ન શકે. આજની અંધાધૂંધ પરિસ્થિતિમાં માર્ગ શોધવા લોકો ભૂતકાળમાં થઇ ગયેલી વિભૂતિઓના જીવન-કર્મને જાણવા માંડયા છે. ગાંધી હવે વિશ્વના રોમે રોમમાં પ્રસરી ગયા છે, જે પેલા સંગઠન અને તેના નામની કંઠી બંધનારાઓથી સહન નથી થતું એટલે થોડો શોરબકોર કરે છે. આપણે તો ગાંધી નામના વ્યક્તિના વિચારોને સમજીએ અને તેનો શક્ય તેટલો અમલ કરીએ તો મહાત્મા નહીં તો ‘માનવ’ તો જરૂર થઈએ.
જય જગત!
e.mail : 71abuch@gmail.com