Opinion Magazine
Number of visits: 9457919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2024ના યુદ્ધમાં NDAના 38 સામે INDIAના સ્પેશ્યલ 26

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 July 2023

રાજ ગોસ્વામી

ભારતીય જનતા પાર્ટીના આસામના મુખ્ય મંત્રી હેમંત વિશ્વ શર્મા ટ્વીટર પર ઘણા સક્રિય છે. તેઓ સતત રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના વિચારો પ્રગટ કરતા રહે છે. 18મી તારીખે, સાંજે 7 વાગે તેમણે તેમના હેન્ડલ પરથી એક ટ્વીટ કરી હતી;

“આપણી સભ્યતાનો સંઘર્ષ ઇન્ડિયા અને ભારતની આસપાસ કેન્દ્રિત છે. અંગ્રેજોએ આપણા દેશનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. આપણે ખુદને આ ઉપનિવેશક વિરાસતથી આઝાદ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણા પૂર્વજોએ ભારત માટે લડાઈ લડી હતી, અને અમે ભારત માટે પરિશ્રમ કરતા રહીશું … બી.જે.પી. ફોર ભારત.”

એ દિવસે, બેંગલુરુમાં દેશભરના 26 વિરોધ પક્ષોના 50થી વધુ નેતાઓ ભેગા થયા હતા. આ તેમની બીજી બેઠક હતી. એક મહિના પહેલાં પટણામાં તેમની બેઠક થઇ હતી. 2024ની લોકસભાની ચૂંટણીમાં, ભા.જ.પ.ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સામે કેવી રીતે સામૂહિક લડત આપવી તેના માટે આ નેતાઓ છેલ્લા ઘણા સમયથી પરસ્પર છેડા જોડી રહ્યા હતા. સાંજે બેઠક પૂરી થઇ, ત્યારે અન્ય બાબતો ઉપરાંત, નેતાઓ તેમના મોરચાના નામ સાથે સંમત થયા; INDIA (Indian National Developmental Inclusive Alliance).

સોશિયલ મીડિયા પર વિપક્ષી મોરચાનું નામ જેવું ટ્રેન્ડ થવા લાગ્યું તે સાથે જ, ભા.જ.પ.ના અન્ય નેતાઓ, કાર્યકરો અને ગોદી મીડિયાની સાથે, આસામના મુખ્ય મંત્રીએ ‘ઇન્ડિયા અને ભારત’ને જોડીને તેમની પહેલી પ્રતિક્રિયા આપી.

મજાની વાત એ થઇ કે વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા’ સામે શર્માએ ભા.જ.પ.ના ‘ભારત’ને તેમના ટ્વીટર હેન્ડલ પર ઊભું તો કરી દીધું, પરંતુ તેમના ટ્વીટર બાયોડેટામાં, 2021માં તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારથી, અંગ્રેજીમાં ‘ચીફ મિનિસ્ટર ઓફ આસામ, ઇન્ડિયા’ લખેલું હતું. તેમણે વિપક્ષોના ઇન્ડિયાની ટીકા કરવા માટે ભારતનાં વખાણ કરી દીધાં પછી ખ્યાલ આવ્યો કે તેઓ જેને અંગ્રેજોની વિરાસત ગણીને વિપક્ષોની ટીકા કરે છે, પણ ખુદ પોતે ઇન્ડિયા શબ્દ વાપરે છે. એટલે તેમણે તાબડતોબ ટ્વીટર બાયોમાંથી ઇન્ડિયા હટાવીને ભારત મૂકી દીધું.

વિરોધ પક્ષોએ જે હેતુથી તેમના મોરચાનું નામ ‘ઇન્ડિયા’ રાખ્યું હતું, તે કેટલું ધાર્યું તીર છે તેનો આ પહેલો પુરાવો હતો. ચૂંટણીમાં આ મોરચો શું ઉકાળશે અને નરેદ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. પણ કેવાં તીર છોડશે એ તો સમય આવે ખબર પડશે, પરંતુ નામકરણ કરીને મોરચાએ જે પહેલું બ્યુગલ ફૂંક્યું છે, તે રસ પડે તેવું તો છે.

ગોદી મીડિયાએ થોડા જ કલાકોમાં ‘ઇન્ડિયા’ નામ માટે થઈને ભ્રામક સમાચારો આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ સવારનાં મુખ્ય ધારાનાં અખબારોની વાત માનીએ તો, ‘ઇન્ડિયા’ નામનું સૌથી પહેલું સૂચન કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું, પરંતુ તેમણે કાઁગ્રેસના સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલને કહ્યું હતું કે પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને વિશ્વાસમાં લઇ લો. મમતાએ નામ માટે તરત હા પાડી હતી. જો કે તેમણે ‘એન’ માટે ‘નેશનલ’ને બદલે ‘ન્યૂ’ શબ્દ સૂચવ્યો હતો. એ પછી બેઠકમાં ‘ડી’ શબ્દ ‘ડેવલપમેન્ટ’ માટે રાખવો કે ‘ડેમોક્રસી’ માટે તેની ચર્ચા થઇ હતી.

કોઈને જો નામની ભાંજગડ ફાલતુ લાગતી હોય (જેમ કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને લાગી હતી. તેમનો આગ્રહ હતો કે નામમાં પડવાને બદલે બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેની ચર્ચા કરવી જોઈએ), તો મમતા બેનરજી અને રાહુલ ગાંધીના બયાન પર ધ્યાન આપવા જેવું છે.

બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં મમતાએ એક અણિયાળો સવાલ પૂછ્યો હતો, “એન.ડી.એ. અને ભા.જ.પ. … તમે ઇન્ડિયા સામે વાંધો ઉઠાવી શકશો? અમે અમારી માતૃભૂમિને પ્રેમ કરીએ છીએ. અમે આ દેશના રાષ્ટ્રપ્રેમી લોકો છીએ. અમે દેશ માટે, દુનિયા માટે, ખેડૂતો માટે, સર્વે માટે કામ કરીએ છીએ. આજે મણિપુર અને બંગાળમાં હિંદુઓ, દલિતો, લઘુમતીઓ, ખેડૂતો ભા.જ.પ.ના કારણે ખતરામાં છે. તેમનું એકમાત્ર કામ સરકારો ખરીદવા-વેચવાનું છે.”

બેઠક પૂરી થઇ ત્યારે છેલ્લું વક્તવ્ય રાહુલનું હતું. તેમાં તેમણે મોરચાનું નામ ‘ઇન્ડિયા’ કેમ હોવું જોઈએ  તેના પર ઘણું જોર આપ્યું હતું. તેમનો તર્ક છે કે ઇન્ડિયા નામથી વિરોધ પક્ષો બહુ સરળ રીતે એન.ડી.એ. વિરુદ્ધ ઇન્ડિયાનું નેરેટિવ ઊભું કરી શકશે. સ્વાભાવિક રીતે જ, ભા.જ.પ. તેમનો વિરોધ કરશે, જેથી લોકોમાં એવો સંદેશો જશે કે ભા.જ.પ. ઇન્ડિયા વિરોધી છે અને જે લોકો ભા.જ.પ. વિરોધી છે તે સૌ ‘ઇન્ડિયાવાળા’ છે. તેમણે કહ્યું હતું કે 2024ની લડાઈ વિપક્ષો અને કેન્દ્ર સરકાર વચ્ચે નથી, પરંતુ ઇન્ડિયા વિરુદ્ધ ભા.જ.પ. વચ્ચે છે.

આ તર્કની ઝાંખી પણ એ જ રાતે જોવા મળી. પ્રાઈમ ટાઈમ પર એક ન્યૂઝ ચેનલ પર ભા.જ.પ.ના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી સાથે ચર્ચા કરતાં, કાઁગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “જેને ઇન્ડિયાથી પરેશાની હોય તે પાકિસ્તાન જતા રહે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયાના નારા કેમ આપ્યા હતા … શું તમે ભારતની વાત નથી કરતા? તમે જ્યારે બઢેગા ઇન્ડિયાની વાત કરો છો ત્યારે કોની વાત કરો છો? તમને સમસ્યા કઈ વાતથી છે? ઇન્ડિયાથી?”

ભારતમાં ચૂંટણી પ્રચાર દિમાગનો ખેલ છે. ભારતીય જનતા પાર્ટીની અપ્રતિમ સફળતા તેની ગવાહ છે. ભા.જ.પ.નું ચૂંટણી અને ચૂંટણી પ્રચારનું તંત્ર ઘણું દક્ષ છે. વિરોધ પક્ષોને, ખાસ કરીને કાઁગ્રેસને, તેનો સૌથી વધુ (કડવો) અનુભવ છે. એ અનુભવમાંથી જ કાઁગ્રેસ ભા.જ.પ.નું ‘દિમાગ’ કેવી રીતે કામ કરે છે તેનો અંદાજ લગાવાનું શીખી છે.

છેલ્લા 9 વર્ષથી, ભા.જ.પ.ની એક કામિયાબ વ્યૂહરચના રહી છે; કાઁગ્રેસને દેશ વિરોધી અને ભા.જ.પ.ને રાષ્ટ્રવાદી ચિતરો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ ઊભી કરો. કાઁગ્રેસના શાસનની અનેક કમજોરીઓ રહી છે અને રાહુલ ગાંધીની ‘પપ્પુ ઈમેજ’ મોદી માટે એકદમ અનુકૂળ છે. દેશમાં અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઇ છે, તેમાં ભા.જ.પે. હંમેશાં કાઁગ્રેસ અને રાહુલ પર નિશાન રાખ્યું છે. કેમ? કાઁગ્રેસ તો બહુમતી રાજ્યોમાં સરકારમાં પણ નથી. જનતા તો છોડો, ખુદ રાહુલ ગાંધી પોતાને ભાવી પ્રધાન મંત્રી તરીકે જોતા નથી. છતાં, ભા.જ.પ. કેમ વારંવાર તેમનું નામ લીધા કરે છે?

ભા.જ.પ. માટે દરેક ચૂંટણી એક યુદ્ધ સમાન હોય છે. તેમાં દુ:શ્મન હોવો અનિવાર્ય છે. કાઁગ્રેસ ભલે સત્તામાં ન હોય, રાહુલ સાથે સરખામણી ભલે અસામાન હોય, પરંતુ ભા.જ.પ.ને પોતાની રાષ્ટ્રવાદી છબીનું મતદારોના મનમાં ઘર કરવા માટે જરૂરી છે કે તે સામે એવો કોઈ દુ:શ્મન ઊભો કરે, જેની સાથે મતદારો સરખામણી કરી શકે.

કાઁગ્રેસ કંઈ પણ કરે, રાહુલ કંઈ પણ બોલે, ભા.જ.પ. તરત જ તેને તેના પ્રચારતંત્ર મારફતે પોતાના ફાયદામાં વણી લે છે. એટલા માટે કાઁગ્રેસ જ્યારે પણ મૂલ્યો, સિદ્ધાંતો, લોકતાંત્રિક વ્યવસ્થાઓ, પ્રજાલક્ષી પ્રશ્નોની વાત કરે છે, ભા.જ.પ. તરત તેને દેશ વિરોધી અથવા મોદી વિરોધી પ્રચારમાં ખપાવી દે છે. ભા.જ.પ.ની આ વ્યૂહરચના સફળ રહી છે અને એમાં કોઈ શંકા નથી કે 2024ની ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી પ્રચારનું મુખ્ય ફોકસ, મોદી સરકારની સફળતાઓ કે દેશનો વિકાસ પર નથી રહેવાનું, પણ કાઁગ્રેસ કેમ દેશ વિરોધી છે તેના પર રહેવાનું છે.

રાહુલ ગાંધીને બરાબર ખબર છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભા.જ.પ. તેમને મોદી સાથે ભીડવવાની કોશિશ કરશે. મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તે નિમિતે, મહારાષ્ટ્રના નાંદેડમાં જૂન મહિનામાં એક રેલીને સંબોધતાં ગૃહ મંત્રી અમિત શાહે શ્રોતાને લલકાર્યા હતા કે 2024માં દેશની જનતાએ નવા પ્રધાન મંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેથી પસંદગી કરવાની છે. ભા.જ.પ. ઈચ્છે છે કે ચૂંટણીમાં ટક્કર મોદી અને રાહુલ વચ્ચે રહે. ભા.જ.પ. ઈચ્છે છે કે તેનો મુકાબલો ‘રાષ્ટ્ર વિરોધી’ કાઁગ્રેસ સાથે જ રહે.

બેંગલુરુમાં વિપક્ષોની બેઠકમાં આ બંને શસ્ત્રો બુઠ્ઠા કરવાનો પ્રયાસ થયો છે. એક તો તેમણે મોરચાનું નામ ઇન્ડિયા રાખ્યું છે. એટલે પ્રચારમાં જનતાના કાને ‘ઇન્ડિયા સામે એન.ડી.એ.’ના નારા ગુંજશે. બીજું, ભા.જ.પ. સામે ખાલી કાઁગ્રેસ એકલી નથી, પણ સમગ્ર વિરોધ પક્ષ છે. એટલે તેણે ‘ઇન્ડિયા’ને નિશાન બનાવવું પડશે. ભારતની બહુમતી જનતા એ વખતે ઇન્ડિયા શબ્દનું ફૂલ ફોર્મ શોધવા નથી જવાની. તેના માટે ઇન્ડિયા એટલે ભારત. ભા.જ.પ. કઈ રીતે ઇન્ડિયાનો વિરોધ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

બીજું, રાહુલ ગાંધીએ વિરોધ પક્ષોની એકતા માટે એ બેઠકમાં પ્રસ્તાવ મુક્યો હતો કે કાઁગ્રેસ પાર્ટી પ્રધાન મંત્રી પદ માટે ઉત્સુક નથી. વિરોધ પક્ષોમાં એકતાને લઈને એ પણ અવરોધ હતો કે ભા.જ.પ. કાઁગ્રેસ અને રાહુલને તેની મુખ્ય હરીફ તરીકે આગળ કરીને સરસાઈ લઇ જાય છે. ભા.જ.પ.ના આ શસ્ત્રને બુઠ્ઠું કરવા માટે જરૂરી છે કે કાઁગ્રસ અને રાહુલ બે ડગલાં પાછળ રહે. કદાચ રાહુલને પણ વાત સમજાઈ છે. એટલા માટે તેમણે વિપક્ષોની એકતાના વ્યાપક હિતમાં પોતાના કે કાઁગ્રેસના હિતોને જતાં કરવાનું નક્કી કર્યું છે. એ સંદર્ભમાં એ પણ નોંધવા જેવું છે કે સોનિયા ગાંધી પણ એ બેઠકમાં હાજર હતાં, પરંતુ એક શ્રોતા તરીકે. તેમણે એક પણ શબ્દ ઉચાર્યો નહોતો.

કદાચ એ ‘ઇન્ડિયા’ની જ અસર હતી કે બીજા દિવસે, નવી દિલ્હીમાં ભા.જ.પે. એન.ડી.એ.ના 38 ઘટક દળોની બેઠક બોલાવી હતી. મોદીએ તેમાં પ્રવચન કરતાં એન.ડી.એ.ને એક એવું “સુંદર મેઘધનુષ” ગણાવ્યું હતું, જેમાં “કોઈ પાર્ટી નાની કે મોટી નથી.” બેઠકનો ઘોષિત ઉદેશ્ય તો મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનો હતો, પણ સંદેશ સાફ હતો; ભા.જ.પ. તેના જૂનાં મિત્રોને સાથે રાખવા માંગે છે અને નવા બનાવવા પણ માંગે છે.

આ તો હજુ શરૂઆત છે. 

લાસ્ટ લાઈન:

“રાજકારણીઓ અને ડાઈપરને વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન, ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગરીબો પાસે પેટ છે, પણ પોકેટ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2023

રમેશ ઓઝા

અઢારમી સદીમાં થોમસ માલ્થુસ નામનો એક બ્રિટિશ અર્થશાસ્ત્રી થયો હતો, જેણે એમ કહ્યું હતું કે જેટલું અનાજ પાકતું હોય તેનાં કરતાં જો ખાનારાઓ વધારે હોય તો ભૂખમરો અને બીજી આફતો અનિવાર્ય છે. તેણે એમ પણ કહ્યું હતું કે ભૂખમરો અને બીજી આફતોને કારણે મોટી  સંખ્યામાં લોકોનાં મૃત્યુ થશે અને ફરી પાછું અનાજ અને ખાનારાઓ વચ્ચે સંતુલન સ્થાપિત થઈ જશે. ખેતી માટેની જમીન તો એટલીને એટલી જ રહેવાની એટલે જે ફેરફાર થશે એ માનવવસ્તીમાં જ થશે. માલ્થુસની વિશ્વપ્રસિદ્ધ પોપ્યુલેશન થિયરી ૧૭૯૮ની સાલની છે અને એ પછી દુનિયામાં તેણે કલ્પના પણ નહોતી કરી એટલાં પરિવર્તનો થયાં છે.

થોમસ માલ્થુસ

અઢારમી સદીમાં દુનિયાની વસ્તી એક અબજ હતી જે અત્યારે આઠ અબજ કરતાં વધુ છે. ૧૮મી સદીમાં લોકોનું સરેરાશ આયુષ યુરોપના શ્રીમંત દેશોનું ૪૦ વરસનું હતું જે અત્યારે સરેરાશ ૮૦ વરસનું છે. ભારત જેવા દેશોમાં સરેરાશ આયુષ ત્યારે ૨૫ વરસનું હતું જે અત્યારે ૭૦ વરસનું છે. આનો અર્થે થયો કે ઈસ્વીસન ૧૮૦૦ની તુલનામાં આઠ ગણા લોકો બે ગણી લાંબી જિંદગી જીવે છે અને ભોજન કરે છે. માલ્થુસે આવું પણ બનશે એની કલ્પના નહોતી કરી. જેમ આયુર્વિજ્ઞાને આયુષ વધારી આપ્યું તો બીજી બાજુ કૃષિવિજ્ઞાને અન્ન ઉત્પાદન પણ વધારી આપ્યું. ઉદાહરણ તરીકે ભારતની જ વાત કરીએ. ભારતની વસ્તી જ્યારે ૫૦ કરોડ કરતાં ઓછી હતી ત્યારે અનાજ ઓછું પડતું હતું અને વિદેશથી આયાત કરવું પડતું હતું. કેટલુંક અનાજ તો સહાય તરીકે આવતું હતું. આજે ભારતની વસ્તી ત્રણ ગણી એટલે કે લગભગ દોઢ અબજ છે અને ભારત અન્નની બાબતમાં આત્મનિર્ભર છે, બલકે નિકાસ કરે છે.

ટૂંકમાં અનાજની અછત નથી અને એ છતાં ય ભારતમાં લોકો ભૂખ્યા સૂવે છે. સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ૨૦૨૨ના હંગર રિપોર્ટ મુજબ દુનિયાના ૧૨૧ દેશોમાં ભારતનો ક્રમ ૧૦૭મો છે. પાકિસ્તાન (૯૯), બંગલાદેશ (૮૪), નેપાળ (૮૧), મ્યાનમાર (૭૧), શ્રીલંકા (૬૪) આપણાથી આગળ છે. ૨૦૧૪ની સાલમાં ભારતનો હંગર ઇન્ડેક્સ ૨૮.૨ હતો જે અત્યારે ૨૯.૧ છે. યુનોએ જે વર્ગીકરણ કર્યું છે એમાં ભારત “ગંભીર” સમસ્યા ધરાવનારા દેશોમાં સ્થાન પામે છે. અહીં નીતિ આયોગના અહેવાલને પણ જોઈ લઈએ. નીતિ આયોગે કબૂલ કર્યું છે કે ભારતમાં ૨૦ કરોડ ૮૦ લાખ લોકો અનેક રીતે (મલ્ટીડાયમેન્સનલી) ગરીબ છે. અનેક રીતે એટલે કે કેટલાક લોકોને ખાવા મળતું નથી, કેટલાકને પેટભર ખાવા મળતું નથી, પોષણના અભાવમાં થતાં બાળમૃત્યુ, ભણવાનું છોડીને કરવી પડતી બાળમજૂરી, રહેવા માટે મકાનનો અભાવ વગેરેને મલ્ટીડાયમેન્સનલ પોવર્ટી તરીકે ઓળખાવવામાં આવે છે.

યક્ષપ્રશ્ન એ છે કે અનાજનું ઉત્પાદન પર્યાપ્ત હોવા છતાં શા માટે લોકોને ભૂખ્યા સૂવું પડે છે? ખામી ક્યાં છે? અને ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું એમ વ્યાપક માનવહિતના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. ભૂખ અને ગરીબી વિષે બે અહેવાલો આવ્યા છે, પણ કોઈ ચર્ચા કરતું નથી. ઊલટું હિંદુ–મુસ્લિમ અને એવા બીજા ફાલતુ વિષયો પર દેકારા કરીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દેશની વાસ્તવિકતા નથી? આ દેશનું કલંક નથી? દેશ અન્નની બાબતે સ્વાવલંબી તો થયો, પણ અનાજનો કોળિયો એના સુધી નથી પહોંચતો જે ભૂખ્યો છે. અને જો એ નથી પહોંચતો એ જાય છે ક્યાં? અને શા માટે અનાજ ગરીબ સુધી નથી પહોંચતું? શું ખામી છે?

કોઈકે કહ્યું છે કે રેફ્રીજરેટર આધુનિક યુગમાં ભૂખનું અને બીમારીનું એમ બન્નેનું મોટું કારણ છે. રેફ્રીજરેટર એટલે માત્ર ઘરનું રેફ્રીજરેટર નહીં, કોલ્ડ સ્ટોરેજ પણ રેફ્રીજરેટર છે. અન્નનો સંગ્રહ કરી શકાય, લાંબો સમય સુધી ટકાવી રાખી શકાય, એક સ્થળેથી બીજા સ્થળે તેની નિકાસ કરી શકાય, પ્રોસેસિંગ કરી શકાય, ફૂડ પેકેજીંગ કરી શકાય, બ્રેન્ડનેમ ડેવલપ કરીને દુનિયાભરમાં ધંધો કરી શકાય, જગત આખાને એક જ ટેસ્ટનો ચટાકો લગાડી શકાય, ફ્રોઝન ફૂડ દિવસો સુધી ખાઈ શકાય અને સૌથી મોટી વાત એ કે જે ભૂખ્યો નથી એની અંદર ભૂખ પેદા કરીને ખવડાવી શકાય. રેફ્રીજરેટર નહોતાં ત્યારે અનાજ, માંસ-મટન, માછલી, ફળફળાદિ અને શાકભાજી ખરાબ થઈ જતાં એટલે ઉપર કહી એ કોઈ ચીજ શક્ય નહોતી. આજે શ્રીમંત લોકો બે જણાના ભાગનું ખાય છે અને બીજા બે જણાના ભાગનું અન્ન વેડફે છે, ફેંકી દે છે. આ બધું બીમારીઓનું પણ કારણ છે અને એનો અનુભવ આપણને થઈ રહ્યો છે. ગાંધીજીએ બે વાત કહી હતી. એક એ કે આ ધરતી પ્રત્યેક જીવની ભૂખ સંતોષી શકે એમ છે, પણ આ ધરતી ભૂખાળવા માણસની ભૂખ સંતોષી શકે એમ નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમ કર્યા વિના ખાવું એ ચોરી છે. તમે આરોગો અને બીજો તમારા માટે શ્રમ કરે એ અનીતિ છે.

બીજું કારણ એ છે કે ગરીબ લોકો પાસે પેટ છે, પણ પોકેટ નથી અને જેની પાસે પોકેટ ન હોય એની બજારમાં કોઈ કિંમત નથી. આનો ઈલાજ છે પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.). સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે, તેને ગોદામોમાં એકઠું કરે અને એ પછી દેશભરમાં જે પ્રદેશને જેટલા અનાજની જરૂર હોય ત્યાં તે મોકલે. અનાજ રેશનીંગની દુકાને પહોંચે અને લોકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરી આપવામાં આવે. હવે આ પી.ડી.એસ.માં એટલો બધો ભ્રષ્ટાચાર છે અને વ્યવસ્થાકીય ખામીઓ છે કે જેની કોઈ સીમા નથી. દાયકાઓથી પી.ડી.એસ.માં સુધારા કરવાની માગણી કરવામાં આવી રહી છે પણ એમાં સુધારા કરવામાં આવતા નથી. લોકો માટેનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને જો પહોંચે છે તો ખાઈ ન શકાય એવું પહોંચે છે. ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ પ્રોડક્ટ્સનો ધંધો કરનારાઓની સંખ્યા મુઠ્ઠીભર હોવા છતાં દિલ્હીમાં લોબિંગ કરી શકવાની તાકાત ધરાવે છે, પણ ગરીબો કરોડોની સંખ્યામાં હોવા છતાં આવી કોઈ તાકાત ધરાવતા નથી.

ભારતમાં અનાજની અછત નથી, અભાવ વહેંચણીની વ્યવસ્થાનો છે. જવાબદાર અને સંવેદનશીલ વ્યવસ્થાના અભાવમાં જગતમાં દેશનું નાક કપાય એ શરમજનક નથી? આનો ઈલાજ પણ છે, પરંતુ એ માટે સંકલ્પશક્તિ હોવી જોઈએ. કૃતનિશ્ચયી બનવું પડે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 23 જુલાઈ 2023

Loading

ભારતમાં ગઠબંધનનો ઇતિહાસઃ આંકડાના ખેલ સાચવવામાં એક થતા વિરોધપક્ષો હંમેશાં સ્થિરતા નથી લાવી શકતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 July 2023

નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે, તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે

2024ની ચૂંટણીનો ગરમાવો અચાનક જ 18મી જુલાઈએ થયેલા તાપણામાંથી વર્તાવા માંડ્યો. એક તરફ શાસક પક્ષ ભા.જ.પા.એ એન.ડી.એ. – નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના 38 ભાગીદારોને ભેગા કરીને બેઠકનું આયોજન કર્યું તો બીજી તરફ 26 વિપક્ષી નેતાઓએ બેંગાલુરુમાં એક નવું જોડાણ બનાવવા માટે બેઠક કરી અને આ નવા ગઠબંધનને નામ મળ્યું INDIA – એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ. વિરોધ પક્ષોએ વર્તમાન શાસક પક્ષના વિરોધમાં નવા ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે એ વિચારવું પડે કે ગઠબંધનની સરકારથી શું ફેર પડે છે.

ચિરંતના ભટ્ટ

હવે પહેલાં તો એ સ્વીકારી લઈએ કે સાહેબને કંઇ ફેર પડતો નથી કે એ NDAની બેઠક બોલાવે અને ચર્ચા કરે પણ આ મહાગઠબંધન – INDIA-વાળું થયું એટલે બેઠક તો બોલાવવી પડે અને એમ કરીને તેમણે બતાડી પણ દીધું. ગઠબંધનની સરકાર ભારતમાં બને એ કંઈ નવી વાત નથી. ભારત દેશને અંગ્રેજોના સંકંજામાંથી મુક્તિ મળી પછી મોટાભાગના રાજ્યોમાં લગભગ 2 દાયકા સુધી તો કાઁગ્રેસનું જ રાજ હતું, 1969માં કાઁગ્રેસમાં ફાંટા પડ્યા છતાં પણ ઇંદિરા ગાંધીએ અન્ય પક્ષોની મદદથી પોતાની સરકારની આખી ટર્મ પૂરી કરી હતી. 1971માં ઇંદિરા ગાંધીની કાઁગ્રેસ પાર્ટીને પૂરી બહુમતી મળી અને એક જ પક્ષે સરકાર રચી પણ એ સરકાર 1977 સુધી ચાલી. 1975માં કટોકટીની જાહેરાત થઇ, નવેસરથી ચૂંટણીની જાહેરાત થઇ ૧૯૭૭માં કાઁગ્રેસની નાલેશીભરી હાર થઇ અને એ વખતથી રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનની સરકાર એક સામાન્ય બાબત બની ગઈ.  ભારતમાં ગઠબંધનની સરકારના ઇતિહાસ પર નજર નાખીએ તો સૌથી પહેલા તો 70 દાયકાની મધ્યે એવા લોકો ભેગા થયા જેમને ઇંદિરા ગાંધીની તાનાશાહી સામે વાંધો હતો. ઇંદિરાના શાસનના વિરોધીઓએ ભેગા મળીને જનતા પાર્ટી રચવામાં જરા ય વાર નહોતી લગાડી. જેને પણ ઇંદિરા ગાંધી અને કટોકટી સામે વાંધો હતો, પછી ભલેને તે વ્યક્તિ કાઁગ્રેસની સભ્ય જ કેમ ન હોય તે જનતા પાર્ટીમાં જોડાઈ જતી. કાઁગ્રેસના મોટાં નામો જ નહીં પણ જન સંઘ જેવા પક્ષો પણ પોતાની ઓળખ હટાવીને જનતા પાર્ટી સાથે એક થઈ ગયા હતા અને સાથે લોક દળના ચરણ સિંઘ પણ જનતા પાર્ટીમાં જ જોડાયા જે મોરારજી દેસાઈની માફક વડા પ્રધાન પણ બન્યા. જો કે આ ગઠબંધન બહુ લાંબુ ન ચાલ્યું કારણ કે ઉમેદવારો વચ્ચે જબરા વાંધા-વચકા હતા અને આખી ય ગોઠવણ ખોરવાઈ ગઈ.  

ત્યાર બાદ ગઠબંધન વારો આવ્યો 1989-90 દરમિયાન જ્યારે જનતા દળ, તેલુગુ દેસમ પાર્ટી, દ્રવિડ મુન્નેત્ર કઝગમ, અસોમ ગણા પરિષદ અને કાઁગ્રેસ (સમાજવાદી) પક્ષ ભેગા થયા. આ વખતે  નેશનલ ફ્રંટની રચના થઈ. ભા.જ.પા. અને અન્ય ડાબેરી પક્ષોએ જોડાયા વિના આ પક્ષને ટેકો આવ્યો. ઇંદિરા ગાંધીની હત્યા પછી 1984માં કાઁગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર જીત મળી હતી પણ એ જ કાઁગ્રેસ 1989માં કાઠું ન કાઢી શકી. કાઁગ્રેસ સાથે કોઈ સાથી પક્ષો નહોતા અને કાઁગ્રેસને 197 બેઠકો મળી પણ 146 બેઠકો વાળા નેશનલ ફ્રંટને ભા.જ.પા.ના ટેકાને કારણે બીજી 86 બેઠકો, ડાબેરી પક્ષોને કારણે બીજી ૫૨ બેઠકો મળી, જેને કારણે વી.પી. સિંઘ વડા પ્રધાન બન્યા. આ તરફ રથયાત્રા કરવા નીકળેલા અડવાણીની ધરપકડ થઈ એમાં ભા.જ.પા.એ ટેકો પાછો ખેંચી લીધો અને સરકારનું પોટલું વળી ગયું. ત્રીજી વાર ગઠબંધન થયું 1990-91 દરમિયાન અને વી.પી. સિંઘની સરકાર પડી ભાંગી પછી મુખ્ય જનતા દળમાંથી છૂટા પડેલા ચંદ્ર શેખરે બનાવેલી સમાજવાદી જનતા પાર્ટીમાં પરિણમ્યું જેમાં 64 સાંસદો હતા અને કાઁગ્રેસના ટેકાથી ચંદ્રશેખર વડા પ્રધાન પણ બન્યા. સાત મહિનામાં આ ગોઠવણનું બાળ મરણ થયું કારણ કે સરકાર રાજીવ ગાંધીની જાસૂસી કરે છે એવા આક્ષેપો મુકાયા અને કાઁગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. 1996-98માં યુનાઇટે ફ્રંટના નામે ગઠબંધન થયું અને બે વર્ષમાં બે વડા પ્રધાનો આવ્યા; એચ.ડી. દેવ ગૌડા અને એલ.કે. ગુજરાલ. જનતા દળ, સી.પી.આઇ., કાઁગ્રેસ (T), સમાજવાદી પાર્ટી, ડી.એમ.કે., એ.જી.પી., તમિળ માનિલા કાઁગ્રેસ (TMC), તેલુગુ દેસમ પાર્ટી આ ગઠબંધનમાં ભેગા હતા અને બહારથી કાઁગ્રેસનો ટેકો હતો.  29 પક્ષો અને 9 સ્વતંત્ર ઉમેદવારોએ લોકસભામાં હાજરી નોંધાવી. અહીં રાષ્ટ્રીય, રાજ્ય સ્તરીય પક્ષોનો ખીચડો હતો અને તત્કાલિન કાઁગ્રેસ(I)ને અત્યાર સુધીની સૌથી ખરાબ હાર વેઠવી પડી. આ બધામાં ભા.જ.પા. મજબૂત બની અને અટલ બિહારી વાજપાયીની સરકાર બની પણ ટકી નહીં જેને પગલે મળેલી બેઠકોમાં થર્ડ ફ્રંટનો વિચાર અમલમાં મુકાયો. ૧૪૦ બેઠકો ધરાવતી કાઁગ્રેસે સરકાર ચલાવવાની ના પાડી પણ ગઠબંધનને ટેકો આપ્યો, પણ ફરી એકવાર મતભેદોને પગલે સરકાર પડી ભાંગી.

1998માં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ – NDA અસ્તિત્વમાં આવ્યું જેમાં ભા.જ.પા., એ.આઇ.ડી.એમ.કે., બીજુ જનતા દળ, શિવસેના, લોક શક્તિ, અરુણાચલ કાઁગ્રેસ, સમતા પાર્ટી, અકાળી દળ, પી.એમ.કે. વગેરે જોડાયા. આ ગઠબંધને ચાર વાર લોકસભાની ચૂંટણી જીતી પણ આ ગઠબંધનમાં પક્ષોની આવન-જાવન ચાલુ રહી છે. ૨૫ વર્ષ ટક્યુ હોય એવું આ એક જ ગઠબંધન છે. યુ.પી.એ. – યુનાઇટે પ્રોગ્રેસિવ અલાયન્સ 2004થી 2014 દરમિયાન બે ચૂંટણી જીત્યું જેમાં કાઁગ્રેસ, એન.સી.પી., ડી.એમ.કે., આર.જે.ડી., એલ.જે.પી. અને પી.એમ.કે. ભેગા હતા.

આ વિગતો પરથી એ તો સ્પષ્ટ સમજાય છે કે જ્યારે પણ ગઠબંધનમાં કોઈ એક પક્ષ વધુ પડતો બળુકો હોય તો એ ગઠબંધનના બંધનો બહુ લાંબા ટક્યા નથી. અત્યારે આપણા રાજકારણમાં જે ચાલી રહ્યું છે એમાં વિરોધ પક્ષોના મુદ્દા છે બેઠકોની વહેંચણીની રૂપરેખા નક્કી કરવી, સંકલન અને સંવાદ સારી રીતે, સ્પષ્ટ રીતે થાય તેની તકેદારી રાખવી. આ તરફ ભા.જ.પા.ને નવા વિસ્તારોમાં બેઠકો જીતવાની છે કારણ કે તો જ જ્યાં આ વખતે જીત નથી મળવાની ત્યાં સંતુલન કરી શકાશે, વળી ભા.જ.પા.એ જૂના સાથીઓને રાખવાના અને નવાઓને લાવવાની તજવીજ પણ કરવાની છે. ભા.જ.પા. બીજા પક્ષોમાં તોડફોડ કરી પોતાની સાથે બધાને લાવે તો છે પણ એ પોતાના સાથી પક્ષોની કાળજી રાખવામાં કાચી પડે છે એવી છાપ બદલવામાં પણ ભા.જ.પા.ને રસ હોય. હવે આ જે વિરોધ પક્ષો ભેગા થયા છે એમાં શરૂઆતમાં જ ચણભણ શરૂ થઈ ગઇ. ક્યાંક વાંદરા અને બે બિલાડી વાળી વાર્તા જેવો ઘાટ ન થાય કે બધા પોતા પોતાની સત્તા માટે લડતા રહે અને લાભ કોઈ બીજું લઈ જાય. વળી ભૂતકાળમાં એ સ્પષ્ટ રહ્યું છે કે કાઁગ્રેસના ગઠબંધનોમાં રહેલા પક્ષોને લોકશાહી સ્વતંત્રતા રહી છે પણ ભા.જ.પા.માં આવી કોઈ ગેરંટી નથી. એન.ડી.એ.ને યાદ કરવાનો વારો ત્યારે આવ્યો જ્યારે બેંગાલુરુમાં વિરોધપક્ષોએ મિટીંગ કરી. વળી આ બધો જ બેઠકોનો ખેલ છે 26 વર્સિસ 38ના આ ખેલમાં કયો પક્ષ ખરેખર કેટલી બેઠકો લાવી આપશે એ દાખલાનો તાળો મેળવવો સૌથી અગત્યની બાબત છે.

ભારતને સર્વાંગી બહુમત ક્યારે ય સદતો નથી, સર્વાંગી બહુમતને કારણે ખડું થતું એકચક્રી શાસન લોકશાહીને માટે જોખમી છે એ પણ જાણીતું સત્ય જ છે. વિરોધપક્ષોએ જે I-N-D-I-A રચીને જાણે એવો સંદેશ આપ્યો કે તેઓ ભા.જ.પા.ના વિરોધમાં એકસાથે મળીને કામ કરશે. આમ તો અત્યાર સુધી ભા.જ.પા.ને મોટે ભાગે નબળા વિરોધ પક્ષનો ફાયદો મળ્યો છે પણ આ જે નવું ગઠબંધન છે એ જો પોતાનો એજન્ડા સ્પષ્ટ રાખે તો ભા.જ.પા.ને મજબૂત લડત આપી શકે. મણિપુરને મામલે INDIAએ મળીને તેજાબી પગલાં લેવાની દિશામાં આગળ વધશે? કે પછી ભા.જ.પા.એ કંઇ નથી કર્યું ના રાગડા તાણશે? આ પ્રકારના સંજોગોમાં જે પ્રતિભાવો આવશે તેના આધારે આ રાજકારણીઓની કટિબદ્ધતા અને નિષ્ઠાની ક્યાસ કાઢી શકાશે.

બાય ધી વેઃ

ભા.જ.પા.ને સળી કરતાં સારી પેઠે આવડે છે અને એ સળીબાજીને જવાબ આપવામાં વિરોધપક્ષો આ એકઠી થયેલી શક્તિ વેડફી ન નાખે એ જરૂરી છે. ભારત વર્સિસ ઇન્ડિયા વચ્ચેના નેરેટિવમાં વિરોધપક્ષો અને ભા.જ.પા.એ શરૂઆતમાં રમી પણ લીધું. નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે.  ભા.જ.પા.ને માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળમાં બેઠકો મેળવવાનો પ્રશ્ન તો હતો જ એમાં આ 26 પક્ષો ભેગા થયા ત્યાં ભા.જ.પા.ને પોતાના 38 સાથી પક્ષો યાદ આવી ગયા કારણ કે અહીં એક જણથી કામ ચાલવાનું નથી. વિરોધપક્ષોને પોતાના પડકારો પણ છે કારણ કે તેમને તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી શકે છે. વળી આટલું મોટું ગઠબંધન બને તો તેનો ચહેરો કોણ? હજી એવી કોઈ સ્પષ્ટતા નથી અને મોટે ભાગે ગઠબંધન હોય ત્યારે ચૂંટણી જીતે પછી જ વડા પ્રધાનનો ઉમેદવાર નક્કી થતો આવ્યો છે. વળી વિરોધપક્ષે મોદીની મીડિયા સ્ટ્રેટેજીમાંથી જરૂરી બાબતો ઉપાડીને લોકોના મનમાં ઘર કરવું પડશે, નારાઓ લોકપ્રિય કરવા પડશે, બહુ વૈચારિક રીતે બેઠકો શૅર કરવી પડશે કારણ કે આ બધું નહીં થાય તો 26 પક્ષોનું ગઠબંધન અર્થહીન રહેશે. આગામી નવ મહિનામાં આ ગઠબંધન દેશનો વિચાર કરે સ્વાર્થી માનસિકતા ન રાખે તો કંઇ જુદું પરિણામ આવવાની આશા રાખી શકાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023

Loading

...102030...923924925926...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved