Opinion Magazine
Number of visits: 9457736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ખેડૂતોની ‘દોડ’ ખોટી નહીં – ‘દિશા’ ખોટી છે !

હીરજી ભીંગરાડિયા|Opinion - Opinion|28 September 2023

હીરજીભાઈ ભીંગરાડિયા

ભારે ઝડપથી દોડી રહેલા એક મુસાફરે રસ્તાની બાજુ પરના ઝાડ નીચે બેઠેલા માણસને પૂછ્યું: ભાઈ ! હું દિલ્હી ક્યારે પહોંચીશ? ક્યારે ય નહીં ! એને જવાબ મળ્યો.

હેં ! આટલી બધી ઝડપે દોડી રહ્યો છું, છતાં ? મુસાફરે પ્રશ્ન કર્યો. – હા ! ગમ્મે તેટલી ઝડપ હોવા છતાંયે ! કારણ કે તમે જે દિશામાં દોડી રહ્યા છો, તે દિશા તો મુંબઈ બાજુની છે. જેટલી ઝડપથી દોડશો, એટલા દિલ્હીથી વધારે દૂર થતા જશો.

તો દિલ્હી પહોંચવું શી રીતે ? મુસાફરને વાત સમજાતી નહોતી.

તમે અત્યારે જે દિશામાં દોડી રહ્યા છો, ત્યાંથી અટકી જઈ, એનાથી ઊલટી ઊંધી દિશામાં; દોડશો નહીં – માત્ર ઉતાવળી હાલ્યે હાલવા માંડશો તો પણ દિલ્હી પહોંચી જશો, કારણ કે એ દિશા દિલ્હીની છે.

મિત્રો ! દોડવાની ઝડપ માત્રથી મંઝિલે પહોંચાતું નથી. દિશાનો સાચો ખ્યાલ હોવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વાર આપણી દોડ ખોટી નહીં, દિશા ખોટી હોય છે.

અન્ય વિષયોની જેમ કૃષિમાં પણ વિજ્ઞાન સૂર્યકિરણ જેવી વેગીલી ઝડપે આગળ વધી રહ્યું છે. હા, એક જમાનો હતો કે જ્યારે ખેડૂતને મન એનું ‘ખેતર’ એ જ એની દુનિયા હતી. મારી જ વાત કરું તો પડામાં દૂર પાણી વાળતો હોઉં અને કૂવા પર ચાલતા ઓઇલ એંજિનનો પટ્ટો તૂટી જાય, ને મશીન ઉતાવળી ઝડપે ભાગવા માંડે ત્યારે, તેમાં નુકશાન ન થઈ બેસે માટે, જલદી જલદી બંધ કરવા કેટલીયે વાર હડી કાઢીને દોડવું પડતું. જ્યારે આજે ? આજે પોતાના ખિસ્સા માંહ્યલા મોબાઇલથી ઘેર બેઠા બેઠા વાડીની સબમર્શીબલ ચાલુ-બંધ કરી શકાય છે, મિત્રો !

ખેતીના આધુનિક વિજ્ઞાને નવાં સંશોધનો, નવાં બિયારણો, નવી ટેક્નોલોજી, નવાં સાધનો અને ચીજ-વસ્તુઓ વગેરે ખૂબ તરતાં મૂક્યાં છે. એ બધાંનો વિવેકસભર ઉપયોગ થાય તો બદલો મળે ઉત્તમ ! પણ એનો અવળી દિશાનો એટલે કે ગેરઉપયોગ થાય તો ?

આપણને કૃષિના વિજ્ઞાને જણાવ્યું જ છે કે નવાં બિયારણો પાસેથી વધુ ઉત્પાદન લેવું હોય તો તેને ખાવા-પીવા વધુ આપવું પડશે, અને એનું સંરક્ષણ પણ ખેડૂતોએ જ કરવું પડશે આપણે એ આદેશને માથે ચડાવી, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરીએ, તો એ કંઈ ગેરવાજબી પ્રયત્નો નથી. પ્રયત્નો સાચા જ હોવા છતાં – તમે વિચારજો ! મંઝિલે પહોંચવાના રસ્તાની પસંદગી તો આપણા જ હાથમાં છે. કોઈ થોડો લાંબો, ધીરજ રાખી, જોઈ જોઈ ડગ માંડીએ તો વિના વિઘ્ને, સલામત રીતે મંઝિલે ચોક્કસ પહોંચાડવાની ખાતરી આપનારો હોય છે. તો કોઈ હોય, ટૂંકો અને વિઘ્નોથી ભરેલો, રસ્તામાં ક્યાં આંટવી દે તેનીયે ખબર નહીં તેવો, અને નક્કી નહીં કે તે મંઝિલે પહોંચાડશે કે નહીં તેવી ખાતરી વગરનો ! રસ્તો ક્યો પસંદ કરવો તે મુસાફરની મનસૂફી, બુદ્ધિ વિચારશક્તિ અને માનસિકતા પર આધારિત હોય છે.

‘પાક સંરક્ષણ’ મુદ્દો મહત્ત્વનો છે.  પાકસંરક્ષણનાં પગલાં ખેડૂતે લેવાં જ પડે, એ વાત સાચી. પણ  ઝેરીલી દવાઓના છંટકાવ પાછળ ગાંડા થઈને લાગી પડવું, એ સદંતર અવળો રસ્તો છે.

અમારા કૃષિ મંડળની મિટિંગમાં સીતાપરના ખેડૂતે વાત કરી કે અમારા ગામમાં એક ભાઈની ૯૧,૦૦૦ રૂપિયામાં લીધેલી ભેંશ માત્ર વાડીની નીરણ ખાવાને કારણે મરી ગઈ. અને પંદર દિવસ પછી ઉત્તમ એવી દૂઝણી ગાય પણ એ જ કારણે મરી ગઈ. અમે એ ખેડૂતને કહેતા હતા કે ભાઈ ! આટલી બધી દવા નો છંટાય! પણ માને ઈ બીજા ! એની વાડીમાં પાક ગમે તે હોય, પાકને સંરક્ષણની જરૂર હોય કે ન હોય, દવા તો બસ, જાણે એગ્રોની દુકાન એના ઘરની હોય એમ, દવા બાબતે એકેય પાક બાકી નહીં ! પછી તે કપાસ હોય કે કારેલી, અરે ! જુવાર, મકાઈ, ઘઉં, ટમેટી, રીંગણી, મરચી, શક્કરિયાં સુધ્ધાંમાં એને દવા છાંટતાં અમે ભાળ્યો છે. એ ભેંશ અને ગાય મરવા પડ્યાં ત્યારે બન્ને વખતે ડોક્ટરને બોલાવેલા. ડોક્ટરે પણ એવું જ નિદાન કરેલું કે ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આવી ગયો છે. અમને તો પાક્કું જ હતું કે રજકામાં જે દવા ધાબડ્યે રાખે છે, તેનું જ આ પરિણામ છે. અરે, હીરજીભાઈ ! એ ખેડૂતના પંડ્યનું, એની ઘરવાળીનું, એનાં છોકરાંઓનું, એનાં ઢાંઢાનું, એના કૂતરાનું કે એની જમીનનું, એની વાડીમાં પાકેલ કોઈપણ પેદાશની-કોઈપણની લેબોરેટ્રી-તપાસ કરાવશો તો દરેકમાં ઝેરની બહુબધી ટકાવારી ન દેખાય તો તમે કહો ઈ હું હારી જાઉં, બોલો ! આ ઉત્પાદનલક્ષી દોટને આપણે કઈ દિશાની ગણશું, તમે જ કહો !

આમાં જેમ ગાય-ભેંશનાં અકાળે મૃત્યુ થયાં તેમ જ અન્યોની તો વાત કોરાણે રહી, પણ પહેલાં ખેડૂત કુટુંબનો સ્વયંનો જ ખો નીકળી જવાનો ! આ રસ્તો મૉતની મંઝિલનો છે. પાછું વાળી જોઈ, આગળ વધતાં અટકી, સાચી દિશા પકડવી છે કે મૉતના માર્ગે જ હડી કાઢતાં રહેવું છે ?

અમારા જૂના ગામ ચોસલામાં હિંમતભાઈ મારા મિત્ર છે. હમણાં એક દિ’ ઓચિંતાના ભેળા થઈ જતાં મેં પૂછ્યું : આગોતરો કપાસ કેટલો ઉગાડ્યો ? તો કહે ઈ ધંધો હવે કર્યા જેવો નથી. મેં પૂછ્યું કેમ કેમ ! દારમાં પાણી તો ઘણું છે ને ? તો પછી કેમ આવી વાત કરે છે ?  તે કહે – ત્રણેક વરહ ઈ પાણી બહુ પાયું. પણ હવે નીમ લીધું છે કે ના છૂટકે જ એનો ઉપયોગ કરવો …. પણ એનું કારણ શું ? મેં પૂછપરછ ચાલુ રાખી.

તો કહે : ઈ દારનું પાણી હવે પાવાથી કપાસ-જુવાર બધું ઊગી તો જાય છે, પણ પછી મોલાત સાવ હોણ્ય વગરની – ઠોઠડી થઈને પડી રહે છે. ગમે તેટલાં પાણી પાઈએ પણ વધવાને બદલે ઊલટાનો ભોંયમાં ગરતો જાય છે.

એની વાત સાચી હતી. દારનું પાણી નબળું હોવાથી બે-ત્રણ વરસ ઠીક ચાલેલું. પણ ચોથા વરસે સરવાળે એનું પોત પ્રકાશ્યું. તમે જ વિચારો, જે પાણી આપણે ન પી શકીએ, ઢોરાં ન પીવે, તે પાણી કંઈ જમીન ઉપર રેલાવીને મોલને પવાય ? એ બોલીને નહીં, કરમાઈ જઈને જવાબ આપે છે. વધારે ઉત્પાદન મેળવવા પાકને પિયત દેવાની ના નથી, પણ જમીન અંદરના સૂક્ષ્મજીવોને, જમીનના બંધારણને, જમીનના ગુણધર્મોને, ઉત્પાદકતાને અને ફળદ્રૂપતાને નષ્ટ કરી મેલે તેવા પ્રવાહી તો ન જ પવાય ને ?

સાચી દિશા પકડી છે મારા મિત્ર અને કૃષિ વિકાસ મંડળના ખેડૂત મહેંદ્રભાઈ ગોટીએ. જેના કૂવામાં ઉનાળો હોય એટલે પાણી હોય છે માત્ર ૧૦ મિનિટ મોટર હાલે એટલું જ, પણ હોય છે મીઠાં ટોપરાં જેવું. એણે કૃષિના નવા વિજ્ઞાનની ભેર લઈ, દસે વિઘાની વાડીમાં ટપક પદ્ધતિ ગોઠવી દીધી છે. અને કપાસ, શાકભાજી અને લીલા ચારાના પાકો પકાવી પૂરતું અને સંતોષકારક ઉત્પાદન લઈ રહ્યા છે.

આપણી વાડીના પાકો પાસેથી ધાર્યું ઉત્પાદન લેવા પોષણ પૂરું પાડવું જ પડે. પણ એ ખોરાકી તત્ત્વો રાસાયણિક ખાતરો મારફતે આપવાં તે ઝેરનાં પારખાં છે. તેના અન્ય વિકલ્પો છે જ. રાસાયાણિક ખાતરોથી છોડવાને પોષકતત્ત્વો જરૂરથી મળે છે, પણ એ બધાં રાસાયાણિક ખાતરો જમીન પર એની કેટલી અને કેવી આડ અસર મૂકી જાય છે તેનો અભ્યાસ કર્યો છે આપણે કોઈ ખેડૂતે ? જમીન એ યુજ એન્ડ થ્રો જેવું પાત્ર નથી કે એક વખત ઉપયોગ કરીને ફેંકી દઈએ. જમીન તો પેઢીઓ પર્યંત રળવાનું અક્ષયપાત્ર છે ! તે એવું ને એવું ચોખ્ખું અને ઉપજાઉ કાયમ ખાતે રહે તે જોવાની ફરજ આપણી ખેડૂતોની હોય કે ન હોય ? આપણા દીકરાના દીકરાને ‘હીયર ઇજ ધ ફાર્મ, બટ વ્હેર ઇજ ધ સોઇલ?’ એવો પ્રશ્ન કરવાનો મોકો ન આપવો હોય તો રાસાયાણિક ખાતરો વાપરવામાં વિવેક રાખતાં થવું જોઈશે. નિર્દોષ અને છોડને જરૂરી પોષણ પૂરું પાડી શકે તેવા – ખાતર તરીકે વાપરી શકાય તેવા પદાર્થો પ્રકૃતિએ પાર વિનાના ધર્યા છે આ પૃથ્વી પર. એનો અભ્યાસ અને એ માટેના ઘટતા પ્રયત્નો કરી, ઉત્પાદનની દોટ લગાવવી તે સાચી દિશાનો પ્રયત્ન ગણાય, મિત્રો !

પંચવટી બાગની બાજુમાંથી વહી રહેલી ‘કાળુભાર’ અને ‘સીતાપરી’ બન્ને નદીઓમાં વહે તો છે પાણી જ ! પણ પાણીએ પાણીએ સો-છનો ફેર છે ભાઈઓ ! સીતાપરીનું પાણી સારું અને મીઠું – પીવાલાયક, જ્યારે કાળુભારનું નબળું. અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સીતાપરીનું મથાળું છે ટૂંકું. અને કાંઠાનાં ગામડાંઓ પ્રમાણમાં છે મધ્યમ સ્થિતિવાળાં. એટલે જમીનમાં ઉમેરાતાં રાસાયાણિક ખાતરો અને ઝેરીલી દવાઓ વાપરવાનું પ્રમાણ રહે છે ઘણું ઓછું. એટલે એ બધી જમીનોમાંથી નિતરાણ થઈ આવતું પાણી બગડવામાંથી બચ્યું છે. જ્યારે કાળુભારનું મથાળું છે લાંબું, અને એના કાંઠે વસેલાં ગામડાંઓ છે વધુ ત્રેવડવાળાં. પરિણામે વધુ રાસાયાણિક ખાતર અને વધુ ઝેરીલી દવાઓના વપરાશના હિસાબે એ નદીનું પાણી વધુ બગડ્યું છે. કુદરતી સંપદા જેવી નદીઓના પ્રવાહ પણ બગાડી મૂકે એવી ખેડૂતોની આ દોટને કેવી ગણશું કહો !

ઘઉં સંશોધન કેંદ્ર લોકભારતી સણોસરાની મુલાકાતે ગયો હતો. વિવિધ લક્ષણો દેખાડતી વેરાયટીઓનો કોઈ પાર નહોતો ! એની ફૂટ્ય, પાનની છટા, એનો ઘેરો લીલો રંગ, ઊભવાની અદા અને માપસરની ઊંચાઈ – બધી રીતે જે વેરાયટી ગમી ગઈ, તેને દરેક રેપ્લીકેશનમાં જોઈ લેવાનો લોભ લાગ્યો. બીજી, ત્રીજી રેપ્લીકેશન પછીની ચોથી રેપ્લીકેશનમાં આ વેરાયટીનો પ્લોટ નબળો ભાળી મેં સંશોધન વિજ્ઞાની દેવદાસભાઈને પૂછ્યું કે આનું કારણ શું ? જમીન, માવજત બધું સરખું હોવા છતાં અહીં આવું કેમ ? તો કહે, હીરજીભાઈ ! આ જગ્યાએ ધરોનું ગૂંડું હતું, એને બાળવા અમે નિંદણનાશક દવાનો છંટકાવ કર્યો હતો. 

આજ આપણે ખેડૂતો જીરુમાં, જુવારમાં, રજકામાં, અરે ! કપાસ સુધ્ધાંમાં મજૂરી બચાવવા પાક વાવતાં પહેલાં, કે વાવીને પછી, ખેડૂતો નિંદણનાશક દવાઓ છાંટવા માંડ્યા છીએ. જતે દા’ડે એ શું જમીનને નડ્યા વિના રહેવાની છે ?

અરે ! હવે તો રાઉંડઅપ રેડી બી.ટી.ની જાતો એવી આવી રહી છે કે કપાસ, મગફળી, મકાઈ, તુવેર, સોયાબીન વગેરેમાં છાંટીએ એટલે એ મુખ્યપાક સિવાયના કોઈ છોડ ઊગે જ નહીં ! અરે,  ભલા ! આ અખતરો કરવા જેવો નથી. આ દોટ અવળી દિશાની છે. બિયારણ સંબંધેની સંપૂર્ણ પરતંત્રતા અને વનસ્પતિ જગતમાં વિવિધતાનો નાશ નોતરનારું આ અભિયાન આપણોયે નાશ નોતરીને જ રહેશે, ભાઈઓ

ગાય-ભેંશ જેવાં દૂઝણાંઓમાં સ્વેચ્છાએ પારહો ન વાળતાં જાનવરને પરાણે પારહો વળાવવા હોર્મોંસનાં ઇંજેકશનો આપે છે. ડૉક્ટરો તો આના ઉપયોગની ના કહે છે. પણ આપણે તો પરાણે દૂધ મેળવવાની લ્હાયમાં એનો ઉપયોગ કર્યા જ કરીએ છીએ. એ ઇંજેક્શન દીધા પછી જાનવરને શું થાય છે, એની ખબર છે ? એને પ્રસૂતિ વખતની વેદના જેવી વેદના ઊપડે છે, અને જાનવર માનસિક રીતે ઢીલું પડી જાય છે, અને આંચળનાં બંધ ઢીલાં થઈ જાય છે. ભગવાન જાણે એના શરીરમાં બીજી કેટલી ય આડ અસરો ઊભી થતી હશે, એની ચિંતા કરવાનું આપણે તો છોડી દીધું છે ખરું ને !

અલીબાબાની વાર્તા समसम खूल जा, समसम बंध हो जा ! જેમ ચાંપ દબાવતાં સઘળાં કામો યંત્રોથી થવા માંડ્યાં છે. એટલે શરીરશ્રમ પ્રત્યે સૂગ દાખલ થઈ. પહેલાં બે-ચાર બળદ અને  ત્રણ-ચાર દૂઝણાં એ ખેડૂતના ઘરની શોભા ગણાતી. આજે ? ઘણાં ઘરોમાં તો બાંડી બકરી ય જોવા મળતી નથી. ખેતીપાક દ્વારા નીકળતી આડપેદાશ ખાઈ દૂધ, ગોબર-ગોમૂત્ર અને ધીંગા ધોરી રૂપી શક્તિ પશુઓ પૂરાં પાડતાં. જ્યારે યંત્રો ? એ થોડાં ‘છાણ’ કરવાનાં છે ? એ તો ડીઝલ ખાઈ ખર્ચ કરાવે, ધુમાડો ઓકે, પર્યાવરણ બગાડે અને એના ભારે વજનથી જમીન પર ટોર લગાડે. પણ આપણી દોડની દિશા જ બસ, આ બની ગઈ છે એનું કેમ કરવું ?

આપણી રોજિંદી ખોરાકી જરૂરિયાતોના બધા પાક વાડીમાં પકાવી લેતા. જેથી જમીનના કસ-ખેંચાણમાં સમતોલપણું જળવાતું. આજે આધુનિક ખેતીની નવી પેટંટે જેમાં રોકડ નાણાં રૂપે વધુ વળતર દેખાણું, એ એક જ પાક પાછળ પડી જવાનું શીખવ્યું. પાકની ફેરબદલી, મિશ્રપાક જેવી પદ્ધતિ આઉટ ઓફ ડેટ થવા લાગી.

અને પર્યાવરણનાં મોટાં રક્ષક એવાં વૃક્ષોને વાડીમાં વિવિધ રીતે વસાવવાને બદલે શેઢે ય બસ, ઝાડવું ભાળ્યું ? મૂકો કુહાડી ! બપોરે રોંઢો કરવા ક્યાં બેસશું એનો ય વિચાર નહીં કરવાનો ને !

જે ખેડૂત નવા વિજ્ઞાનની દોડમાં ભળશે નહીં તે પાછળ રહી જશે, એ વાતે ય સાચી હોવા છતાં આંખો મીંચી, ઊંધું ઘાલી, મૂઠીઓ વાળી હડી કાઢી દોડે છે, તેને લક્ષિત મંઝિલને બદલે આખરી મંઝિલવાળા જમ ભળાવા માંડે તો પછી કહેતા નહીં કે વાત તો કરવી હતી ! માટે હડી કાઢવાને બદલે માપસરની કહોને ‘રેવાળ’ ચાલ – પરંતુ સાચી દિશાની – ચાલશું તો થાક્યા વિના લાંબો પંથ ઉકેલી શકશું.

પંચવટી બાગ, માલપરા, જિ. બોટાદ, ગુજરાત – 364 730 
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 10-11 તેમ જ 03  

Loading

પડકાર 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|28 September 2023

પ્રીતમ લખલાણી

આજે આવેલ ટપાલના ઢગલામાંથી એક એન્વેલપ ખોલી, તુષાર તેમાં ખોવાઈ ગયો. તુષારને ટપાલમાં મશગૂલ જોઈ ડાઈનિંગ રૂમના ટેબલ ઉપર છાપામાંથી સેલ-શોપિંગના કટિંગનો પથારો કરીને બેઠેલ સુસ્મિતાએ તુષારના હાથમાંથી પત્ર ખેંચી તેના પર એક નજર કરતાં જ તેનો ચહેરો પણ ગુલાબસમો ખીલી ઊઠ્યો.

છેલ્લા સાત-આઠ મહિનાથી જેની કાગડોળે રાહ જોતા હતા, તે લોસ એન્જલ્સની એક ચાઈલ્ડ એડોપ્શન આપતી ખાનગી સંસ્થા તરફથી તુષાર અને સુસ્મિતાને આજની ટપાલમાં પત્ર આવ્યો હતો.

શ્રીમાન / શ્રીમતીજી,

પ્રસન્નતા સાથે જણાવવાનું કે, અમારી સંસ્થાએ તમારા અંગત જીવનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે તમને જે કોઈ બાળક દત્તક આપીશું, તેને તમે ખરેખર જતનપૂર્વક, તેના માબાપની જેમ, ઉછેર કરશો!

આ પત્ર સાથે અમે તમને જે બાળકનો ફોટો મોક્લીએ છીએ. તે બાળક આજથી લગભગ ચાર અઠવાડિયા પૂર્વે લોસ એન્જલ્સના એક પોલિસને સબવેના ગારબેજ કેનમાંથી રડતું મળ્યું હતું. તેણે આ બાળકની જવાબદારી અમને સોંપેલ છે. અમારી ઑફિસમાં દત્તક લેનાર વ્યકિતઓની ફાઈલનો અભ્યાસ કર્યા બાદ સંસ્થાના ડિરેકટરે આ બાળક દત્તક તરીકે તમને આપવાની ભલામણ અમને કરી છે. આ પત્ર સાથે બાળકનો વિગતવાર સંપૂર્ણ બાયાડેટા અમે તમને મોક્લીએ છીએ. આશા રાખીએ છીએ કે આ બાળકને તમારા ઘરની હૂંફ મળશે.

જો તમે આ બાળકને દતક લેવા ઈચ્છતાં હો તો બે અઠવાડિયાની અંદર ફોન, પત્ર અથવા ઈ-મેઈલથી અમને જાણ કરશો. જો તમારા તરફથી જણાવેલ સમયમાં અમને કોઈ જવાબ નહીં મળે તો અમે એમ સમજીશું કે આ બાળકને દત્તક લેવાની તમારી કોઈ ઇચ્છા નથી. ત્યાર બાદ અમે આ બાળકને બીજા કોઈ પરિવારને દત્તક આપવા માટેની કાર્યવાહી શરૂ કરીશું.

પત્ર વાંચતાં સુસ્મિતા ઉત્સાહના ચકડોળમાં ભમવા માંડી. પોતે ખુદ ગાયનેકોલોજિસ્ટ હોવાથી જ્યારે પોતાની ઑફિસમાં કોઈ પેશન્ટની શારીરિક તપાસ કર્યા બાદ પેશન્ટને સુખદ સમાચાર આપતી હોય છે કે, “તમે મા બનવાનાં છો!” ત્યારે પેશન્ટનો ચહેરો કેવો રાતા ગુલાબ સમો મહેંકી ઊઠે છે તેમ તેના અંગેઅંગમાં ખુશી વ્યાપી ગઈ. ખુશીમાં તેની આંખમાંથી હર્ષનાં બે આંસુ સરી પડ્યાં. એકાદ પળ માટે તેને મનોમન થઈ આવ્યું કે પોતે પ્રેગનેન્ટ છે. આ હરખમાં ને હરખમાં તેણે પોતાના સુંવાળા સુડોળ પેટ પર હાથ પણ ફેરવી લીઘો. તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેની સામે ખુરશીમાં બેઠેલો તુષાર તેના ચહેરાના હાવભાવ જોતો મનોમન મલકી રહ્યો છે!

આ ખુશીમાં જ તેણે તુષારને પૂછયું, ‘ફોટો કયાં છે?’

તુષારે, કવરમાંથી ફોટો કાઢી સુસ્મિતાના હાથમાં મુક્યો. ફોટાને વહાલથી બેચાર ચુંબન લેતી સુસ્મિતા હરખાતી બોલી ઊઠી, ‘તુષાર, જો તો ખરો! કેવું સરસ ગુલાબના ફૂલ સમું આ બાળક છે. ખરેખર મને તો એમ જ લાગે છે કે હું જન્મી ત્યારે આ બાળક જેવી જ લાગતી હતી. જો મને મારા આલ્બમમાંથી મારા જન્મના પ્રથમ દિવસે પાડેલ હૉસ્પિટલનો ફોટો મળી જશે તો હું તને દેખાડીશ. પછી તું આ ફોટા સાથે મારા ફોટાની સરખામણી કરી જોજે કે આ બાળક મારા જેવું લાગે છે કે નહીં!’ અને પછી ફરીખડ ખડાટ હસતી બોલી, ‘તુષાર, હું પણ કેવી પાગલ છું!’

‘સાચે જ આ બાળક તો આબેહૂબ મને તો તારા જેવું જ લાગે છે …. મને યાદ છે. મેં એકવાર મમ્મીના બેડરૂમમાં પડેલા આલ્બમમાં તારા બાળપણના ફોટા નિરાંતે બેસીને જોયા હતા. તુષાર, મને તો ખબર પણ પડતી નથી! કોણ હશે? આ બાળકના અભાગિયા માબાપ કે જેણે આ નમણા નાજુક બાળકને સબ-વેના ગારબેજ કેનમાં કેવા સંજોગમાં મૂકી દેવું પડયું હશે!’ બાળકનો ફોટો જોઈ, આનંદના દરિયામાં ઊછળતી સુસ્મિતાના હાથમાંથી લઈ … બેચાર ક્ષણ ફરી ફોટા પર નજર નાખી, તુષાર ધીર ગંભીર સ્વરે બોલ્યો, ‘સુસ્મિતા, Don’t misunderstand me! but I Would like to tell you something about this child!’

‘જો તારે આ બાળકને આપણા બાળક તરીકે દત્તક લેવું જ હોય તો મને કંઈ પણ જાતનો વાંઘો નથી, પણ તને એક વાત કહું તો ખોટું ન લગાડીશ! તું જેટલું મનમાં ધારે છે, એટલું આ બાળક દત્તક લેવું આપણાં માટે સરળ નથી.’

‘શું આ બાળકને આપણાં માતપિતા, પોતાના પૌત્ર કે દોહિત્ર તરીકે સ્વીકારશે ખરા? બસ મને તો આ ફોટો જોયા પછી અને આ પત્ર વાંચ્યા પછી મનમાં આ એક જ ચિંતા કોરી ખાય છે.’

‘શેની ચિંતા? શું બાળક દત્તક લેવું કોઈ ગુનો છે?’

‘ના!’

‘તો પછી ?’

‘સુસ્મિતા, તે બાળકનો ફોટો બરાબર જોયો ને? સાથે આવેલ પત્રમાં બાળકના બાયોડેટામાં  આપણને ખાસ એક બાબતની એજન્સી તરફથી ચોખ્ખા શબ્દમાં જાણ કરવામાં આવી છે કે આ બાળકનાં માતા અથવા પિતા આફ્રિકન-અમેરિકન હશે! એટલે તને કહી દઉં છું કે આ બાળક વાને ધોળું નથી પણ કાળું છે.’

‘આપણે જયારે આ બાળકને લોસ એન્જલ્સથી આપણા બાળક તરીકે ઘરે કઈ આવશું ત્યારે આપણે આપણા વડીલો પાસેથી કદાચ સાંભળવાનો વારો પણ આવશે … ઠીક છે, તમે આપણા પરિવારમાંથી કોઈના બાળકને તમારા બાળક તરીકે ન સ્વીકાર્યું તો કાંઈ નહીં, પરંતું તમને કયાં ય કોઈ ધોળિયાનું બાળક ન મળ્યું કે તમે આ કાળા નિગ્રોનું બાળક દત્તક લીધું? …. અને તને એક બીજી વાત પણ જણાવી દઉં. કદાચ પત્રમાં તેં વાંચ્યું હશે કે આ બાળક છોકરો નથી પણ છોકરી છે. મને લાગે છે કે આપણે આમ ખોટી કારણ વગરની ઉતાવળ કરવાને બદલે હજી બે-ચાર બીજી એજન્સીના પત્રની રાહ જોઈએ તો સારું. સુસ્મિતા, સાત-આઠ વર્ષ આપણે બાળક વિના વિતાવ્યાં તો બીજા બે-ચાર નહિના થોભી જવામાં શું ફેર પડવાનો છે? બાકી તારી મરજી!’

‘ડોકટર તુષાર ….. તું પણ આપણા વડીલોની જેમ ક્યારથી આવું વિચારવા લાગ્યો?’

‘અરે! બાળક તો ઈશ્વરની દેણ છે. પછી તે વાને કાળું હોય કે ધોળું શો ફેર પડવાનો? જો આ બાબતમાં મને કે તને કોઈ ફરક ન પડતો હોય, તો પછી બા-બાપુજીને તેની સાથે શું લેવાદેવા? માની લે કે કદાચ ઈશ્વરે મારી કૂખે જ નિગ્રોની બાળકી જેવી કાળી કર્લી વાળવાળી, જાડા હોઠ અને ચપટા નાકવાળી બાળકીનો જન્મ આપ્યો હોત તો, શું બા-બાપુજી તેનો અસ્વીકાર કરત? આપણે તેમને ખુશ રાખવા આ બાળકીની જેમ તેને કોઈ અનાથ આશ્રમના દ્વારે મૂકી આવત? વળી, આપણે જ્યારે એજન્સીમાં ફોર્મ ભર્યુ ત્યારે ખાસ ભાર દઈને કયાં ફોડ પાડ્યો હતો કે અમને બાળક વાને ધોળું અને તે પણ ફકત છોકરો જ જોઈએ છે.’ 

‘તુષાર, મને નથી લાગતું કે આ પ્રગતિશીલ અમેરિકામાં ભલે આપણે બીજી દસ-પંદર પેઢી કાઢી નાખીશું, તો પણ આપણે કયારે ય આ દેશની પ્રજા સમા તો નહીં જ થઈ શકીએ! અહીંના ઘોળા અમેરિક્નો, કેટલા હોંશે હોંશે ફકત કાળિયાના જ નહીં પરંતુ ઇન્ડિયા, ચાઈના અને બીજા ઘણા પછાત દેશોમાંથી બાળકને દત્તક લે છે. તે બધા વાને કયાં ધોળા હોય છે? તેમ છતાં તેઓ આ બાળકોને પોતાની કૂખે જન્મેલાં સંતાનો જેટલું જ વહાલ આપીને ઊછેરે છે. અમેરિક્નોને મન છોકરો કે છોકરીમા કદી કોઈ ફરક હોતો નથી.’

‘સુસ્મિતા, તું આમ કારણ વગર આટલી જલદી અપસેટ ન થઈ જા! બસ, આ તો હું તને મારી રીતે વાત સમજાવવાની કોશિશ કરું છું, બાકી મને તો આ બાળકીને દત્તક લેવામાં કયાં ય કોઈ બાબતનો વાંધો નથી. બસ હું તો તારી ખુશીમાં ખુશ છું.’

‘તુષાર, જો તું મારી સાથે સંમત થતો હોય તો હું આ દુનિયાથી તો શું? પણ ઈશ્વરના સ્વર્ગથી પણ લડી લેવા તૈયાર છું.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

માયા મેમસાબ: કેતન મહેતાની માયા જાલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2023

રાજ ગોસ્વામી

આપણે ગયા સપ્તાહે વાત કરી હતી કે ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં પ્રકાશિત નવલકથા ‘મેડમ બોવરી’ પરથી ઘણી ફિલ્મો બની છે અને એમાં એક ફિલ્મ ઋષિકેશ મુખર્જીની 1960માં આવેલી ‘અનુરાધા’ હતી. 30 વર્ષ પછી, 1993માં, કેતન મહેતાની ‘માયા મેમસાબ’ આવી. ગુસ્તાવ ફ્લુબર્ટે ફ્રેંચ સમાજમાં નૈતિક પતનની ટીકા કરવા માટે એમ્મા બાવરી નામની એક એવી સ્ત્રીનું પાત્ર રચ્યું હતું, જે રંગરેલિયાં મનાવતી રહે છે અને અંતે આર્થિક રીતે પાયમાલ થઇ જઈને આત્મહત્યા કરી લે છે.

ઋષિકેશ મુખર્જીએ ‘અનુરાધા’માં એમ્માનું ભારતીયકરણ કરી નાખ્યું હતું. તેમની અનુરાધા એક ગાયિકા છે અને એક ગ્રામીણ ડોકટર સાથે લગ્ન કરીને એકવિધ જીવનમાં ઉબાઈ જાય છે. તેની દુવિધા એ હતી કે સંગીતની દુનિયામાં તેની આગવી જિંદગી જીવવા માટે શહેરમાં જતા રહેવું કે પછી પતિ સાથે ગામડાંમાં જીવવું.

કેતન મહેતા ‘માયા મેમસાબ’માં એમ્મા બાવરીના પાત્રાંકનને વફાદાર રહ્યા એટલું જ નહીં, એક પગલું આગળ જઈને તેને ભ્રમણામાં જીવતી કલ્પનાશીલ સ્ત્રીમાં ફેરવી નાખી. એટલે જ તેમણે તેનું નામ માયા (ભ્રમ) રાખ્યું હતું.

કેતન મહેતાની માયા (દીપા સાહી) યુવાન, સુંદર અને બુદ્ધિશાળી છે. તે પિતા સાથે એક ગામડાની વૈભવી હવેલીમાં રહે છે. તેના પિતા (ડો. શ્રીરામ લાગુ) પર હૃદય રોગનો હુમલો થાય છે એટલે તે સ્થાનિક ડોકટર ચારુ દાસ(ફારુખ શેખ)ને ફોન કરે છે. માયા એટલી આકર્ષક અને નટખટ છે કે ચારુ પછી પિતાને જોવાના બહાને હવેલીમાં આવતો રહે છે. એમાં બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે.

વર્ષો વીતી જાય છે અને ચારુ દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત બની જાય છે જ્યારે માયા એકલતામાં ઉબાઈ જાય છે. થોડા સમય પછી, માયાના જીવનમાં રુદ્ર પ્રતાપ સિંહ (રાજ બબ્બર) નામના યુવાનનો પ્રવેશ થાય છે. માયાનો તેની સાથે પ્રેમ સંબંધ બંધાય છે. એ સંબંધ લાંબો ટકતો નથી. માયાના જીવનમાં હવે લલિત (શાહરૂખ ખાન) નામના યુવાનનું આગમન થાય છે. માયા તેની સાથે ઉત્કટ પ્રેમની શરૂઆત કરે છે, પણ થોડા સમયમાં તે તેનાથી પણ ઉબાઈ જાય છે. માયાને શારીરિક સંતુષ્ટિ કરતાં કંઇક વધુની ઇચ્છા છે.

હવે તે મોંઘી ચીજ-વસ્તુઓ તરફ આકર્ષાય છે. તે ફેશનેબલ કપડાં અને શાનદાર ફર્નિચર પર લટખૂટ ખર્ચા કરે છે. તેના માટે તે ઉછીના પૈસા પણ લે છે. એમાં તેનું ઘર લાલાજી (પરેશ રાવલ) પાસે ગિરવી મુકાઈ જાય છે. છેલ્લે તે પૈસે-ટકે બરબાદ થઇ જાય છે. તેનું ઘર ટાંચમ લેવા લાલાજી કોર્ટનો આદેશ લાવે છે.

રુદ્ર અને લલિત આર્થિક પતનની ખાઈમાં ધસી રહેલી માયાને છોડીને જતા રહે છે. માયા બજારમાંથી એક એવું તીલસ્મી ડ્રિંક લઇ આવે છે, જે તમારું હૃદય શુદ્ધ હોય તો એક ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે. એ પીધા પછી માયા ગાયબ થઇ જાય છે. ગુસ્તાવની નવલકથામાં એમ્મા આર્સેનિક પી લઈને આત્મહત્યા કરે છે. ‘માયા મેમસાબ’માં ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેના પાતળા ભેદને ઉજાગર કરવા માટે કેતન મહેતાએ માયાને ગાયબ કરી દીધી હતી, જે હકીકતમાં એક આત્મહત્યા જ હતી. છેલ્લે, બે પોલીસકર્મીઓ એ તપાસ કરવા આવે છે કે માયાનું મોત કેવી રીતે થયું છે અને કોણે કર્યું છે.

“અંગત રીતે, માયા મેમસાબ મારા દિલથી ઘણી નજીક છે. એ સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે,” નિર્દેશક કેતન મહેતાએ ફિલ્મનાં 30 વર્ષ નિમિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “દીપા અને મેં અગાઉ ‘મિ. યોગી’ સિરિયલ કરી હતી. તેમણે જ મને ‘મેડમ બોવરી’ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. મેં તે વાંચી પછી મને થયું કે આમાં એક માનવીય વાર્તા છે. શાહરૂખ ખાને મુંબઈમાં જે પહેલી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું તે ‘માયા મેમસાબ’ હતી. અઝીઝ મિર્ઝા અને સઈદ મિર્ઝાએ તેના નામની ભલામણ કરી હતી. ત્યારે તે ‘સર્કસ’ સિરિયલ કરતો હતો. મને તેની ઉર્જા પસંદ પડી ગઈ હતી. તે એક્ટર તરીકે પોતાને પુરવાર કરવા માંગતો હતો.”

શાહરુખ ખાન અસાધારણ ભૂમિકાઓ કરવાથી પાછો પડતો ન હતો તેની સાબિતી ‘માયા મેમસાબ’ છે. કદાચ એ દુ:સાહસના કારણે જ તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

1992માં, ‘માયા મેમસાબ’નું શુટિંગ ચાલતું હતું. એમાં દીપા સાહી સાથે તેનું એક બોલ્ડ દૃશ્ય હતું. તે વખતે ‘સિને બ્લિટ્ઝ’ નામના ફિલ્મી સામયિકે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી કે બોલ્ડ દૃશ્ય શૂટ કરતી વખતે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે કેતન મહેતાએ તેમની પત્ની દીપાને આગલી રાતે શાહરૂખ સાથે એક હોટેલમાં રહેવાની સલાહ આપી હતી. સ્ટોરી અનામી હતી. મતલબ કે તેને લખનાર પત્રકારનું તેમાં નામ નહોતું. દેખીતી રીતે જ આ સ્ટોરી શુદ્ધ ગોસિપ હતી.

એ વાંચીને શાહરુખ ખાન ભૂરાયો થયો હતો. જે દિવસે સ્ટોરી પ્રકાશિત થઇ, એ જ દિવસે એક કાર્યક્રમમાં તેનો ભેટો ‘સિને બ્લિટ્ઝ’ના એડિટર કેઈથ ડી’કોસ્ટા સાથે થયો. શાહરૂખને એમ હતું કે આ સ્ટોરી કેઈથે લખી છે. તેણે કેઈથને ત્યાંને ત્યાં જ માં-બહેનની ગાળો આપી. બાકી હોય તેમ કહ્યું કે તારા ઘરે આવીને તને મારીશ.

બીજા દિવસે એ સાચે જ કેઈથના ઘરે જઈ ચઢ્યો અને તેનાં માતા-પિતાની હાજરીમાં ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપી. કેઈથ સાચે જ ગભરાઈ ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસનું રક્ષણ માંગ્યું.  પોલીસે શાહરૂખને ફિલ્મ સિટીમાંથી ઉઠાવીને લોકઅપમાં બંધ કરી દીધો. એ ચારેક ફિલ્મ કરી ચુક્યો હતો એટલે પોલીસે પણ તેને સ્ટાર સમજીને વધુ કારવાઈ ન કરી.

ખાને અમુક પોલીસવાળાને તેના ઓટોગ્રાફ પણ આપ્યા હતા અને એક ફોન કોલ કરવા વિનંતી કરી. પોલીસે છૂટ આપી એટલે ખાને કેઈથને જ ફોન કર્યો અને ફરીથી ગાળ આપીને કહ્યું કે “અત્યારે તો જેલમાં છું પણ આવીને તારી મા-બહેન એક કરું છું.” રાતે 11 વાગ્યે તેના ભાઈબંધ ચંકી પાંડેએ ખાનને જમીન પર છોડાવ્યો.

લગભગ બે વર્ષ પછી ‘સિને બ્લિટ્ઝ’ની જ એક પત્રકારે શાહરૂખ ખાનની શંકા દૂર કરી કે એ સ્ટોરી કેઈથે લખી નહોતી. ત્યાં સુધીમાં તો ‘બાઝીગર’ અને ‘ડર’ ફિલ્મ સાથે ખાન પણ મોટો અને પરિપક્વ સ્ટાર બની ગયો હતો. તેને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને કેઈથના ઘરે જઈને તેને અને તેનાં માતા-પિતાની માફી માંગી હતી.

જો કે આ સ્ટોરી કોણે લખી હતી તેનો ખુલાસો ક્યારે ય ન થયો. કદાચ ફિલ્મના પ્રોડક્શન વિભાગે પબ્લિસિટી માટે આવું ડીંડવાણું ચલાવ્યું હોય તે શક્ય છે.

શાહરૂખ ખાને તેના સુપરસ્ટારડમના જોરે ખુદની રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ કંપની શરૂ કરી પછી તેણે ‘માયા મેમસબ’ની જૂની કોપીઓમાંથી બોલ્ડ દૃશ્યો કઢાવી નાખ્યાં હતાં. શાહરૂખ ખાનની ચમકતી કારકિર્દીમાં ‘માય મેમસાબ’ એક માત્ર એવી ફિલ્મ છે જે તેને યાદ રાખવી ગમતી નથી. જો કે ઇન્ટરનેટ આવ્યા પછી ફિલ્મનું એ દૃશ્ય સ્વતંત્ર ક્લિપ તરીકે ઓનલાઈન ફરતું થઇ ગયું છે.

એ દૃશ્ય અંગે કેતન મહેતાએ પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલીક મહિલાઓ હતી. તેમણે ટિપ્પણી કરી કે તે આ ફિલ્મ ભારતની નારીવાદી ફિલ્મોમાંની એક છે. તેમણે કોઈપણ કાપ મૂક્યા વિના તેને મંજૂરી આપી હતી. તેમણે મને આ ફિલ્મ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જે સ્ત્રીની ઈચ્છા અને સ્ત્રીની જાતિયતાને આ રીતે રજૂ કરે છે. કોઈને લાગે નહીં કે કોઈ પુરુષે આ બનાવી છે!”

એક અન્ય ઇન્ટરવ્યૂમાં, દીપા સાહી કહે છે, “વાસ્તવમાં, મને યાદ છે કે એક પાર્ટીમાં કોઈએ સેન્સર બોર્ડના વડા શક્તિ સામંતજીને કહ્યું હતું તેમણે પક્ષપાત કરીને કેતન મહેતાને બોલ્ડ સીન કરવા દીધું છે, ત્યારે તેમણે નમ્રતાથી જવાબ આપ્યો, ‘તમે કેતને રચેલી કવિતાનો એક ટુકડો તો બનાવી જુવો, હું વચન આપું છું કે કોઈ કાપ નહીં મૂકું!’ કેવી સરસ વાત કહેવાય!”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 27 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...837838839840...850860870...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved