Opinion Magazine
Number of visits: 9458059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષોને સન્માન

સંકલન અને અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|5 June 2023

વૃક્ષોનું જીવન / ડૉરિયન લો

પાઈન વૃક્ષો ઘસે છે એમનો મોટો અવાજ ઝગમગ અંધકારમાં,

એમની ખુજલીગ્રસ્ત ડાળીઓને ઘરની દીવાલોથી ખંજવાળે છે,

અને ઉંહકારનું રહસ્ય અંદાજે અનુદિત થાય છે

માલિકીની વેઠમાં : કોઢિયામાંથી નિસરણી

કાઢવાનો, મારા દાંત વચ્ચે કરવત લઈને

નુકસાનદાયક ફણગા વહેરી નાખવાનો

સમય આવી ગયો છે.        

વાસ્તવિક્તા બીજું શું છે જો ધાર, દાંતના ભયથી

લાંબું, થકવી દેનાર, સંકોચાવુ નથી?

મારે સૂવું છે અને વાચાહીન વિશ્વના જીવ — 

વૃક્ષોનાં જીવનનું સ્વપ્ન જોવું છે, જેમને નાણાં, 

રાજનીતિ, સત્તા, મરજી કે સત્તાની પરવાહ નથી,

જેમને રાત પાસેથી વિશેષ કંઈ જોઈતું નથી

સિવાય કે ઓલવાઈ રહેલાં થોડાં મૃત તારા,

એમના પગ તળેથી ઉંચકાતું એક સફેદ ઘૂવડ, 

એમને માત્ર એમનાં મૂળિયાં ભીની ધરતીમાં  

ઊંડે ઊતારીને ડરાવવા છે જંતુઓને

અથવા ફેશન મોડેલો કે વૃદ્ધ હિપ્પીઓ પેઠે

એમના ધૂંધળા માથા ધુણાવવા છે.

જો વૃક્ષો બોલી શક્તા હોત તો તે મૌન રહીને,

માત્ર ધીમા સ્વરે કોઈક લીલી ધુન ગણગણાવત,

તેમના પાઈનકોનને રસ્તા પર ગગડાવત અને

ખભા ઉલાળી ઠંડા પવન પર દોષ ઢોળત.

દિવસ દરમ્યાન એમની રુછાળી છાલમાં 

ઢંકાઈને સૂવે છે, એમના માથા પર 

પુરાણી ફીતની માફક વેરાતા વાદળ.

સૂરજ. વરસાદ. બરફ. પવન. એમને કશાંયનો ભય નથી

સિવાય કે વાવાઝોડાનો અને આગનો,

એ ઝપાટતો રગડમલ્લ જે પોતાનો જ

મૃત બાપ બની જાય છે. 

તોફાનમાં નાનાં વૃક્ષો નમી, સાવ નમી જાય છે,

જૂનાં વૃક્ષો જાણે છે કે કદાચ તે ટકી શકશે નહીં,

વીજળીના તારના તણખાથી થડથી બટકી જશે.

એમની ડાળીઓ અફાળી પીટાયેલી ધરતીને

ફાડચાદાર બલિદાન આપે છે.

તે પ્રાર્થના કરતા નથી.

એમનો ધ્વનિ પવન ખાઈ જાય છે.

તારા પાછાં ફરે છે ત્યારે આભાર વ્યક્ત કરવાને બદલે

પોતાના ગોળાકાર એકકેન્દ્રી ઘામાંથી ચીકણો રસ ઝમાવી,

એમની કરોડરજ્જુ ટટ્ટાર કરીને શ્વાસ લે છે,

ફરી ને ફરી શ્વાસ લે છે.

••••••••

આપણા કરતાં વૃક્ષો વધુ જ્ઞાની છે / હર્મન હૅસ

(૧૦૦ વર્ષ જૂનો વૃક્ષોને પ્રેમપત્ર)

મારે મન વૃક્ષો સૌથી માર્મિક પ્રબોધકો રહ્યાં છે. કબીલા અને કુટુંબમાં, જંગલ અને વૃક્ષવાટિકામાં રહે છે ત્યારે એમનો આદર કરું છું. એથી ય વધુ એમનો આદર કરું છું જ્યારે એકલા ઊભાં હોય છે. એકલવાયાં વ્યક્તિઓ જેવાં. કશીક નબળાઈમાંથી ભાગી છૂટેલાં સંન્યાસી જેવાં નહીં પરંતુ બીથોવન અને નિટ્જા જેવાં મહાન એકાકી માણસો જેવાં. એમની સૌથી ઊંચી ડાળીઓમાં વિશ્વનો સરેરાટ છે, એમનાં મૂળિયાં અનંતકાળમાં વિસામો કરે છે; પરંતુ ત્યાં એ ખોવાઈ જતાં નથી, એમના જીવનની તમામ તાકાતથી એકમાત્ર ચીજ માટે સંઘર્ષ કરે છે : એમના પોતાના કાનૂન મુજબ પરિપૂર્ણ થવા, પોતાનું સ્વરૂપ ઘડવા, પોતાનું પ્રતિનિધિત્વ કરવા. સુંદર, મજબૂત વૃક્ષ કરતાં વધુ પવિત્ર, વધુ અનુકરણીય બીજું કશું નથી.

કોઈ વૃક્ષ કપાઈ જાય છે અને સૂરજને પોતાનો મૃત્યુ-ઘા એ બતાવે છે ત્યારે એના થડની ચપટી, ગોળ સપાટીમાં, એની આયુના ચકરડામાં, એના ચાઠામાં, તમામ સંઘર્ષ, તમામ માંદગી, તમામ ખુશી, તમામ સમૃદ્ધિ સ્પષ્ટ લખાયેલાં જણાય છે, સાંકડાં વર્ષો, વૈભવી વર્ષો, ખમેલાં હુમલા, વેઠેલા તોફાન સહિત. પ્રત્યેક યુવા ખેડૂતપુત્ર જાણે છે કે સૌથી કઠણ અને ઉમદા લાકડાના વલયો સૌથી સાંકડા હોય છે, કે ઊંચે પર્વતો પર અને સતત જોખમ વચ્ચે સૌથી અવિનાશી, સૌથી બલિષ્ટ એવાં આદર્શ વૃક્ષો ઊગે છે.

વૃક્ષો એટલે આશ્રયસ્થાનો. જે કોઈને પણ એમની સાથે વાત કરતા આવડે છે, એમને સાંભળતા આવડે છે, તે સત્ય જાણી શકે છે. એ અભ્યાસ અને ઉપદેશનો બોધ આપતાં નથી. સવિશેષોમાં પડ્યા વગર જીવનના પ્રાચીન નિયમનો બોધ આપે છે.

વૃક્ષ કહે છે : મારી ભીતર મીંજ છુપાયેલું છે, એક ચિનગારી, એક વિચાર, અનંત જીવનનું જીવન છું હું. અનંત માતાએ મારી સાથે જે પ્રયત્ન અને જોખમ ઉપાડ્યાં છે તે અનન્ય છે, મારી ચામડીનું સ્વરૂપ અને શીરાઓ, મારી ડાળીઓમાં રચાતી પાંદડાઓની ઝીણામાં ઝીણી હરકત, મારી છાલનું નાનામાં નાનું ચાઠું, બધું અનન્ય છે.

મારી નાનામાં નાની ખાસ વિગતમાં અનંત રચવા અને  છતું કરવા મને સર્જવામાં આવ્યું છે.

આપણે ભયગ્રસ્ત હોઈએ અને આપણી જિંદગી સહેવાતી ન હોય ત્યારે વૃક્ષ કહેવા માગે છે આપણને : સ્થિર થાવ! સ્થિર થાવ! જુઓ મારી તરફ! જીવન સહેલું નથી, જીવન કઠિન નથી. એ બાલીશ ખ્યાલો છે … ઘર નથી અહીં ના ત્યાં. ઘર તમારી અંદર છે નહીં તો ક્યાંય નથી.

સાંજે પવનમાં વૃક્ષોનો સરેરાટ સાંભળું છું ત્યારે ભમવાની ઝંખના મારું હૃદય ચીરી નાખે છે. મૌન રહીને લાંબો સમય એમને સાંભળીએ તો આ ઝંખના એમનું મીંજ, એનો અર્થ પ્રગટ કરે છે. પોતાના દુ:ખથી ભાગવાની વાત નથી, ભલે એવું લાગતું હોય. ઘર માટેની, માતાની સ્મૃતિ માટેની, જીવનના નવાં રૂપકો માટેની ઝંખના છે. આ ઝંખના ઘેર લઈ જાય છે. દરેક માર્ગ ઘર ભણી લઈ જાય છે, દરેક પગલું જન્મ છે, દરેક પગલું મૃત્યુ છે, દરેક કબર માતા છે.

આપણા બાલીશ ખ્યાલો સમક્ષ આપણે આકુળવ્યાકુળ ઊભા હોઈએ છીએ ત્યારે વૃક્ષ પવનમાં સરેરાટ કરે છે સાંજના સમયે. વૃક્ષોના વિચારો દીર્ઘ હોય છે, લાંબા શ્વાસયુક્ત અને શામક, આપણા કરતાં વધુ લાંબુ એમનું આયુષ્ય હોય છે એમ. આપણા કરતાં એ વધુ જ્ઞાની છે, આપણે એમને સાંભળીએ નહીં ત્યાં સુધી. પરંતુ આપણે વૃક્ષોને સાંભળતા શીખી જઈએ છીએ ત્યારે આપણાં વિચારોની સંક્ષિપ્તતા, ચાપલ્ય અને બાળસહજ ત્વરાને એક અજોડ આનંદ ઉપલબ્ધ થાય છે. વૃક્ષને સાંભળતા જેને આવડી જાય છે તે વૃક્ષ બનવા ક્યારે ય ઈચ્છતો નથી. પોતે છે એ સિવાય કશું જ બનવા માગતો નથી. ઘર એ છે. સુખ એ છે. 

Photo courtesy: Rupalee Burke
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

હિંસાને ધાર્મિકતાનો રંગ આપી દેવામાં આવે તો તે જાયજ બની જાય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 June 2023

રાજ ગોસ્વામી

થોડા વખત પહેલાં, એક મિત્રએ માર્મિક સવાલ કર્યો હતો : “ધર્મના નામે લોકોની હત્યા કરવામાં આવતી હોવા છતાં, લોકોને કેમ એવું લાગે છે કે જીવન કરતાં ધર્મ વધુ મહત્ત્વનો છે?” જે લોકો ધર્મમાં માને છે, તે ક્યારે ય એવું નહીં સ્વીકારે કે ધર્મ હિંસાની અનુમતિ આપે છે. તેમનો તર્ક એવો હોય છે કે ધર્મના નામે થતી હિંસા પાછળ આર્થિક અથવા તો રાજકીય કારણો હોય છે, ધાર્મિક નહીં. બીજા અમુક લોકોનો તર્ક એવો હોય છે કે જે લોકો હિંસા કરે છે, તેમને ધાર્મિક જ ન ગણાય.

આ બંને તર્ક નબળા છે. પહેલી વાત તો એ છે કે હિંસા પાછળનાં આર્થિક કે રાજકીય કારણોને ધર્મથી અલગ કરીને જોવાં અસંભવ છે. ઇતિહાસમાં, અને વર્તમાનમાં પણ, જેટલાં પણ ધર્મયુદ્ધો થયાં છે, તે તમામમાં પ્રત્યક્ષ કારણ આર્થિક કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાનો જ છે. વિચારધારાઓનો ઉપયોગ તો સામાન્ય લોકોને હિંસાની તરફેણમાં રાખવા માટે થાય છે, પરંતુ જે લોકો હિંસાની યોજના કરે છે અને તેનો અમલ કરે છે તેઓ તો સત્તાના નક્કર લક્ષ્ય માટે તે કરતા હોય છે.

એટલા માટે શાંતિ અને સદ્દભાવનો સંદેશ આપતા ધર્મોમાં એવા લોકો તાકતવર બન્યા જ છે જે હિંસાને સત્તાના એક સાધન તરીકે વાપરતાં હોય. અમેરિકામાં નોર્થ કેરોલિના સ્થિત વેક ફોરેસ્ટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ રિલીજિયનના પ્રોફેસર ચાર્લ્સ કિન્બાલે 2002માં “વ્હેન રિલીજિયન બીકમ્સ ઇવિલ” (ધર્મ જ્યારે દુષ્ટ બની જાય) નામના પુસ્તકમાં લખ્યું હતું કે, “આમ એ ચવાઈ ગયેલી પણ બદ્દનસીબ હકીકત છે કે, માનવ ઇતિહાસમાં બીજી કોઈ સંગઠનાત્મક તાકાત કરતાં, ધર્મના નામે સૌથી વધુ યુદ્ધો થયાં છે, સૌથી વધુ લોકોની હત્યા થઇ છે અને વર્તમાનમાં તેના નામે સૌથી વધુ દુષ્ટતા આચરવામાં આવે છે.”

વિરોધાભાસી લાગે તેવી વાત એ છે કે ધર્મના નામે હત્યા થઈ શકે છે એવી સમજ હોવાના કારણે જ લોકોને જીવન કરતાં ધર્મ વધુ મહત્ત્વનો લાગે છે. આ વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવી પડે. પહેલી વાત તો એ છે કે સંગઠિત ધર્મનો ઉદય થયો ત્યારથી માણસે ધર્મને જીવનથી ઉપરનું સ્થાન આપ્યું છે; ધર્મ માણસ માટે છે એવું નહીં, માણસ ધર્મ માટે છે. એટલા માટે માણસ ધર્મ માટે બલિદાન અને ત્યાગ આપે છે. સંગઠિત ધર્મમાં માણસ પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે તે ધર્મને મહત્ત્વ આપે, તેના જીવનને નહીં. એ કારણથી જ માણસ ધર્મના નામે મરી જવા માટે અને મારી નાખવા તૈયાર હોય છે.

લાખો વર્ષ પહેલાં, માણસે પોતાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને જીવનને બહેતર બનાવવા માટે ધર્મનો આવિષ્કાર કર્યો હતો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શરૂ કર્યું હતું. ધર્મ મનુષ્યની સેવા અને કલ્યાણ માટે હતો. ઉત્તરોત્તર ઈશ્વરની એ કલ્પના એટલી શક્તિશાળી બની ગઈ કે માણસની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તબ્દીલ થઇ ગઇ અને માણસ ધર્મની સેવા અને કલ્યાણ માટે બલિદાન આપતો થઈ ગયો. એટલા માટે આજે ગરીબમાં ગરીબ અને અભણમાં અભણ માણસ પણ પોતાની મુસીબતોનો ભૂલીને ધર્મ અને ઈશ્વરની ‘મુસીબતો’ દૂર કરવા ફના થઈ જાય છે. ધર્મનું કલ્યાણ એ માણસનું કલ્યાણ નહીં, માણસનું કલ્યાણ એ ધર્મનું કલ્યાણ, એમ હોવું જોઇતું હતું, માનવ ઇતિહાસમાં આ એક મોટી ગરબડ થઈ છે.

માણસ અકલ્પનીય રીતે દુષ્ટ બની શકવાની ક્ષમતા ધરાવે છે. ધર્મ તે ક્ષમતાને ઔચિત્ય બક્ષે છે. નાસ્તિક જેટલી આસાનીથી હિંસા ન કરી શકે, તેટલી આસાની અને ગૌરવથી ધાર્મિક માણસ હિંસા કરી શકે. ધાર્મિક માણસને લાગે છે કે તે કોઈ મહાન કામ માટે તેની તાકાતનો ઉપયોગ કરી રહ્યો છે. તેને લાગે છે કે તે જો ધર્મની રક્ષા માટે હિંસા કરશે તો તેને પુણ્ય મળશે. અંગત સ્વાર્થ કે ઈચ્છા માટે માણસ કોઈની હત્યા કરે તો તેને જેલ મળે, પણ એ જ માણસ જો ધાર્મિક આસ્થાની કોઈને મારે તો સ્વર્ગ  મળે.

હિંસા અનૈતિક અને ગેરકાનૂની બંને છે, પણ તેને જો ધાર્મિકતાનો રંગ આપી દેવામાં આવે, તો તે જાયજ બની જાય છે. એટલા માટે, ધર્મના અનુયાયીઓ સામાજિક-રાજકીય સત્તા માટે હિંસાના ઉપયોગમાં ધાર્મિક ઔચિત્યનો સહારો લે છે.

ધર્મનો જન્મ પ્રાચીન કબીલાઈ સમાજમાંથી થયો છે. તે સહેતુક “અમે” અને “તમે” વચ્ચે વિભાજન કરે છે, અને લોકોને “બીજા”થી ડરવા તેમ જ તેમનાથી અવિશ્વાસ કરવા પ્રેરે છે. એ લોકોની વિવેકશક્તિને ખારીજ કરે છે અને લાગણીઓ તેમ જ આદિમ વૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે. વિવેકશક્તિ વૃત્તિઓ પર નિયંત્રણ મૂકે છે. ધર્મ તેને અનુમોદન આપે છે.

ધર્મ તેની તાકાત દિવ્ય શક્તિમાંથી મેળવે છે. ધર્મ કહે છે કે દિવ્ય શક્તિનું એક માત્ર અધિકૃત પ્રતિનિધિત્વ તે પોતે કરે છે. તે જે કંઈ કરે છે તે દિવ્ય શક્તિના આદેશથી કરે છે. આ કારણથી જ ધર્મ પોતાને અન્ય સમુદાયો પર સર્વોપરી સ્થાપિત કરવા પ્રયાસ કરે છે. એ સર્વોપરિતામાં થતી હિંસા ઉચિત ગણાય છે કારણ કે તે “બહુજન હિતાય” માટે હોય છે. તમામ ધર્મોમાં આ જ પ્રકારની સર્વોપરિતાના ટકરાવ હોય છે. સ્વાભાવિક રીતે જ, જે ધર્મના નામે હિંસા કરે છે તેને પૂજનારા લોકો પણ હોય છે.

ધાર્મિક આસ્થાથી પ્રેરિત દુષ્ટ વ્યક્તિ ક્યારે ય એવું ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા બધા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને કારણ કે તેની પડખે ધર્મ છે અને બીજા લોકો બીજા ધર્મના છે. એવા લોકો અમુક પ્રકારના ધાર્મિક વિચારો અને માન્યતાઓને ઘડે અને પછી તેમનાં કૃત્યોને એ વિચારો અને માન્યતાઓની દુહાઈ આપીને ઉચિત ઠેરવે. તેનાથી એવું સાબિત થાય કે તેમના ઈરાદા નેક છે, પણ જેમને તેની સામે વાંધો છે તે લોકો દુષ્ટ છે. એટલા માટે દુષ્ટતાનું જન્મસ્થાન પૂર્વગ્રહો છે. તમે એકવાર અમુક માન્યતાઓ કેળવી લો પછી, તેને સાચી માનીને મરવા-મારવા પર ઉતરી જવાનું આસાન થઈ જાય.

ધાર્મિક આસ્થા વ્યક્તિના ઈગો અથવા આઇડેન્ટિટીની ઢાલ બની જાય છે. એ વિશ્વાસ તેના માટે સચ્ચાઈ બની જાય છે, વાસ્તવિકતા બની જાય છે. એ વિશ્વાસની વિરુદ્ધ જવું એ પોતાની જાત સામે જવા બરાબર છે. એ વિશ્વાસ ખોટો હતો, જૂઠ પર આધારિત હતો એવું સ્વીકારવું તેના માટે અઘરું થઈ જાય છે. ઊલટાનું, વ્યક્તિ એ વિશ્વાસને બરકરાર રાખવા માટે ગમે તે હદ સુધી જઈ શકે.

દુનિયામાં જેટલા પણ અત્યાચાર થયા છે તે વિશ્વાસનું રક્ષણ કરવા થયા છે. કટ્ટરતા સૌથી પહેલાં વિશ્વાસમાંથી આવે છે અને ખૂન કરવા સુધી લઈ જાય છે. વિશ્વાસ ખતરનાક એટલા માટે છે કારણ કે તેને સાચા હોવા માટે કોઈ બાહ્ય પુરાવાની જરૂર નથી. ઇન ફેક્ટ, હું કશામાં માનું છું એ જ એનો સૌથી મોટો પુરાવો છે. એ અર્થમાં, અંધ વિશ્વાસ જેવું કશું હોતું નથી. દરેક વિશ્વાસ અંધ જ હોય છે.

ઇતિહાસમાં જેટલા પણ અત્યાચાર થયા છે તે “નેક ઈરાદા”થી થયા છે. “હું તો તારા સારા માટે કરું છું” કહીને ઘણાં માબાપ તેમનાં સંતાનોને ત્રાસ આપતાં હોય છે. ધાર્મિક લીડરોનું પણ એવું છે. એ તેમના ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે છે. દરેક ધર્મ શાંતિનો સંદેશ આપે છે છતાં, ધર્મના નામે લોકો કેમ સૌથી વધુ હિંસા કરે છે?

જવાબ : હું તો તારા સારા માટે કરું છું.

મહાત્મા ગાંધીએ એટલા માટે સાધન શુદ્ધિની વાત કરી હતી. વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર જો દુષ્ટ હોય તો વિચાર નકામો.

—————————–

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘અમે એમનું કામ શા માટે કરીએ?’

રમેશ સવાણી|Opinion - Opinion|5 June 2023

મિત્ર કિરીટ જાખરિયાના આગ્રહવશ 4 જૂન 2023ના રોજ ન્યૂયોર્ક મેનહટનમાં JAVITS Centre ખાતે રાહુલ ગાંધીની સભામાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બંધારણીય મૂલ્યો /માનવ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સુનિતા પટેલ બ્લેક ટી-શર્ટમાં હતાં અને ટી-શર્ટ પર લખ્યું હતું : ‘Restore Democracy in India !’ તેઓ 1393 કિલોમિટર દૂર Atlantaથી આવ્યાં હતાં. તેઓ સ્વદેશ આવી ભારત જોડો યાત્રામાં પણ જોડાયાં હતાં !

સામ પિત્રોડાએ કહ્યું : “ભારતમાં પોલીસ / ઈન્કમ ટેક્સ / ED દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. યુનિવર્સિટીમાં અભિવ્યકિતને રોકવામાં આવે છે. લોકોને અને NGOને હેરાનરકેશાન કરવામાં આવે છે. સ્વતંત્રતા / સમાનતા / ન્યાય / વિવિધતા વિના લોકશાહી હોઈ શકે નહીં ! એટલો ભ્રમ ઊભો કરવામાં આવે છે કે લોકો નક્કી કરી શકતા નથી કે સત્ય શું છે અને જૂઠ શું છે? હવેની ચૂંટણીમાં નક્કી કરવાનું છે કે સાચા રસ્તે જવું છે કે ખોટા રસ્તે? જો રસ્તો ચૂક્યા તો ભારે કિંમત ચૂકવવી પડશે ! આપણે બેરોજગારી / ફુગાવો / મોંઘવારી / એજ્યુકેશન / હેલ્થની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ! પરંતુ બધાં રામ /હનુમાન / મંદિરની ચર્ચા કરે છે; હું કહું છું કે મંદિર જોબ નિર્માણ ન કરી શકે; સાયન્સ કરી શકે !”

રાહુલ ગાંધીએ Teleprompter વિના શું કહ્યું?

[1] હું જ્યારે અહીં આવું છું અને આપ સૌને આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતા જોઉં છું ત્યારે મને ગૌરવ થાય છે ! કારણ કે જે રીતે આપે વ્યવહાર કર્યો છે, જે માનવતા આપે દર્શાવી છે, જે સ્વીકૃતિ આપની પાસે છે, આપમાંથી કોઈ પણ અહંકારથી અહીં નથી આવ્યા. આપ હિન્દુસ્તાનથી અહંકાર નથી લાવ્યા ! આપ સીમિત સાધનો સાથે અહીં આવ્યા અને આપે કંઈક શાનદાર, કંઈક અદ્દભુત બનાવ્યું ! આપે અમેરિકન સંસ્કૃતિ / અમેરિકન ભાષા / અમેરિકન ઇતિહાસ / અમેરિકાના વિવિધ ધર્મોનો સ્વીકાર કર્યો. આપ અહીં અમેરિકન સંસ્કૃતિ/ ધર્મ / ઇતિહાસને લડાવવા કે ગાળો દેવા નથી આવ્યા. એટલે અમારા માટે આપ અને આપની જેવા લાખો લોકો, અમારા રાજદૂત છો. આપ, આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. ગાંધીજી સત્યનું પાલન કરતાં હતા અને તેઓ વિનમ્ર હતા. આપ સૌ ગાંધીજી /આંબેડકરજી / સરદાર પટેલજી / નેહરુજીના પગલે ચાલી રહ્યા છો !

[2] બે વિચારધારાની લડાઈ છે, આપણી પાસે ગાંધીજી છે, તેમની પાસે નથૂરામ ગોડસે છે, RSS છે ! ગાંધીજીએ અહિંસાનો પ્રચાર કર્યો અને સત્યની ખોજ કરી. આ વિચારધારાનું અમે પાલન કરીએ છીએ. આ વિચારધારાનું આપ સૌ પાલન કરો છો.

[3] ગાંધીજીની દૃષ્ટિ આગળ હતી; તેઓ આધુનિક હતા, ખૂલ્લા મનના હતા. ગોડસે માત્ર ભૂતકાળની વાત કરતો હતો. એણે ક્યારે ય ભવિષ્યની વાત કરી નહતી. તે ક્રોધી / ધૃણાવાળો / ડરપોક / કાયર હતો. તે પોતાના જીવનનો સામનો કરવા અસમર્થ હતો. સત્તાપક્ષ હંમેશાં ભૂતકાળની વાત કરે છે. કાર ચલાવતી વખતે આપ હંમેશાં પાછળ ન જોઈ શકો ! એક્સિડેન્ટ થઈ જાય ! વડા પ્રધાન, સત્તાપક્ષ અને RSS સાથે આ સમસ્યા છે ! તેઓ હંમેશાં ભૂતકાળની વાતો કરે છે ! તેઓ હંમેશાં કોઈ બીજા પર આરોપ મૂકવાનું વિચારે છે. સત્તાપક્ષ અને RSS પાસે ભવિષ્ય તરફ જોવાની ક્ષમતા નથી ! તેમને કંઈ પૂછો તો તેઓ પાછળની બાજુ જૂએ છે ! ઓડિશા રેલવે દુર્ઘટના પર સવાલ પૂછો તો કહેશે કે કાઁગ્રેસે 50 વરસ પહેલા આવું કામ કર્યુ હતું એટલે દુર્ઘટના થઈ ! કાઁગ્રેસના સમયે જ્યારે ટ્રેન દુર્ઘટના બની ત્યારે કાઁગ્રેસે એવું નહોતું કહ્યું કે આ તો અંગ્રેજોની ભૂલ છે એટલે દુર્ઘટના બની ! પરંતુ રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપેલ !

[4] આપ ગાંધીજી / આંબેડકરજી / ગુરુ નાનકજીને જૂઓ; ભારતના બધાં મહાપુરુષોને જૂઓ, તેમનામાં ખાસ ગુણ છે. સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ એમણે સત્યની ખોજ અને પ્રતિનિધિત્વ કર્યું; તેના માટે સંઘર્ષ કર્યો.

[5] ભારતીયતાનો મતલબ એ નથી કે કોઈને મારપીટ કરવી, કોઈ પ્રત્યે નફરત દાખવવી, કોઈને નીચા દેખાડવા ! ભારતની સભ્યતામાં નફરત નહીં, મહોબ્બત છે; જેને અમે આગળ ધપાવી રહ્યા છીએ. માત્ર કાઁગ્રેસ પક્ષ જ નહીં, પરંતુ ભારતના લોકો સત્તાપક્ષની નફરતથી ભરેલી વિચારધારાને હરાવવા આગળ વધી રહ્યા છે !

[6] ભારતમાં પડકારો પણ છે. આધુનિક ભારત આપણા બંધારણ અને લોકશાહી વિના શક્ય નથી ! [7] મારો ઈરાદો આપની સાથે સંબંધ બાંધવાનો છે. જ્યાં આપ મને કહી શકો કે ‘રાહુલ, અમે આવું વિચારીએ છીએ ! રાહુલ, આપણે અમેરિકા સાથે આ પ્રકારના સંબંધો બનાવવા જોઈએ !’ મને આપને એ બતાવવામાં બિલકુલ રસ નથી કે હું શું માનું છું; હું અહીં મન કી બાત કરવા નથી ઈચ્છતો; મને અહીં આપના મનની વાત સાંભળવામાં દિલચસ્પી છે.

[8] એમનું કામ નફરત ફેલાવવાનું છે; અમારું કામ મહોબ્બત વહેંચવાનું ! અમે એમનું કામ શા માટે કરીએ? અમે અમારું કામ કરીશું ! (શ્રોતાઓમાંથી રાહુલ ગાંધીને ઉદ્દેશીને ‘આઈ લવ યૂ’ની બૂમો પડી) આપે સત્તાપક્ષની સભામાં ક્યારે ય ‘આઈ લવ યૂ’ સાંભળ્યું છે? કાઁગ્રેસના લોકો એકબીજાનો આદર કરે છે / પ્રેમ કરે છે. તેઓ હંમેશાં કહે છે કે ભાઈ, મને તમારા પ્રત્યે પ્રેમ છે ! નફરતની બજારમાં મહોબ્બતની દુકાન; આ હિન્દુસ્તાન છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...982983984985...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved