Opinion Magazine
Number of visits: 9457633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ અસાધારણ ન જ હોય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 October 2023

રવીન્દ્ર પારેખ

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં’,  એવું ચાણક્યે ભાવિ ભાખીને કહ્યું હશે. આવું કહ્યું ત્યારે એને અંદાજ હશે જ કે શિક્ષક સાધારણ પણ હોઈ શકે છે. શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ કેવું હોય તેનાં અસંખ્ય ઉદાહરણો ગુજરાતની રોજ બ રોજની જિંદગીમાં જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં શિક્ષણ કેવળ અખતરાઓનો ભોગ થઈ પડ્યું છે ને એના ખતરાઓનો સામનો વિદ્યાર્થીઓ, વાલીઓ તો કરે જ છે. પણ શિક્ષકો પણ એમાંથી બાકાત નથી. ખબર નથી કે શિક્ષણ વિભાગને એના અખતરાઓની અસર વર્તાય છે કે નહીં, પણ મંત્રીઓએ એ જોવાનું રહે જ છે કે તેમના પ્રયોગો શિક્ષણ જગતમાં સ્વીકારાય. નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે તે નીતિ તરીકે તો આવકાર્ય છે જ, પણ તેને લાગુ કેવી રીતે કરાય છે, તેનાં પર પણ તેની સફળતાનો આધાર રહેલો છે. શિક્ષણ શાળાઓથી શરૂ થાય તે અપેક્ષિત છે. તે દુકાનોથી શરૂ થાય તો વિચારવાનું રહે. પૈસા હોય તેવું ટોળું કે.જી.-નર્સરીની દુકાન ખોલી કાઢે, ઓછા પગારે કાચા-પાકા શિક્ષકો દ્વારા કાચુંપાકું ભણાવી દે ને વાલીઓને લાગે કે તેમનું છોકરું ભણે છે, પણ શું ભણે છે તે તો છોકરું જ જાણતું હોય છે. મોટે ભાગે તો તે શિક્ષણનો બોજ ઉપાડતાં નાની ઉંમરથી જ શીખી જાય છે. જો કે, તેને ખબર નથી કે આ બોજ કયાં સુધી ઉપાડવાનો છે ને તેની ફળશ્રુતિ શું છે?

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાતમાં બે ઘટનાઓ સામે આવી. એક તે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબે ગાંધીનગરની ઝિંડવા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. સાધારણરીતે સાહેબો આચાર્યની ખુરશીમાં જરા ય સંકોચ વગર ગોઠવાઈને હુકમો છોડતા હોય છે, પણ મંત્રીશ્રીએ આગ્રહ છતાં, આચાર્યની ખુરશીમાં ન બેસવાનો વિવેક દાખવી આચાર્ય પદની ગરિમા જાળવી. સાહેબે બાલિકાઓ સાથે સંવાદ કર્યો ને શિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પોતે પ્રાધ્યાપક હોવાથી મંત્રીશ્રીએ હળવી શૈક્ષણિક કામગીરી પણ કરી ને શાળા સંદર્ભે સંતોષ વ્યક્ત કર્યો.

બીજી ઘટનામાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને તળિયા ઝાટક તપાસ કરવાનો આદેશ આપવો પડ્યો. બન્યું એવું કે વરાછાની સાધના નિકેતન સ્કૂલમાં હિતેશ સરવૈયાની ચાર વર્ષની જુનિયર કે.જી.માં ભણતી બાળકી તેની શિક્ષિકાના હાથના બે તમાચા ને ત્રીસેક ધબ્બાનો ભોગ બની. 9 ઓક્ટોબરે સાડા ચારે દીકરી ઘરે આવી તો ડ્રેસ બદલતી વખતે માતાને પીઠ પર મારઝૂડ થયેલી દેખાઈ. માતાએ શિક્ષિકાને પૂછ્યું તો એમણે એક ઝાપટ માર્યાનું કબૂલ્યું. માતાએ પૂછ્યું કે એક ઝાપટથી આટલાં નિશાન કેવી રીતે પડે? શિક્ષિકાએ ફરી એવું નહીં થાય એમ કહીને બચાવ તો કર્યો, પણ બીજે દિવસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતાં ખબર પડી કે બાળકીને બે થપ્પડ મરાઈ હતી, ગાલે ચીમટા ભરાયા હતા ને પીઠ પર ત્રીસ પાંત્રીસ ધબ્બા મરાયા હતા. આ અત્યાચાર એટલે ગુજારાયો હતો કે બાળકીએ લેસન કર્યું ન હતું. વીડિયો વાઇરલ થતાં વાલીઓમાં હોબાળો મચી ગયો. પોલીસ ફરિયાદ થઈ. શિક્ષિકાને બરતરફ કરાઇ ને તેની ધરપકડ થઈ. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું કે કે.જી.ના વિદ્યાર્થીઓ પાસેથી લેસન માંગવાનું જ નથી હોતું. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મારઝૂડના ત્રાસ સામે શિક્ષકોને દંડની જોગવાઈ છે, પણ તેનો અમલ થતો નથી, તેથી સરકારે ફરી પરિપત્રો ફટકારી દીધા, જેમાં 10થી 25 હજારનો દંડ વસૂલવાની વાત છે.

કૈં બને છે કે પ્રતિક્રિયાઓ ફટાફટ આવવા લાગે છે. એ કેવું કે પચીસ હજારનો દંડ થાય તો મારઝૂડ કે માનસિક ત્રાસનાં કોઈ ચિહ્ન પછી રહેતાં નથી ! જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કે.જી.ના વિદ્યાર્થી પાસેથી લેસન માંગવાનું નથી એવી વાત કરી તો શિક્ષિકાને એની ખબર ન હતી એમ માનવાનું રહે. સવાલ તો એ પણ છે કે એવી ખબર બધી સ્કૂલોને છે? 10થી 25 હજારનો દંડ તો થાય, પણ એટલો પગાર શિક્ષકોને કેટલી સ્કૂલો આપે છે? આ સ્કૂલની વાત જવા દઇએ, કેટલીક સ્કૂલો બરાબર જ ચાલતી હશે એ પણ માની લઇએ, પણ સરકારે આવી સ્કૂલો અંગે એ જોયું છે કે તે સરકારી ધારાધોરણ પ્રમાણે ચાલે છે? જે સંચાલકો છે તે સ્કૂલો ચલાવવાની આવડત કે અનુભવ ધરાવે છે? એમાં જે શિક્ષકો નીમાય છે તે યોગ્ય લાયકાત ધરાવે છે? એવા શિક્ષકોને ધારાધોરણ મુજબ પગાર ને બીજી સવલતો અપાય છે? આ સવાલોના જવાબ નકારમાં આવવાની સંભાવનાઓ ઘણી છે.

મોટે ભાગે સ્કૂલો ચલાવનારા કોઈક રીતે લાઇસન્સ મેળવી લે છે ને કોઈ ફેક્ટરીની જેમ સ્કૂલો ચાલુ કરી દે છે. કારીગરો રખાય તેમ શિક્ષકો રખાય છે. શિક્ષકને સંચા ચલાવવા જેવી આવડત ન હોય તો પણ તે બાળકોને ચલાવે છે તે હકીકત છે. મોટેભાગના શિક્ષકોને કોઈ તાલીમ નથી. નોકરી નથી એટલે જે મળી તે નોકરી કરી લેવા લાચાર છે. બાળકો પાસે કેવી રીતે કામ લેવું તેની આવડત અપવાદરૂપે જ હોય છે. ઘણુંખરું તો તે ઘેટાંબકરાંની જેમ જ બાળકો જોડે વર્તે છે. લેસનની તો વાત જ નથી ક્યાં ય, પણ ચોપડાંનું વજન ને લેસન ત્રણચાર વર્ષનાં બાળકની ચામડી ઉધેડતું રહે છે. તેને કોઈ આનંદ ભાગ્યે જ હોય છે. નાનેથી જ તેને લાગવા માંડે છે કે ઘરમાં તે વધારાનું છે એટલે મમ્મી સ્કૂલે ધકેલે છે ને સ્કૂલમાં તે ટોળાંનો ભાગ છે એટલે ત્યાં હોય કે ન હોય, સરખું જ છે. વાલીઓ ઢગલો ફી આપીને નાનપણથી બાળકો માટે માનસિક ત્રાસ ને માર ખરીદે છે. મોટે ભાગના વાલીઓ અલ્પ શિક્ષિત છે. બાપ કારીગર હોય, પણ તેને તેનું છોકરું જન્મતાં જ અંગ્રેજની ઔલાદ હોય તેવું અપટુડેટ જોઈએ છે, એટલે બાળક અઢી ત્રણ વર્ષનું થાય કે નર્સરી–કે.જી.માં ધકેલે છે. કે.જી.-નર્સરીનો કોઈ જ બેઝિક કન્સેપ્ટ ન હોય એવા ધંધાદારી સંચાલકો સ્કૂલો ચલાવે છે ને અભણ શિક્ષિકો કોઈ જ તાલીમ વગર ભણાવે છે. એમાં દાટ બાળકોનો વળે છે. ગુજરાતમમાં કે.જી.-નર્સરી શિક્ષણ અપવાદરૂપે જ ઠીક છે, બાકી, એ બંધ થાય તો બાળકો પર તો ઉપકાર જ થશે. જે શિક્ષણથી આનંદ ન મળે એ શિક્ષણ નથી, શિક્ષા છે. આપણું આખું શિક્ષણ પીડાનો પર્યાય છે. એનું મુખ્ય કારણ યોગ્ય શિક્ષકોના અભાવમાં અપાતું શિક્ષણ છે.

ગુજરાતમાં શિક્ષક વગર શિક્ષણનો પ્રયોગ ચાલે છે. નવી શિક્ષણ નીતિ શિક્ષકો વગર જ સફળ થશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે નથી ખબર, પણ કેટલી ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી એવું તો સરકાર જ વિધાનસભામાં કબૂલે છે. શિક્ષકોનો દુકાળ છે? ના. હોય તો લીલો દુકાળ છે. શિક્ષકો જગ્યા વગર ને જગ્યાઓ શિક્ષક વગર ઝૂરે છે. કાયમી શિક્ષકોની 32,000ની ઘટ છે ને તે 2017થી ચાલી આવે છે. 2017થી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી. બીજી તરફ 40 હજાર શિક્ષકો બધી પાત્રતા સાથે નોકરીની વાટ જોઈ રહ્યા છે. શિક્ષકો હોવા છતાં ભરતી થતી નથી અને સરકાર કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવા માંગે છે. તે પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોથી કારભાર ચલાવે છે. આ વેપલો તે એટલે કરે છે કે શિક્ષકોને કાયમી કરવા ન પડે ને નિવૃત્તિનાં પેન્શન ને બીજા લાભો આપવા ન પડે. આ કામચલાઉ શિક્ષકોની કરામત અન્ય કોઈ રાજ્યોમાં જાણમાં નથી. તો, ગુજરાત એટલું ગરીબ થઈ ગયું છે કે તેણે આમ આંગળાં ચાટીને પેટ ભરવું પડે? ના, સરકાર ગરીબ નથી. આ વર્ષનું સૌથી વધુ બજેટ શિક્ષણને ફાળવાયું છે. તો આવું કેળવેલું દારિદ્રય શિક્ષણને કઇ રીતે ઉપકારક નીવડશે એ પ્રશ્ન જ છે.

કોઈ પણ શિક્ષણ નીતિ યોગ્ય શિક્ષક વગર નકામી છે. 40,000 યોગ્ય શિક્ષકો સરકારે જ પરીક્ષાઓ લઈ લઈને તારવ્યા છે. આ પરીક્ષાઓ કામચલાઉ નોકરી માટે લેવાઈ નથી. તેમને હવે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપવાની વાત સરકાર કરે એમાં છેતરપિંડી છે. એક ભાવિ શિક્ષકને એવું કહેતાં સાંભળ્યા કે શિક્ષકની નોકરી માટે પોતે 26 વર્ષ ભણવામાં કાઢ્યાં, એ પછી પણ કાયમી નોકરીને બદલે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાની હોય તો શિક્ષણનો અર્થ ખરો? તે પણ 32,000 કાયમી શિક્ષકોની ઘટ પુરાવાની બાકી હોય ત્યારે? આ શરમજનક છે.

કેટલાક પેન્શન મેળવતા નિવૃત્તો એવી દલીલ કરે છે કે આજના ઘણા શિક્ષકો વફાદારીથી નોકરી કરતા ન હોય તો એમને કાયમી શું કામ કરવા જોઈએ? એવું તો જે પેન્શન મેળવે છે એ શિક્ષકોમાં ય ક્યાં ન હતું? એ બધાએ વફાદારીથી જ નોકરી કરી હતી એવું હતું? એટલે કામચોરી તો ત્યારે હતી ને આજે ય છે. એ ખરું કે ઘણા શિક્ષકો વર્ગખંડમાં ન જઈને અને ટ્યૂશન પૂરું કરીને બેવડું કમાય છે. એ પણ શરમજનક જ છે. એટલું છે કે કાયમી નોકરીની ખાતરી મળતાં ઘણા ફરજ પ્રત્યે બેપરવા થઈ જાય છે. એમને સભાન રાખવા માટે વખતોવખત ખાતાકીય તપાસ ને પરીક્ષાનું શસ્ત્ર ઉગામી શકાય ને એમાં નિષ્ફળ જાય તો તે અંગેની શિક્ષાત્મક જોગવાઇઓ પણ વિચારી શકાય. પણ, કાયમી જગ્યાઓ હોય ને તે સરકાર ન ભરે તે યોગ્ય નથી. વારુ, કામચોરીની તો અન્ય ક્ષેત્રોમાં પણ વર્ષોથી ટેવ ચાલી આવે છે, પણ ત્યાં બધાંને જ કોન્ટ્રાક્ટ પર રખાતા નથી. કામચલાઉ નોકરીઓ ઉપરાંત ત્યાં કાયમી નોકરીની ને નિવૃત્તિ પછીના લાભોની જોગવાઈ છે જ. સરકારી ખાતાઓમાં, બેન્કોમાં આખો સ્ટાફ કામચલાઉ નથી, તો શિક્ષક જ કોન્ટ્રાક્ટ પર કેમ? એ જો એટલું જ યોગ્ય છે તો સરકાર ને તેનાં મંત્રીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કેમ નથી?

ટૂંકમાં, કોઈ પણ સંજોગોમાં શિક્ષક કામચલાઉ ચાલવાનો નથી, સિવાય કે શિક્ષણનો જ અગ્નિ સંસ્કાર કરવાનો હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2023

Loading

ચાલો, હરારી પાસે -31 : સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ

સુમન શાહ|Opinion - Opinion|13 October 2023

સુમન શાહ

અગાઉના ૩૦ લેખો પછી જે પ્રશ્ન થવો જોઈએ તે આ છે : વાસ્તવમાં સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ કેવી રીતે કરી શકાય?

મેં સુરેશ જોષીના જાણીતા કાવ્ય ‘કદાચ હું કાલે નહીં હોઉં’-નું ‘એ.આઈ.’-સિસ્ટમમાં જઇને અધ્યયન શરૂ કર્યું એ દાખલા સાથે એ પ્રશ્નનો ઉત્તર આપું :

કદાચ હું કાલે નહીં હોઉં / સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં 

કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે

મારી બિડાએલી આંખમાં

એક આંસુ સૂકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે

કિશોર વયમાં એક કન્યાના 

ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ

હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે જો સાગર છલકે તો કહેજો કે

મારા હૃદયમાં ખડક થઈ ગયેલા

કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે

એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા

એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે

મારા વિરહી પડછાયાની ચિતા

હજી પ્રકટાવવી બાકી છે.

કદાચ હું કાલે નહીં હોઉં.

= =

સૌ પહેલાં, ‘એ.આઈ.’-ઑજાર પસંદ કરવાનું, એ મેં કર્યું. સાહિત્યઅધ્યયન માટે પ્રયોજી શકાય એવાં એકથી વધુ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ છે : Google Bard, GPT-3, અને Elicit.org. એ બધાં વપરાય છે અને તેથી જાણીતાં થયાં છે. દરેક ઑજારનાં સામર્થ્ય અને મર્યાદાઓ જુદાં જુદાં હોય છે. જેમ કે, GPT-3 કૃતિના સંક્ષેપો કરવામાં તેમ જ પ્રશ્નોત્તરી કરવામાં, આપણી સાથે સંવાદ કરવામાં, વધારે શક્તિશાળી મનાય છે, જો કે બીજાં પણ એ કામ નથી કરી શકતાં એવું નથી. મેં Google Bard પસંદ કર્યું.

બીજું ડગ એ ભરવાનું કે ‘એ.આઈ.’-ઑજાર અને નક્કી કરેલી કૃતિના ફૉરમેટનો મેળ પાડવાનો. કેમ કે કેટલાંક ઑજારો કૃતિની સાદી ફાઇલ કે ‘વર્ડ’ માગશે, તો કેટલાંક ‘પી.ડી.ઍફ.’. એ કહેવાની જરૂર નથી કે ફાઇલ ડિજિટલ વર્જન હોવી જોઈએ. ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ની મારી ડિજિટલ વર્જન વર્ડ ફાઇલ બાર્ડને મંજૂર હતી.

ત્રીજું ડગ એ કે ફાઇલને ‘એ.આઈ.-ઑજારમાં અપલોડ કરવાની, જે મેં કરી. કેટલાંક ઑજાર, મેં કરી એમ ફાઇલને કમ્પ્યુટરથી સીધી અપલોડ કરવા દે, તો કેટલાંક, એ માટે ઍકાઉન્ટ ખોલવાની ફરજ પાડતાં હોય છે.

હવે, વધારે મહત્ત્વનું ડગ એ કે અધ્યયન શરૂ કરવાનું. આગળના સમયમાં અધ્યયન માટે જેમ હાથમાં પેન અને નોટબુક ખોલીને બેસતો તેમ અહીં આંગળીઓ તત્પર હતી અને કમ્પ્યુટરની બુક તો ખોલેલી જ હતી, મારા તો કમ્પ્યુટરનું નામ પણ ‘મૅકબુકઍેર’ છે. મારે આ કાવ્ય વિશે તો શું જાણવું હોય, પણ એ જાણવું હતું કે હું એને જે પૂછું એના એ શા આવકાર્ય ઉત્તરો આપે છે, અને મેં પહેલો પ્રશ્ન કર્યો કે —

Please furnish a list of images in the said poem. તો એણે ગુજરાતી અને કૌંસમાં અંગ્રેજી સાથે નીચે મુજબનો ઉત્તર વાળ્યો, એના જ શબ્દોમાં, આ પ્રમાણે —

The images -કલ્પનો in the poem કદાચ હું કાલે નહીં હોઉં are :

૧ આંસુ (tears)

૨ કન્યાનું સ્મિત (smile of a young girl)

૩ કાળમીંઢ ઈશ્વર (black-faced God)

૪ મત્સ્ય (fish)

૫ વિરહી પડછાયો (separated shadow)

(હું હાલ એ બધું નથી કહેવા માગતો કે એનું શું ખોટું અને આપણું શું ખરું કે એનું શું ખરું અને આપણું શું ખોટું ..)

પછી, એણે પોતે કહેલી ઇમેજિસ વિશે અંગ્રેજીમાં આ પ્રમાણે ટિપ્પણી કરી —

“These images are used by the poet to represent different aspects of human life, such as sorrow, love, faith, hope, and loss. The poet uses these images to create a vivid and moving description of his own thoughts and feelings about life and death.

“The poem is a beautiful and poignant reminder that life is precious and that we should cherish every moment. It is also a reminder that we should not take anything for granted, as we never know what tomorrow may bring.

“મને થયું મેં એને પ્રશ્ન અંગ્રેજીમાં કરેલો એટલે શાસ્ત્રની શિસ્ત સાચવવા એ પણ અંગ્રેજીમાં ઉત્તર આપે છે. પણ એને જો ગુજરાતી આવડે છે, તો મેં એને ગુજરાતીમાં લખીને કહ્યું કે આનો અનુવાદ આપ; એણે તરત આપ્યો (‘તરત’ એટલે ૪-૫ સૅકન્ડમાં) —

“આ છબીઓ કવિ દ્વારા માનવજીવનના વિવિધ પાસાઓ, જેવા કે દુઃખ, પ્રેમ, શ્રદ્ધા, આશા અને નુકસાનને રજૂ કરવા માટે વપરાય છે. કવિ આ છબીઓનો ઉપયોગ જીવન અને મૃત્યુ વિશેના પોતાના વિચારો અને લાગણીઓનું જીવંત અને હૃદયસ્પર્શી વર્ણન કરવા માટે કરે છે.

“આ કવિતા એક સુંદર અને સૂચક સ્મરણ છે કે જીવન અમૂલ્ય છે અને આપણે દરેક ક્ષણને થોપાવી રાખવી જોઈએ. તે એક યાદ અપાવે છે કે આપણે કંઈપણને બેદરકારીપૂર્વક લેવું જોઈએ નહીં, કારણ કે આપણે ક્યારે ય જાણી શકતા નથી કે કાલે શું લાવશે.”

મેં એને કહ્યું (લખ્યું) કે તારા કેટલાક પર્યાયો ખોટા છે, વિરામચિહ્નોની ભૂલો છે. તો એણે મારી વાત સ્વીકારી અને કહ્યું કે હું સુધારી લઈશ. અને હમ્મેશની નમ્રતાપૂર્વક લખ્યું કે હું મારી ભૂલો માટે દિલગીર છું, કેમ કે હું હજી બધું શીખું છું. 

આ ઉપરાન્ત મેં એને સમગ્રદર્શી મૂલ્યાંકન માટે, ફૉર્માલિસટ – આકારવાદી – અભિગમ અનુસારના મૂલ્યાંકન માટે, આ કાવ્યના નૅગેટિવ ક્રિટિસિઝમ માટે પણ પ્રશ્નો કર્યા છે, અને એણે સરસ ઉત્તરો આપ્યા છે. એ આ પછીના લેખમાં રજૂ કરીશ. 

= = =

(10/11/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પરિષદની ચૂંટણીનો ખેલ અને ખેલાડીઓ : કોણ બનશે પ્રમુખ? 

કનૈયાલાલ ભટ્ટ|Opinion - Opinion|12 October 2023

કનૈયાલાલ ભટ્ટ

(૧) સાહિત્ય પરિષદ હવે રાજનીતિનો અખાડો બની રહી છે. અને પ્રમુખ પદ માટે કે મધ્યસ્થમાં કે મંત્રી તરીકે ચૂંટાવા માટે પણ અહીં ખૂબ જ નિષ્ઠુર અને નિર્દય રીતે કુસ્તીના દાવ ખેલાય છે. અહીં જીતવા માટે મોટા ભાગના લોકો સંવેદનાઓ સાથે ખેલે છે. વિશ્વાસ-ભરોસા સાથે ખેલે છે. અને પછી પોતાનો સ્વાર્થ સાધવા તમારું બધું છિન્નભિન કરીને પોતે જીતી જાય છે અને તમને હારવાનો અફસોસ કરે છે. પણ હમણાં એકાદ દસકાથી સોશિયલ મીડિયાનું વર્ચસ્વ વધતા સાવ નવા સવા બની ગયેલા કવિ લેખકોને પણ જોરદાર પ્રસિદ્ધિ મળતા જૂના અને જાણીતા સર્જકો ભૂલાવા લાગતા હવે તેઓએ પણ પરિષદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છેક ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશીથી લઈને છેક રઘુવીર ચૌધરી સુધી પરિષદમાં રાજકારણ તો હતું પણ એમાં મૂલ્યોનો હ્રાસ નહોતો થતો. સાહિત્યની ગરિમા ઓછી નહોતી થતી. પ્રમુખની પસંદગી ચૂંટણી વિના સર્વાનુમતે થતી. અને પરિણામે પરિષદને એકએકથી ચડિયાતા અને યોગ્ય પ્રમુખો મળ્યા છે. આ પસંદગીની પ્રક્રિયા થોડા અપવાદોને બાદ કરતાં છેક રઘુવીર ચૌધરી સુધી સરસ રીતે ચાલી આવતી હતી. પરંતુ થોડાં વર્ષોથી એક ટોળકી અંદરખાને આગિયામાંથી સૂર્ય બનવા માટે રઘુવીર ચૌધરીના તેજને, નિષ્ઠાને અને પરિષદ પ્રત્યેના લગાવને ચેલેન્જ આપીને ચૂંટણીથી પ્રમુખ બનવાની લોકશાહીની માંગણી કરી અને સૌએ સ્વીકારી. પછી શરૂ થયો શતરંજનો મહાખેલ. અને જ્યાં શતરંજ હોય ત્યાં શકુની તો હોય જ …. આ ખેલમાંથી એક શકુનીનો પણ જન્મ થયો.

(૨)  ૧૧૮ વર્ષ જૂની આ ગુજરાતી ભાષાની એક માત્ર મજબૂત સંસ્થાને ગ્રહણ લગાવતી એક બે વ્યક્તિઓ ઊધઈની જેમ અંદર પેસી ગઈ છે. સાહિત્ય સેવાના નામે પોતાના પદને ટકાવી રાખવા શામ, દામ, દંડ અને ભેદ બધી જ અનીતિઓના દાવપેચ રમીને પરિષદના હોદ્દેદારોનાં પાસાં ગોઠવવામાં આ વ્યક્તિ માહેર છે. પરિષદને અને સાહિત્યને જાણનારા મોટાભાગના એમને જાહેરમાં પરિષદના ચાણક્ય અને ખાનગીમાં શકુની કહે છે. અને આવી વ્યક્તિ જ્યારે પરિષદના ઉચ્ચ પદ માટે આપણી પાસે મત માંગે ત્યારે આપણે એક વખત તો ચોક્કસ વિચારવું જ જોઈએ. ગઈ ચૂંટણીમાં એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે પ્રમુખ તરીકે હર્ષદ ત્રિવેદી જીતવાના જ હતા. પણ છેલ્લી ઘડીએ એમના પક્ષમાં પડેલા ચાલીસેક જેટલા મતો રદ્દ થયેલા. અને લગભગ એટલા જ મતથી હર્ષદભાઈ હારેલા. બસ, મતની આ રદ્દનીતિ – કૂટનીતિ માત્ર અને માત્ર આ શકુનીમામા જ જાણે છે. કોને કંઈ રીતે જીતાડવા, કોને કંઈ રીતે હરાવવા તે આ ખૂબ સારી રીતે જાણે છે. જો હર્ષદભાઈ કે માધવભાઈ આ વખતે ધ્યાન નહીં રાખે તો બન્નેની દશા હારી ગયેલા પાંડવો જેવી થશે. કેમ કે આ વખતે પણ તેમની સાથે આવો ખેલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

(૩).  પરિષદની ચૂંટણીમાં કહેવાય છે કે મતદાન ખાનગી પ્રક્રિયા છે. પણ આ બિલકુલ ખોટી વાત છે. કેમ કે દરેક મતપત્રક ઉપર એક નંબર આપવામાં આવેલો છે. અને જે તે નંબરવાળું મતપત્રક કોને મોકલવામાં આવ્યું છે એની નોંધ પરિષદમાં રખાય છે. અને એની વિગતો આ જાણભેદુ પાસે પણ હશે જ. તેથી આ મતદાન મતદારો માટે કવર બંધ કરે એટલા પૂરતું ખાનગી હશે પણ પરિષદના કાર્યાલયે પહોંચ્યા પછી એનું શું થાય છે એની કોઈને ખબર નથી. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ ખાનગી મતપત્રકો જોવા માટે ઘણી વખત પરિષદમાં ખાનગી રીતે રાત્રીરોકાણ પણ થાય છે. અથવા આ બધા કવરો રાત્રે બહાર લઈ જઈને સવારે પરત આવી જવાની વાયકાઓ પણ ચર્ચાય છે. અને પછી કોણે કોને મત આપ્યો ? કોને કેટલા મત મળ્યા ? આ બધું જાણી સમજીને શકુની પોતાના પાસાઓ ફેંકે છે. અને બિચારા સંવેદનશીલ અને પ્રામાણિક સર્જકો, સિદ્ધાંત અને સત્યમાં માનવાવાળા સર્જકો આરામથી હારી જાય છે. આ ચૂંટણી જીતવા માટે ઑરિજનલ કે ડૂપ્લીકેટ મતપત્રકો અગાઉથી તૈયાર પણ રાખી શકાય છે. દા.ત. પાંચેક હજાર મતદારો છે. તો પાંચ હજાર કવર-મતપત્રક તૈયાર કરીને સૌને પોસ્ટમાં મોકલવામાં આવે છે. હવે એમાંથી માત્ર બસો ચારસો આજીવન સભ્યો એવા હશે કે જેમને ચૂંટણી, સાહિત્ય, ‘પરબ’ કે પરિષદ સાથે કોઈ લેવાદેવા નહીં હોય … વર્ષો પહેલાં આજીવન સભ્ય બની ગયેલા હોય. આવી વ્યક્તિઓની એક અલગ યાદી શકુની પાસે હોય જ ….. બસ, આવી વ્યક્તિઓના મતપત્રકો માત્ર સો બસો કવરમાં નાખીને તૈયાર રાખીને અંતિમ દિવસોમાં પોસ્ટ કરીને સામેલ કરીને આખી બાજી પલટાવી શકાય છે. કદાચ એવું પણ બને કે પ્રમુખ પદના ઉમેદવારોને આ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે. પણ આ શકુનીમામા વર્ષોથી પરિષદમાં છે. પરિષદના બધા કર્મચારીઓ પણ એમનાથી ડરે છે. તેથી તેઓ મામાની ગેરહાજરીમાં પણ એમનું જ કહેલું, શીખવેલું કરવાના છે. માત્ર બસો ત્રણસો કવરોનું સેટિંગ આખી બાજી ફેરવી નાખશે. જેવી રીતે ગઈ વખતે માત્ર ચાલીસેક મત રદ્દ થયેલા એમ …. આ વખતે પણ થઈ શકે છે. રદ્દ થયેલા મતની વિગતો લઈ એ મતદાતાનું નામ જાણી એમને એમનું મતપત્રક બતાવવામાં આવે તો કદાચ આ આખું ષડયંત્ર બહાર પણ આવે. કેમ કે મતદાન તો સરખી રીતે જ થયું હોય પણ એ કવર અહીં આવતા એમાં છેડછાડ (ચેકચાક) કરીને એને રદ્દ બનાવવામાં આવે છે. અવસાન પામેલા અનેક આજીવન સભ્યોનાં નામે મતદાન પણ થાય છે.

(૪)  મધ્યસ્થમાં આ વખતે પણ ઘણા સર્જકો અકાદમી અને પરિષદ બન્ને બાજુ ઢોલકી વગાડવા તૈયાર થયા છે. મારા સન્માનનીય મિત્ર રાઘવજી માધડ મારી સાથે ગયાં ત્રણ વર્ષની ટર્મમાં પરિષદમાં ચૂંટાયેલા હતા. અને મારા કરતાં વધારે અકાદમીના કાર્યક્રમોમાં, સેમિનારોમાં, શિબિરોમાં ભાગ લીધેલો પણ માનન્ય પ્રમુખ પ્રકાશભાઈ શાહ અને શકુનીમામાની કૃપાદૃષ્ટિથી અમારી ૧૨ની જેમ તેઓ બરતરફ નહોતા થયા. પણ જ્યારે અકાદમીએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જુલાઈ-૨૦૨૩માં સર્જકોનો બે દિવસીય સેમિનાર કર્યો તો તેમાં રાઘવજીભાઈને પણ નિમંત્રણ મળેલું. તેથી એ લાભલેવા એમણે પરિષદના મધ્યસ્થ સમિતિના સભ્ય પદેથી નાછૂટકે રાજીનામુ આપ્યું હતું. અને હવે ત્રણ મહિના પછી જ ફરીથી પરિષદની ચૂંટણી આવી તો ફરીથી સભ્ય પદ માટે પરિષદનું પદ મેળવવા ફોર્મ ભર્યું ?  આવું કેમ ? રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખક પણ જો બન્ને બાજુ ……………… તો બીજા નવા ને તો શું કહેવું ? પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે શું રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સર્જકને પરિષદના મધ્યસ્થપદની જરૂર છે ખરી ? શું તેઓ બીજા આખાં ત્રણ વર્ષ અકાદમીના કાર્યક્રમોમાં બિલકુલ નહીં આવે ? કે પછી ફરીથી જરૂર પડ્યે પરિષદમાંથી રાજીનામું આપીને અકાદમીનો લાભ લેશે ? ….. પણ પહેલી વખત તો પ્રકાશભાઈની કૃપાદૃષ્ટિથી રહી ગયેલા … આ વખતે નહીં બચી શકાય …. એટલે સૌ સર્જકો … એક તરફનું સ્ટેન્ડ લઈ લેજો. કેમ કે જો  હર્ષદભાઈ આવશે તો તેમના ઢંઢેરા મુજબ તેઓ અકાદમી સ્વાયત્તતાની સૂઈ ગયેલી ઝંખનાને ફરીથી જાગૃત કરશે. પછી બન્ને બાજુ ઢોલકી નહીં વગાડી શકાય. તેથી તમને મત આપનાર સાતસો આઠસો મતદારોનો વિશ્વાસભંગ ના કરતા.

(૫)  પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો છે.  (૧) માધવ રામાનુજ (૨) હર્ષદ ત્રિવેદી (૩). પ્રફુલ્લ રાવલ ….  આ ત્રણેય ઉમેદવારોની પોતપોતાની ખાસિયતો છે. એક કવિ માધવ રામાનુજ સાવ સૌમ્ય, સરળ અને મૃદુ સ્વભાવના છે. સાહિત્યજગતમાં અત્યંત લોકપ્રિય પણ છે. અનેક સર્જકો, અધ્યાપકો, ભાવકો એમના પ્રત્યે આદરભાવ ધરાવે છે. વળી તેઓ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા છે. વિવિધ પદ ઉપર કામ કરીને અનુભવી પણ છે પરંતુ વચ્ચે થોડો સમય તેઓ અકાદમીની સમિતિમાં જોડાયેલા, અને અકાદમી દ્વારા અપાતા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનીત થયા હતા. અને ફરી પાછા અકાદમીમાંથી પરિષદમાં હેમખેમ આવી ગયેલા. આમ છતાં ય તેઓ પોતાની છવિ સરળ રાખી શક્યા છે. શક્ય એટલા વિનમ્રતાથી સૌની સાથે વર્તીને સૌના હૃદય જીતવાની તેમની કળા સૌએ શીખવાની જરૂર છે. અને સૌ એવી આશા પણ રાખે છે કે જો તેઓ પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાય તો “પરિષદ-અકાદમી”ના સ્વાયત્તતાના  વિવાદનો અંત લાવીને બન્ને સંસ્થાઓને ફરીથી એક કરીને સાહિત્ય અને સર્જકોની ગરિમાને વધારશે.

બીજા ઉમેદવાર હર્ષદ ત્રિવેદી છે. બાબુ સુથારે એમની ફેસબૂક પોસ્ટમાં ખૂબ કડક શબ્દોમાં એમના વિશે લખ્યું છે. પણ હું ઓળખું છું ત્યાં સુધી એમના જેવો ‘સંપાદક’ ગુજરાતી ભાષામાં સમકાલીન સમયમાં બીજો કોઈ નથી. એમની સંપાદકીય સૂઝ અને નીતિને કારણે તેઓ જ્યારે ‘શબ્દસૃષ્ટિ’નું સંપાદન કરતા, ત્યારે અનેક કવિ લેખકોને તેમની કૃતિઓ અસ્વીકૃત કરીને નારાજ કર્યા હશે, એટલે તે કદાચ આવા સર્જકો ચૂંટણીમાં થોડું નૂકશાન કરી શકે. પરિષદને સારી રીતે ચલાવવા માટે સક્ષમ ખરા પણ મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા મહાન સભ્યો સાથે તેઓ સેટ થઈ શકશે ખરા ? એ એક મહાપ્રશ્ન છે. કેમ કે અહીં સૌ પોતાને નરેદ્ર મોદી સમજીને પરિષદમાં પ્રવેશે છે. બીજું  ઘણા સર્જક મિત્રોને એક આશ્ચર્ય એ પણ છે કે હર્ષદભાઈ પોતે વર્ષો સુધી અકાદમીમાં સંપાદક અને મહામાત્ર તરીકે રહ્યા. અને હવે તેઓ અકાદમીને સ્વાયત્ત બનાવવા સરકાર સામે આંદોલનો કરશે ખરા ? જો કે ખુદ હર્ષદભાઈના સમયથી લઈને અત્યાર સુધી પરિષદ કરતાં અકાદમી વધુ સ્વાયત્તતાથી કામ કરે છે. એ વાતને સમજીને હર્ષદભાઈ જો સ્વાયત્તતાની પીપૂડી વગાડતા પાંચ દસ સાહિત્યકારોને સમજાવી પરિષદ-અકાદમીને અગાઉની જેમ એક કરશે તો એ ઐતિહાસિક કાર્ય લેખાશે.

ત્રીજા ઉમેદવાર વિશે મોટાભાગના લોકો ખાનગીમાં “શકુની” કહે છે. કેમ કે આખી પરિષદ પરંપરાને ડામાડોળ કરનાર આદરણીય પ્રફુલ્લભાઈ છે. એવું લોકો માને છે. એક વર્ગ તો એમ પણ કહે છે કે આ ચૂંટણીમાં તેઓ જ જીતવાના છે. કેમ કે માધવભાઈ અને હર્ષદભાઈ છળ અને પ્રપંચ કરી શકવાના નથી અને આ મામા એમાં માહિર છે. ઘણા તો એવું પણ માને છે કે તેઓએ અત્યારથી કોને કેટલા મત મળશે એ નક્કી કરી રાખ્યું હશે. અને એ જીતશે તો માત્ર દસ વીસ મતના ડિફરન્સથી જીતશે. એવી ગોઠવણ કરી રાખી હશે. એમણે મધ્યસ્થનું પણ અત્યારથી ગોઠવી રાખ્યું હશે. કોને ક્યાં મંત્રી બનાવવા એ પણ નક્કી હશે. માધવભાઈ અને હર્ષદભાઈ તો પ્રમુખ પદનો પ્રચાર કરતા હશે અને પ્રફુલ્લભાઈ આખું મંત્રીમંડળ નક્કી કરી નાખશે. આટલી તાકાત તેઓ ધરાવે છે. આખા અમદાવાદની પોસ્ટ ઓફિસો,  કુરિયરવાળા બધા જ એમના ખિસ્સામાં છે. તેઓ ધારે એ કરી શકશે. એવું ઘણા લોકો માને છે. એમનું નેટવર્ક ખતરનાક છે. પાંચેક હજાર આજીવનમાંથી બસો ત્રણસો મત તો એમના હાથમાં જ હશે. માધવભાઈ અને હર્ષદભાઈ સહેજ ગફલતમાં રહ્યા નથી કે હાર્યા નથી …… એવું થવાની પૂરી સંભાવના છે.

પણ આપણે ઈચ્છીએ કે પરિષદની પરંપરાના પાયામાં પેસી ગયેલી ઊધઈ નાશ પામે, તમામ પ્રકારના છળ અને પ્રપંચમાંથી પરિષદ મૂક્ત થાય, પરિષદ-અકાદમી એક થાય, લાભનીતિ છોડીને સૌ સાહિત્યનીતિથી કામ કરે, નહિતર આવનારા વર્ષોમાં મધ્યસ્થના ૪૦માંથી એકે ય સાહિત્યકાર નહીં હોય. અને પછી કોઈ શહેરની નગરપાલિકાની અને પરિષદની ચૂંટણીમાં કોઈ ફેર નહીં હોય.  અસ્તુ.

સૌજન્ય : ડૉ. કનૈયાલાલ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...813814815816...820830840...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved