બિહાર ભલે ગરીબ છે, પરંતુ ત્યાંના યુવાનો હવે જાગી ગયા છે. એકલા કનૈયાકુમાર જ સત્તાપક્ષના કેટલાં ય નેતાઓની ઊંઘ હરામ કરી મૂકે તેવું વૈચારિક ભાથું ધરાવે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એક ભોજપુરી ગીત ‘બિહારમેં કા બા!’ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે.
બિહારમેં કા બા – એટલે કે બિહારમાં શું છે? ગીતમાં કટાક્ષ છે. આ ગીત લખનાર-ગાનાર 24 વર્ષની એક સામાન્ય ઘરની યુવતી નેહા રાઠૌડ એકાએક સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે! તેના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે ! વિપક્ષને મુદ્દો મળી ગયો છે. નેહા બિહારના કૈમૂર જિલ્લાના જલદહાં ગામના રમેશસિંહની દીકરી છે; જે વર્ષ 2018માં કાનપુરમાં B.Sc. કરીને સંગીત ક્ષેત્રમાં આવી છે. તેણે બેરોજગારી અંગે એક ગીત લખ્યું અને ગાયું. આ ગીતને વડા પ્રધાનના જન્મદિને લોકોએ સૌથી વધુ શૅર કર્યું હતું !
https://www.youtube.com/watch?v=yELkniss2e4&feature=emb_logo
નેહાએ જુદી જુદી સમસ્યાઓ અંગે અનેક ગીતો લખ્યાં છે. તે લોકોનો અવાજ બનવા ઈચ્છે છે; એટલે લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ગીત લખે છે અને ગાય છે. ભોજપુરી ગીતોમાં અશ્લીલતા વધી ગઈ હતી; તેવા સમયે સામાજિક-રાજકીય મુદ્દાઓને વ્યંગપૂર્ણ શૈલીમાં રજૂ કરીને નેહાએ મોટું રચનાત્મક કામ કર્યું છે.
‘બિહારમેં કા બા’ ગીતમાં બિહારની સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિહારની બેરોજગારી, ખેડૂતોની બેહાલી, શિક્ષણની ખરાબ હાલત, ઉદ્યોગ ન હોવાથી બીજા રાજ્યોમાં જતાં શ્રમિકો, પૂરથી થયેલી તારાજી વગેરે મુદ્દાઓને લોકગીત શૈલીમાં રજૂ કરાયા છે. આ ગીતની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે સત્તાપક્ષને, આ ગીત સામે બિહારના ગુલાબી વિકાસની વાત રજૂ કરવા ‘બિહારમેં ઈ બા’ એવા મથાળા સાથે 2 મિનિટ 35 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર તરતો મૂકવાની ફરજ પડી છે ! જેવો આ વીડિયો રજૂ થયો કે તરત જ તેમાં કરાયેલા દાવાઓની પોલ ખોલતા બીજા વીડિયો સોશિયલ મીડિયા ઉપર આવી ગયા છે. તેમાં બિહારની મેડિકલ કોલેજમાં ભૂંડ સૂતાં હોય એવાં દૃશ્યો ને ઉદ્ઘાટન પહેલા પૂલ તૂટી ગયો હોય એવાં દૃશ્યો છે. નેહા કહે છે : “એક લોકકલાકાર પોતાના ગીતના માધ્યમથી સરકારની ખામીઓ દર્શાવીને સત્તાને એટલી પ્રભાવિત કરી શકે છે. સરકારને ‘બિહારમેં કા બા’નો જવાબ આપવા ‘બિહારમેં ઈ બા’થી આપવો પડ્યો, તો વિચારો. આપણે સૌ લોકો જાગ્રત બનીએ, આપણા હક જાણીએ, આપણા અધિકારની લડાઈ લડીએ, વિકાસ થયા વિના ન રહે!”
નેહાએ પોતાની યુટ્યુબ ચેનલ ‘ધરોહર’ મારફતે પોતાનો અવાજ એ કાનો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને હજુ સુધી વંચિતો-શ્રમિકોની ચીસ ભેદી શકી નથી!
એક જાગ્રત યુવતી એક લોકગીત મારફતે સત્તાપક્ષનો શ્વાસ અધ્ધર કરી શકે છે; સત્તાપક્ષની ઊંઘ ઉડાડી શકે છે; તેનું ઉદાહરણ નેહા રાઠૌડ છે ! સવાલ એ છે કે ગુજરાતના યુવાનો, બિહારના યુવાનો જેટલા જાગ્રત કેમ નથી? ગુજરાતમાં કનૈયાકુમાર – નેહા રાઠૌડ કેમ ઊભાં થતાં નથી? શું ગુજરાતના કલાકારો સત્તાપક્ષની સભાઓ પહેલાં ડાયરાઓ જ ગજવ્યા કરશે કે લોકોને જગાડશે?
ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાઓ થઈ રહી છે, યુવાનો બેરાજગાર છે. સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. શિક્ષણ અતિ મોંઘું થઈ ગયું છે. ખેડૂમજૂરો બેહાલ થઈ રહ્યા છે. સરકારી આરોગ્ય કેન્દ્રો બીમાર છે અને ખાનગી હોસ્પિટલો લૂંટ કરી રહી છે. દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. ‘ભગવાન સૌનું ભલું કરે’ એવો ઉપદેશ આપનારા સ્વામીઓ-શાસ્ત્રીઓ-બાપુઓ-કથાકારો જન્મગત વર્ણ-વ્યવસ્થાની હિમાયત કરી નીચેના વર્ણ સાથે અદૃશ્ય ભેદભાવ ઊભો કરે છે..
આવી ઘણી બધી સમસ્યાઓ પ્રત્યે ગુજરાતના યુવાનો ચૂપ કેમ છે ?
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 02