Opinion Magazine
Number of visits: 9665932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાણી વિક્ટોરિયા અને ગાંધીજીએ જોયેલું ‘હરિશ્ચન્દ્ર નાટક’

દીપક મહેતા|Opinion - Opinion|3 January 2024

જૂની મૂડી 

શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઈથોલોજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા તે રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવાનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજી રાજકોટની સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમણે ‘હરિશ્ચન્દ્રનું આખ્યાન’ નામનું નાટક જોયું હતું. એ અંગે આત્મકથામાં ગાંધીજી લખે છે: “એ નાટક જોતો હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે.” ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ઓક્ટોબર ૨૦૧૮માં પ્રગટ થયેલી ‘સમીક્ષિત આવૃત્તિ’માં ત્રિદીપ સુહૃદ જણાવે છે તેમ ગાંધીજીએ જે નાટક જોયેલું તે આ રણછોડભાઈએ લખેલું નાટક.

૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે બીજા ચાર મિત્રોને સાથે રાખીને કેખુશરુ કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી‘ શરૂ કરી હતી. પણ પછી બીજા ભાગીદારો સાથે મતભેદ થતાં કાબરાજી તેમાંથી છૂટા થયા અને પોતાની નવી ‘નાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે આવા એક નાટકની માગણી કરી. અને ૧૮૭૧માં પ્રગટ થયેલું પોતાનું ‘હરિશ્ચન્દ્ર નાટક’ રણછોડભાઈએ તેમને આપ્યું.

રણછોડભાઈ ઉદયરામ

રણછોડભાઈના આ નાટકનો નાનકડો ઇતિહાસ છે. માર્કંડેય પુરાણમાંની રાજા હરિશ્ચન્દ્રની કથા પરથી દક્ષિણ ભારતના એક મધ્યકાલીન લેખકે તમિળ ભાષામાં નાટક લખ્યું. સિલોન કહેતાં શ્રીલંકાના રહેવાસી તમિળભાષી મુથ્થુ કુમારસ્વામી(૧૮૩૪-૧૮૭૯)એ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. આ મુથ્થુ કુમારસ્વામી એટલે આખા એશિયા ખંડમાં પહેલવહેલો ‘સર’નો ઈલ્કાબ મેળવનાર. તેઓ વિલાયત જઈ બેરિસ્ટર થયેલા અને શ્રીલંકાની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય નિયુક્ત થયા હતા. તેમણે એ તમિળ નાટકનો અંગ્રેજી અનુવાદ કરી વિલાયતમાં જ ૧૮૬૩માં પ્રગટ કર્યો. એ જ વર્ષના ડિસેમ્બરની આઠમી તારીખે આ નાટક રાણી વિક્ટોરિયા સમક્ષ ભજવાયું ત્યારે તેમાં રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા મુથ્થુ કુમારસ્વામીએ પોતે ભજવી હતી. મુથ્થુસ્વામી લેટિન, ગ્રીક, હિબ્રુ, પાલિ, અરબી, સંસ્કૃત સહિત કુલ ૧૨ ભાષા જાણતા હતા. પ્રખ્યાત કલામીમાંસક આનંદ કુમારસ્વામી તેમના દીકરા. પોતાના અનુવાદની એક નકલ તેમણે મુંબઈના કોઈ મિત્રને મોકલી. એ નકલ રણછોડભાઈના જોવામાં આવી. એ વખતે તેઓ હરિશ્ચન્દ્ર વિષે નાટક લખવાનો વિચાર કરતા જ હતા, પણ આ અંગ્રેજી અનુવાદ તેમને એટલો તો ગમી ગયો કે તેમણે મૌલિક નાટક લખવાને બદલે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. 

કેખુશરો કાબરાજજી

પોતાના આ અનુવાદની ૧૮૭૧માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નકલ રણછોડભાઈએ કાબરાજીને આપી. કાબરાજીને નાટક તો ઘણું ગમ્યું પણ તે ભજવતાં પહેલાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી હતું. પહેલું તો એ કે ૧૦૮ છાપેલાં પાનાંનું આ નાટક લાંબાં નાટકોના એ જમાનામાં પણ ટૂંકાવ્યા વગર ભજવી શકાય નહિ. બીજું એ વખતે ભજવાતાં નાટકમાં નાચગાન તો હોવાં જ જોઈએ એવો ચાલ. રણછોડભાઈના અનુવાદમાં પદ્ય હતું, પણ ગીતો નહોતાં. આ ફેરફારો માટે રણછોડભાઈએ સંમતિ આપી એટલે કાબરાજીએ પહેલાં તો નાટકમાં કાપકૂપ કરી. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. દલપતરામ અને નર્મદની રચનાઓ એક જ કૃતિનો ભાગ બની હોય તેવો આ એકમાત્ર દાખલો. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ભજવણી માટે તૈયાર થયેલી આ સ્ક્રિપ્ટ તેમણે ૧૮૭૬ના એપ્રિલમાં પુસ્તકાકારે પણ પ્રગટ કરી. 

આમ, નાટક તો તૈયાર થઈ ગયું, પણ શરૂઆતમાં નાટક ઉત્તેજક મંડળીના બીજા ભાગીદારોએ આવું નાટક ભજવવા સામે વિરોધ કર્યો. મુખ્ય કારણ એ કે પારસી નટો હિંદુ પાત્રો ભજવે તે ન તો પારસી પ્રેક્ષકો સ્વીકારશે, કે ન તો હિંદુ પ્રેક્ષકો સ્વીકારશે એવી તેમને બીક હતી. બીજું, પારસી એક્ટરોને ‘શુદ્ધ’ ગુજરાતી ભાષા બોલવાનું ફાવશે નહિ અને તેઓ હાંસીપાત્ર થશે એમ પણ લાગતું હતું. વિક્ટોરિયા અને નાટક ઉત્તેજક, બંને મંડળીઓમાં કાબરાજીના ખાસ સાથી એવા ફરામજી ગુસ્તાદજી દલાલ ‘ઇન મેમોરિયમ : કેખુશરો નવરોજી કાબરાજી’ (૧૯૦૪) નામના સ્મૃતિ ગ્રંથમાંના લેખમાં જણાવે છે કે એ વખતે કાબરાજીએ કહ્યું કે પહેલાં આ નાટક હું તમને વાંચી સંભળાવું. પછી નક્કી કરજો કે એ ભજવવું કે નહિ. તેમણે લગભગ અડધું નાટક વાંચ્યું ત્યાં જ બધા ભાગીદારોએ કહ્યું કે આ નાટક તો આપણે ભજવવું જ જોઈએ. અને કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર્સ શરૂ કર્યાં. 

કાબરાજી અને રણછોડભાઈએ નક્કી કર્યું કે નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ કરવો. તેમની ‘હા’ હોય તો જ જાહેર પ્રયોગ કરવા. આવો ખાસ પ્રયોગ આમંત્રિત પ્રેક્ષકોને બેહદ પસંદ પડ્યો. પણ નાટક એવી જગ્યાએ રજૂ કરવું જોઈએ કે હિંદુ અને પારસી, બંને પ્રેક્ષકોને તે પાસે પડે. કાબરાજી અને રણછોડભાઈએ ઘણી મહેનત કરીને ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. 

નોંધ : ‘બુદ્ધિપ્રકાશ’માં ચિત્રો પ્રગટ થયાં નથી. અહીં લેખ સાથે ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com  
XXX XXX XXX
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; ડિસેમ્બર 2023

Loading

હાજી મહંમદ અલારખા શિવજી

પ્રેષક : હિદાયત પરમાર|Opinion - Opinion|3 January 2024

હાજી મહમંદ અલારખા શિવજી

હાજી મહંમદ અલારખા શિવજીના પૂર્વજો કચ્છની રાજધાની ભૂજના વતની હતા ત્યાંથી તેમના પ્રપિતામહ માણેક મૂસાણીએ ૧૮૩૫ની સાલમાં મુંબઈ જઈને વસવાટ અને વેપાર શરૂ કર્યો.

તેમના પિતા વ્યવસાયે વેપારી હતા. સાધન સંપન્ન હતા. તેમ છતાં સાહિત્ય પ્રત્યે અભિરૂચિ રાખતા હતા. મુંબઈમાં હાજીનો જન્મ ૧૮૮૭ના ડિસેમ્બરની ૧૩ તારીખે થયો હતો. ફોર્ટ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૮૯૫થી અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષાનો અભ્યાસ આરંભ્યો. ત્યારથી જ સાહિત્ય સેવાનું બીજ રોપાયું. વાર્તાઓ લેખો લખવા શરૂ કર્યા. હિંદીમાં ગોસ્વામી તુલસીદાસ, કબીર સાહેબ, કવિ ગંગ વગેરે કવિઓને ઊંડાણપૂર્વક વાંચ્યા. ‘પ્રવીણસાગર’માંથી વિપુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું.

સો વષ પૂર્વે ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે ગુજરાતનો હીરો હાજી મહંમદ ઝગારા દેતો હતો. તે સમય ગુજરાતી સાહિત્યના ઉદયનો હતો. કવિઓ, લેખકો અને ચિત્રકારોના પ્રોત્સાહન પ્રેરક અને પોષક એવા સાહિત્યના શહિદ હરાજીનું પૂરું નામ હાજી મહંમદ અલારખા શિવજી હતું.

બાપદાદાની દોમદોમ સાહ્યબીમાં ઉછરેલા હાજી મહંમદને કિશોરાવસ્થાથી જ સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ આ લગાવ ખૂબ જ પરિપક્વ અને ઘેરો થવા લાગ્યો. ૧૯૨૦માં તેમણે ‘ગુલશન’ નામે માસિક શરૂ કરી તેનું તંત્રીપદ સંભાળ્યું. તેમના મનની અંદરના મનોરથ એક વિશિષ્ટ પ્રકારનું સામયિક શરૂ કરીને તે દ્વારા સાહિત્ય અને ચિત્રકલાને નજીક લાવવાનો હતો.

ચિત્રકલાને સાહિત્ય સાથે સંયોજીને ફુરસદના સમયમાં વાંચકોને તેમાં રસ લેતા કરી દેવા માટેની તેમની જબરી ઝંખના હતી. તે ઝંખનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ‘વીસમી સદી’ નામે સામયિક શરૂ કર્યું. તે સાથે જ રવિશંકર રાવલ (તે વખતે કલા ગુરુ પદે પહોંચ્યા ન હતા) રા. પુરુષાત્તમને હાજી મહંમદે શોધી લીધા.

‘વીસમી સદી’એ બંને કલાકારોને જગજાહેર કર્યા. તે સમયે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને અન્ય સાહિત્યકારોને ગુજરાતી સાહિત્ય રસિકો સમક્ષ રજૂ થવાની તક પૂરી પાડી. ઉજ્જવળ ભવિષ્યનું તેમણે ઘડતર કર્યું.

‘વીસમી સદી’ના આરંભના સમયમાં જુગતરામ દવે (પાછળથી આદિવાસી સેવાના ભેખધારી) તેમની સાથે કામમાં જોડાયેલા. ત્યારથી હાજી મહંમદ સાહિત્યકારોનું મિત્ર મંડળ રચવા માંડેલ. તેમાં મસ્ત ફકીર, હિંમતલાલ ગણેશજી, અંજારિયા, રા. વિભાકર, ક.મા. મુનશી, ઓલિયા જોશી અને અનેક સાહિત્યકારોનો, હાજી મહંમદના આલીશાન મકાનમાં કરેલા ‘વીસમી સદી’ના કાર્યાલયમાં ઝમેલો જામતો અને તેમાં સાહિત્યની અભ્યાસપૂર્ણ ચર્ચા થતી. તે યુગમાં પ્રકાશન શરૂ કરવું એ એક સાહસ ગણાતું. તે સાહસ હાજી મહંમદે કર્યું.

પ્રકાશન શરૂ કરવા બાબતના હાજી મહંમદ અલારખા શિવજીના ઉદ્દેશો અને વિચારો ખૂબ ઊંચા હતા ગુજરાતીઓનો વાંચનનો શોખ કેળવાય, તેઓ ચિત્રકલાની કદર કરતા થાય તેવી ઉચ્ચતમ ખ્વાહિશ સાથે સાહિત્ય જગતમાં ઝગમગી રહેલા હાજી મહંમદ રણજિતરામ, ભોગીન્દ્રનાથ દિવેટિયા, નરસિંહરાવ જેવાની કૃતિઓ હોંશે હોંશે મેળવતા.

હાજી મહંમદ અલારખાનું બીજું પણ એક ઉજ્જવળ પાસું હતું. તે ઉદારતા તેના દાખલા તેમના જીવનની સફર દરમિયાન બનેલા. ફકીર લગભગ તેમની સાથે હતા. અને વધુ વખત તેમની સાથે જ રહેતા. એક વખત ‘વીસમી સદી’ના શ્રેષ્ઠ વાર્તા લેખક કાર્યાલય પર આવ્યા. તેના વદન પર વિષાદના વાદળ છવાયેલા હતા. હાજીએ થોડોક સમય જોયા કર્યું. પછી તેઓ બેઠકમાંથી ઊઠીને બહાર ગયા. સાથે દરજીને લેતા આવેલા. ઈશારાથી લેખકને બીજા ખંડમાં બોલાવી એમના કપડાંનું માપ લેવડાવ્યું. બીજા અઠવાડિયે પોતાના લેખકને સજ્જ કર્યા. એટલે મસ્ત ફકીરે પૂછ્યું, ‘આ શું જાદુ થયો ?’ હાજીએ કહ્યું, ‘બોલીશમાં આપણને ખુદા આપી રહેશે.’

એક રવિવારે હાજી મોહંમદ અને મસ્ત ફકીર મુંબઈની ભીંડી બજારમાં કાપડની દુકાને ઓટલા ચડ–ઊતર કરતા હતા. હાજીને પાઘડી ખરીદવી હતી એટલે દુકાને દુકાને ફરતા હતા. પણ મેળ પડયો નહીં. એટલે બંને ટ્રામમાં બેસી તાજ મહલ હોટલ તરફ ગયા. આ હોટલમાં ‘વ્હીલર’ અને ‘તારાપોરવાલા’ એમ બે બુક સ્ટોલ હતા. બુક સ્ટોલમાં સામયિકો જોતાં જોતાં એક લેખ પસંદ પડ્યો. તે ખરીદી લીધું. આ લેખ તેમના સામયિક ‘વીસમી સદી’માં આવવો જ જોઈએ. પણ તાત્કાલિક કોણ લખી આપે ? તરત જ એક સ્ટેશનરી વાળાની દુકાનેથી એક પેકેટ ખરીદી લાવ્યા. મસ્ત ફકીરે પૂછયું, ‘આ શાનું પેકેટ છે ?’ જેની પાસે આપણે લેખ લખાવવાની જવાનું છે તેને ભેટ આપવા માટે “વોટરમેન” ફાઉન્ટન પેન છે. ઉતાવળે લેખ લખાવવો હોય તો કંઈક તો કદર કરવી પડેને ?’ હાજીએ કહ્યું. પાઘડી ખરીદવા માટેનાં નાણાં આમ વપરાઈ ગયા.

હાજી મોહમ્મદ અલારખા શિવજી એટલે દરિયાવ દિલનો આદમી. પોતાનું પુસ્તકાલય સદાય સૌ સાહિત્યકારો માટે સાર્વજનિક રહેલું. અપરંપાર પુસ્તકોનો ભંડાર. આવો પુસ્તક પ્રેમી સાહિત્યકાર જવલ્લે જ જન્મે.

હાજી સાહેબની પત્રકાર તરીકેની સમજ દાદ માગી લે તેવી હતી. ‘વીસમી સદી’ માટે અનેકવિધ લેખો લખતા, તેમની સૂઝ બૂઝનો સુંદર ઉપયોગ થતો. ભભકભરી શૈલીમાં ગુજરાતને નવજીવન પાન કરાવે એવું તેઓ બેરિસ્ટર વિભાકર પાસે લખાવે. ફારસી સાહિત્ય અંગેનો વિષય હોય તો પહોંચે કૃષ્ણલાલ ઝવેરીને ત્યાં બંકિમબાબુ કે રવીન્દ્રનાથની કથાનું પાન ગુજરાતને કરાવવું હોય તો ભગવાનલાલ ગિરિજાશંકરને જ પસંદ કરે.

ગુજરાતી સાહિત્યમાં અન્ય ભાષાની કૃતિઓ ઉતારનાર હાજી કેટલા કૃતનિશ્ચિય હતા તેના અનેક ઉદાહરણો સાંપડે છે.

હિંદી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર વિશ્વભરના જજા હાજીના વર્તુળના હતા. ગુજરાતી વાંચકોને હિંદી કૃતિનો આસ્વાદ ચખાડવા માટે વિશ્વંભરનાથ જજા પોતાની હિંદી વાર્તાઓ બોલે, હાજી સાંભળે, તે જ ક્ષણે સાંભળતા સાંભળતા ગુજરાતી અનુવાદ કરી નાંખે. ‘વીસમી સદી’માં પ્રકાશિત થયેલી ‘ઘૂંઘટવાલી’ અને અન્ય વાર્તાઓ આ રીતે લખાયેલી, એ જ રીતે મરાઠી માટે હાજી તેનું ગુજરાતી કરતા જાય, લેખ તરત જ તૈયાર !

‘રશીદા’ નામે રૂહાની ઈલ્મની વાર્તા તેમના પિતાને પ્રિય હતી. હાજીએ તેનું ગુજરાતી ભાષાંતર કરી પિતાને અર્પણ કરી પિતૃ ઋણ ચુકવ્યું. હાજી ઉમર ખય્યામની રચનાના પરમ ભક્ત હતા. તેમની કાવ્ય કળાનો અપૂર્વ લ્હાવો ગુજરાતને આપવાનો હરખ હતો.

તેમના પ્રથમ પત્ની ઉર્દૂ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેનું ભાષાંતર તેઓ કરતા. સાહિત્યકળા અંગે પરસ્પર ચર્ચા થાય, કાવ્ય અને સંગીતની સ્નેહસભર સુરાવલીમાં પતિ-પત્ની એકાકાર થઈ ઝૂમી રહે એવા પ્રસંગો વિરલ જ ગણાય. તેમનું ૧૮૯૮માં ‘સ્નેહ વિરહ પંદશી’ પ્રગટ થયું. અંગ્રેજી લેખક સર એડવીન કૃત ‘પલ્સ ઓફ ફેઈથ’નો અનુવાદ કર્યો ‘ઈમાનના મોતી’ નામે પ્રગટ કર્યું. ઈ.સ. ૧૯૦૩માં લોર્ડ કરઝનનો દરબાર ભરાયો ત્યારે ૧૦૦ સચિત્ર લેખ છપાયેલા. ૧૯૦૪માં ‘મહેરૂસ્ન્નિસા’ નામનું ગુજરાતી નાટક લખેલું. ૧૯૧૪માં ‘વીસમી સદી’ શરૂ કરવાની તૈયારી કરેલી. ચિત્રકાર ધુરંધર પાસે ટાઈટલ ચિત્ર તૈયાર કરાવી વિલાયત (ઈગ્લેન્ડ) મોકલી છપાવી મંગાવેલું. ત્યાં જ પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કામ અટકી પડ્યું. આખરે ઈ.સ. ૧૯૧૮ના એપ્રિલમાં ‘વીસમી સદી’નું પ્રાગટ્ય થઈ શકેલું.

ચાર હજાર ગ્રાહકો થયા. આદર પામ્યું. પરંતુ યુદ્ધને કારણે વધતી મોંઘવારીએ હાજી મહંમદની અકળામણ વધારી. પેડર રોડ પરના પોતાના બંગલામાં ચાલતા કાર્યાલયમાં તેમણે ‘વીસમી સદી’ દ્વારા ગુજરાતી સાહિત્યને મદદ કરવા શેક્સપિયર, બર્નાડ શો, વર્ડઝવર્થ જેવા સાહિત્યકારો તૈયાર કરવાની હોંશ અને હામ ભીડીને પાંચ વર્ષ સુધી મથામણ કરી. આખરે આર્થિક દેવાએ તેમની તબીયત બગાડી.

ગુજરાતી સાહિત્યનો હાજીએ બાગ રચ્યો હતો. તેના પુષ્પો ખીલ્યાં હતાં. તેનો પમરાટ પ્રસરી રહ્યો હતો. ને અચાનક તા. ૨૧ જાન્યુઆરી ૧૯૨૧ના રોજ ૩૩ વર્ષની ભર યુવાન વયે સાહિત્યના અનેક કોડ અધૂરા છોડી આ ફાનિ દુનિયાથી વિદાય લીધી.

કલા અને સાહિત્યના શહિદનું ગુજરાત સદા ઋણી રહ્યું છે. તેમનું ઋણ ચૂકવવા જેવુ કોઈ કાર્ય ગુજરાતીઓને કર્યું હોવાનું જાણમાં નથી.

(સૌજન્ય : ‘સંદેશ’ તા. ર૮-૧૧-ર૦૦૪, ‘ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો’ ભાગ – ૨, માર્ચ ૨૦૦૭)

Loading

અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2024

દિનકરભાઈ મહેતા

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વેનો ૩૦મી ઓગસ્ટ ૧૯૮૯નો દિવસ. એ દિવસે રાત્રિના નવેકના સુમારે અમદાવાદના રાયખડ વિસ્તારના ગોરજીના બંગલાની નાનકડી ખોલીમાં સાદગી વચ્ચે જીવતા દિનકર મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનકરભાઈની એક જાડી ઓળખ તો અમદાવાદના પૂર્વ મેયરની છે. તે અમદાવાદના પહેલા અને આજ સુધીના એકમાત્ર સામ્યવાદી મેયર છે. પણ એ ઓળખ સાચી હોવા છતાં પૂર્ણ નથી. દિનકર મહેતા એટલે સ્વાતંત્ર્ય સેનાની, મહા ગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો પાયો નાંખનાર પૈકીના પણ એ હતા. બ્યાંસી વરસની જિંદગીમાં છ દાયકા કરતાં વધુનું તેમનું જાહેરજીવન હતું. આ સઘળાં વરસોમાં તે સતત ગરીબ-શ્રમિક જનતાના શોષણ વિરુદ્ધના લોકસંઘર્ષોમાં મોખરે રહેતા હતા. ખરેખર તો એ ગરીબોના ઉત્થાન અર્થે મથતા ક્રાંતિવીર હતા.

હાલના વલસાડ જિલ્લાના ચીખલી ગામે ૧૭મી ઓકટોબર ૧૯૦૭ના રોજ જન્મેલા દિનકર મહેતાના પિતા સુરતની મિલમાં કારકૂન હતા. સુરત અને મુંબઈમાં એ ભણ્યા. સંસ્કૃતના તે સ્કોલર હતા. પણ ૧૯૨૬માં કોલેજ શિક્ષણ છોડી તે ગાંધીજી સ્થાપિત  ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. કાકાસાહેબ કાલેલકરના આ વિદ્યાર્થી ૧૯૨૯માં ગાંધીની વિદ્યાપીઠના સ્નાતક બન્યા અને અધ્યાપક પણ. બારડોલી કિસાન સત્યાગ્રહ અને ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને એમણે જેલવાસ વેઠ્યો હતો.

૧૯૩૨માં એમને ટી.બી. થયો હતો. તેની સારવાર દરમિયાન કાર્લ માર્ક્સનું ‘દાસકેપિટલ’ અને માર્ક્સ – એન્ગલ્સનું ‘સામ્યવાદી જાહેરનામું’ વાંચ્યું. આ બંને પુસ્તકોનું વાચન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યું. તેમના વિચારોમાં ગજબનું પરિવર્તન આવ્યું. તેઓ ગાંધીવાદીમાંથી સામ્યવાદી બની ગયા. આ વૈચારિક પરિવર્તનને દિનકરભાઈ તેમની આત્મકથાના પ્રથમ ખંડ ‘પરિવર્તન’માં એક સરસ દાખલા દ્વારા સમજાવતા લખે છે : માણસના વિચાર તેના હિત પ્રમાણે બદલાય છે. તેનો એક દાખલો મને સૂઝ્યો અને મેં તે રજૂ કર્યો. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનની રાહ જોઈને લોકો ઊભા હોય છે ત્યારે તેમના મનમાં એક જ તાલાવેલી હોય છે. ટ્રેનમાં એકદમ ચઢી જઈ, જગ્યા લઈ લેવાની. પણ એ જ માણસો ટ્રેનમાં જગ્યા મળી જતાં પછીના સ્ટેશને બીજા પેસેન્જરોને જગ્યા નથી કહી અંદર આવતા રોકે છે ! આ સાંભળી કાકાસાહેબ બોલી ઊઠ્યા, ‘દિનકરરાય, હવે તમે પાક્ક્કા સામ્યવાદી બની ગયા છો.’ ઉમાશંકર જોશી આ સાંભળી હસી પડ્યા. મારે માટે તો આ નવા પ્રસ્થાનની શરૂઆત જ હતી ….

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્તરે સક્રિય થતા, ગુજરાત કાઁગ્રેસની જવાબદારી દિનકર મહેતાના શિરે આવવાની હતી. ત્યારે જ વિચારભેદને કારણે તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૩૪માં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે ગુજરાતમાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જયપ્રકાશ નારાયણની જોડાજોડ તેઓ તે પક્ષના રાષ્ટ્રીય મંત્રી બન્યા. ૧૯૩૬માં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષના રાજ્ય મંત્રી બન્યા હતા. છેક આઝાદી આવી ત્યાં સુધી તેઓ કામદાર, કિસાન, વિદ્યાર્થી ચળવળને દોરતા રહ્યા. આઝાદીના આંદોલનમાં દિનકરભાઈએ સાત વખત કારાવાસ અને ભૂગર્ભવાસ ભોગવ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે તેમણે ગુજરાતના અલગ રાજ્ય માટેના મહા ગુજરાત આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું હતુ. સંગ્રામ સમિતિ અને જનતા પરિષદ દ્વારા અનેક આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેઓ સક્રિય હતા.

નલિનીબહેન અને દિનકરભાઈ મહેતા

અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૬૫ની ચૂંટણીમાં જનતા પરિષદના ૪૮ ઉમેદવારો વિજ્યી બન્યા હતા. દિનકરભાઈ અને તેમનાં પત્ની નલિનીબહેન જેલમાં રહ્યે રહ્યે જંગી બહુમતીથી ચૂંટાયાં. ચોથી મે ૧૯૬૬ના રોજ દિનકર મહેતા અમદાવાદના મેયર બન્યા. દેશના દ્વિતીય અને અમદાવાદના એ પ્રથમ સામ્યવાદી મેયર હતા. પૂર્વેના કાઁગ્રેસી અને ગાંધીવાદી  મેયરોએ ન કર્યા હોય તેવાં અનેક કામો તેમણે કર્યાં. મેયરની ઓફિસમાં તેમણે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની તસ્વીરો મૂકાવી. ઓફિસમાંથી એરકન્ડિશનર કઢાવી નાંખ્યું. મેયર માટેની લાખ રૂપિયાની મોંઘી ઈમ્પાલા કારને બદલે વીસ હજારની એમ્બેસેડર દાખલ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સો ટકા મોંઘવારી ભથ્થું આપ્યું હતું. વસ્તુના વજનને બદલે કિંમત પર ઓકટ્રોય લેવાનું નક્કી કર્યું. શહેરના ઉપેક્ષિત એવા પૂર્વ અમદાવાદના કામદાર વિસ્તારોને પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રાધાન્ય આપ્યું હતું. શ્રમિક વિસ્તારોને વીજળી, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી.

દિનકર મહેતાની મેયરની મુદ્દત પૂરી થવામાં હતી એ ગાળામાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કાનૂનગોને એક જાહેર કાર્યક્રમમાં દિનકરભાઈને મળવાનું થયું હતું. રાજ્યપાલે તેમને કહેલું કે તેઓ મેયર તરીકે ચાલુ રહે તેમ ઘણાં ઈચ્છે છે. આવું કોણ ઈચ્છે છે ?-ની પૃચ્છાનો જવાબ જ્યારે અમદાવાદના મિલમાલિકો એવો મળ્યો તો દિનકરભાઈને એટલે નવાઈ લાગી કે તેમણે તો મિલમાલિકો પર ભારે કરવેરા નાંખ્યા છે તો તેઓ શા માટે આવું ઈચ્છે ? ગવર્નરે તેનો પણ જવાબ આપતા કહેલું કે ભલે વેરા વધાર્યા પણ વહીવટ સુધર્યો છે અને લાંચ રૂશવત આપવી પડતી  નથી. એટલે મિલમાલિકો તમે મેયર તરીકે ચાલુ રહો તેવું ઈચ્છે છે. તો આવો હતો અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયરનો શહેરનો વહીવટ.

શોષિત જનતાની અનેક પ્રજાકીય ચળવળોમાં દિનકર મહેતા કાયમ મોખરે રહેતા હતા. આઝાદી પહેલા અને પછીના લોકઆંદોલનોમાં અગ્રેસર રહેતા આ સંઘર્ષશીલ વ્યક્તિએ કુલ બાવીસ જેલવાસમાંથી પંદર તો આઝાદી પછી વેઠ્યા છે ! મેયરકાળમાં પણ આંદોલનકારી તરીકે તે એક મહિનો જેલમાં હતા ! ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના તેઓ વિરોધી હતા પણ સરકારે તેમને જેલમાં નાંખ્યા નહોતા. એટલે ૧૯૭૬માં એ ગુજરાતના સો જેટલા ગામો ખૂંદી વળ્યા અને પલટાતા ગામડાં પુસ્તક લખ્યું હતું. દિનકરભાઈ રાજકારણી નહીં પણ સંઘર્ષશીલ રાજનેતા, લેખક અને વિચારક હતા. પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં તે બે ભાગમાં આત્મકથા, પ્રવાસ કથા પલટાતા ગામડાં ઉપરાંત તેમણે કાર્લ માર્ક્સનું જીવનચરિત્ર અને સામ્યવાદનાં મૂળ તત્ત્વો  જેવાં  પુસ્તકો લખ્યાં છે.

સમાજના  છેવાડાના માણસોનું શોષણ અટકે અને તેઓ બરાબરીનું જીવન જીવે તે દિનકરભાઈનું કાયમનું સપનું હતું. ‘જે સિસ્ટમ પોતાના ગુલામોને પણ ના ખવડાવી શકતી હોય એ લાંબો સમય ટકી ન શકે.’ તેમ માનતા દિનકરભાઈની આત્મકથાનો બીજો ખંડ “ક્રાંતિ આવી રહી છે..”ના આશાવાદી સૂર સાથે પૂરો થાય છે. વર્ણ અને વર્ગમાં આડા અને ઊભા વહેરાયેલા-વહેંચાયેલા ભારતીય સમાજમાં બીજા પણ ભાતભાતના ભેદ છે. બંધારણ નિર્માતાઓ તમામ પ્રકારની સમાનતા માટે વચનબધ્ધ હતા. છતાં જાણે કે તે જોજનો દૂર છે.  જ્યારે પણ દેશમાં ખરા અર્થમાં સમાનતા સ્થપાશે અને શોષણવિહીન સમાજ બનશે ત્યારે તેના પાયાના પથ્થર તરીકે ડાબેરી વિચારધારાને સમર્પિત ક્રાંતિવીર દિનકર મહેતા યાદ આવશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...840841842843...850860870...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved