Opinion Magazine
Number of visits: 9457636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ સંસદસભ્ય સંસદમાં આવું બોલે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 September 2023

રમેશ ઓઝા

સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી મળવાની છે એટલે એ માટેનો ખરડો નવી લોકસભામાં પણ રજૂ થઈ શક્યો હોત. ઉતાવળ શું હતી? હા, તાત્કાલિક અમલમાં આવે એ રીતે અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હોત તો વાત જુદી હતી અને રાહુલ ગાંધીએ તો કહ્યું પણ હતું કે આ જોગવાઈ તાત્કાલિક અમલમાં આવે એ રીતે લાગુ કરો અને ચૂંટણીકીય લાભ લઈ જાઓ. પણ એમ કરવામાં નથી આવ્યું. મહિલાઓને પંદર વરસ પછી બેંકમાં નાખી શકાય એવો ચેક આપવામાં આવ્યો છે. તો આ ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું? ક્યાંક એવું તો નથી કે અધિવેશનના છેલ્લા દિવસે બી.જે.પી.ના સંસદસભ્ય રમેશ બિધૂડી મુસલમાનોને બેફામ ગાળો દે અને એ રીતે દેશમાં નવા સ્તર પર હિંદુ-મુસ્લિમ વિભાજન કરવા મળે?

શક્ય છે. હવે તો રીઝર્વ બેન્કે પણ કબૂલ કર્યું છે કે દેશની આર્થિક સ્થિતિ ઠીક નથી. ગયા અઠવાડિયે બહાર પડેલા બેન્કના અહેવાલ મુજબ કૌટુંબિક બચતમાં છેલ્લાં પચાસ વરસમાં ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો ઘટાડો થયો છે. ૨૦૨૧માં કૌટુંબિક બચત જી.ડી.પી.ના ૧૧ ટકા હતી જે ૨૦૨૨માં સાત ટકા અને અત્યારે પાંચ ટકા થઈ ગઈ છે. બચત ક્યારે ઘટે? બચત બે કારણે ઘટે. કાં તો આવકમાં ઘટાડો થાય અથવા મોંઘવારી વધે. અને બચત ઘટે તો શું થાય? કૌટુંબિક દેવામાં વધારો થાય. મૃત્યુ, બીમારી, સામાજિક પ્રસંગો કે મકાન ખરીદવું હોય અને ગાંઠે પૈસા ન હોય તો કર્જ લેવું પડે. રીઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે દેશમાં કૌટુંબિક દેવું ૨૦૦૨માં જી.ડી.પી.ના ૩.૮ ટકા હતું જે હવે વધીને ૫.૮ ટકા થયું છે. બેરોજગારી પ્રચંડ માત્રામાં વધી રહી છે. સરકારો ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરતી નથી ત્યાં ખાનગી સેક્ટરની ક્યાં વાત કરીએ! આ સિવાય ચીન, મણિપુર, અદાણી સાથેની ભાઈબંધી વગેરે સતાવનારા પ્રશ્નો તો છે જ.

આ સ્થિતિમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવું પડે એમ છે અને એમાં તેમની મહારત પણ છે. માટે રમેશ બીધૂડી જાણીબૂજીને બેફામ બોલ્યા હોવા જોઈએ, કારણ કે આવી ભાષામાં આજ સુધી કોઈ સંસદસભ્ય બોલ્યો નથી, પછી ગમે તેવી ઉત્તેજનાત્મક ઘટના વિષે ચર્ચા ચાલતી હોય. વળી સંસદમાં ચર્ચામાં ઉશ્કેરાઈ જવું પડે એવો કોઈ મુદ્દો પણ નહોતો. બહુજન સમાજ પક્ષના સભ્ય દાનીશ અલીને જે ભાષામાં ગાળો આપવામાં આવી હતી એ અહીં લખવાનો ઈરાદો હતો, પણ અત્યારે લખવાનું મન થતું નથી. લખતા પણ શરમ આવે છે. શરમ કરતાં પણ ખિન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જેને એ ભાષા સાંભળવી હોય એ યુ ટ્યુબ પર સાંભળી શકે છે. કોઈ સંસદસભ્ય આવું બોલે? અને એ પણ સંસદમાં? અને હજુ વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમની બાજુમાં બેઠેલા બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. હર્ષવર્ધન બિધૂડીને વારવાની જગ્યાએ મોઢું ફાડીને હસે છે. ગૃહમાં હાજર બી.જે.પી.ના કોઈ સિનિયર નેતા બિધૂડીને રોકવાનો પ્રયાસ કરતા નથી. સ્પીકર રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે સ્પીકરે તેમ કરવું જોઈએ. કમ સે કમ કેમેરા સામે પ્રયાસ કરતા નજરે પડવા જોઈએ. બિધૂડીએ ગાળો બોલીને જૂનાં સંસદભવનને વિદાય આપી હતી. આ દૃષ્ટિએ સંસદનું આ ખાસ અધિવેશન ઐતિહાસિક હતું.

આની સામે રાહુલ ગાંધી સાથે જે બન્યું એ સરખાવો. તેમણે ચૂંટણી વખતે પ્રચારસભામાં કહ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને જે લોકો દેશ છોડીને નાસી ગયા એમાંના મોટાભાગના મોદી અટક ધરાવે છે. રાહુલ ગાંધીએ આમ બોલવું નહોતું જોઈતું. પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં સોનિયા ગાંધી માટે “જર્સી ગાય”, “કાઁગ્રેસની વિધવા” વગેરે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો તેની તુલનામાં તો આ કાંઈ જ ન કહેવાય.

પણ એ પછી શું બન્યું? એક મોદી અટકધારીનું દિલ દુભાયું અને સૂરતની અદાલતમાં તેમણે કેસ કર્યો. જજે રાહુલ ગાંધીના અદાણી વિશેના ઐતિહાસિક ભાષણ પછી જ્યારે જરૂર પડી ત્યારે ઉતાવળે સુનાવણી કરી અને ચુકાદો એ સમયે આપ્યો જ્યારે સંસદનું અધિવેશન ચાલતું હતું. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ આપી શકાય એટલી અર્થાત્ પૂરી બે વરસની સજા કરી. જેલની સજા બે વરસની હતી એટલે સ્પીકરે બીજા જ દિવસે રાહુલ ગાંધીને સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠરાવ્યા અને એના બીજા દિવસે રાહુલ ગાંધીને ફાળવવામાં આવેલું સરકારી મકાન ખાલી કરાવાયું. રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી તો જજસાહેબે કારણ આપ્યા વિના નીચલી અદાલતની સજાને બહાલી આપી. ગુજરાતની વડી અદાલતના એ જજને શિરપાવ મળી ગયો છે. તેમની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે બઢતી કરવામાં આવી છે.

સંસ્કાર, સભ્યતા, માનમર્યાદા, દેશને શોભે એવા જાહેરજીવન માટેની નિસ્બત એમ બધું જ રાહુલ ગાંધીની બાબતમાં જોવા મળ્યું હતું. પણ રમેશ બીધૂરી સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે વહેમ જાય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2023

Loading

આજકે નય – આજનું નથી

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Opinion|27 September 2023

૧૧મી સપ્ટેમ્બર વિનોબાજીનો જન્મદિન. ટાગોરના એક ગીતને વિનોબાએ પોતાના જન્મ સાથે સાંકળ્યું. આ અવસરે તેનો રસાસ્વાદ લઈએ.

કબે આમિ બાહિર

કબે આમિ બાહિર હલેમ તોમારિ ગાન ગેયે –

સે તો આજકે નય સે આજકે નય.

ભૂલે ગેછિ કબે થેકે આસછિ તોમાય ચેયે –

સે તો આજકે નય સે આજકે નય.

ઝરના જેન બાહિરે જાય, જાને ના સે કાહારે ચાય,

તેમનિ કરે ધેયે અલેમ જીવનધારા બેયે –

સે તો આજકે નય સે આજકે નય.

કતઈ નામે ડેકેછિ જે, કતઈ છવિ એંકેછિ જે

કોન આનન્દે ચલેછિ તારા ઠિકાના ના પેયે

સે તો આજકે નય સે આજકે નય.

પુષ્પ જેમન આલોર લાગિ ના જેને રાત કાટાય જાગિ

તેમનિ તોમાર આશાય આમાર હૃદય આછે છેયે

સે તો આજકે નય સે આજકે નય

સારાંશ

તારાં ગીત ગાતાં ગાતાં ક્યારનો નીકળ્યો છું હું,

આજની તે વાત નથી, આજની નથી.

ભૂલી ગયો છું ક્યારથી તને જોતો જોતો આવી રહ્યો છું.

આજની તે વાત નથી, આજની નથી.

જેમ ઝરણું વહેતું ચાલ્યું જાય છે, કોને ચાહે છે નથી જાણતું

એવી રીતે દોડતો ચાલ્યો આવું છું જીવનના સ્રોતને પ્રવાહિત

કરતો કરતો,

આજની તે વાત નથી, આજની નથી.

કેટલાં નામોથી પોકાર્યો છે. કેટલી રેખાઓથી તારું સ્વરૂપ સજાવ્યું છે

જાણ્યા વગર કોઈ આનંદમાં ફરતો રહ્યો છું

આજની તે વાત નથી, આજની નથી.

પુષ્પ જેમ પ્રકાશને માટે જાણ્યા વગર જાગીને રાત વિતાવે છે 

એ જ રીતે મારા હૃદયને ઢાંકી રાખ્યું છે તારી પ્રતીક્ષામાં.

આજની તે વાત નથી, આજની નથી.

•

વિનોબા

कुबे आमि बाहिर हलेम तोमारि गान गेये

से तो आँजके नय से आँजके नय।।

                                       (पूजा गीत – 33) 

તમારાં ગીતો ગાતો ક્યારથી નીકળ્યો છું હું

આજની વાત નથી આ વાત, આજની નથી.

•

આચાર્ય વિનોબાજી

‘મારી એક શોધ ચાલી રહી છે. લોકો જાણે છે અને મને’ (વિનોબા) ને પણ દેખાય છે કે ૧૨ વર્ષથી આ યાત્રા (ભૂદાનયાત્રા) ચાલી રહી છે છતાં વિચારતાં એવું સ્પષ્ટ જણાય છે કે ૧૨ વર્ષ પહેલાં તો ભૂદાનની પદયાત્રા શરૂ થઈ, પરંતુ જ્યારથી હું (વિનોબા) કૉલેજમાં હતો ત્યારે પણ આજના જેટલું જ આઠ-દસ માઈલ રોજ ચાલતો હતો. જો તેવી ટેવ પડી ન હોત તો ૧૨ વર્ષ પહેલાં પદયાત્રા શરૂ કરવાની હિંમત થાત નહીં. જેટલું વાંચતો, એનાથી વધારે ચાલતો હતો. આ રીતે આ શોધ લગભગ કૉલેજના દિવસોથી જ ચાલી રહી છે. પછી વિચારું છું કે ચાલવાનો અભ્યાસ તો થયો, પણ સંસારમાં ખૂંપી ગયો હોત તો કદાચ આ પદયાત્રા શરૂ થઈ ન હોત. નાનપણથી મનમાં એ સંકલ્પ ઊઠતો હતો કે કોઈક વખત એવો આવશે જ્યારે હું (વિનોબા) પરિવ્રાજક બનીશ. જરા વધારે વિચારીએ તો છેક નાની ઉંમરમાં આ પ્રકારનો સંકલ્પ કેવી રીતે ઊગ્યો? તો સમજાયું કે  आजके नय, आजके नय (આજનો નથી, આજનો નથી) બહુ જૂની શોધ છે.

નદી નીકળી પડી છે. એને ખબર નથી તે ક્યાં જશે. એવું પણ કહી શકીએ કે એ આવેગ છે. તે વહેતી રહે છે અને ધીમે ધીમે પોતાનું સ્થાન મેળવી લે છે. છેવટે ક્યાંક ને ક્યાંક સાગરમાં ભળી જાય છે. ખબર નથી પડતી કે તે સાગરની શોધમાં નીકળી પડી છે. એના નીકળવામાં એક પ્રેરણા હતી, જે એને પણ ખબર નહોતી.

સારાંશ, જેટલી પ્રેરણા હોય છે, બધી પરમાત્માથી પ્રેરિત હોય છે. તે (પ્રેરણા) ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી પરમાત્મામાં પહોંચી જતી નથી. એટલે અનાદિકાળથી આ શોધ ચાલી રહી છે. આ જન્મનું આપણને યાદ આવે છે તો કંઈક ખબર પડે છે, પણ જે ખબર પડે છે તે બરાબર નથી. મૂળ વાત એ છે કે તમે, હું અને બધા આપણે બધા જ અનાદિ કાળથી એક શોધ માટે નીકળેલા છીએ. કેટલાક લોકો જાણે છે કે કોઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો એ પણ જાણે છે કે કઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો જાણતા નથી. એટલે કે જાણે કે ન જાણે પણ એક વસ્તુની શોધ તો ચાલી જ રહી છે.

પરમાત્મા એક ચુંબક છે. તે બધાને ખેંચે છે. કોઈ ગમે તે રીતની પ્રેરણા લઈને નીકળે, છેવટે ખેંચાઈને એ જ પરમાત્માની પાસે પહોંચી જશે. મારો (વિનોબા) એ ખેંચાણ પર જ વધારે વિશ્વાસ છે. દુનિયામાં પરમાત્માની શક્તિ કામ કરી રહી છે, જે બધાને પોતાની પાસે ખેંચે છે. એનાથી કોઈ છુટકારો નથી. એવી શ્રદ્ધા સાથે હું ફરી રહ્યો છું. એટલે રસ્તામાં જે કોઈ મળે છે, હું એનો હાથ પકડી લઉં છું. સમજું છું કે આ અમારો અનાદિકાળનો સાથી છે. ભલે, મારો પરિચય એની સાથે હમણાં જ થયો હોય, પણ છે તે અમારો જૂનો મિત્ર.

आज के नय, आजके नय।

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 04 તેમ જ 23

Loading

ચૌદ કેરેટનું સ્મિત 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|27 September 2023

પ્રીતમ લખલાણી

આજે મઘર્સ ડે હોવાથી નિર્મીશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી મઘુર યાદોમાં ખોવાયેલા નિર્મીશને, બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા, બાની છબી પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થઈ આવતાં, તેણે ફલોરિસમાંથી બે સુંદર મજાના લાલ ગુલાબ ખરીદી, ઘરે જવા, તે પોતાના રોજના બસ સ્ટોપ પર આવીને ઊભો. આજે રવિવાર હોવાથી ફિલાડેલફિયાના ડાઉન ટાઉનમાં ચકલાં ઊડતાં હતાં. વીક ડેઈસની માફક આજે બસસ્ટોપ પર ખાસ ભીડ ન હતી. બે વ્યકિતઓ, આસપાસમાં વાતોના ગપાટા મારતી સિગરેટના ઊંડા કસ ખેંચતી, પોતાની બસ આવવાની રાહ જોતી ઊભી હતી. નિર્મીશ હજી બસસ્ટોપે આવીને ઊભો ન ઊભો, ત્યા જ એક બસ આવીને ઊભી. નિર્મીશ કે પેલી બે વ્યકિતમાંથી કોઈ બસમાં ચઢ્યું નહીં, એટલે બસ ડ્રાઈવરે બસને આગળ જવા માટે હાંકી મૂકી. બરાબર એ જ વખતે, ફિલાડેલફિયા મીડ ટાઉન ટાવરના સામેના પુલ પરથી બસને જોઈ, હડી કાઢતી, બસ ડ્રાઈવરનું ઘ્યાન તેના તરફ ખેંચવા હવામાં હાથ હલાવતી, એક બાઈ બસસ્ટોપ પર ઊભેલ બસને પકડવા આવી રહી હતી. બિચારી બાઈનાં નસીબ બે ડગલાં પાછળ હશે. બસસ્ટોપ પર ઊભેલા નિર્મીશ કે પેલી બે વ્યકિતનું કે પછી બસડ્રાઈવરનું ઘ્યાન તેના તરફ ગયું નહીં. બાઈ બિચારી હાંફતી બસસ્ટોપ પર આવી ચઢી, પણ બસ ત્યાંથી આગળ જવા થોડેક દૂર નીકળી ગઈ હતી.

બસ છૂટી જતાં, બાઈ દુઃખી મને બસસ્ટોપના બાંકડે બેસી ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગી. બસસ્ટોપ પર ઊભેલી વ્યકિતનું ઘ્યાન તેના તરફ ગયું. તેમના ચહેરાના હાવ ભાવ કહી રહ્યાં હતાં કે બાઈ કેમ રડી રહી છે. તેણીના પ્રત્યે મનમાં ઘણી સહાનુભૂતિ થઈ આવી, પરંતુ આ તેનો કોઈ અંગત પ્રશ્ન હશે. તેમ સમજી તેઓ ગુપચૂપ બસની રાહ જોતા ઊભા હતા. થોડા સમય પહેલા અમરેલીથી અમેરિકામાં આવી ચઢેલા, નિર્મીશને આમ ચૂપચાપ બસસ્ટોપ પર એક બાઈને રડતી જોઈ ઊભા રહેવું અસહ્ય લાગતા, તેણે આ દેશના રીતિરિવાજની કોઈ દરકાર કર્યા વગર, બાઈ પાસે જઈને હિંમત કરીને ઘીમેથી પૂછી નાખ્યું, ‘મેડમ, તમને કોઈ તકલીફ છે? જો તમને, તમારી તકલીફ કહેવા જેવી જણાતી હોય તો, ખુશીથી તમે મને કહી શકો છો, જો તમને મદદ કરવા જેવું આવશ્યક જણાશે તો, જરૂર હું માનવતાના નાતે તમારા દુઃખમાં સહભાગી થવાની કોશિશ કરીશ.’

આંખેથી આંસુ લુછતા બાઈ બોલી, ‘સર, હમણા બે મિનિટ પહેલા જે બસ બસસ્ટોપ પર આવીને ચાલી ગઈ. તે મારા માટે બહુ જ મહત્ત્વની હતી, આ પ્રમાણે જણાવીને તે ફરી પાછી ઘ્રૂસકે ઘ્રૂસકે રડવા લાગી.’ બાઈને આશ્વાસન આપતા નિર્મીશે કહ્યું, ‘મેડમ, બસ છૂટી ગઇ એ બાબતમાં તમે આટલાં દુઃખી, અકારણે શા માટે થાવ છો? તમારે જ્યાં આગળ જવું છે, તે માટે હમણાં થોડી જ વારમાં બીજી બસ આવી ચઢશે?’

‘યગમેન, તારી વાત તદ્દન સાચી છે. મારે જ્યાં જવું છે, ત્યાં જવા માટે જરૂર બીજી બસ આવશે, પણ આ એક બસ છૂટી જતા મારો આજનો દિવસ રોળાઈ ગયો. મને બસ છૂટી જવાનો કોઈ અફસોસ નથી. આજે મારા એકના એક વહાલસોયા પુત્રની ત્રીજી પૂણ્યતિથિ છે. લગભગ આજથી ત્રણ વર્ષ પૂર્વે, ઈરાકમાં તેણે અમેરિકન આર્મ્સફૉર્સમાં શાંતિ દૂત તરીકેની ફરજ અદા કરતા, દુ:શ્મનો હાથે શહીદી વહોરી લીઘીતી. કુદરત પણ મારી સાથે કેવી ક્રૂર મજાક કરી રહી છે! મને ખબર પડતી નથી હજી તે મને કેટલા રૂપ દેખાડશે? આજથી નવ વર્ષ પહેલાં આતંકવાદીઓએ સપ્ટેમ્બર ઈલેવનના રોજ ન્યૂયોર્કના ટ્વીન ટાવર પર હુમલો કર્યો, ત્યારે તેમાં ફસાયેલા નિદોષ નાગરિકોને બચાવવા, ફાયર બિગ્રેડમાં સેવા કરતા, મેં મારા પતિને ખોઈ દીઘા. છેલ્લા કેટલા મહિનાથી અમેરિકાની આર્થિક સ્થિતિ બગડી રહી છે. તેના વિશે હું તમારા જેવા યુવાનોને શું કહું. તમે તો તેની વર્તમાન પરિસ્થિતિથી પરિચિત હશો! અમેરિકાની ઘણી નામાંકિત કમ્પનીઓએ પોતાના બજેટને પહોંચી વળવા, ઘણા મજદૂર કામદારોને છૂટા કરી દીઘા છે, તેની અસર મારા જેવી નિરાઘારને પણ થઈ છે. હું છેલ્લાં પાંત્રીસ વર્ષથી અહીંની એક પ્રતિષ્ઠિત મોટર કમ્પનીમાં કામ કરતી હતી. કમ્પનીએ તેના બજેટમાં મોટો કાપ મૂકતા, મારા જેવા પંદર હજાર કામદારોને મેનેજમેન્ટે દુઃખી મને છૂટા કરવા પડ્યા છે.’

આજે દીકરાની પૂણ્યતિથિએ તેની કબર પર બે ફૂલ ચઢાવી શકું, એટલી પણ મારી આર્થિક સ્થિતિ નથી. આ વાત મેં મારા ચર્ચના એક પાદરીને ગઈ કાલે સાંજે ફોન પર કરી. તેમણે મને આશ્વાસનના બે શબ્દ કહેતા કહ્યું, ‘બાર્બરા, તમે આટલાં દુઃખી ન થાઓ, ભલે તમે તમારા લાડલા પુત્ર ડેનની કબર પર આ પૂણ્યતિથિએ બે ફૂલ ન ચઢાવી શકો તો કંઈ નહીં. આવતી કાલે સવારે આપણે કબ્રસ્તાનમાં જઈ તેની કબર પાસે સાચા હ્રદયથી, પ્રભુ તેના આત્માને શાંતિ બક્ષે એવી તનમનથી પ્રાર્થના અચૂક કરીશું. મારી દૃષ્ટિએ, બાર્બરા, પ્રાર્થનાનું મહત્ત્વ, કબર પર ચઢાવેલા ફૂલથી કંઈ ઓછુ નથી હોતું.’

‘પાદરી માઈકલ ચેપલ મને, સવારે અગિયાર વાગ્યે, જ્યાં આગળ મારા પુત્રની કબર છે તે હિલહેવન મેમોરિયલ કબ્રસ્તાનમાં આવી જવાનું જણાવ્યું હતું. આ બસ, છૂટી જતાં, હવે હું પાદરીને આપેલા સમયે કબ્રસ્તાનમાં પહોંચી નહીં શકું. બસના ટાઈમ ટેબલ મુજબ બીજી બસ બપોરના સાડાબાર વાગ્યાની છે! જો હવે હું બીજી બસ લઈને કબ્રસ્તાન જઈશ તો, લગભગ દોઢ તો જરૂર વાગી જશે. મને નથી લાગતું કે પાદરી માઈકલ મારી રાહ જોતા, બપોરના દોઢ બે વાગ્યા લગી ત્યાં આગળ બેસી રહે. તે આજે ઘણા કામમાં હતા.’ મેં જ્યારે ફોન પર તેમને મારી પરિસ્થિતિ અને મનની વ્યથા વિશે જણાવ્યું ત્યારે તેમણે મને કહ્યું, ‘બાર્બરા, ભલે હું ઘણો કામમાં છું, પરંતુ તમે એની બિલકુલ ચિંતા ન કરો. જે યુવાન જગતની શાંતિ, કલ્યાણ માટે ચિર નિદ્રામાં પોઢી ગયો હોય, તેના માટે શું મારા રોજિંદા કાર્ય્રકમમાંથી પ્રાર્થના જેટલો સમય તો જરૂર કાઢી શકું.’

‘હવે હું તેમને શું દોષ દઉં?  તેમને પણ મારા જેવાં કેટલા ય દુઃખીઓના મનને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાવવાની હશે! વળી આજે તો મઘર્સ ડે છે. તેમણે પણ તેમનો થોડો સમય તેમના પરિવારને ફાળ્વાનો હશે!’

બાર્બરાની વ્યથા સાંભળી, નિર્મીશની આંખ ભરાઈ આવી. આંખો લૂછતા તે ગત ડિસેમ્બરમાં મૃત્યુ પામેલાં બાના સ્મરણમાં ડૂબી ગયો. બા જે ક્ષણે છેલ્લા શ્વાસ લેતા હતાં ત્યારે તેમણે મને તેમની પથારી પાસે બોલાવીને એક શિખામણ આપી હતી કે, ‘દીકરા, નિર્મીશ, મારી પાછળ કોઈ ઘાર્મિક વિઘિ કે કોઈ ક્રિયાકાંડ ન કરતો. તને તો ખબર છે મને આ બઘી અંઘ શ્રદ્ધામાં બહુ વિશ્વાસ નથી. તું મારી એક વાત હંમેશાં યાદ રાખજે. જિંદગીમાં જ્યારે પણ હું તને યાદ આવું ત્યારે તું તારાથી બને તો દુઃખિયાનાં બે આંસુ લુછવાનો પ્રયત્ન જરૂર કરજે. જે દિવસે તું કોઈ પણ દુઃખી માણસની વ્યથાને તારી પીડા સમજીશ, તે દિવસે મારો આત્મા, દીકરા, જયાં પણ હશે ત્યાંથી તને આશીર્વાદ આપશે!’

બાના સ્મરણમાંથી જાગેલા નિર્મીશે, બાની છબી પાસે મૂકવા લીઘેલા બે ગુલાબ બાર્બરાના હાથમા’ મૂકતાં કહ્યું, ‘મેડમ, તમે બઘી ચિંતા ઈશ્વરને ખોળે મૂકી, ખુશીથી બીજી બસ લઈને કબ્રસ્તાન જાવ જો પ્રભુની ઈચ્છા હશે તો પાદરી કદાચ તમારી રાહ જોતા ત્યાં બેઠા હશે. અને કદાચ જો તેઓ ચાલ્યા ગયા હોય તો, તમે બિલકુલ દુઃખી ન થતા, ‘આ બે ગુલાબ, હું તમને તમારા વહાલસોયા પુત્રની કબર પર ચઢાવવા ભેટ આપું છું. તમે ખુશીથી તમારા પુત્રની કબર પર મૂકી દેજો.’

‘ફૂલો તો ઈશ્વરનું એક બીજુ સ્વરૂપ છે, આથી વિશેષ તો હું તમને શું કહું. ફૂલનાં મૌનમાં વિશ્વના તમામ ઘર્મ ગ્રંથોની પ્રાર્થના સમાયેલ છે. આ ગુલાબનું સ્મિત, તમારા પુત્રના આત્માને શાંતિ બક્ષે એવી મારી પ્રભુને સાચા હ્રદયથી પ્રાર્થના.’

ગુલાબને હાથમાં લેતાં બાર્બરાનો ચહેરો, હાથના રાતા ગુલાબ સમો ખીલી ઊઠ્યો. નિર્મીશે મનની ખુશી સાથે આકાશ સામે જોયું. બાની ઈચ્છા, આજ મઘર્સ ડે જેવા પવિત્ર દિવસે પૂર્ણ કરવા ઈશ્વરે તેને જે તક આપી તે બદલ તેણે તેનો આભાર વ્યકત કર્યો.

પ્રસન્ન મને નિર્મીશે ઘેર આવી, ઘરનો દરવાજો ખોલ્યો. અચાનક તેની નજર દીવાનખાનાની દીવાલ પર રોજ જેનું સ્મિત નીરખી દિવસની શરૂઆત કરતો હતો, તે મોનાલિસાની છબી પર અટવાઈ ગઈ. મનોમન હસતા નિર્મીશે, બાજુની ભીંતે આજે મઘર્સ ડે હોવાથી, બાના આશીવાર્દ લેવા બે હાથ જોડી, બાની ઘીર ગંભીર છબી પર નજર કરી. તેનો ચહેરો મનોમન પતંગિયાની જેમ થનગની ઊઠ્યો.

બાનો ઘીર ગંભીર ફોટો, મરક મરક હોઠોમાં હસતો, દીકરાને આશીવાર્દ આપી રહ્યો છે એવી એને મનોમન પ્રતીતિ થઈ આવી. નિર્મીશે બાના ફોટાને વંદન કરતા, બાજુની ભીંતે હસતી મોનાલિસાની છબીને કહ્યું, ‘હે મોના, I am really very sorry, but this is truth, આજ બાના નિર્મળ સ્મિત પાસે, તું માન કે ન માન  પણ મને તારું સ્મિત ફકત ચૌદ કેરેટનું લાગેછે!’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...838839840841...850860870...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved