Opinion Magazine
Number of visits: 9457547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ કેવળ પોતડીભેર થયા એને આખો સૈકો વીતી ગયો …

પ્રકાશ ન. શાહ|Gandhiana|27 September 2023

2 ઓક્ટોબર ગાંધી જયંતી

પરોણાને જોવા અમે હારદોર ઊભા હતા. મારી પાસે ઊભેલાં એક પારસી સ્ત્રી ગાંધીજીને જોવા બહુ જ અધીરાં હતાં. ગાંધીજી આવ્યા, ટૂંકું ધોતિયું, કસવાળો અંગરખો, માથે કાઠિયાવાડી ફેંટો ને ઉઘાડે પગે! મારી પારસી પડોશણ મોઢે હાથ રાખી જેમતેમ હસવું ખાળી બોલી ઊઠી : ‘આ તો ઢનો ડરજી.’

− ક.મા. મુનશી (આત્મકથા) 

થોડા દિવસ પર હું વડોદરા સરદાર ભવનમાં વસંત-રજબ ડોક્યુડ્રામાના નિર્માણ નિમિત્તે હતો. જ્યુબિલી બાગ, સુરસાગર અને રાવપુરા ટાવરના ત્રિકોણ ઇલાકામાં બાળપણનાં વરસો ગાળેલાં એટલે ત્યારનાં સંભારણાં, કેમ કે સરદાર ભવનમાં હતો એટલે વિશેષે તો રાષ્ટ્રીય અવસરોનાં, સહસા ઝંકૃત થઇ ઊઠ્યો.

અમે વાનરસેના કહો, બાળકિશોર વિદ્યાર્થીઓ કહો, ત્યારે પોળે પોળે પર્ણછાયી ગાંધીકુટિરો સજાવતા અને હોશેં હોશેં ગાંધીજયંતી મનાવતા. વચ્ચે ગાંધીજીનું કટઆઉટ કે છબી હોય. એ જ કચ્છ ટૂંકી પોતડીભેર અને ખુલ્લા ડિલે કે ચાદરભેર. આ સ્મૃતિઆંચકો વડોદરામાં આવ્યો; બાકી, એ વરસોમાં કદાચ ભારત આખાનું આ ઉત્સવચિત્ર હતું.

ટૂંકી પોતડીવાળી આ ગાંધીમુદ્રા જોવાનું બનતું ત્યારે ત્યારે હંમેશ કંઇક અભિમાન જેવું જાગતું. બલકે એક દર્પીલી, લગાર ગર્વોન્મત્ત લાગણી જાગતી કે ગાંધીજી લંડનના બકિંગહામ પેલેસમાં રાજાની પાર્ટીમાં ગયા ત્યારે ધરાર પોતડીભેર ગયેલા. રાજધારી પોષાક પ્રોટોકોલની એસીતેસી. અધૂરામાં પૂરું, બહાર નીકળ્યા ને કોઇકે આટલાં ઓછાં ને આછાં વસ્ત્રો કેમ એવું પૂછ્યું ત્યારે એમનો નર્માળો મર્માળો ઉત્તર હતો કે રાજાએ અમને બેઉને થઇ રહે એટલાં કપડાં ઠઠાવ્યાં’તાં!

જેના સામ્રાજ્યમાં સૂરજ કદી આથમતો નહોતો તે પંચમ જ્યોર્જને કેવી ચાટી ગઇ હશે એવા રાષ્ટ્રગર્વમાં અમે ત્યારે રાચતા. પણ મોટા થયા ત્યારે કંઇક જુદું જ સમજાયું. બરાબર 102 વરસ પર, સપ્ટેમ્બર 1921ના બીજા પખવાડિયામાં ગાંધીજી આ પોશાક પર ઠર્યા હતા, સમજ અને સંકલ્પપૂર્વક. એમાં લોક સાથેનું અનુસંધાન હતું. રાજાને બતાવી દેવાની નહીં પણ આમ આદમી જોડે જોડાવાની તાલાવેલી એમાં હતી. આ સમજાયું ત્યારે રાષ્ટ્રાભિમાનનો પેલો બાળચિત્તનો ભાવોદ્રેક સીધો બધી અમૂર્ત ખયાલાતોથી હટીને રાષ્ટ્ર એટલે લોકસમસ્ત એવી નીતરી સમજમાં ઠર્યો હતો.

મદ્રાસ(ચેન્નઇ)થી મદુરા જતાં ટ્રેઇનમાં સાથી પ્રવાસીઓ જોડે થયેલી વાતચીત ગાંધીજીએ સંભારી છે. ગાંધીજીએ એમને ખાદી પહેરવા વિશે કહ્યું તો સહપ્રવાસીઓ કહેવા લાગ્યા કે ખમીસ, કોટ, માથે ફેંટો/પાઘડી/બનાતવાળી ટોપી અને વળી ધોતી કે લૂંગી, એમ પૂરો પોષાક ચાલુ કરતાં ખાદીમાં ઓર મોંઘો પડે છે. ગાંધીજીને થયું કે હિંદનો સામાન્ય માણસ આવો ને આટલો ‘પૂરો પોષાક’ ભાગ્યે જ પહેરતો હોય છે. એ તો આશરે ચાર ઇંચ લાંબી અને લગભગ એટલા જ ફૂટ પહોળી લંગોટી (કચ્છ) થકી ચલાવી લેતો હોય છે. વળી માથે હું પહેલાં પાઘડી પહેરતો, હવે ટોપીથી ચલાવી લઉં છું. પણ ગુલામી જેવા શોકનાં વરસોમાં તો ઉઘાડે માથે જ રહેવાનું હોય ને. આ વિચાર પાકી ગયો ને તરતના કલાકોમાં તિરુપ્પતુરની સભામાં ગાંધીજી એમની નવી પોષાકસજાવટમાં હાજર થયા, અને પહેરવેશમાં કરેલા ફેરફારની સમજ આવતાં કહ્યું કે હિંદુસ્તાનમાં ગરીબ અને તવંગરને પૂરતા પ્રમાણમાં એકસરખી રીતે કાપડ ન મળી શકે ત્યાં સુધી હું કાપડનો એક નાનો ટુકડો જ પહેરીશ. (સપ્ટેમ્બર, 22, 1921)

તિરુપ્પતુર-લંડનના દસકાની હમણા મેં વાત કરી, પણ એમના પોષાક-પલટાનો પ્રારંભિક પરચો તો દેશજનતાને છેક 1915માં જ મળી ગયો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા છોડી કાયમ માટે વતન પાછા ફર્યા ત્યારે એમના અંગ પર બેરિસ્ટરશાઇ કોઇ વિલાયતી પોષાક નહોતો, પણ એમણે ત્યારના કાઠિયાવાડનો પ્રચલિત પોષાક પહેર્યો હતો.

1915ના અરસામાં જે ગુજરાતી તરુણો મુંબઇમાં આગળ પડતા ને સક્રિય હતા તે માંહેલી બે વ્યક્તિઓએ એમના આ વેશપ્રવેશની નોંધ પોતાપોતાની વિલક્ષણ પદ્ધતિએ લીધી છે. એક તો ક.મા. મુનશીએ, અને બીજા ઇન્દુલાલ યાજ્ઞિકે, પોતપોતાની આત્મકથામાં. તમે કનૈયાલાલ મુનશીની નાટ્યાત્મક રજૂઆત વાંચશો તો ખયાલ આવશે કે મુંબઇના સંભ્રાન્ત પારસી શ્રેષ્ઠી પરિવારે યોજેલ પાર્ટીમાં, સ્વાગતમિલનમાં, હકડેઠઠ સૌ જેની વાટ જોતા હતા તેને, દક્ષિણ આફ્રિકાના વિજયી વીરને, પહેલી નજરે ઓળખી શક્યા નહોતા. કારણ, એ કોઇ બેરિસ્ટર સહજ સુટેડબુટેડ ટાઇબંધા લેબાસમાં નહોતો, પણ કાઠિયાવાડી અંગરખાભેર હતો. મુનશીએ નોંધ્યું છે કે એમની પડોશમાં ઊભેલાં એક પારસી સન્નારી કેમે કરી હસવું ખાળી ધીમેથી બોલ્યાં હતાં કે આ તો ‘ઢનો ડરજી’ લાગે છે!

ઇન્દુલાલ યાજ્ઞિકને વળી આ લેબાસ ઉપરાંત સિંગચણાખજૂર જેવાં ખાનપાન અને ખાસ તો મોળા વક્તવ્યનોયે આંચકો લાગ્યો હતો. દોડતા નીકળ્યા અને રસ્તે મળે તેને નિરાશા વ્યક્ત કરતા ચાલ્યા. પણ મુકામે જઇ જરા ઠંડા પડતાં એમને ખયાલ આવ્યો કે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ કહ્યા છે તે ગોખલેએ હાલ એમને કોઇ રાજકીય ભાષણ કરવા બાબત સંયમ સેવવાની, દેશમાં ચારેકોર ફરી સૌને મળ્યા-સાંભળ્યા ને બધું જોયાજાણ્યા પછી વરસને અંતે મૌનભંગ કરવાની સલાહ આપી છે. એ તો ખરું, પણ એ ઉપરાંત એમને શું સમજાયું? આ પ્રકારના મેળાવડાઓમાં વપરાતી અંગ્રેજી ભાષાને બદલે સૌ ગુજરાતીઓ વચ્ચે ગુજરાતીમાં જ વાત કરવાનો આગ્રહ, સાદો કાઠિયાવાડી પોશાક, આહારવિહારની સાદગી … આ બધાંમાં ઇન્દુલાલને કંઇક જુદી જ ક્રાન્તિનો અણસાર વરતાયો.

આ ગાંધી, લંડન ભણવા ગયા 1888માં ત્યારે બરાબર સુટેડબુટેડ ને વળી ડાન્સિંગ સ્ટેપ્સ શીખવાથી માંડી વાળ વિશિષ્ટ રીતે ઓળવા સહિતનાં એમનાં વલણો હતાં. દેશમાં પાછા ફરી દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે ગોરાઓ સામે ટકી શકે એ બરની પોષાક પસંદગીનો એમનો આગ્રહ હતો. પણ જેવા લોકો વચ્ચે કામ કરવા લાગ્યા, દક્ષિણ આફ્રિકામાં એમનાં પાછલાં વરસોમાં તમે પેન્ટને બદલે ધોતી બલકે લુંગી જોશો; કેમ કે હિંદી ગિરમિટિયાનો મોટો હિસ્સો તમિલ ભાઇબહેનોનો હતો … કાશ, રાષ્ટ્રભાવનાનું આ લોકાયન સમજી શકીએ!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023

Loading

થોડાક દોરાનો ફેર

બબલભાઈ મહેતા|Opinion - Cartoon, Opinion - Opinion|27 September 2023

બબલભાઈ મહેતા

એક કાળ એવો આવી ગયો કે ભારતના નવજુવાનોએ રાષ્ટૃની આઝાદી ખાતર પોતાના જીવનનાં બલિદાન આપવાની તૈયારી દાખવી. ભારતની માતાઓએ પોતાના વહાલા પુત્રોને દેશહિત ખાતર જેલમાં જવા હોંશેહોંશે વિદાય આપી. ભારતની સામાન્ય જનતાએ દેશપ્રેમથી પ્રેરાઈને કાંઈક ને કાંઈક ત્યાગની રેલ ચલાવી.

આજે એ જ ભારતમાં એકેએક ક્ષેત્રમાં નાનામાં નાની સેવાનો બદલો મંગાવવા લાગ્યો છે. મોટા મોટા પગારો ઓછા પડે છે. મોટામાં મોટા નફાઓ ઓછા પડે છે અને લાંચરુશવત આજે જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપી ગયેલ છે. ત્યાગ છૂટતો જાય છે અને વૈભવ વધતો જાય છે. સંયમ છૂટતો જાય છે અને વિલાસ વધતો જાય છે. અનીતિ વધતી જાય છે અને નીતિમત્તા ઘટતી જાય છે.

આનું કારણ શું છે ? અને એનો ઉપાય શો છે ?

શિયાળાની કડકડતી ટાઢમાં પણ ઇંગ્લૅન્ડ જેવા ઠંડા મુલકમાં ભારતનો પ્રતિનિધિ નગ્ન ફકીરરૂપે ગયો હતો. એ નગ્ન ફકીરીમાં એને રાષ્ટૃનું સાચું પ્રતિનિધિત્વ રજૂ થતું દેખાતું હતું. જાતે સ્વીકારેલી એ ગરીબાઈમાં એને રાષ્ટૃનાં માન-આબરૂ દેખાતાં હતાં.

આજે તો ભારતના પ્રતિનિધિને તોપો ફોડાય કે રાજવૈભવ દેખાડાય ત્યારે જ રાષ્ટૃનાં માન-આબરૂ વધતાં દેખાય છે. આ બન્ને અલગ અલગ દિશાઓ છે.

રેલગાડીના પાટા અલગ દિશામાં જવાની શરૂઆત જ્યાં કરે છે, ત્યાં બે પાટા વચ્ચે થોડાક દોરાનો જ ફરક હોય છે, પણ એની પરની રેલગાડી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ એ અંતર વધતું જાય છે. છેવટે એ મૂળના કરતાં સદંતર વિરોધી દિશામાં પણ જતી દેખાય છે. એમ આપણા પ્રતિનિધિઓએ બદલેલી એમની જરાક સરખી ચાલના પડઘા પ્રજાજીવનના એકએક ક્ષેત્રમાં પડવા લાગ્યા છે.

Loading

અનિંદા વ્રત અને ગુણોપાસના

વિનોબા|Opinion - Opinion|26 September 2023

આ જે અગિયાર એકાદશ વ્રત છે એમાં મેં એક અન્ય વ્રત ઉમેરી દીધું છે, અનિંદા વ્રત.

આપણે જેને જિહ્વા કહીએ છીએ, એમાં બહુ મોટી તાકાત રહેલી છે. આપણે જો એ શક્તિનો સદુપયોગ કરીએ, તો એનાથી આપણી પ્રજ્ઞા સ્થિર થવામાં બહુ મોટી મદદ મળી શકે તેમ છે. જિહ્વાનું એક કામ છે સ્વાદ. અને એની જે બીજી શક્તિ છે તે છે શબ્દશક્તિ.

વિનોબાજી

શબ્દમાં ખૂબ શક્તિ રહેલી છે. શંકરાચાર્યે તો કહ્યું છે કે – केषां अमोघ वचनम्‌। કોનું વચન અમોઘ હોય છે ? અમોઘ એટલે વ્યર્થ ન જનાર. તો શંકરાચાર્ય કહે છે – ये के च सत्य-मौन-शम-शीला: (ગુરુબોધસાર) – કે જે સત્યનિષ્ઠ છે, મૌનનિષ્ઠ છે, શમનિષ્ઠ છે – તેની વાણી અમોઘ હોય છે. અમોઘ વચન જેવું વાણી દ્વારા બહાર પ્રકટ થયું કે તેને વાસ્તવમાં યથાર્થરૂપે પ્રગટવું જ પડશે. सा वै देवी वाक्‌ – એ જે બોલે છે, તે થાય જ છે.

પરંતુ આજે તો આપણે લગભગ શબ્દશક્તિને ગુમાવી જ બેઠાં છીએ. આપણા દેશમાં ગાંધીજીની પહેલાં ઘણા બધા મોટા આગેવાન નેતાઓ એવા હતા કે તેમના બોલાયેલા શબ્દોનો સીધો અર્થ લોકો સમજી શકતા નહોતા. એટલું જ નહીં, એનો અવળો જ અર્થ ગ્રહણ કરી લેતા. એ વખતે જાણે એક રિવાજ પડી ગયેલો કે મનમાં અંદર એક વાત રાખવી અને બહાર બીજી વાતો કરવી. યુક્તિપૂર્વક ભાષા પ્રયોજીને લોકોને જે કાંઈ કહેવું છે તે કહી પણ શકાય અને એના પર કાનૂનનો પ્રહાર પણ ન થાય. એ વખતના નેતાઓ પોતાની વાણીમાં આ પ્રકારની તરકીબ લાવવા માટે કવાયત કરતા હતા. કેમ કે આ વસ્તુને કૌશલ્ય માનવામાં આવતું હતું.

પરંતુ ગાંધીજીએ ઋજુ વાણીનું પ્રચલન શરૂ કર્યું. જે વાત આપણા મનમાં હોય, એ જ વાત લોકોને કહેવાથી લોકશક્તિ જન્મી શકે છે. બાકી દાવપેચવાળી ભાષાથી કંઈ વળવાનું નથી. વાણીના ઉપયોગ સમયે તમારો ઇરાદો ષડ્યંત્ર રચવાનો છે, કેટલાક લોકો દ્વારા કેટલુંક કામ કરાવવા માંગો છો, લોકોને બાઈપાસ કરીને તમે કેટલુંક કામ કરાવવા માગતા હો તો આવી પ્રપંચયુક્ત ભાષા કામમાં આવી શકે છે. પરંતુ લોકોનું ઉત્થાન તો એમના હૃદયને સ્પર્શે તેવી સંયમિત વાણી દ્વારા જ થઈ શકે.

જેવી રીતે અસ્વાદ વ્રત છે, એવી રીતે વાક્-સંયમ વ્રતની પણ જરૂર છે. ઘણાં વર્ષો પહેલાં આ અંગે મારું ધ્યાન ગયેલું કે અનિંદાનું વ્રત અત્યંત જરૂરી છે. આમ તો અનિંદા એ અહિંસાનું જ મહત્ત્વપૂર્ણ અંગ છે તેમ છતાં એની એટલી બધી આવશ્યકતા છે કે મને લાગે છે અનિંદાનું એક સ્વતંત્ર વ્રત જ હોવું જોઈએ. અનિંદા વ્રતમાં કોઈની પણ નિંદા ન કરવી તે કંઈ નવી વાત નથી. “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે નિંદા ન કરે કેની રે.” આ પંક્તિ તરફ જ્યારે મારું મનન ચાલ્યું તો સમજાયું કે નિંદા કરવાથી જગત આખાનો કચરો આપણા મનમાં ઠલવાય છે. દરેકમાં કોઈક ને કોઈક દોષ તો હોય છે. આપણે જો સૌના દોષો જ જોતા રહીશું તો આપણું હૃદય સૌના દોષોને ભેગા કરશે. અને આ એક બહુ મોટો દુર્ગુણ બની જશે. વળી, એ પણ ધ્યાનમાં સતત રહેવું જોઈએ કે ભલે આપણે બહારથી તો નિંદા કરતા નથી પણ મનની ભીતરમાં જો એ ચીજ પડેલી હશે, તો પણ તેનો અર્થ સરવાનો નથી.

નિંદા ન કરવી એ સૌથી કપરું કામ છે. નિંદા ન તો કોઈની પાછળ કરવાની છે કે ન તો સામે કરવાની છે. આમાં નિંદા કરનાર અને સાંભળનાર આ બંને દોષી સાબિત થાય છે. સમૂહજીવનમાં જ્યારે આપણે એકસાથે રહીએ છીએ, એકસાથે કામ કરીએ છીએ, ત્યારે અનેક પ્રસંગો એવા આવે છે કે જેમાં મતભેદ ઊભા થઈ શકે. આવા પ્રસંગોમાં પણ આપણે તો ‘નિંદા ન કરે કેની રે’ – આપણા સપનામાં પણ કોઈ માટેની નિંદા ન હોવી જોઈએ. મનુષ્યને મનન કરનારો કહ્યો છે, ‘मन्यते इति मानव:।’ આપણે મનન જરૂર કરીએ પણ નિંદા ન કરીએ.

અનિંદા વ્રતનો અર્થ કેવળ વાણીમાં નિંદા ન કરવી એટલો સીમિત નથી. અને એનાથી કામ પણ પાર પડતું નથી. પણ હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થતું જશે, જ્યારે આપણું મન ગુણગ્રહણ કરવા લાગશે. આ વિષય ઘણો સૂક્ષ્મ છે  – આપણે કોઈના દોષ ન જોતાં, કેવળ ગુણ જ ગુણ જોતાં શીખવું પડશે.

એક પ્રકારથી ગુણોપાસના કરવાની છે. આ ગુણોપાસના એ ભક્તિની પૂર્તિ જ છે. ઈશ્વર ગુણમય છે. ઈશ્વર સત્ય, પ્રેમ, કરુણા વગેરે અનેક મંગળ ગુણોથી સંપન્ન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધા ગુણોની પરિપૂર્ણતા જ ઈશ્વર છે. આપણી સામે આખા દિવસમાં જે કોઈ મનુષ્ય આવે છે, એમાંથી ગુણદર્શન કરતા રહેવાનું છે. આપણને એ મનુષ્યમાં રહેલા દોષોનું દર્શન થાય છે તો સમજવું કે આપણને ‘માયા’નું દર્શન થયું છે, ઈશ્વરનું દર્શન થતું નથી. વળી, આપણને કોઈ માણસમાં ગુણ-દોષ બંનેનાં દર્શન થાય છે તો ઈશ્વર અને માયા – આ બંનેનાં થોડાં થોડાં દર્શન કહી શકાય, પણ તેને સ્વચ્છ દર્શન ના કહી શકાય. સ્વચ્છ દર્શન તો ત્યારે થયેલું ગણાય જ્યારે આપણે દરેકમાં ગુણનાં જ દર્શન કરી શકતા હોઈએ. દરેક મનુષ્યમાં ઈશ્વરનો એક એક અંશ તેના એક-એક ગુણના રૂપમાં રહેલો હોય છે. જેવી રીતે બદામના બીજ ઉપર જે છાલ દેખાય છે તે દોષ છે. આપણે માયાના આવરણને ભેદીને ભીતરી તત્ત્વના સ્વચ્છ સુંદર દર્શન કરતા શીખવું પડશે. અને આવી આદત પડવાથી આપણને જુદા જુદા ગુણોના દર્શન થવા લાગશે અને પછી ઈશ્વરનું સમગ્ર દર્શન થશે. આના માટે આપણે હંમેશાં ગુણગ્રહણ, ગુણચર્ચા અને ગુણ સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે સાથે દોષ ગ્રહણ, દોષચર્ચા અને દોષ સ્મરણ ક્યારે ય ન કરવાં જોઈએ. માટે જ અનિંદા વ્રતની અત્યંત આવશ્યકતા પ્રતીત થાય છે.

એક વાત આ પણ સમજી લેવી જોઈએ કે જ્યારે આપણને કોઈનો દોષ દેખાય છે, તો તે આપણો જ દોષ છે. વળી આપણે એ દોષની નિંદા કરીએ છીએ તો તે બીજો દોષ થઈ જાય છે અને તેની પાછળ પાછળ તેના દોષોની ચર્ચા કર્યા કરતા રહેવી અથવા નિંદા કરતા રહેવી એ વળી ત્રીજો દોષ થઈ જાય છે. આમ એક પછી એક દોષના થર ચઢવા લાગે છે જેને લીધે ગુણદર્શન થતું નથી. અને ઈશ્વરનો લોપ થઈ જાય છે.

જેવી રીતે આપણે બીજાના દોષો જોવાના નથી, એવી રીતે આપણે આપણા પોતાના પણ જોવા ન જોઈએ. આપણે આપણા ગુણોનાં દર્શન કરીએ. જેવી રીતે રેતીમાં રહેલી શર્કરાના કણ કીડી વીણી લે છે એવી રીતે આપણે પણ સત્યનું ક્યાંક અલ્પ દર્શન થયું, તો તે ગ્રહણ કરી લઈએ, ક્યાંક પ્રેમનું, ક્યાંક કરુણાનું દર્શન થયું, તો ક્યાંક એવા બીજા કોઈ પણ ગુણ દેખાયા તો તેને ગ્રહણ કરીશું તો ધીરે ધીરે આપણું હૃદય ગુણસંપન્ન થવા લાગશે. અને પછી ધીમે ધીમે ભગવાનનું પરિપૂર્ણ દર્શન થઈ શકશે.

પરંતુ આજે તો એવી સ્થિતિ છે કે આપણને ગુણોનું દર્શન જ થતું નથી, કેવળ દોષ જ દેખાય છે. હકીકતમાં તો આપણી સામે જે દોષ આવે છે તે વાસ્તવમાં હોય જ છે એવું પણ હોતું નથી. જ્યાં સુધી માણસના હૃદયમાં પ્રવેશ થતો નથી, ત્યાં સુધી બધું ખરાબ જ ખરાબ દેખાયા કરે છે. કેમ કે આપણને તે માણસના હેતુ અંગે કંઈ જ ખબર નથી હોતી. હવે જ્યારે આપણે તેનો વાસ્તવિક હેતુ જાણતા નથી, તો પછી સાચી વાસ્તવિકતાની ખબર કેવી રીતે થાય ? કાયદા કાનૂનમાં પણ ગુનેગારને શંકાનો લાભ અપાયો છે. જેને ‘બેનિફિટ ઓફ ડાઉટ’ કહે છે. જ્યાં સુધી હેતુનું દર્શન થતું નથી ત્યાં સુધી એને અપરાધી કહી શકાતું નથી. માટે જ આપણને જે દોષ દેખાય છે તે હકીકતમાં હોય જ છે એવું હોતું નથી. આપણે દોષોના પરીક્ષક ન બનીએ. એ કામ તો ઈશ્વરનું છે. આપણે જ્યારે દોષોનું પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં દોષોનો સંઘરો થવા લાગે છે જેને લીધે પરમેશ્વરનાં દર્શન થતાં નથી. જેમ ભક્તિ વગર પરમેશ્વરની શોધ અને પરમેશ્વરનું દર્શન ન થાય એમ ગુણદર્શન વગર, ગુણવિકાસ વગર ભક્તિ પણ ન થઈ શકે.

મેં મારા માટે આધ્યાત્મિક સાધનાની એક કસોટી માની છે કે જ્યારે સર્વત્ર ગુણદર્શન થવા લાગશે અને એક એવી સ્થિતિ આવશે કે માણસમાં દેખાતા દોષ ગુણની છાયાની જેમ આવે છે ત્યારે એની કોઈ પણ અસર ચિત્ત પર નહીં થાય, ત્યારે સમજવું કે આધ્યાત્મિક સાધના સધાઈ ગઈ છે.

ગુણગ્રહણ એટલે સામેવાળામાં રહેલા ગુણનું દર્શન થવું, ત્યારબાદ એ ગુણનો સ્વીકાર કરીને આપણા હૃદયમાં સ્થાન આપવું. ત્યારબાદ એ ગુણનો વિકાસ કરવો. આમ, સામેવાળામાં રહેલા ગુણને આપણી હૃદયભૂમિમાં વાવવો જોઈએ. જેવી રીતે ખેડૂત ખેતરમાં એક બીજ વાવે છે, તો તે ચારગણો, શતગણો થઈ જાય છે એવી રીતે આપણી મનોભૂમિ જો શુદ્ધ હશે તો તેમાં ગુણ વાવવાથી તે ગુણ શતગુણિત થઈને વિકસશે. આને ગુણવિકાસ કહીશું. પ્રથમ ગુણદર્શન, પછી ગુણગ્રહણ અને પછી ગુણવિકાસ. આ ભક્તિની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સર્વત્ર છુપાયેલા પરમેશ્વરની હસ્તિનું દર્શન થાય છે.

આમ દરેકેદરેક માણસમાં કાંઈક ને કાંઈક ગુણ-દોષ રહેલા હોય છે. અહીં માટી, પત્થર અને અનેક ધાતુઓના કણ પડ્યા છે, હવે અહીં લોહચુંબક લાવીએ તો તે શું કરશે ? એ અહીં પડેલા લોખંડના કણોને પોતાની તરફ ખેંચી લેશે. બરાબર એવી રીતે સજ્જન વ્યક્તિ દરેકમાં રહેલી સજ્જનતાને ખેંચી લેશે. આ દુનિયામાં એક પણ માણસ એવો જોવા નહીં મળે કે જેનામાં એક પણ ગુણ ન હોય, પછી તે ભલેને ગમે તેટલો મોટો દુર્જન કેમ ન હોય ! એવી જ રીતે આ દુનિયામાં કોઈ એવો સજ્જન જોવા નહીં મળે જેમાં એક પણ દોષ ન હોય, સર્વદોષરહિત તો ફક્ત પરમાત્મા જ હોઈ શકે અને સર્વદોષસંપન્ન શેતાન જ હોય ! ટૂંકમાં, દરેક માણસમાં કોઈ ને કોઈ ગુણ અને કોઈ ને કોઈ દોષ હોય જ.

જેવી રીતે ઘર દરવાજા અને દીવાલો વગર બની શકે નહીં, તેવી રીતે માણસમાં રહેલા ગુણ એ દરવાજા છે અને દોષ તે દીવાલ છે. ઘરમાં પ્રવેશતી વખતે દરવાજાનો ઉપયોગ કરીએ તો જ ઘરમાં પ્રવેશ કરી શકાય. દીવાલ દ્વારા અંદર જવા ઇચ્છીશું તો કેવળ માથું અફળાશે. લોકહૃદય પ્રવેશ માટે લોકોમાં રહેલા દોષો મારફત જવાથી માથું ભટકાશે પણ એના બદલે એમનામાં રહેલાં ગુણો દ્વારા સંપર્ક સાધીશું તો લોકહૃદયમાં સીધો પ્રવેશ થાય છે. એટલા માટે આપણે પણ લોહચુંબક જેવી ગુણચુંબક વૃત્તિ કેળવીએ.

અસમના માધવદેવનું પ્રસિદ્ધ વાક્ય છે.

अधमें केवले दोष लवय,

            मध्यमे गुणदोष लवे करिया विचार

उत्तमे केवल गुण लवय

           उत्तमोत्तमे अल्प गुर करय विस्तार

માધવદેવે માણસના ચાર વર્ગ બતાવ્યા છે. પહેલો વર્ગ અધમ. અધમ એટલે કે જે કેવળ દોષ ગ્રહણ કરે છે. દુનિયાભરના દોષોને જ ખેંચે છે. આ દુનિયા આ પ્રકારના માણસોને ચતુર કહે છે પણ માધવદેવ અધમ કહે છે. બીજો વર્ગ મધ્યમ છે. મધ્યમ વર્ગના માણસ ગુણ-દોષ બંને જોઈ વિવેક કરે છે. એને રાજનીતિ ધુરંધર કહે છે. ધુરંધર એટલે શ્રેષ્ઠ. પણ માધવદેવ તેમને શ્રેષ્ઠ માનતા નથી. પછીનો વર્ગ છે ઉત્તમ મનુષ્યનો. ઉત્તમ મનુષ્ય એ છે કે જે કેવળ ગુણ ખેંચી લે છે. આવા માણસને આ દુનિયા ભોળો માને છે પરંતુ આવા માણસોના સંપર્કમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણું પરિવર્તન થઈ જાય છે. વૈષ્ણવોની આ જ તો બહુ મોટી તાકાત છે. માધવદેવ ચોથો વર્ગ બતાવે છે, ઉત્તમોત્તમ વર્ગ. ઉત્તમોત્તમ વર્ગના માણસો એ હોય છે કે જેઓ અલ્પગુણોનો વિસ્તાર કરે છે. આ પ્રકારના માણસોનું હૃદય શીતળ હોય છે. હૃદયની શીતલતા એ મૈત્રી માટેનું સર્વોત્તમ સાધન છે. એના દ્વારા દુનિયા આખી સાથે મૈત્રી સાધી શકાય છે.

હૃદયશુદ્ધિ અને શબ્દશક્તિનું કામ ત્યારે સાર્થક થશે જ્યારે ગુણગ્રહણ થશે. બીજાના દોષ જોવા એ અત્યંત નિમ્ન ભૂમિકા છે. આ એક એવી ભૂમિકા છે જે મોટાભાગે સમાજશાસ્ત્રજ્ઞોની હોય છે કે ગુણ અને દોષ બંનેનું દર્શન હોવું જોઈએ, જ્યારે સમ્યક્ દર્શન હોય તો જ સુધાર થાય છે. સમાજશાસ્ત્રજ્ઞો જો ફક્ત દોષ જ જોયા કરશે તો તેઓ પોલીસવાળાઓની ભૂમિકાએ આવી જશે. પરંતુ સમાજ-વ્યવસ્થાપકોની પદ્ધતિ ગુણો અને દોષો બંનેનું દર્શન કરવાની છે. પરંતુ આનાથી પણ આગળ એક નૈતિક ભૂમિકા રહેલી છે. આ ભૂમિકામાં કોઈનો પણ દોષ દેખાયો તો તે દોષને એકદમ ઓછો કરીને જોશે અને કોઈનો ગુણ દેખાશે તો તે જેટલો દેખાય છે એનાથી વધુ મોટો માનશે.

પોતાના ખુદના દોષ જેટલા દેખાયા, એને એનાથી વધારે માનવું અને ગુણ જેટલા દેખાયા, એનાથી પોતાની જાતને ઓછી માનવી. – આ એક નીતિશાસ્ત્રીય પદ્ધતિ છે, જે ગાંધીજીએ આપણને શીખવાડી છે. તુલસીદાસજીએ પણ परदोष रेणुसम કહ્યું છે. મેં એક વાર ગાંધીજીને પૂછેલું કે ‘આનો સત્યનિષ્ઠા સાથે કેવી રીતે મેળ પડે ?’ તો એમણે સુંદર સમજાવ્યું કે જેવી રીતે નકશામાં એક ઈંચ લખ્યું હોય તો એના અર્થ દસ માઈલ થશે. હવે તે હશે તો એક જ ઈંચ પણ આપણે માનવું પડશે દસ માઈલ. આવી જ રીતે આ પણ છે. આપણી આંખ પણ આવી વિચિત્ર છે કે તે બીજાના નાના નાના દોષને મોટા મોટા કરીને જુએ છે અને પોતાના નાના અમથા ગુણને નાનો હોવા છતાં બહુ મોટો કરીને જુએ છે. આમ આપણે સ્કેલ બદલીને તેને અનુસાર થોડું – વધારે કરતા રહીશું તો સત્ય હાથમાં આવશે. ગાંધીજીએ આપેલ આ ઉદાહરણથી મને ઘણો આનંદ થયેલો જેને હું ક્યારે ય ભૂલ્યો નથી.

આ પછી મને એક વિચાર સૂઝ્યો કે આપણે આપણા પોતાના દોષોને પણ નાના નાના સમજવા અને બીજાના દોષોને પણ નાના નાના સમજવા. એવી રીતે પોતાના ગુણોને પણ મોટા સમજવા અને બીજાના ગુણોને પણ મોટા સમજવા. ધીરે ધીરે ગુણોને વધારતા જવા અને દોષોને ઘટાડતા જવા. આમ પોતાના અને બીજાઓમાં રહેલા ગુણોનાં ગુણગાન કરતા રહીએ. આમ બીજાના ગુણોને વધારતા રહેવું અને બીજાના દોષોને પોતાની પર આરોપિત કરી પોતાના દોષોને વધારતા રહેવું – એ મહાત્માનું લક્ષણ છે. જ્યારે બીજાના દોષ જેવા છે એવા જોવા, એ અલ્પાત્માનું લક્ષણ છે. આપણે ન તો અલ્પાત્મા છીએ કે ન તો મહાત્મા છીએ, આપણે તો આત્મા છીએ. આ ભૂમિકાએ રહીને ગુણગાન કરીશું, જે વાણી માટે ધર્મ છે.

(સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 01-03

Loading

...102030...839840841842...850860870...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved