Opinion Magazine
Number of visits: 9457906
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનો સર્વાંગી વિનાશ કરવામાં ગુજરાતને કોઈ પહોંચે એમ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|21 August 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર 3,559 સંગીત અને ચિત્ર શિક્ષકો તાસ દીઠ 50 રૂપિયાના ભાવથી રાખવાની છે. આના કરતાં વધારે મજૂરી તો કડિયા-સુથારને મળતી હશે. એટલું મહત્ત્વ પણ હવે શિક્ષકોનું રહ્યું નથી. સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, હવે કલાક પર સ્ટાફ રખાય છે એ જોતાં તો થાય છે કે ખર્ચ બચાવવા મંત્રીઓ, સચિવો ને અધિકારીઓ પણ કલાક પર રાખવા જોઈએ. સાંજને છેડે મહેનતાણું ચૂકવી દેવાનું એટલે કોઈને કાયમી કરવા ન પડે કે નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરે લાભો આપવાની ઝંઝટ ન રહે. આમે ય મંત્રીઓ, વિધાનસભ્યો, સાંસદોની ‘કારીગરી’ એક કે તેથી વધુ ટર્મની હોય છે, એટલે એમને પેન્શન ન આપીએ તો ચાલે, પણ આખા દેશમાં એમને એકથી વધુ પેન્શન ચૂકવવાનો કોઈને વાંધો નથી, તો સવાલ એ થાય કે શિક્ષણમાં જ ખર્ચ કરવામાં સરકાર ગરીબથી ય વધુ ગરીબ કેમ થઈ જાય છે? એવું ન હોય તો ચિત્ર કે સંગીત શિક્ષકો તાસ પર રાખવાનું દારિદ્રય સરકાર પ્રગટે કરે ખરી?

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો ગુજરાત સરકાર કરતાં વધારે ગરીબ અને દળદરી છે. સમિતિના સભ્યો તો ચિત્ર શિક્ષક રાખવા જ તૈયાર નથી. સમિતિની સભામાં સભ્યો જ કહેતા હતા કે આપણે કૈં વિદ્યાર્થીઓને રાજા રવિ વર્મા બનાવવાના નથી. એટલું છે કે રવિ વર્મા સમિતિની સ્કૂલમાં ન ભણ્યા એટલે ચિત્રકાર થઈ શક્યા. સમિતિનું ચાલે તો એ તો શિક્ષકો જ ન રાખે, એણે ક્યાં વિદ્યાર્થીઓને રાધાકૃષ્ણન્‌ બનાવવા છે કે શિક્ષકોની જરૂર પડે ! સભ્યો તો સમિતિને જીવાડવા શિક્ષકો રાખે છે. એમ રાખવામાં લાભ એ પણ ખરો કે શિક્ષણેતર કામગીરી માટે બીજા મજૂરો રાખવા ન પડે.

આ દારિદ્રય સ્કૂલો પૂરતું જ સીમિત નથી, યુનિવર્સિટીઓમાં પણ કૈં બહુ સારી સ્થિતિ નથી. નવી શિક્ષણ નીતિ દાખલ તો કરી, પણ એ દ્વારા અસરકારક શિક્ષણ આપવાની વાત આવે છે, તો આપણું રાષ્ટ્રીય દારિદ્રય છતું થઈ જાય છે. સરકારને બીજી અનેક યોજનાઓ માટે અબજો રૂપિયા મળી રહે છે, પણ શિક્ષણની વાત આવે છે તો તેની તમામ યોજનાઓ કામચલાઉ થઈ જાય છે. અત્યારે દેશની 40 યુનિવર્સિટીઓનાં અધ્યાપકોનાં પ્રશિક્ષણ કેન્દ્રો ગ્રાન્ટને અભાવે સ્થગિત થઈ ગયાં છે. આમ તો યુનિવર્સિટીનાં સત્રો બે મહિનાથી શરૂ થઈ ગયાં છે, પણ અધ્યાપકોનાં ઓરિએન્ટેશન કોર્સનાં કોઈ ઠેકાણાં નથી. બીજી મુશ્કેલી એ પણ છે કે દર વર્ષે જૂનમાં સ્કૂલો-કોલેજો ચાલુ થઈ જાય છે, પણ યુનિવર્સિટીઓમાં દિવાળી વેકેશન નજીક આવી જાય તો ય એડમિશનનાં રાઉન્ડ્સ પૂરા થતાં નથી. ઘણી વાર તો વહેમ પડે કે પહેલી ટર્મની ફી, એડ્મિશનની પ્રોસિજર માટે તો નથી વસૂલાતીને ! એમાં મેડિકલનું એડમિશન તો એટલું લોહી પીએ છે કે વિદ્યાર્થી, પહેલી ફી તો ન ભણવા જ ચૂકવતો હોવાનું લાગે.

એક તરફ તાસના 50 રૂપિયા લેખે માસ્તરો રાખવાની સ્થિતિ હોય, ત્યાં પ્રજાના પૈસાનો બગાડ પણ શિક્ષણને નામે જ થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરત, બે ભાવના માસ્તરો રાખવા બાબતે છાપે ચડેલી જ છે. એમાં એજન્સીને 10,500ના ભાવનો માસ્તર 17,500ના ભાવે રાખવામાં 7 હજારનું કમિશન કઇ ખુશીમાં ચૂકવવાનું થાય તેનો ખુલાસો આજ સુધી થયો નથી. જે કામ સમિતિએ કરવાનું છે તે કામ એજન્સીને સોંપવાની ફરજ પડે તો સીધું પૂછવાનું થાય કે તે એવાં તે કયાં કામમાં છે કે એજન્સીને માસ્તર દીઠ મહિને 7 હજારની લહાણી કરવી પડે?

યોજનાઓ તો ઘણી થાય છે. સરકાર પૈસા પણ ફાળવે છે, પણ વચેટિયાઓ બધે જ એવાં દાખલ પડી જાય છે કે ઘણી મલાઈ તો તેઓ જ ચાટી જાય છે. ‘આયુષ્યમાન ભારત’ યોજનાના 6.9 કરોડ એવા 3,446 દરદીઓ પાછળ ખર્ચાયા જે અગાઉથી જ ગુજરી ગયા હતા. સરકાર ‘બેટી પઢાઓ’ની વાતો તો બહુ કરે છે, પણ દીકરીઓને અપાતી શિષ્યવૃત્તિ તેણે ધરાર બંધ કરી દીધી છે. દીકરીઓ માટેની બે યોજનાઓ એક બીજાથી જુદી હતી, તે ડબલ થઈ રહી હોવાનું બહાનું આગળ ધરીને સરકારે 19 વર્ષથી ચાલતી વિદ્યા બોન્ડ યોજના બંધ કરી દીધી. એ યોજના પ્રમાણે ધોરણ 1માં દાખલ થતી કન્યાને 2,000નાં બોન્ડ અપાતા હતા, જેના નાણાં 8માંનો અભ્યાસ પૂરો થતાં વ્યાજ સહિત ચૂકવાતાં હતાં. તે યોજના એપ્રિલ, 2021થી બંધ કરી દેવાઈ અને 2 ઓગસ્ટ, 2019 પછી જન્મેલી દીકરી, 5 વર્ષ પૂરાં કરે ને તેનાં વાલીની આવક 2 લાખ હોય તેને માટે વહાલી દીકરી યોજના શરૂ થઈ. એમાં શરત એ હતી કે ઓગસ્ટ 2019થી દોઢ વર્ષ દરમિયાન જે વાલીઓએ અરજી કરી હોય એમને જ એનો લાભ મળે. આ યોજનામાં દીકરી ધોરણ 1માં આવે તો 6 હજાર ને 9માં આવે તો 4 હજાર અને લગ્ન સહાય તરીકે 1.10 લાખ અપાય છે. આમ તો બંને યોજનાઓ જુદી હતી, પણ એક બંધ કરી દેવાઈ અને બીજીનો લાભ દોઢ વર્ષમાં અરજી કરનાર વાલીઓની દીકરીઓને જ મળ્યો. તે પછી જન્મેલી દીકરીઓને કોઈ સહાય મળતી નથી, એમાં સરકારની તઘલખી માનસિકતા જ કામ કરે છે.

એક તરફ દેશની પ્રગતિની ગુલબાંગો પોકારાય છે ને બીજી બાજુએ પ્રજાના કરોડો રૂપિયા ભ્રષ્ટ તંત્રો ઓળવી જાય છે. દેશનાં 21 રાજ્યોમાં 5 વર્ષથી ચાલતું લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ સામે આવ્યું છે. શિષ્યવૃત્તિની રકમ નકલી ખાતામાં નાખીને 144 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સંસ્થાના પ્રમુખો, નોડલ ઓફિસરો, જિલ્લા સ્તરના અધિકારીઓ સંડોવાયા છે. 1,352 સંસ્થાઓનાં નામથી  અપાતી શિષ્યવૃત્તિઓમાં 830 સંસ્થાઓ એવી છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. આ સંસ્થાઓને છેલ્લાં 5 વર્ષમાં 8.12 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ, જેમાં 4.30 કરોડ તો નકલી સંસ્થાઓને જ આપી દેવાયા. સામે આવેલી કેટલીક વિગતોમાં છત્તીસગઢની તમામે તમામ 62 સંસ્થાઓ નકલી છે. રાજસ્થાનની 128માંથી 99 સંસ્થાઓ નકલી છે. એક જ મોબાઈલ નંબરથી 2,239 શિષ્યવૃત્તિઓ અને બીજા એક નંબર પરથી 405 શિષ્યવૃત્તિઓ અપાઈ છે. આ ઉપરાંત 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનાં ધોરણ 10 અને 12નાં રોલ નમ્બર્સ સરખા હતા. 1.32 લાખ વિદ્યાર્થીઓને હોસ્ટેલની રકમ અપાતી હતી, તેની તપાસ થઈ તો સ્થળ પર હોસ્ટેલ જ ન હતી. આ બધાં પરથી એટલું સમજાય છે કે દેશભરમાં આ કે આવી અપાતી બીજી મદદ ખરેખર તો હરામખોરોને હોજરી ભરવાનું નિમિત્ત પૂરું પાડે છે. એમાં થાય છે એવું કે જેને મદદ જરૂરી છે એને મદદ મળતી નથી અને જેને મદદની જરૂર નથી, એવા લેભાગુઓ ભેગા થઈને પ્રજાના પૈસાથી હોજરીઓ ઠાંસતા રહે છે. આમ તો સી.બી.આઇ.ને તપાસ સોંપાતી રહે છે, પણ જવાબદારોને શું સજા થઈ એની ખબર ભાગ્યે જ પડે છે.

આ ઉપરાંત સ્કૂલો સુધી કોમી ભેદભાવ ખરાબ રીતે ઉજાગર થઈ રહ્યો છે તે દુ:ખદ છે. સ્કૂલોમાં શિક્ષકો કે આચાર્યો કોઈ પણ જાતિ-કોમના હોય તો પણ, તેમની પાસેથી, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ ન વકરે એટલી અપેક્ષા રખાતી હોય છે. વિદ્યામંદિરો કોમવાદી માનસિકતા પ્રગટ કરતાં થાય એ કોઈ રીતે ઈચ્છવા જેવું નથી. ખેરાલુની લૂણવા ગામની એક શાળામાં 15 ઓગસ્ટ નિમિત્તે 2022માં, 10માંની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ હતો. તેમાં 10માં ધોરણમાં શાળામાં પ્રથમ આવેલી વિદ્યાર્થિનીનું નામ બોલાવાને બદલે બીજા નંબરે આવેલી વિદ્યાર્થિનીનું નામ બોલાયું. કાર્યક્રમ પૂરો થઈ ગયો, પણ પ્રથમ આવનાર વિદ્યાર્થિનીનું નામ ન જ બોલાયું. નામ એટલે ન બોલાયું કારણ તેનું નામ અરઝાનાબાનુ હતું. તે રડતી રડતી ઘરે પહોંચી. તેનાં પિતાએ આચાર્ય અને સંચાલકને ફરિયાદ કરી કે દીકરીનું નામ ન બોલાયું. આચાર્ય અને સંચાલકે વાતને ટાળવાની કોશિશ કરતાં કહ્યું કે 26 જાન્યુઆરી, 2024 ને રોજ તેને 10 ઈનામ આપીશું. એ આચાર્યને શું કહેવું, જેમનામાં 15મીનાં કાર્યક્રમમાં નામ બોલવાની શક્તિ ન હતી તે 26મીએ 10 ઈનામ આપવાના હતા ! જેમ હેટ સ્પીચ ક્ષમ્ય નથી, એમ જ હેટ બિહેવીયર પણ અક્ષમ્ય ગણાવું જોઈએ. એક વિદ્યાર્થિનીને સન્માનથી વંચિત રાખીને તેનું અપમાન એટલે કર્યુ, કારણ તે મુસ્લિમ હતી. એ આચાર્ય છે કે રાજકારણી એ નથી ખબર, પણ કોઈ રાજકારણી પણ, વિદ્યાર્થિની સાથે આવો વ્યવહાર ન કરે. સ્કૂલો જો રાજનીતિનો અખાડો ન હોય તો આવી ઘટનાઓથી સ્કૂલોએ ને આખાં શિક્ષણ તંત્રે બચવાનું રહે. કમ સે કમ શિક્ષકો ને આચાર્યો હિન્દુ-મુસ્લિમનું ઝેર વિદ્યાર્થીઓમાં ફેલાવવાથી દૂર રહે એવી કરબદ્ધ પ્રાર્થના છે.

અહીં હિન્દુઓની ટીકાનો કે મુસ્લિમોનાં બચાવનો ઇરાદો નથી. ગમે એટલી કોશિશો કોમી વૈમનસ્યની થાય, તો પણ, બંને કોમ આજ પર્યંત રહી છે. લાખો હિન્દુઓ ને મુસ્લિમોની ભાગલા વખતે કતલ થઈ છે ને એ પછી પણ કોમી રમખાણોનો છેડો આવ્યો નથી. આ જ સ્થિતિ ચાલુ રહે તો લાભમાં કોઈ જ ન રહે એ કહેવાની જરૂર નથી. કમ સે કમ શૈક્ષણિક સંસ્થાનોમાં કોમી વૈમનસ્ય ન વધે એટલું જોવાય તો નથી લાગતું કે કોઈ બહુ મોટી હાનિ છે ! વિચારીએ –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2023

Loading

મૌન સંમતિના ચિત્કારો સાંભળવા માટે જાગતલ માયલો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2023

રમેશ ઓઝા

સંમતિ, અસંમતિ, વિરોધ, પ્રગટ વિરોધ, શરણાગતિ, મૌન, મોઢું ફેરવી લેવું એ બધા જે તે ઘટના સામે પ્રતિક્રિયાના પ્રકાર છે અને એવો કોઈ મનાવી નહીં મળે જે પ્રતિક્રિયાને ત્રાજવે તોળાયો ન હોય. હકીકતમાં આ માનવીની શોકાંતિકા છે કે તેણે રોજેરોજ વિવેક અને અંતરાત્માના ત્રાજવે તોળાવું પડે છે અને એનાથી બચી શકાતું નથી. વિકલ્પ માત્ર બે જ છે, કાં વિવેક અને અંતરાત્માની એરણે ખરા ઉતારો અને કાં વિવેક અને અંતરાત્માની એરણે નાપાસ થાવ. કેટલાક લોકો નાપાસ થવાના ડરથી મૌન રહે છે અથવા મોઢું ફેરવી લે છે, પણ એમાં પણ એ સરવાળે નાપાસ જ થાય છે. ખરા ઉતરવું હોય તો તેની કિંમત ચૂકવવી પડે છે અને એટલી હિંમત લોકોમાં હોતી નથી.

પણ સ્થાપિત હિતોએ અંતરાત્માની એરણેથી બચવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વ્યવસ્થા જ એવી રચો કે શરણાગતિ સંમતિના સ્વરૂપમાં નજરે પડે. જેમ કે ગુરુ પાસે ભણ્યા હોય તો ગુરુદક્ષિણા આપવી પડે. શિષ્યનો ધર્મ છે અને શિષ્યએ શિષ્યધર્મનું પાલન કરવું જ જોઈએ. એક વાર ઉદાત્તતા(nobility)નો વરખ ચડાવી દો એ પછી અનીતિ નીતિ બની જાય. એમાં જેને ભણવાનો અધિકાર ન હોય અને ઉપરથી ગુરુની જાણ વિના ભણ્યો હોય તો એ તો સજાને પાત્ર ગંભીર ગુનો કહેવાય. ગુરુ દ્રોણે એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગી લીધો અને એકલવ્યએ શિષ્યધર્મનું પાલન કરીને આપી દીધો. વિવેક અને અંતરાત્માની એરણેથી બચવા માગતા લોકો એકલવ્યની ગુરુનિષ્ઠા અને શિષ્યધર્મનાં ઓવારણા લેશે, અને દ્રોણની બાબતે ચૂપ રહેશે. બધું જ ધર્મસંમત થઈ રહ્યું હોય તો અન્યાય અને અનીતિ ક્યાં આવ્યાં? એકલવ્ય ગુનેગાર હતો અને તેણે મૌન રહીને સજા સ્વીકારી લીધી પછી શરમાવાની ક્યાં વાત આવી! ટૂંકમાં એકલવ્યની શરણાગતિનું સ્વરૂપ સંમતિનું હતું અથવા તેનું સંમતિનું સ્વરૂપ શરણાગતિનું હતું.

અને કર્ણ? એ કુંતીપુત્ર હતો, પણ કુંતીનાં જેની સાથે લગ્ન થયાં હતાં તેનાથી નહોતો થયો એટલે એ અનૌરસ પુત્ર હતો. આદિવાસી શિષ્ય એક જ ગુરુના ક્ષત્રીય શિષ્યની બરાબરી ન કરી શકે એમ અનૌરસ પુત્ર એક જ માતાના ઔરસ પુત્રોની બરાબરી ન કરી શકે. મહાભારતના પાત્રોમાં સૌથી વધુ શુરવીર, સૌથી મોટો બાણાવળી, સૌથી વધુ ટેકીલો, સૌથી વધુ સત્યનિષ્ઠ અને પોતાનાં મનોજગતને અભિવ્યક્ત કરવામાં સૌથી વધુ પ્રામાણિક માણસે સમાજધર્મને સ્વીકારી લીધો હતો. ભીષ્મ જેવાઓને કર્ણના અશ્રુ નજરે નહોતાં પડ્યાં, પણ કર્ણની સંમતિ ખપની હતી. આવાં બીજાં અનેક ઉદાહરણો પુરાણો અને મહાકાવ્યોમાંથી મળી રહેશે. માત્ર ભારતમાં નહીં વિદેશમાં પણ. અરે, આપણા ઘરમાં એક નજર કરો. સ્ત્રીધર્મ અને પત્નીધર્મ ન્યાયી છે? પણ એમાં સ્ત્રીની સંમતિ મળી રહેશે, કારણ કે એ તેને માટે નક્કી કરવામાં આવેલો અને આપવામાં આવેલો ઉદાત્ત ધર્મ છે. શરણાગતિને સંમતિનું સ્વરૂપ આપો અને ઉપરથી ધર્મનિષ્ઠાની ઉદાત્તતાનો વરખ ચડાવો એટલે કોઈને અન્યાય પણ કરી શકાય અને અન્યાયને ન્યાયી પણ ઠરાવી શકાય. અંતરાત્માની એરણેથી બચી નીકળવાની ચેષ્ટા પણ કરી શકાય. ચેષ્ટા, બચી તો શકાતું જ નથી.

દરેક વખતે મૌનનો અર્થ સંમતિ નથી થતો, સંમતિનો અર્થ સ્વીકૃતિ નથી થતો અને કેટલીક વખત, કેટલીક વખત શું મોટા ભાગે, મૌન સંમતિનો અર્થ શરણાગતિ જ થતો હોય છે. મૌન રહેનાર કે સંમત થનાર કોણ છે એ મહત્ત્વનું છે. અને કોની સામે એ મૌન રહે છે કે સંમત થાય છે એ મહત્ત્વનું છે. ખેતરોમાં થતા જાતીય સંબંધો સંમતિપૂર્વકનું સેક્સનું સેલિબ્રેશન છે કે સંમતિજન્ય બળાત્કાર એ તો બે પાત્રો કોણ છે અને કેવી સ્થિતિમાં છે એના પર નિર્ભર કરે છે. સંમતિજન્ય બળાત્કારોએ આ જગતમાં અનેક કોમ પેદા કરી છે.

પારસીઓ માટે આપણને બધાને ગૌરવ છે અને તેમની વસ્તી ઘટી રહી છે એ વાતે દુઃખી પણ છીએ. પણ તમે વાંસદા પારસીઓ વિષે જાણો છો? એક સમયે પારસીઓ ધરમપુર અને ડાંગના જંગલમાં ઘાસ કાપવાના, લાકડાં કાપવાના, દારુ બનાવવાના કોન્ટ્રાક્ટ લેતા હતા. આ સિવાય તેમની જમીનો પણ હતી. તેઓ દુબળા આદિવાસી સ્ત્રીઓનું જાતીય શોષણ કરતા હતા અને એમાંથી પારસીઓની એક કોમ્યુનિટી અસ્તિત્વમાં આવી જે વાંસદા પારસી તરીકે ઓળખાય છે. મા દુબળી અને બાપ પારસી. ગુજરાતના આદિવાસીઓ માટે વપરાતો દુબળા શબ્દ જ સંમતિશાસ્ત્ર વિષે ઘણું બધું કહી જાય છે. પારસીના સંતાનને આદિવાસીઓ ઉછેરતા હતા અને પોતાની સાથે રાખતા હતા. પારસીઓ તેમને પોતાનાં સંતાન તરીકે સ્વીકારતા નહોતા, ત્યાં નવજોત કરીને કોમમાં લેવાની તો વાત જ દૂર. ગાંધીયુગમાં એક પારસી દસ્તૂરે વાંસદા પારસીઓને નવજોત આપવાનું શરૂ કર્યું હતું, પણ પારસીઓ હજુ આજે પણ તેમનો દિલથી સ્વીકાર કરતા નથી.

પણ દુબળી સ્ત્રીની સંમતિ પ્રતિકાર વિનાની નહોતી. ગાયકવાડ રાજ્યે પ્રકાશિત કરેલી સયાજી લોકગીત માળામાં દુબળા આદિવાસીઓ હોળીના અવસરે જે ગીતો ગાતાં એમાં પારસીઓની નિંદા કરનારાં અનેક ગીતો મળે છે. દિલમાં સંઘરી રાખેલી પીડાને તેમ જ મૂંઝારાને વાચા આપવાની તક શોષિતો શોધતા જ હોય છે અને ત્યારે આપવામાં આવેલી સંમતિ ઓગળી જાય છે. પણ આપણે ક્યાં એના તરફ નજર કરી છે. મૌન સંમતિના ચિત્કારો સાંભળવા માટે જાગતલ માયલો જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 20 ઑગસ્ટ 2023

Loading

રેવાકાંઠે માંગરોળમાં સમાજકાર્યના ‘પ્રયાસ’નો માહિતી-સંગ્રહ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 August 2023

પુસ્તક પરિચય

‘માટીની મહેંક’ સમાજકાર્ય કરનારી સંસ્થા ‘પ્રયાસ’ના અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષની કામગીરીનો દસ્તાવેજ છે. ‘સર્વાંગિણ ગ્રામવિકાસ મંડળ પ્રયાસ’ રેવા કાંઠે રાજપીપળાની નજીક આવેલાં માંગરોળ પંથકના પાંત્રીસેક ગામોમાં ગાંધી-વિનોબા પ્રેરિત માર્ગે કામો કરતું રહ્યું છે.

વિનોબા ભાવેએ સૂચવેલું કે સમાજે ગામડાંને સાત પાયાની જરૂરિયાતો માટે પગભર કરવા જોઈએ : અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, ઓજાર, જીવન કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.

આ સપ્તસ્વાવલંબનના પહેલાં પગલાં તરીકે ‘પ્રયાસ’ સજીવ ખેતીની દિશામાં વર્ષોથી આગળ વધી રહ્યું છે, એમ સંસ્થાના પ્રમુખ શિલ્પિન મજમુદાર પુસ્તકની શરૂઆતમાં ‘વિચારબીજ’ લેખમાં નોંધે છે.

તેમાં જણાવ્યા મુજબ સંસ્થાના ઓજાર કેન્દ્રે 75 જેટલાં ગામોના સાડા સાતસોથી વધુ સીમાંત ખેડૂતોને ઓજાર પૂરાં પાડ્યાં છે. આરોગ્યશાસ્ત્રની બહુવિધ પ્રવૃત્તિઓ અને જીવનલક્ષી કેળવણી માટે ચાળીસ ગામોની શાળાઓમાં ગુંજતું ઘર પ્રવૃત્તિ પણ ચાલે છે.

શિલ્પિન આગળ લખે છે : ‘આ બધાની ઉપર ગ્રામશાળાની પ્રવૃત્તિ છે જેમાં પરિવારધન, માટીધન, જીવનધન અને ગ્રામધનનો સમાવેશ થાય છે.’

આવી અનેકવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર તપસીલ સવા છસો પાનાંના પુસ્તકના પાછળના 341 પાનાંમાંથી મળે છે. ચૌદમા વિભાગ ‘અવિરત ઝરણું’માં વર્ષ 1985-86થી ગયાં વર્ષના ડિસેમ્બર સુધીનાં કાર્યોની સાલવાર ઝલક મુદ્દાસર અને ઘણાં કોષ્ટકો સ્વરૂપે મળે છે.

તેમાં 1988-90ના વર્ષોમાં ‘પ્રયાસ’ દ્વારા ઉત્પાદિત સુધારેલાં ખેતીના અને ગૃહઉદ્યોગના સાધનો વિશે રસપ્રદ માહિતી છે. જેમ કે ‘દિવેલા થ્રેશર’ આખા દિવેલાનું કવચ તોડી અંદરના એરંડા છૂટા પાડવાનું તેમ જ મગફળી ફોલવાનું સાધન છે.

ખળામાં અનાજના દાણા છૂટા કર્યા પછી દાણામાંથી કચરાને ઉડાડવા માટે ઉણપવાના પંખા ‘પ્રયાસે’ બનાવ્યા. માટીની ઇંટો પાડવા માટે પેડલથી ચાલતું મશીન, ખેતરમાંથી નીંદામણ ઉખાડવા માટે કારબડી સેટ, મરચાં અને તુવેરદાળ હાથઘંટી, નખથી મકાઈ ફોલવાને દાણા સરળતાથી કાઢવા માટેનું મકાઈ દાંતી મશીન પણ સંસ્થાએ બનાવ્યાં.

તેણે પાસેથી બાળકો માટે સુકોમળ જાજરૂ, કુંભારને માટી પકવવા માટે સુધારેલા નીભાડા, કોતર બાંધવા તેમ જમીન નવસાધ્ય કરવા કોતર પ્લગ, માલ-માટી-દાણ વહન કરવામાં શ્રમ બચાવતી બે પૈડાંવાળી સુપડા ગાડી જેવી ભેટ પણ લોકોને ધરી.

આવાં અનેક સાધનોનું નવપ્રવર્તન (ઇનૉવેશન) ‘પ્રયાસ’ના ‘માનવીય ટેક્નોલૉજી ફોરમે’ કર્યું છે. ફોરમ સંસ્થાની અનોખી મૌલિક સિદ્ધિ છે. તેનો ઉદ્દેશ ગામડાંના લોકોના અને ખાસ કરીને ખેડૂત વર્ગના શ્રમ હળવા બને તેવાં સસ્તાં, ટકાઉ અને લોકભોગ્ય સાધનો બનાવવાનો છે.

તેના પાયામાં ‘પ્રયાસ’નો વૈજ્ઞાનિક અભિગમ અને તેના સ્થાપકો-કાર્યકર્તાઓના, કાર્યગ્રામોચિત ટેક્નોલોજી તેમ જ ખેત ઇજનેરીનું જ્ઞાન રહેલાં છે. ઇકોફ્રેન્ડલિ અભિગમ પણ તેમાં પૂરેપૂરો સમાયેલો છે.

માનવીય ટેક્નોલૉજી ફોરમ, ગ્રામોચિત ટેક્નોલૉજી, એગ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ (ખેતી આધારિત ગ્રામવસાહતો), ગ્રામ પોલિટેકનિક અને ‘પ્રયાસ’ની એકંદર તાત્ત્વિક ભૂમિકા તેરમા વિભાગ ‘અગત્યની કર્મકણિકાઓ’ના નવ પ્રકરણોમાં વાંચવા મળે છે.

તેમાંથી મોટા ભાગનાં મહેન્દ્ર ભટ્ટે સર્વોદય વિચારધારાના પાક્ષિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’માં પ્રસિદ્ધ  થઈ ચૂકેલા છે એવી માહિતી જાણીતા સર્વોદય કર્મશીલ રજનીભાઈ  દવે આપે છે.

તેમાં ‘કેટલાંક ગ્રામોપયોગી સંશોધનો’ મથાળા હેઠળ વિવિધ સાધનોની આકૃતિઓ સાથે આપેલી માહિતી વિશેષ રસપ્રદ છે. આ સાધનો છે : ડમરૂ ચુલો, સૂરજ ચુલો, એકલિયું, કામકડાં, મકાઈ દાંતી, શીકા ચાળણો / ફીરકી ચાળણો, સુકોમળ જાજરૂ, કોતર પ્લગ, ટેબલ-કમ-કબાટ અને ખાતર સૂયો. 

મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની ભારતીબહેન સંસ્થાના આધારસ્તંભ છે. આ સંવેદનસભર સમર્પિત યુગલ પુસ્તકનાં પોણા બસોથી વધુ પાનાંમાં પ્રગટે છે, જેમાં તેમનાં સ્વકથન અને દર્શન પણ આવી જાય છે.

લગ્નજીવનની અરધી સદી વીતાવી ચૂકેલાં દૃષ્ટિસંપન્ન દંપતીના ‘સંતસ્વરૂપ’નું કિર્તન પુસ્તકના અગિયારેક વિભાગોમાં પણ વ્યાપેલું છે. ‘પરિવારજનોની અમીદૃષ્ટિ’ એવાં કૌટુંબિક પ્રકરણ ઉપરાંત અનુક્રમણિકા મુજબ ‘પ્રયાસ’ના નામે આવતા સાત વિભાગોમાં સંસ્થાના સાથીદારો, મિત્રો-શુભેચ્છકો, તાલીમ સંગાથીઓ, શિબિરાર્થીઓ, સંવર્ધકો અને ટ્રસ્ટીઓ થઈને એંશી જેટલા સમાજકાર્યકરોએ કરેલાં લખાણો મુખ્યત્વે મહેન્દ્ર-ભારતીની મહત્તાને કેન્દ્રમાં રાખે છે. રમેશ સંઘવીએ નોંધ્યું છે : ‘પ્રયાસની કથા એટલે મહેન્દ્રભાઈ-ભારતીબહેનની જ કથા’.

જો કે રમેશભાઈએ સંસ્થાના ઇતિહાસ વિશે લખતાં તેની સ્થાપનામાં પહેલ કરનાર ‘નીમપાગલ’ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમની વાત વત્તીઓછી વિગતે બીજા લેખોમાં પણ મળી આવે છે. રમેશભાઈ કહે છે : ‘… નાનુભાઈ મજમુદાર અને જગદીશભાઈ લાખિયા, મહેન્દ્રભાઈ અને ભારતીબહેન તેમ જ પદ્માબહેન ચોકસી, સુશીલાબહેન ડાંગરવાલા, ડૉ અશ્વિનભાઈ પટેલ અને ડૉ. અશોકભાઈ ભાર્ગવ આ અષ્ટજનોનો ‘પ્રયાસ’ યાત્રારંભે રહ્યો.’

મહેન્દ્ર-ભારતીએ પોતે ‘સંસ્થાનું જતન’ વિભાગમાં ‘મંગળેશ્વર મહાદેવની એક ઝૂંપડીથી’ શરૂ થયેલી સંસ્થાની કથા લખી છે, જે ‘જીવનગાન’નાં બાર ગીતો અને ‘જીવનમંત્રથી પૂરી થાય છે.

પુસ્તકમાંથી સંસ્થાનું જે શીલ ઉપસે છે તેમાં સકળ સૃષ્ટિ માટે સમજપૂર્વકનો આદર, સાદગી અને સૌંદર્ય, શોધન અને નવપ્રવર્તન, ધીરજ અને ઠાવકાઈ, ‘લોક’ માટેની અફર શ્રદ્ધા જેવા ગુણોનો સમાન્વય મળે છે.

‘પ્રયાસે’ સમાજોપયોગી કાર્ય નોંધપાત્ર પ્રમાણમાં કર્યું છે, એમ આ પુસ્તક બતાવે છે. પણ તેનું નામ બીજી કેટલીક સેવાસંસ્થાઓની સરખામણીમાં ઓછું જાણીતું હોવાની આ લખનારની છાપ છે. તેની પાછળ સંસ્થાની પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરવાની વૃત્તિ હોઈ શકે.

સંસ્થામાં વિવિધરૂપે ફાળો આપનાર ખેડૂતો, દાતાઓ, શ્રમજીવીઓ, ગ્રામજનો, કાર્યકર્તાઓ અને બાળકોને ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે. પુસ્તકનાં છેલ્લાં આડત્રીસ પાનામાં પ્રવૃત્તિઓની પોણા બસો રંગીન છબિઓ ઉપરાંત પચાસેક સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓના ફોટોગ્રાફ્સ છે.

‘પ્રયાસ’ના આ મહત્ત્વના માહિતી-સંચયમાં સંપાદકની ગેરહાજરી અને સંપાદનની સતત જરૂર વર્તાય છે. ‘મહેંક’ એવી ભૂલભરેલી જોડણી (સાર્થ જોડણીકોશ મુજબ) મુખપૃષ્ઠ સહિત બધી જગ્યાએ છે.

જો કે જે પુસ્તકમાં જે વિત્ત એકઠું થયું છે તેમાંથી મૂડીવાદ, ઉદ્યોગવાદ અને ઉપભોગવાદની સામે એક વિચારણીય વૈકલ્પિક દર્શનની પ્રતીતિ જરૂર થાય છે.

*   *   *   *   *   *   *   *

● આભાર : ભદ્રાબહેન સવાઈ, રજનીભાઈ દવે, સ્વાતિબહેન દેસાઈ

● પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન અને કિંમત જણાવેલાં નથી. 

● સંસ્થાનું સરનામું : ‘પ્રયાસ’, મુ.પો. માંગરોળ, તા. નાંદોદ, જિલ્લો નર્મદા 393 150, e.mail : sarvanaginprayas@gmail.com

[આજના ‘દિવ્ય ભાસ્કર’ ની પૂર્તિમાં આવેલા મારા લેખની વધુ વિગતો સાથેની વર્ઝન]
[750 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...885886887888...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved