Opinion Magazine
Number of visits: 9560750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નફરતની આંધી કેટલો વિનાશ નોતરશે ?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|24 October 2023

અશ્વિનકુમાર ન. કારિયા

શાળાના દરેક પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા લખેલી હોય છે, અને શાળાના કાર્યક્રમોમાં વિદ્યાર્થી મુખેથી તે બોલાવવામાં આવે છે કે દરેક ભારતીય મારાં ભાઈ-બહેન છે. બાળકો અરસપરસ ભાઈચારો અને સૌહાર્દ ભાવના કેળવે તે જરૂરી છે. પરંતુ એ કમનસીબ બાબત છે કે ભારતની બે મુખ્ય જાતિઓ વચ્ચે નફરત પેદા કરવા માટે ઝનૂનપૂર્વક પ્રયત્નો કરવામાં આવે છે.

હરિયાણાના નૂહમાં થયેલ એકપક્ષીય તોફાનો તેમ જ ઉત્તર પ્રદેશમાં આરોપી મુસ્લિમોના ઘર પર બુલડોઝર ફેરવ્યાની વાતો હવે જૂની થઈ ગઈ. પરંતુ જ્યાં બાળકોને સારા નાગરિકો બનવાની તાલીમ આપવાની વાત હોય, ત્યાં તેમનાં કુમળાં માનસમાં અન્ય જાતિ તરફ નફરત જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ આંધી દેશને વિનાશના કયા તબક્કે પહોંચાડશે ? બીજો પ્રશ્ન એ થાય છે કે શું તેનાથી મોંઘવારી કે ગરીબી ઘટશે, બેરોજગારી હટશે, અસ્પૃશ્યતા અટકશે, શિક્ષણ સસ્તું થશે, અંધશ્રદ્ધા નાબૂદ થશે, ગંદકી દૂર થઈ જશે ?

કેટલાંક ઉદાહરણો ચોંકાવનારાં છે. મુઝફરનગર જિલ્લાના કોઈ ગામે શિક્ષિકા તૃપ્તા ત્યાગીના કહેવાથી હિંદુ બાળકોએ મુસ્લિમ બાળકને લાફા માર્યા. પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે એકબીજાને ગળે લગાડ્યા. પરંતુ ‘બૂંદ સે બિગડી, હોજ સે નહીં સુધરતી’, કહેવતની માફક પીડિત બાળકના મનમાં કેવા ભાવો જાગ્યા હશે તેનો વિચાર નફરત પ્રચારકોએ કર્યો લાગતો નથી. શું આવા બનાવથી તેને હિંદુ ધર્મ તરફ પ્રેમ ઊભરાશે ? આવા બાળકના મનમાં ખુન્નસ પેદા થવાની સંભાવના છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે એક સમારંભમાં મુસ્લિમ બાળાને ઈનામ લેતાં અટકાવવામાં આવી હતી.

૧૫ ઑગસ્ટના રોજ ધોરણ ૧૦માં શાળામાં નંબર લાવનાર બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ રખાયો હતો. પ્રથમ ક્રમે મુસ્લિમ બાળાનો ક્રમ હતો. તેણી પ્રથમ ક્રમે હોવા છતાં, તેણીને બાકાત રાખી તેના પછીના ક્રમે આવનાર બાળકોને ઈનામ અપાયાં. સોશિયલ મીડીઆ તથા અખબારોમાં શાળાએ કરેલ ભેદભાવ સામે ખૂબ ઊહાપોહ થયો. શાળાના આચાર્યે અંતે માફી માગી અને પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે થોડા દિવસો બાદ ખાસ સમારંભ યોજીને પીડિત મુસ્લિમ બાળાને ઈનામ અપાયું. એમ કહેવાય છે કે તે શાળામાં નિશા નામની દલિત કન્યા પણ અગાઉના પ્રથમ નંબરે આવેલ હોવા છતાં, નથી તેણીની માફી માગવામાં આવી કે નથી તેણીને ઈનામ અપાયું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તાજેતરમાં સમાન નાગરિક ધારા પર વ્યાખ્યાન યોજાયેલ. આ વિષયનાં બંને પાસાંઓ પર વાદ થાય તો આવકાર્ય છે. જાણવા મળ્યું છે કે વ્યાખ્યાનને નામે મુસ્લિમ વિરોધી વાતો કરવામાં આવી હતી. ઉપરાંત, હોલમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પાસે ‘જય શ્રીરામ’નો નારો ઉચ્ચારવામાં આવતો હતો. શું આ રીતે ભેદભાવભરી નીતિ અપનાવવાથી સુરાજ્ય સ્થપાશે ? આપણી સામે પાકિસ્તાન, સીરીઆ, અફઘાનિસ્તાન જેવા ધર્મ આધારિત દેશોની જે હાલત છે તેને કેમ નજરઅંદાજ કરીએ છીએ ?

કશ્મીરનો બનાવ પણ આંખ ઉઘાડનારો છે. કોઈ એક શાળામાં એક વિદ્યાર્થીએ બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખ્યું. તેને લઈને બે મુસ્લિમ શિક્ષકોએ તેની પિટાઈ કરી. શિક્ષકોનું આ કૃત્ય અધમ, અમાનવીય અને અસ્વીકાર્ય છે.

કોઈપણ બાળકને તેણે ઉચ્ચારેલ પ્રતિજ્ઞા કરતાં વિરુદ્ધ વર્તન કરવા ફરજ પાડતા શિક્ષકો તરફ શું માનની લાગણી પેદા થતી હશે કે ગૌરવ પેદા થતું હશે ? તેના પર માનસશાસ્ત્રીઓએ પ્રકાશ ફેંકવો જોઈએ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 20

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૫) 

સુમન શાહ|Opinion - Literature|24 October 2023

સુમન શાહ

આજે, પણ્ડિતરાજ જગન્નાથ  વિશે —

એમનો સમય છે, ૧૭-મી સદીનો મધ્ય ભાગ. એમના ગ્રન્થનું શીર્ષક છે, “રસગંગાધર”.

(રા.બ. આઠવલેના “રસગંગાધર ખણ્ડ : ૧”-નો અનુવાદ નગીનદાસ પારેખે ગુજરાતીમાં કર્યો છે, પણ મને યાદ છે એ મુજબ, એમાં સંસ્કૃત પાઠ નથી.)

સૌ કાવ્યાચાર્યોની જેમ જગન્નાથના ગ્રન્થમાં પણ કાવ્યલક્ષણ, કાવ્યહેતુ, કાવ્યભેદ કે ગુણદોષની ચર્ચા છે.

એમણે ‘ધ્વનિકાવ્ય’-ના એક મહત્ત્વના ભેદ ‘રસધ્વનિ’-ના ચર્ચાપ્રસંગે ભરત મુનિના રસસૂત્રની અને અનુષંગે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક અને અભિનવગુપ્તના મતોની ચર્ચા ઉમેરી છે. પરન્તુ એ ચર્ચા રસ-સમ્પ્રદાય અને ધ્વનિ-સમ્પ્રદાયના જ્ઞાતા અને અધ્યેતા માટે કશો નવો પ્રકાશ નથી પાડતી. અલબત્ત, કેટલીક નાની બાબતોમાં જગન્નાથ જુદા પડતા હોય છે, પણ જરાક જ.

જગન્નાથે કાવ્યના અર્થને રમણીય કહ્યો, રમ્ય, પ્લેફુલ, એ એમનો મહત્તમ વિશેષ છે.

Pic Courtesy : Chaukhamba  Vidya Bhavna Varanasi

એ રમ્ય કે રમણીય તત્ત્વને અનેક વિદ્વાનોએ સાહિત્યસર્જન સંદર્ભે લાક્ષણિક ગણ્યું છે. અંગ્રેજ કવિ વિલિયમ બ્લેક કલાકારને બાળ-સહજ ગણતા, ‘ધ ટ્રુ આર્ટિસ્ટ ઈઝ નેવર ઍનિથિન્ગ બટ અ ચાઇલ્ડ’. અમેરિકન નવલકથાકાર ફ્લૅનરી ઓ’કોનોર કહેતા કે ‘રાઇટિન્ગ ઇઝ લાઇક પ્લેઇન્ગ ધ પિયાનો ઇન ધ ડાર્ક’. સુખ્યાત સમીક્ષક નૉર્થ્રોપ ફ્રાયે કહેલું, ‘લિટરેચર ઇઝ ધ ફૉર્મ ઑફ પ્લેફુલ રિચ્યુઅલ’. ‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’ના વિદ્વાનો – રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’ના વિદ્વાનો – કૃતિના અર્થ માટે ભાવકના અનુભવને નિર્ણાયક લેખે છે, પણ ભાવનની એ પ્રક્રિયાને ‘પ્લેફુલ ઇન નેચર’ કહે છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જગન્નાથ એ રીતે જુદા પડે છે કે એમણે રમણીયતાની વિભાવનાને વીગતનાં એક પછી એક ડગ ભરીને શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરી છે.

તેઓ પ્રારમ્ભે જ કહે છે : 

રમણીયાર્થપ્રતિપાદક: શબ્દ: કાવ્યમ્ 

– રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો શબ્દ કાવ્ય છે. 

રમણીયતા કોને કહેવાય? : 

રમણીયતા ચ લોકોત્તરાહ્લાદજનક જ્ઞાનગોચરતા. 

– રમણીયતા લોકોત્તર આનન્દ જનમાવનારી જ્ઞાનગોચરતા છે. 

એટલે કે લોકોત્તર, અલૌકિક, આનન્દજનક જ્ઞાનનો વિષય, રમણીયતા છે. 

લોકોત્તરતા શું છે? : 

લોકોત્તરત્વમ્ ચાહ્લાદગતશ્ચમત્કારત્વાપર્યાયોડનુભવસાક્ષિકો જાતિવિશેષ: 

– લોકોત્તરતા જ ચમત્કાર છે; બીજા શબ્દોમાં, એ એક વિશિષ્ટ પ્રકારની આહ્લાદદાયક અનુભૂતિ છે. પુત્રજન્મ કે ધનપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, જ્યારે આ અ-લૌકિક છે, લોકોત્તર છે.

એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? 

એ પ્રશ્નનો ઉત્તર જગન્નાથે સરસ આપ્યો છે, કે એ આહ્લાદ લોકોત્તરતાની ભાવનાનું વારંવાર અનુસન્ધાન કરવાથી પ્રગટે છે – કારણમ્ ચ તદવચ્છિન્નમ્ ભાવનાવિશેષ:પુન:પુનરનુસન્ધાનાત્મા.

મને જાણ છે કે કલાકૃતિનાં મારાં ભાવન, કૃતિના કેન્દ્રથી પરિઘ સુધી અને પરિઘથી કેન્દ્રમાં આવ-જા કરીને રસ ઘોળતાં હોય છે …

જગન્નાથે રમણીયાર્થયુક્ત કાવ્યની આ અનુભૂતિ માટે પ્રયોજેલાં બે વિશેષણ મને ખૂબ યથાર્થ અને સયુક્તિક લાગ્યાં છે -અનુભવસાક્ષિક: અને જાતિવિશેષ:

આ પરત્વે જગન્નાથનું તાત્પર્ય એ છે કે કાવ્યના અનુભવનું કોઈ સાક્ષ્ય અથવા પ્રમાણ હોય તો તે છે, સહૃદયનો કાવ્યાનુભવ. એટલે કે, કાવ્યકલાને અન્ય પ્રમાણોથી પ્રમાણી શકાય નહીં, એમ કરવા જતાં, કશું પણ પ્રમાણ હાથ આવશે નહીં. 

વળી, કાવ્યનુભવને તેઓ જાતિવિશિષ્ટ કહે છે. એટલે કે, કાવ્યાનુભવની જાતિ કાવ્યાનુભવ પોતે જ છે. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં સમજાવું તો કહું કે કલાની કોટિ કલા જ છે, એની કોઈ બીજી કોટિ નથી, કલા અદ્વિતીય છે, યુનિક છે.

આ ઉપરાન્ત, જગન્નાથે કરેલી કાવ્યહેતુની ચર્ચા પણ મને ઘણી નૉંધપાત્ર લાગી છે, કેમ કે એ પણ યથાર્થ અને સયુક્તિક છે :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર, કાવ્યના કારણભૂત પરિબળોમાં પ્રતિભા, વ્યુત્પત્તિ, અને અભ્યાસ છે, શાસ્ત્રમાં એ ત્રણને કાવ્યહેતુ કહ્યા છે. જગન્નાથ કહે છે કે કાવ્યનો હેતુ, કારણ, પ્રતિભા છે. પણ પ્રતિભા શું છે? તેઓ કહે છે કે કાવ્યઘટનાને અનુકૂળ શબ્દાર્થોની ઉપસ્થિતિનું નામ પ્રતિભા છે. 

અન્ય કાવ્યાચાર્યોએ પ્રતિભાને ઈશ્વરદત્ત ગણી છે, પણ જગન્નાથનું આ દૃષ્ટિબિન્દુ જુદું, વાસ્તવિક અને વિશ્વસનીય છે.

તેઓ કહે છે કે કોઈ દેવતા કે કોઈ મહાપુરુષની પ્રસન્નતા કારણ હોય પણ એ તો અદૃષ્ટ કારણ છે. ક્યારેક અસાધારણ અધ્યયન, વ્યુત્પત્તિ, કારણ હોય; ક્યારેક કાવ્યરચનાનો અભ્યાસ કારણ હોય; પણ કોઈ કોઈ અબુધોમાં તો માત્ર મહાપુરુષની પ્રસન્નતાથી જ પ્રતિભોત્પત્તિ થઈ હોય છે ! એમાં એમના પૂર્વજન્મની વિલક્ષણ વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ સ્વીકારી શકાય નહીં કેમ કે એમાં બિનજરૂરી વિસ્તાર થાય અને પ્રમાણનો પણ અભાવ હોય છે. જગન્નાથે દૃષ્ટ-અદૃષ્ટનું વૈચારિક નિદર્શન સ્વીકારીને વિશેષ છણાવટ પણ કરી છે, જેમાં જવાનું અત્રે કારણ નથી. 

પરન્તુ તેઓ કાવ્યને એક ઘટના ગણે છે, અને એ ઘટે તેમાં કારણ બને એ શબ્દાર્થોને પ્રતિભા ગણે છે, એ મહત્ત્વનું છે. કેમ કે એથી એમણે વ્યક્તિમાં નહીં પણ શબ્દાર્થમાં પ્રતિભા જોઈ, એ વસ્તુલક્ષીતા વિચારલાભ કરાવે છે, અને તેથી પ્રશંસાપાત્ર ઠરે છે.

= = =

(10/23/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહારોગ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|23 October 2023

પ્રીતમ લખલાણી

‘અરે! આવો માસ્તરસાહેબ!’ મોહન પટેલે દાઢમાંથી આવકાર આપતાં કહ્યું, ‘માસ્તર, તમારો ભાઈ ગામમાં ભારે વટ છે, હોં! હમણાં બે ચાર છોકરાં પાદરથી દોડતાં આવી મને ખબર આપી ગયા કે તમે સરકારી ડૉકટરો સાથે હરિજનવાસની સેવા કરવા નિશાળને રેઢી મૂકીને ગયા છો! ઠીક છે, ભલા! સરકારી નિશાળ છે! એટલે તમને પૂછવાવાળું કોણ છે?’

‘ના, સરપંચસાહેબ, એવું કંઈ નથી! સરકાર ન પૂછે પણ તમે તો જરૂર પૂછી શકો છો, ખરેખર! અમે તો સરકાર કરતાં તમારા સેવક સાચા.’

‘ઠીક છે, એ બધી ઉપરછલ્લી વાત! બોલો ચૌહાણસાહેબ શું હુકમ પાણી છે?’

‘મોહનભાઈ, મારી સાથે આવેલ આ ભાઈ અને બહેન સરકારી ડૉકટર છે. ટાઈફૉડ, મેલેરિયા અને કૉલેરા જેવા રોગે આપણા જિલ્લાને ભરડામાં લીઘો છે. સદ્ભાગ્યે તેનાં દર્શન હજી આપણા ગામમાં દીઠાં નથી. સરકાર તરફથી રોગ પ્રતિકારક રસી મૂકવા માટે આવ્યાં છે. બસ તમે હુક્મ કરો કે ગામમાં કયાંથી ડોકટરસાહેબોએ કામની શુભ શરૂઆત કરવી!’

હુક્કાનો એક ઊંડો કસ લેતાં સરપંચ બોલ્યા, ‘ચૌહાણસાહેબ, હું તમને કશુંક કહું તે પહેલાં જ જો તમે મારા વતી આ ડોકટરોને જણાવી ઘો કે ગામમાં તમે જે પગલે આવ્યાં છો તે પગલે પાછા ફરી જાવ. નકામી કારણ વિના મારે ના કહેવા કયાં મારી જીભ બગાડવી.’

‘અમે એવો કયો ગુનો કર્યો છે કે તમારે અમારા માટે આવા શબ્દો વાપરવા પડે છે!’ જો તમે અમને આ બાબતમાં ખુલાસો કરીને જણાવો તો અમને અમારી ભૂલ સમજાય! ડૉ. નીતાએ જરા ગુસ્સો દબાવતાં સરપંચને પૂછયું.

ડૉ. નીતા સામું જોઈ ડૉ. કમલેશે જરા ગંભીર સ્વરે પૂછયું, ‘સાહેબ, તમારે જે કંઈ પણ કહેવું હોય તે છૂટથી સંકોચ વિના અમને કહી શકો છો. અમારે તો તમને પ્રેમપૂર્વક સાંભળવા જોઈએ! આમ તો અમે સરકારી નોકરચાકર છીએ! જો તમે અમારી ભૂલ સામું ઘ્યાન નહીં આપો તો બીજું કોણ આપશે?’

‘ડૉકટરસાહેબ, તમે ગામમાં પગ મૂકતાની સાથે જ ગામમાં સવર્ણોને બદલે આ માસ્તરની ચઢામણીએ હરિજન વાસમાં રસી મૂકવા ચાલ્યા ગયા. હવે તમારાં આ ઈન્જેકશનના પંપો અને  આ સોયોથી રસી લઈને હું મારા દેહને અભડાવું! જો તમે એમ માનતા હો કે અમે તમારી મીઠી મીઠી વાતોમાં આવીને રસી મુકાવી અમારા દેહને અભડાવી લેશું તો, તમે એ વાતને ભૂલી જજો.’

‘સરપંચસાહેબ, શું આવી ફાજલ વાતો કરો છો? અમારે સરકારને જવાબ આપવાનો હોય છે! અમે સરકારી નોકરો કોઈ નાતજાતમાં ન માનીએ! અમારે મન તો બઘા માણસો સરખા!’

ડૉ. નીતા આવેશમાં આવીને વઘારે કયાંક કંઈક બોલી ન નાખે, એટલે ડૉ. કમલેશે તેમને વચ્ચે અટકાવીને સરપંચને બહુ જ વિવેકપૂર્વક કહ્યું, ‘સાહેબ, અમારાથી ભૂલ થઈ ગઈ છે એ વાત અમે કબૂલ કરીએ છીએ, પણ ભૂલને આમ કયાં લગી આપણે વળગીને બેસી રહેશું, બાપુ. ભૂલમાંથી બહાર નીકળવાનો ય કોઈક એકાદ માર્ગ તો હશે જ ને!’

‘ડૉકટરસાહેબ, આ વિષય તો બ્રાહ્મણ અને પુરોહિતોનો છે! હું તમને શુદ્ઘિ કરવાનો માર્ગ શું દેખાડું? આ બાબતમાં તો તમારે અમારા ગામના પુરોહિત પ્રભાશંકર જોશીની જ સલાહ લેવી પડશે. એ જેમ કહેશે તે પ્રમાણે જો તમે રાજી હો તો બોલો. હું હમણાં જ તેમને બોલાવવા તેમના ઘરે કોઈ છોકરાને મોકલું?’

‘જરૂર સરપંચસાહેબ, તમ તમારે જોશીને બોલાવવા છોકરાને મોકલો. અમને ભલા એમાં શો વાંઘો હોય.’ ડૉ. નીતાએ હસતાં હસતાં કહ્યું.

ચોરે પાનાં કૂટતા એકાદ બે છોકરાને સરપંચ, પુરોહિત પ્રભાશંકરને બોલાવવા મોકલે તે પહેલાં જ ખરે બપોરે અવાડેથી ભેંસને પાણી પાઈને ખભે ભીનું પંચિયું નાખીને પ્રભાશંકરને ઉઘાડે ડિલે ચોરા ભણી આવતા જોઈ સરપંચે હાક મારી, ‘અરે! ભૂદેવ, તમે જરા આમ આવો તો, આજ ખરા બપોરે ગામને તમારું કામ પડયું છે!’

‘અરે! બોલો મારા બાપ અમે તમારી સેવાચાકરી નહીં કરીએ તો કોની કરીશું?’

‘પુરોહિત બાપા, આ સરકારી ડૉક્ટરો આપણા ચૌહાણસાહેબના કહેવાથી ગામમાં સવર્ણોને પ્રથમ રસી મૂકવાને બદલે પહેલાં હરિજનવાસમાં ગયાં. હવે તમે જ કહો, આ હરિજનના દેહથી અભડાયેલ સોયો અને ઈન્જેકશનના પંપથી ભલા આપણે કઈ રીતે રસી મુકાવી શકીએ?’

‘અરે! અરે! ઈશ્વર હું આ શું સાંભળી રહ્યો છું. ગામમાં આ માસ્તરના પ્રતાપે તો પાપે લજ્જા મૂકી છે. મોહન પટેલ! જો ઘરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે.’

‘પુરોહિતબાપા, જે થયું તે ઈશ્વરની જ ઈચ્છા! આ ખરા બપોરે તમને ચોરે બોલાવવાનું કારણ એ જ કે તમે આ પાપમાંથી મુકત થવા અમને કોઈ એકાદ રસ્તો દેખાડો. અને જો કોઈ પ્રાયશ્ચિત્તનો માર્ગ જ ન નીકળે એમ હોય તો કહો એટલે આ ડૉકટરને બે હાથ જોડીને પાદર લગી વળાવી આવું!’

‘મોહન પટેલ, તમને આ જનોઈના સોગંદ ખાઈને કહું છું કે તમે ધારો છો એવડું આ કંઈ નાનું પાપ નથી! તમે કહો છો એટલે આ જીવતા જીવ ગામના ભલા માટે આ પાપમાં હાથ નાખી પ્રાયશ્ચિત  વિઘિ કરાવું છું. આ તમામ ઈન્જેકશનના પંપો અને સોયને ગામની પંચકલ્યાણી ગાયોનાં ગોમૂત્રથી ઘોઈ, મંત્રો, પૂજાપાઠ કરી પવિત્ર તુલસીદળને માથે ચઢાવી, આપણે ડૉકતરસાહેબને રસી મુકાવવાનો આદેશ આપી શકીએ!’

‘શું કહ્યું! તમે પુરોહિતબાપા! ગોમૂત્રથી આ ઈન્જેક્શનની સિરિંજ  અને સોયને પવિત્ર કરી, લોકોને રસી મુકાવવાની!’ ડૉ. નીતાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમને પૂછ્યું.

ડૉ. નીતાને પુરોહિત બાપાના માર્ગદર્શનમાં સંકોચ અનુભવતી જોઈ, માસ્તર ચૌહાણ બાજી પોતાને હસ્તક લેતાં બોલ્યા, ‘પુરોહિત બાપા, ખરેખર તમારી વાતને જેટલી દાદ આપીએ એટલી મારી દૃષ્ટિએ ઓછી કહેવાય! બાપા, જો આ રીતે ઈન્જેકશનની સિરિંજ અને સોય ફરી પવિત્ર કરી શકાતી હોય તો તમે કયા શુભ ચોઘડિયાની રાહ જુઓ છો! મંગાવો તાબતોબ ગામની પંચ કલ્યાણી ગાયના ગોમૂત્ર અને કરી દો પૂજાપાઠ.’

આ પ્રમાણે પુરોહિતને પાનો ચઢાવી. બંને ડૉકતરોને એક બાજુએ લઈ જઈને કાનમાં કહ્યું, ‘ડૉકટર, એક વાર આ પૂજા પાઠથી ઈન્જેકશનની સીરિંજ અને સોય પવિત્ર થઈ જવા દો. પછી આપણે આગળ શું કરવું તે વિચારીશું.’

ચોરે પાનાં રમતાં છોકરાંવને સરપંચનો આદેશ મળતાં જ છોકરાઓ હડી કાઢતાં ગામમાં જઈ બેચાર મિનિટમાં જ ચારપાંચ ગાયોનું ગોમૂત્રને એકાદ ત્રાંસાના લોટામાં એકથું કરી ચોરે હાજર થઈ ગયા.

પુરોહિતે ખભેથી મેલાઘેલા પંચિયાને ઉતારી ચોરાના એક ખૂણામાં પાથરી અને ડૉક્ટરોને તેના પર ઈંજેકશનની સિરિંજ અને સોયને મૂકવા જણાવ્યું થોડી જ વારમાં ચોરે એક છોકરો થાળીમાં તુલસી, ઘીનો દીવો તેમ જ પૂજાપાની સામગ્રી લઈને આવી ચઢ્યો. પુરોહિતે સરપંચને સાદ પાડયો, ‘અરે! મોહન પટેલ જો હુક્કો પિવાઈ ગયો હોય તો બેચાર ઘડી આમ આવો. હું તમારા હાથે જ આ પવિત્ર પૂજાની વિઘિ આરંભ કરાવું.’

પુરોહિતનું આમંત્રણ મળતાં જ હરખપદૂડા મોહન પટેલ હાથનો હુક્કો બાજુમાં બેઠેલા રાઠોડને આપી પૂજા કરવા બેસી ગયા.

મોહન પટેલે દરેક ઈન્જેકશનની સિરિંજ તેમ જ સોયને પવિત્ર ગોમૂત્રથી ઘોઈ કરીને પુરોહિતે પાથરેલા પંચિયા ઉપર મૂકી, અબીલગુલાલનાં છાંટિયા કરી પ્રભાશંકર પુરોહિતે શુદ્ધિકરણના શ્લોકના જાપ કરી પ્રત્યેક સિરિંજ  તેમ જ સોયને કૌતુકભરી નજરે જોતાં ડૉ. નીતાની હથેળીમાં મૂકી તેના ઉપર તુલસીદળ મૂકતાં બોલ્યા,’બહેનશ્રી, તમે આ ઈન્જેકશનના પંપો અને આ સોયને બે હાથમાં મૂકી ચોરાની ચારે દિશામાં એક આખું ચક્કર મારો. પ્રત્યેક દિશાના વાયુઓથી આ પંપો અને સિરિંજ પવિત્ર થઈ જશે.’

લોકોની અંઘશ્રદ્ઘા ઉપર મનોમન હસતાં હસતાં ડૉ. નીતાએ પુરોહિત તેમ જ સરપંચને ખુશ રાખવા ચોરાની ફરતું એક ચક્કર મારી તમામ ઈન્જેકશનની સિરિંજ અને સોયને ફરીથી પુરોહિતના હાથમાં મૂકી દીઘાં!

‘મોહન પટેલ, તમે એક વાર આ પંપો અને સોયને સાચવીને એક ડબ્બીમાં મૂકી ઘો અને એ તો ઠીક, પણ ભૂલથી પણ હરિજનનો પડછાયો સુઘ્ઘાં તેના ઉપર ન પડવો જોઈએ. પુરોહિતે સલાહ આપી.’

‘ડૉ. કમલેશ હવે અત્યારે ખરે બપોરે ગામને કયાં ચોરે ભેગું કરવું, એના કરતાં સાંજના ઠંડા પહોરે જો રસી મુકાવવાનું રાખીએ તો મારી દૃષ્ટિએ વિશેષ અનુકૂળ રહેશે. શું કહો છો સરપંચસાહેબ, તમે આ બાબતમાં?’ માસ્તર ચૌહાણે પૂછ્યું?

‘માસ્તર, કયારેક તમે ખરેખર લાખ રૂપિયાની વાત કરો છો. હું પણ તમને હમણાં કહેવાનો જ હતો, પણ તમે મારા મનની વાત કરી લીઘી. તમે એમ કરો …. આ બંને ડૉકટરોને નિશાળે લઈ જઈ એકાદ ખાલી વર્ગમાં તેમને આરામ કરાવી ફરી ડૉકટરોને લઈ સાંજના ચાર સાડા ચારે આવી જજો. ત્યાં સુઘીમાં હું ગામ આખાને અહીં ભેગું કરી નાખીશ. લ્યો ત્યારે રામ રામ.’

ચોરાથી નિશાળ તરફ પ્રયાણ કરતાં ડૉ. નીતાએ કહ્યું, ‘ડૉ. મહેતા આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયથી લોકોને રસી આપવી એ તંદુરસ્તી માટે કેટલી હાનિકારક નીવડે? મને પણ નથી સમજાતું કે તમે પણ આ ગામના ગમારની વાતોમાં આવી જઈને તેમના રંગે રંગાઈ ગયા. પણ હું એક વાત તમને ચોખ્ખીચટ કહી દઉં છું કે હું આ સિરિંજ અને સોયથી ગામના લોકોને કોઈ હિસાબે રસી આપી શકું નહીં. જો તમારે આ લોકોને આ સિરિંજ અને સોયથી રસી આપવી હોય તો તમે પ્રેમથી તેમ કરી શકો છો, પણ આ વાત મેડિકલની દૃષ્ટિએ તેમ જ મારા નૈતિક મૂલ્યની પણ વિરુદ્ધ છે.’

‘નીતા, તમે જરા મન પર ઘીરજ રાખો. આ ગામના લોકોને આપણે કોઈ પણ હિસાબે સમજાવી શક્યા ન હોત. આ ધાર્મિક મનના લોકોને તો પુરોહિતના માર્ગે જ સમજાવી શકાય.’ આમ કહી વાતને આગળ ચલાવતાં માસ્તર ચૌહાણ બોલ્યા, ‘ડૉ.નીતા મેં સમજીવિચારીને જ સરપંચસાહેબને જણાવ્યું કે અત્યારે ખરે બપોરે રસી મુકાવા ગામને ભેગું કરવું તેના કરતાં સાંજના નમતા પહોરે આ કાર્યક્રમ રાખવો. આ શા કારણે મેં આમ કહ્યું, લ્યો આ વાત તમને વિગતે સમજાવું. આપણે નિશાળે જઈ આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયને ગરમ પાણીમાં ઉકાળી સ્ટરિલાઈઝ કરી નાંખીશું. પછી સાંજે આ લોકોને આ સિરિંજ દ્વારા રસી મૂકવામાં શો વાંઘો છે? હવે તો તમે ડૉ. નીતા ખુશ ને?’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...885886887888...900910920...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved