Opinion Magazine
Number of visits: 9742971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|5 October 2023

દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના હિન્દુત્વવાદી શાસકોની અને તેમના શાસનની નિંદા કરતા હતા અને એ પણ તાર્કિક રીતે, સભ્યતા જાળવી રાખીને. રમેશ ભીદૂડીની ભાષામાં નહીં. તેમની વચ્ચે બીજી સમાનતા એ છે કે તેઓ દરેક માત્ર ડિજીટલ મીડિયામાં સાંપ્રત પ્રશ્નોનું વિવેચન કરતા હતા. જેને મુખ્ય ધારાના મીડિયા કહેવામાં આવે છે એ અખબાર કે ટી.વી. ન્યુઝ ચેનલ પર નહીં. મુખ્યત્વે યુ ટ્યુબ પર. એકાદ બે અપવાદ છોડીને મુખ્ય ધારાના મીડિયા તો ગોદમાં છે અને અહોરાત્ર જયજયકાર કરે છે તો પછી આવા હાંસિયામાં (માર્જિનમાં) રહીને પત્રકારત્વ કરનારાઓથી ડરવાની શી જરૂર પડી? ક્યાંક કોઈક પરિવર્તન થઈ રહ્યું છે એ વાત નક્કી અને જો ઝીણી નજરે જોશો તો પરિવર્તન નજરે પણ પડશે.

(ડાબેથી) ડી. રઘુનંદન, અભિસાર શર્મા, પ્રબીર પુરકાયસ્થ, સોહૈલ હાશ્મી, ઊર્મિલેશ અને ભાષા સિંહ [D. Raghunandan, Abhisar Sharma, Prabir Purkayastha, Sohail Hashmi, Urmilesh and Bhasha Singh]

મુખ્ય ધારાના મીડિયાની હવે કોઈ પ્રતિષ્ઠા બચી નથી અને એમાં ઇન્ડિયા ગઠબંધને ગોદી એન્કરોના પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ચર્ચામાં ઉપસ્થિત રહીને પોષણ આપવાનું બંધ કર્યું એને કારણે રાતનાં નવ વાગ્યાનાં ડાકલાં મોળાં પડી ગયા છે. ભક્તોને હવે એ ધૂણાવી નથી શકતા. એન્કરો અને ભક્તો અફીણ માટે ઝૂરે છે. અખબારોને અને સામયિકોને કોવીડના લોકડાઉનનો એવો માર પડ્યો છે કે તે હજુ ઊભાં નથી થઈ શક્યાં અને હવે થઈ શકશે એવી કોઈ શક્યતા દેખાતી નથી. તો બન્યું છે એવું કે બુદ્ધિશાળી નાગરિકોએ તો આઠ-નવ વરસ પહેલાં જ મુખ્ય ધારાના ગોદી મીડિયાને રામ રામ કરી દીધા છે અને હવે ભક્તો રાત્રે મોબાઈલ પર ગેમ રમીને વૈકલ્પિક નશો કરે છે. લોકોને ખપ રહ્યો નથી એટલે શાસકોને તેમનામાં કોઈ રસ રહ્યો નથી. આ સ્વાર્થી જગતમાં વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી.

તમે એક વાત નોંધી? ગોદી મીડિયા આવતા મહિનાઓમાં થનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં સંભવિત પરિણામોનાં જે સર્વે આપી રહ્યા છે એમાં કાઁગ્રેસને જીતતી કે બરોબરની ટક્કર આપતી બતાવે છે. આવું આ પહેલાં નહોતું થતું. પશ્ચિમ બંગાળમાં અને કર્ણાટકમાં બી.જે.પી. ભારે બહુમતી સાથે જીતશે એવાં પરિણામો સર્વેના નામે આ લોકોએ આપ્યા હતા. યાદ તો હશે જ. હવે અસ્તિત્વનો સવાલ આવ્યો અને નોધારાં થવા લાગ્યા ત્યારે તટસ્થતાનો દેખાવ કરવા લાગ્યા છે.

જે લોકો પોતાના ચિત્તની સ્વતંત્રતા જળવાઈ રહે એમ ઈચ્છે છે અને કુપ્રચારથી અભડાવા દેવા માગતા નથી તેમની પાસે ઘણા વિકલ્પો છે અને લોકો એવા વિકલ્પો અપનાવવા લાગ્યા છે. ક્યાં સુધી એકને એક ખીલે બંધાઈને એકનો એક નીરેલો ચારો આરોગતા રહેવાનું! પશુને પણ ખીલેથી છૂટીને પગ છૂટા કરવાનું મન થાય છે તો આપણે તો માનવી છીએ. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર તમારી પાસે વિશાળ પસંદગી છે. તમારી અનુકૂળતાએ તમે તે જોઈ કે વાંચી શકો છો. બીજી વાર જોવા કે વાંચવા માગતા હોય તો તેમ પણ કરી શકો છો. કોઈનું ધ્યાન દોરવું હોય તો ક્લીપ કે લેખ ફોરવર્ડ કરી શકાય છે. તથ્યોની ખાતરી કરવી હોય તો પોઝ આપીને એને એ જ સમયે તમે ખાતરી કરી શકો છો. પરિણામે વધુને વધુ સંખ્યામાં લોકો ડિજીટલ મીડિયા તરફ ઢળી રહ્યા છે. લગભગ દરેક અખબાર ડિજીટલ અખબાર કાઢે છે.

જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ નીડર પત્રકાર છે અને વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે. તેમની તેવી પ્રતિષ્ઠા છે એટલે તેમનો દર્શક વર્ગ વધી રહ્યો છે. જેમ કે રવીશ કુમારની યુ ટ્યુબ પર આવતી ન્યુઝ ચેનલના ૭૦ લાખ કરતાં વધુ ગ્રાહક સભ્ય છે. જે સભ્ય નહીં બન્યા હોય એ વધારામાં. કોઈ ગોદી એન્કર આટલી લોકપ્રિયતા ધરાવતો નથી. સોરી, મેં ખોટો શબ્દ વાપર્યો. લોકપ્રિયતા નહીં, શ્રદ્ધેયતા. લોકપ્રિયતા તો એક સમયે ભક્તોની વચ્ચે ગોદીવાળાઓ ધરાવતા હતા. જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ રવીશ કુમાર જેવી શ્રદ્ધેયતા ધરાવે છે અને તેમની ગ્રાહક-સભ્ય સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ગોદી મીડિયાએ શ્રદ્ધેયતા ગુમાવી દીધી છે. સ્થિતિ એવી બની છે કે વડા પ્રધાને યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે.

તો ભારતીય પ્રજા ગોદી મીડિયાથી મુક્ત થઈ રહી છે અને ગોદી મીડિયા પણ ગોદમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો અર્થ એવો નથી કે તેઓ વિરોધમાં બોલતા થઈ જશે, માત્ર જીહજૂરી કરતા બંધ થઈ જશે. જયજયકાર કરવાનું ઓછું કરશે. આ અત્યારે નજરે પડવા માંડેલું પહેલું પરિવર્તન. એક બાજુ લોકોની આંખ ઊઘડી રહી છે, બીજી બાજુ હાલરડાં ગાઈને લોકોની આંખ મીંચાવનારાઓનો પ્રભાવ ઘટી રહ્યો છે અને ત્રીજી બાજુ લોકોની આંખ ઉઘાડનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે.

પરિવર્તનનું બીજું પાસું એ છે કે ડિજીટલ પ્લેટફોર્મ્સ મોકળું મેદાન છે જ્યાં દરેક પોતાને વ્યક્ત કરી શકે છે. ભક્તોને વાત કરતાં આવડતું નથી અને બુદ્ધિશાળીઓ પોતાની વાત અવનવી પણ તાર્કિક રીતે પોતાની વાત કરે છે. ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામસીએ આવા સીધા સાદા  પણ ધીંગી સૂઝબૂઝને પોતાની કુંવારી ભાષામાં જબરદસ્ત રીતે અભિવ્યક્ત કરતા લોકોને ઓર્ગેનિક ઇન્ટેલેક્ચુઅલ્સ તરીકે ઓળખાવ્યા હતા. સ્વાભાવિક અને નૈસર્ગિક. આવા લાખો લોકો છે. પોતાની કલ્પનાના સહિયારા ભારતને બચાવવાનો જ્યારે કેટલાક લોકોએ સંકલ્પ જ કરી લીધો છે ત્યારે કેટલા લોકોની ધરપકડ કરશો?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2023
છબિ સૌજન્ય : “ધ વાયર”

Loading

જૂની મૂડી: ૧ 

દીપક મહેતા|Opinion - Literature|4 October 2023

‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં ‘જૂની મૂડી’ નામની લેખ શ્રેણી સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકથી શરૂ કરી છે. ૧૯મી સદીનાં અજાણ્યાં અથવા આજે બહુ ઓછાં જાણીતાં પુસ્તકોનો તેમાં પરિચય આપવા ધાર્યું છે. અહીં રજૂ કર્યો છે એ શ્રેણીનો પહેલો લેખ :-

(સ્વામી આનંદની ક્ષમાયાચના સાથે)  

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી પહેલી ગુજરાતી નવલકથા 

આપણા દેશની બધી ભાષાઓમાં પહેલવહેલી નવલકથા ૧૮૫૭માં મરાઠીમાં પ્રગટ થઈ: ‘યમુનાપર્યટણ’. તેના લેખક બાબા પદમનજીએ ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો હતો. અને તેઓ વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા. ‘યમુનાપર્યટણ’ દ્વારા તેમણે ખ્રિસ્તી ધર્મનો તેમ જ વિધવા વિવાહનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, બીજું લગ્ન કરતાં પહેલાં નાયિકા યમુનાને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી બતાવી છે. પણ વિધવા પુનર્લગ્નનો કાયદો ૧૮૫૬માં પસાર થયો અને બીજે જ વરસે એક મરાઠી નવલકથામાં તેનો પુરસ્કાર થયો એ વાત નોંધપાત્ર તો ગણાય જ.

ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.

કરસનદાસ મૂળજીના અવસાન પછી તેમને અંજલી આપતાં કાવ્યોનો સંગ્રહ ‘કૃષ્ણવિરહ’ ૧૮૭૬માં પ્રગટ થયો. ૧૮૭૭માં પ્રગટ થયેલા ‘ભવાની કાવ્યસુધા’માં તેમનાં બધાં કાવ્યો સંગૃહિત થયાં છે. તેમણે ૧૯૧૨માં પ્રગટ કરેલ ‘ગૂજરાતી જૂનાં ગીતો’ આપણાં લોકગીતોના સંપાદનનો એક શરૂઆતનો પ્રયાસ છે. તેમણે ‘સોરઠી સોમનાથ’, ‘મીઠા જળની માછલી’, ‘સરદાર ગઢનો સરદાર’, ‘મણીપુરનો મહારાજા’ જેવી નવલકથા લખી છે. અન્ય પુસ્તકોમાં ‘ગુજરાતી ગીતાવલી’, ‘કુંવારી કન્યા’, ‘પ્રધાન અનંતજી અમરચંદનું જીવન’, ‘બાવદીન વિજય’, ‘લાઈટ ઓફ સૌરાષ્ટ્ર’ વગેરેનો સમાવેશ થાય છે.

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી નવલકથા ‘કમળા કુમારી’ની પહેલી આવૃત્તિ ૧૮૮૧માં પ્રગટ થઈ હતી. ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિની ૧૫ પાનાંની પ્રસ્તાવના રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં લખી હતી. તેમાં તેઓ લખે છે :

ભવાનીશંકર નરસિંહરામ કવિ

The author Mr. Bhavanishankar Narasinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.

અલકાપુર નામના રજવાડાના દીવાન વિવેકસાગરને ઘરે મોટી વયે કમળા કુમારીનો જન્મ થયો છે. બાળક ખાતર પત્ની પદ્માવતીના બીજાં લગ્ન કરી લેવાના આગ્રહને તે વશ થયો નથી. પુત્ર અંગેની રૂઢ માન્યતાઓથી તે ઘણો દૂર છે. તેને મન દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી. એટલે કમળા કુમારીનો ઉછેર તે ઘણા લાડકોડપૂર્વક કરે છે. એ જમાનામાં તેને ભણવા માટે સ્કૂલે પણ મોકલે છે. પણ પદ્માવતી જૂનવાણી વિચારની છે. તે બને તેટલી જલ્દીથી દીકરીનાં લગ્ન કરવા માગે છે. છેવટે તેના હઠાગ્રહ આગળ વિવેકસાગરે નમતું જોખવું પડે છે. પાંચ વરસના એક સાવ માયકાંગલા છોકરા સાથે કમળા કુમારીનાં લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. લગ્ન પછી થોડા વખતમાં છોકરો માંદો પડે છે. વિવેકસાગર અને પદ્માવતીના આગ્રહને અવગણીને છોકરાનાં મા-બાપ વૈદ-ભૂવા પાસે સારવાર કરાવે છે. ભૂવો છોકરાને ડામ દે છે, અને બીજા નુસખા પણ અજમાવે છે. મા-બાપ મંદિરોમાં જાય છે, જોશીઓની સલાહ લે છે. પણ કોઈ કારી ફાવતી નથી અને છોકરો મૃત્યુ પામે છે.

માત્ર નવ વરસની ઉંમરે વિધવા બનેલી કમળા કુમારીને નથી તો લગ્ન જીવન એટલે શું એની ખબર, કે નથી તો વૈધવ્ય એટલે શું તેની ખબર. છતાં કેશ-વપન અને ચૂડા-કર્મની વિધિઓ તેણે મૂંગે મોઢે સહન કરી લેવી પડે છે. પણ દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેના મનમાં સ્વાભાવિક આવેગો જાગતા જાય છે. અને પિતાની તેના ભવિષ્ય માટેની ચિંતા વધતી જાય છે. વિદ્યા વર્ધક સભા નામની સંસ્થામાં જુગલ કિશોર નામના યુવકનું વિધવા વિવાહ પરનું ભાષણ સાંભળ્યા પછી વિવેકસાગરનું મન ચકરાવે ચડે છે. જુગલકિશોર પોતે વિધુર હતો અને બીજાં લગ્ન કરવાં તો કોઈ વિધવા સાથે જ કરવાં એવું તેણે નક્કી કર્યું હતું. ધીમે ધીમે કમળા કુમારી અને જુગલ કિશોર નજીક આવતાં જાય છે અને કમળા કુમારીનાં માતા-પિતા બંનેનાં લગ્ન માટે રાજી થાય છે. રાજપરિવાર સહિત આખું રજવાડું એ લગ્નમાં જોડાય છે.

આમ, લેખકે પોતાના જમાનાના સમાજમાં પ્રવર્તતાં રૂઢિ-નિષેધનું આલેખન કર્યું છે તો સાથોસાથ જડ બંધનોમાંથી છૂટવા માટેની દિશા પણ બતાવી છે. વિધવા-વિવાહનો પુરસ્કાર કરતી આપણી પહેલી નવલકથા મુંબઈ-અમદાવાદ જેવા કોઈ શહેરના લેખકે નહિ, પણ લીમડી જેવા એક નાનકડા દેશી રાજ્યમાં વસતા લેખકે લખી એ ઘટના નોંધપાત્ર ગણાય. જો કે ૧૯મી સદીના આપણા ગોવર્ધનરામ સહિતના ઘણા નવલકથાકારોએ દેશી રાજ્યોની ભૂમિને કથાના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરી છે. આ કૃતિ પ્રગટ થયા પછી આપણાં અખબારો અને ‘ચોપાનિયાં’એ તેને સારો આવકાર આપ્યો હતો. રાસ્ત ગોફ્તારે લખ્યું હતું : “મિ. ભવાનીશંકરે હિંદુ ઘર સંસારની સ્થિતિનું ચિત્ર રૂપે પ્રગટ કરેલો ગ્રંથ પહેલેથી છેલ્લે સુધી લખનારના સુધરેલા વિચારો દેખાડે છે. તેમાં હિંદુઓમાં પેઠેલી નઠારી રીતભાતોથી થતાં માઠાં પરિણામો દાખલા દલીલોથી તથા છટાદાર ભાષા વાપરીને દેખાડી આપ્યાં છે.” તો ગુજરાત શાળાપત્રના અવલોકનમાં લખ્યું હતું : “આ એક કલ્પિત વાર્તા છે અને એનો હેતુ વિધવા વિવાહને ઉત્તેજન આપવાનો છે. હાલને સમે, દેશમાં શું થાય છે તેવું નહિ, પણ શું થવું જોઈએ તેનું આ ચિત્ર છે. અને એ રીતે જોતાં આ વાર્તા સારી છે.” તો લેખક પરના અંગત પત્રમાં કવીશ્વર દલપતરામે લખ્યું હતું : “તમારી ‘કમળા કુમારી’ની વાર્તાનું પુસ્તક મેં વાંચી જોયું છે. તમારું ગદ્યનું લખાણ ઘણું સારું છે. એક રસીલી વાર્તાના આકારમાં સુધારાનો બોધ અને વહેમનું ખંડન, તથા દેશી લોકોની ચાલ ચલગતનું ચિત્ર જેવું જોઈએ તેવું, ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે.”

અલબત્ત, ‘કમળા કુમારી’માં જે પ્રશ્નો આલેખાયા છે તેમાંના મોટા ભાગના આજે રહ્યા નથી. વિધવા વિવાહ એ આજનો સળગતો પ્રશ્ન નથી. એટલે આજે તો આ નવલકથા ઐતિહાસિક મૂલ્ય ધરાવતી પણ એક મહત્ત્વની કૃતિ બની રહે છે.

xxx xxx xxx

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; સપ્ટેમ્બર 2023
સૌજન્ય : દીપકભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 October 2023

વંદન, આજે (ચોથી ઓક્ટોબરે) એમના 166મા જયંતી પર્વે.

સરસ માન તો શ્યામજી કૃષ્ણવર્માને. સનદ 2015માં પરત કરતાં ઇનર ટેમ્પલે આપ્યું. એના પદાધિકારીએ કહ્યું કે અમારો આ સર્વાનુમત નિર્ણય છે. શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમ કે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા.    

પ્રકાશ ન. શાહ

વચ્ચે વાતવાતમાં અમદાવામાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કૂવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. પોપ્યુલર? અને પીપલ્સ બે મજેનાં પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે. આ જ ફૂટપાયરી પર જૂનાંનવાં અંગ્રેજી પુસ્તકો પણ મ‌ળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારું નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે 1961ની 18મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આવ્યો હતો. અલબત્ત, આજે 2003ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જો કે, સરદારસિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)

ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્ય સમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું આંગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.

1905માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.

‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર 1905માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ 1922 સુધી પ્રગટ થતું રહ્યું.

આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમ જ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં. 2003ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક 1989માં પ્રગટ કરી હતી.

સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની આ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે 2003માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે. 1930ના માર્ચની 30મીએ જીનીવામાં શ્યામજીને દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી.

‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમ કે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. 1920-21ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. 1930ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023

Loading

...102030...991992993994...1,0001,0101,020...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved