Opinion Magazine
Number of visits: 9665854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈલેક્ટોરલ બોન્ડ્સ એ છાની પ્રવૃત્તિને હાથીની અંબાડી પર બેસાડવામાં આવે એવી ઘટના

રમેશ ઓઝા|Opinion - Opinion|18 February 2024

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડ્સ ગેરબંધારણીય છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પણ આદેશ આપ્યો છે કે કયા પક્ષને કેટલા રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ મળ્યા છે, તેની સંપૂર્ણ વિગત બંધ કવરમાં અદાલતમાં રજૂ કરવામાં આવે. જે પાંચ ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો છે એમાં મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રનો સમાવેશ થાય છે. આજકાલ સર્વોચ્ચ અદાલત ક્યારેક ક્યારેક સાચવીને ચુકાદાઓ આપે છે એ જોતાં બહુ ભરોસો નહોતો કે સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ્સને રદ્દબાતલ કરશે. ઉદાહરણ તરીકે હજુ હમણાં જ આવેલો આર્ટીકલ ૩૭૦ અંગેનો ચુકાદો ટાંકી શકાય. ગમે તેમ. આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો આભાર માનવો જોઈએ. આ યોજના દેશના લોકતંત્રનું કાસળ કાઢવા માટેની હતી.

આ યોજના ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા લાવવામાં આવી હતી અને એ પણ પાછલે બારણેથી. ચૂંટણીને લગતા કોઈ પણ કાયદા કે જોગવાઈમાં ફેરફાર કરવો હોય તો લોકપ્રતિનિધિ ધારામાં સુધારો કરીને જ કરવો જોઈએ. આ દસ્તૂર છે અને આ રીતે જ ચૂંટણીકીય કાયદાઓમાં સુધારા થતા આવ્યા છે. પણ વર્તમાન શાસકો ધારાધોરણોમાં માનતા નથી. ગમે તે ભોગે તેઓ એકપક્ષીય શાસન દેશમાં લાવવા માગે છે. માટે ૨૦૧૮ની સાલમાં એ સમયના નાણાં પ્રધાન અરુણ જેટલીએ દેશના વાર્ષિક બજેટના ભાગરૂપે આ યોજના દાખલ કરી હતી કે જેથી સુધારાનો ખરડો લાવવો ન પડે અને વિરોધ પક્ષોના અવરોધનો તેમ જ સૂચનો કે સુધારાઓનો સામનો ન કરવો પડે. મની બીલની સાથે આ જોગવાઈ પણ પાસ થઈ જાય અને એવું જ બન્યું.

શું છે આ ઈલેક્ટોરલ બોન્ડ્સ?

સારરૂપે કહું તો વિરોધ પક્ષોનાં નાણાંકીય સ્રોતને સૂકવી નાખવા માટેની આ યોજના હતી. ચૂંટણીકીય લડત અસમાન થઈ જવી જોઈએ જેમાં લંગડો તાકાતવાન સામે ક્યારે ય જીતી જ ન શકે. પૈસા ક્યાંથી લાવે અને પૈસા આપે કોણ? મરવું છે કે ભૂખ્યાને કોઈ અન્ન આપે! તેઓ ધરાર ધરાયેલાને હજુ વધુ ધરવવાના.

તો ઈલેક્ટોરલ બોન્ડ્સની યોજના એવી હતી કે દેશનો કોઈ પણ નાગરિક એક હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીના ઈલેક્ટોરલ બોન્ડ્સ (એટલે કે એક હજારના, દસ હજારના, એક લાખના, દસ લાખના અને એક કરોડના) ગમે એટલા પ્રમાણમાં ખરીદી શકે છે. કોઈને સો અબજ રૂપિયાના બોન્ડ્સ ખરીદવા હોય તો તે ખરીદી શકે છે. કોની પાસેથી ખરીદી શકે? માત્ર અને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. બીજી કોઈ પણ બેંક નહીં. ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનારનું નામ અને બોન્ડ્સની રકમ જાહેર કરવામાં નથી આવતી, પણ સરકારને તેની માહિતી મળે છે કારણ કે બેંક સરકારની માલિકીની છે. સરકારને એ માહિતી પણ મળે છે કે કોણે કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા છે અને કયા પક્ષને આપ્યા છે, કારણ ઈલેક્ટોરલ બોન્ડ્સને સ્ટેટ બેંકમાં જ રોકડા કરાવવા પડે છે અને તેના પર યુનિક નંબર હોય છે. હવે કયો મૂર્ખ હોય જે વિરોધ પક્ષોને પૈસા આપે! વિરોધ પક્ષોની રાજ્યોમાં સરકાર હોય તો સોમાંથી દસ વીસ રૂપિયા આપે પણ મોટો દલ્લો તો તે શાસક પક્ષને જ આપવાનાં. ઈલેક્ટોરલ બોન્ડ્સ પાછળની આ રમત હતી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે કૂલ ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી ૫૭ ટકા બોન્ડ્સ એકલા ભારતીય જનતા પક્ષને ગયા છે અને બાકીના ૪૩ ટકામાં સોએક જેટલા પક્ષોનો સમાવેશ થાય છે.

ઈલેક્ટોરલ બોન્ડ્સની યોજના લાવવામાં આવી એ પહેલાં ૨૦૧૬ની સાલમાં ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરીને વિદેશી કંપની ભારતીય રાજકીય પક્ષોને નાણાંકીય સહાય કરી શકે છે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શરત એટલી કે તેનો ભારતીય કંપનીમાં બહુમતી શેર હોવો જોઈએ. દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓને ચૂંટણી જીતવા વિદેશી પૈસા પણ ચાલે. ૨૦૧૭માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે રાજકીય પક્ષો તેને મળેલા દાનની વિગતો આપવા બંધાયેલા નથી. ચૂંટણી પંચ કે બીજું કોઈ પણ રાજકીય પક્ષ તેને કેટલા પૈસા મળ્યા છે અને તેની પાસે કેટલા પૈસા છે એ પૂછી ન શકે. હવે કહો કે આમાં પ્રતિપક્ષ ટકે કેવી રીતે? આમાં લોકશાહી ટકે કેવી રીતે? પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદેહી આમાં ક્યાં આવી? દેશપ્રેમનો ચહેરો આવો જ હોય છે.

તમને કદાચ જાણ હશે કે રીઝર્વ બેન્કે ૨૦૧૭ની સાલમાં ચેતવણી આપી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ્સ દેશહિતમાં નહીં હોય. એના દ્વારા અજાણ્યા અને શંકાસ્પદ સ્રોતમાંથી ભારતમાં પૈસા આવશે પણ સરકારને તેની ચિંતા નહોતી. ગમે તે ભોગે ચૂંટણી જીતવી જોઈએ અને સત્તા હાથમાંથી ન જવી જોઈએ.

ઈલેક્ટોરલ બોન્ડ્સ લોકશાહીનું કાસળ કાઢવા માટે લાવવામાં આવ્યા હતા. લોકશાહીનું કલેવર જાળવી રાખવાનું, પણ પ્રાણ હરી લેવાના. સમયસર ચૂંટણીઓ યોજાતી રહે એટલે દેશ અને વિદેશમાં લોકોને લાગે કે ભારતમાં લોકશાહી છે. પણ સામે કોઈ પ્રતિસ્પર્ધી હોય નહીં અને જો હોય તો તે ટકી શકે નહીં. ભારતીય જનતા પક્ષ આજે વિશ્વનો સૌથી મોટો પક્ષ છે અને નાણાંકીય રીતે સૌથી સમૃદ્ધ પક્ષ છે. એટલે તો વિરોધ પક્ષોના નેતાઓને ખરીદી શકાય છે. બી.જે.પી.એ દસ વરસમાં જેટલી સરકારો તોડી એટલી સરકારો એક દાયકામાં ક્યારે ય કોઈએ તોડી નથી. કાઁગ્રેસને તો આ આમાં ઠોઠ નિશાળિયો કહેવો પડે. બી.જે.પી. ચૂંટણીમાં જેટલો ખર્ચો કરે છે એનો દસમાં ભાગનો ખર્ચ પણ બીજા પક્ષો નથી કરી શકતા. હમણાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના નેતાઓ પ્રચાર માટે પ્રવાસ ન કરી શકે એ સારુ દેશમાં જેટલાં હેલિકોપ્ટર ઉપલબ્ધ હતાં એ બધાં બી.જે.પી.એ આખા મહિના માટે ભાડે લઈ લીધાં હતાં. હેલિકોપ્ટર્સ વપરાયા વિના ઊભાં હતાં, પણ વિરોધ પક્ષોના નેતાઓને નહોતા મળ્યા.

સર્વોચ્ચ અદાલતે યોગ્ય જ કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ એ છાની પ્રવૃત્તિને હાથીની અંબાડી પર બેસાડવામાં આવે એવી ઘટના છે. પણ અહીં અદાલતના આદેશની એક મર્યાદા નોંધવી રહી. કયા પક્ષને કેટલા બોન્ડ્સ મળ્યા છે એની વિગતો બંધ પરબીડિયામાં શા માટે? બંધ પરબીડિયાની સંસ્કૃતિ ન્યાયતંત્રમાં દાખલ થઈ છે એ અયોગ્ય છે. અદાલત ખુલ્લી અદાલત હોવી જોઈએ એ ન્યાયતંત્રનો પહેલો સિદ્ધાંત છે. પ્રજાને જાણ થવી જોઈએ કે અદાલતમાં શું ચાલી રહ્યું છે? પ્રમાણો, પુરાવાઓ, જુબાનીઓ, રજૂઆતો એમ બધું જ ખુલ્લું હોવું જોઈએ સિવાય કે કોઈ સ્ત્રીના સ્વમાનનો પ્રશ્ન હોય કે દેશના સંરક્ષણ વિશેનો પ્રશ્ન હોય. આમાં તો આ બેમાંથી કોઈ ચીજ નથી તો પછી બંધ પરબીડિયું શા માટે? તમને જાણ નહીં હોય, પણ સર્વોચ્ચ અદાલતમાં લગભગ એક ડઝન પરબીડિયાં લોકો માટે બંધ છે. કોઈકે આ બંધ પરબીડિયાના નવા નવા શરૂ થયેલા રિવાજને પણ પડકારવો જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ફેબ્રુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—235

Opinion - Opinion|17 February 2024

ગવર્નરના બંગલાની બાજુમાં આવેલા 

મહેલ જેવા લવજી કાસલની મુલાકાત                      

હિન્દુસ્તાનનું સૌથી વધુ બહુરંગી અને ભાતીગળ શહેર કયું? જવાબ : બોમ્બે કહેતાં મુંબઈ. ના, આ હું નથી કહેતો. લગભગ ૨૦૦ વરસ પહેલાં મિસિસ પોસ્ટાન્સ લખી ગયાં છે. એટલે આજે તેમની આંગળી પકડીને મળીએ મુંબઈને મુંબઈ બનાવનારા કેટલાક લોકોને.

મુંબઈમાં જે ‘ભાત ભાત કે લોગ’ જોવા મળે છે તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે પારસીઓ. અહીંના મોટા ભાગના હિંદુ, જૈન વગેરે લોકો ખાનપાન અને રહેણીકરણીમાં પોતાની પરંપરા જાળવવાના આગ્રહી, એટલે પરદેશીઓને, ખાસ કરીને ગોરાઓને, માન આપે, પણ દૂરથી. તેમને પોતાને ઘરે બોલાવવાનું તો કદાચ વિચારે પણ નહિ. પણ પારસીઓને એવો કશો છોછ નહિ. પોતાની આગવી, અલાયદી, ઓળખાણ જાળવી રાખીને બીજા લોકો સાથે કઈ રીતે હળીમળી જવું એ પારસીઓ બરાબર જાણે. તેમની બીજી પણ એક ખાસિયત : ઘણા પારસીઓ ખાસ્સા ધનવાન. પણ પોતાના પૈસાનો દેખાડો કોઈ પારસી ભાગ્યે જ કરે. ઘરમાં જાહોજલાલી હોય, પણ ઠાવકાઈપૂર્વક તેનો દેખાડો ન કરે.

પરળ રોડ ૧૮૭૦

ઘણા વખતથી કોઈ પારસીના ઘરે જવાની ઇચ્છા. એટલે હોરમસજી બમનજીએ જ્યારે તેમને ઘરે જવાનું નોતરું આપ્યું ત્યારે મેં તે તરત જ સ્વીકારી લીધું. હોરમસજી રહે ‘લવજી કાસલ’ નામના મહેલ જેવા મકાનમાં. અને એ મકાન આવેલું પરળમાં, મુંબઈના ગવર્નરના બંગલાની નજીક. તેમનું સરનામું જ કહી દે કે આ કુટુંબ કેટલું સમૃદ્ધ હશે. હોરમસજીના બપાવા અને આ કુટુંબના વડવા લવજી નસરવાનજી વાડિયા મૂળ સુરતના. ૧૭૦૨માં જન્મ, ૧૭૭૪માં બેહસ્તનશીન. સુરતના એક જહાજવાડામાં વહાણો બાંધતા મજૂરોના મુકાદમ તરીકે કામ કરે. પણ નસીબ તેમને મુંબઈ લઈ આવ્યું. કંપની સરકાર માટે હિન્દુસ્તાનનો પહેલવહેલો જહાજવાડો તેમણે મુંબઈમાં બાંધ્યો. તેમણે અને તેમના પોરિયાઓએ બાંધેલાં લાકડાનાં વહાણો દેશદેશાવરની ખેપ ખેડતાં. ગ્રેટ બ્રિટનનાં લડાયક વહાણોના કાફલામાં પણ તેમણે બાંધેલાં વહાણો. પછી તો તેમનાં સંતાનો અને તેમનાં સંતાનો જૂદા જૂદા વેપાર-ધંધા કરતા થયા. આખા મુંબઈ ઈલાકાના સૌથી વધુ ધનવાન બે-પાંચ કુટુંબોમાં આ વાડિયા કુટુંબનો સમાવેશ.

લવજી કાસલના વિશાળ દરવાજામાંથી અમે દાખલ થયા. ભોંયતળિયે વિશાળ હોલ હતો. તેમાંથી એક દાદર ઉપરના ડ્રોઈંગ રૂમ તરફ જતો હતો. તેનાં લાકડાનાં પગથિયાં મોટાં અને પહોળાં હતાં. બંને બાજુએ કોતરણીવાળી જાળી હતી. પગથિયાંને  કિરમજી રંગના મખમલથી જડી દીધાં હતાં. દિવાનખાનામાં તો જ્યાં નજર નાખો ત્યાં સુરુચિપૂર્ણ સમૃદ્ધિ નજરે ચડતી હતી. ખૂબ જ મોટા, સગવડભર્યા કોચ દિવાલો પાસે ગોઠવ્યા હતા. વચમાં વચમાં ખૂબ જ શણગારેલા બાજૂઠ મૂક્યા હતા. એ બધા બારીક ભરતકામવાળા દમાસ્કસના રેશમી કાપડથી મઢેલા હતા. દિવાલોને જૂદાં જૂદાં ચિત્રોથી શણગારી હતી. બધાં ચિત્રોની ફ્રેમ સોનેરી રંગે રંગેલી અને બારીક નકશીકામવાળી હતી. કુદરતી દૃશ્યોનાં ચિત્રો સાથે ગોઠવેલાં બીજાં કેટલાંક ચિત્રો તરફ મારું ધ્યાન તરત ગયું. તેમાં લોર્ડ નેલ્સન અને સર ચાર્લ્સ ફોર્બ્સનાં આદમકદ તૈલચિત્રો હતાં. દિવાનખાનાની બે સામસામેની ભીંતોમાં વચ્ચે વચ્ચે મોટી બારીઓ હતી. રંગબેરંગી કાચના કપચી કામથી મઢેલી આ બારીઓમાંથી ચળાઈને બહારનું અજવાળું અંદર આવતું હતું અને આખા ખંડના વાતાવરણને કોઈક અનેરી સુંદરતા બક્ષતું હતું. દિવાનખાનાની છત પર પણ બહુરંગી વેલબુટ્ટાનું ચિતરામણ કરેલું હતું. છત પરથી લટકતાં સુશોભિત ઝુમ્મરોમાં નોકરોએ મલોખાંના દીવા પ્રગટાવ્યા હતા. તેનું ન વધારે, ન ઓછું, એવું અજવાળું આખા ખંડને કોઈક અનેરું રૂપ આપતું હતું. આ બધું જોતાં જ ખાતરી થતી હતી કે અહીં જેટલી સમૃદ્ધિ હતી, તેટલી જ સુરુચિ પણ હતી.

૧૯મી સદીની પારસી છોકરી – ચિત્રકાર એમ.વી. ધુરંધર 

અમને દાખલ થતા જોઈને હોરમસજી તેમની સિંહાસન જેવી ખુરસીમાંથી ચપળતાથી ઊભા થયા અને અમારું સ્વાગત કર્યું. ત્યાર બાદ ત્યાં હાજર રહેલા દરેક કુટુંબી સાથે અમારી ઓળખાણ કરાવી. તેમાં આઠેક વરસની ઉંમરની એક પરી જેવી છોકરીને તો હું જોતી જ રહી. તેણે પારસી પરંપરા પ્રમાણેનો ખૂબ સુંદર પોશાક પહેર્યો હતો. જો કે આપણી (અંગ્રેજોની) નજરે જોતાં એ પોશાક આવડી અમથી છોકરી માટે બહુ ભારેખમ લાગે. પણ એ છોકરીને તેનાથી કશી અગવડ પડતી હોય તેમ લાગ્યું નહિ. ઘેરા જાંબલી રંગનો સાટીનનો લેંઘો. પગમાં સોનાનાં કડાં. ધોળા બાસ્તા જેવા રેશમી કાપડનું ખમીસ. તેના ગળા પરની રેશમી દોરી પર વાળેલી ગાંઠ પર ચમકતું મોટું માણેકનું નંગ. ડોકમાં તો જુદા જુદા રંગના મણિની ચાર-પાંચ માળા. વાળ ખાસ્સા ભરાવદાર, પણ ભરતકામવાળી ટોપીથી ઢંકાયેલા.

છોકરીના ભાઈઓ પણ ગોરા અને દેખાવડા. હોશિયાર પણ ખરા. નવી શરૂ થયેલી ‘કોલેજ-સ્કૂલ’માં ભણતા હતા. બહુ સહેલાઈથી અંગ્રેજી બોલી શકતા હતા. તેમના ભણવા વિષે થોડી વાત કરી, તો બધાએ બહુ ઉત્સાહ અને ચપળતાથી જવાબ આપ્યા. બધા છોકરાઓએ સાદું, સુતરાઉ અંગરખું પહેર્યું હતું. માથે સફેદ પારસી ટોપી. એટલે આમ જુઓ તો પોશાક સાદો. પણ કાંડા પર પહેરેલ મોંઘા રત્નો જડેલા સોનાના કડાથી તેમના કુટુંબનાં સમૃદ્ધિ અને મોભો જણાઈ આવતાં હતાં. દરેક છોકરાએ ડાબા કાનમાં પહેરેલા લટકણીઆમાં જડેલ મોટા લાલ માણેક પણ કુટુંબની સમૃદ્ધિની ચાડી ખાતા હતા.

પારસી સ્ત્રી-પુરુષ, ૧૯મી સદી

પરદેશી મહેમાનો સાથે વિનય-વિવેકથી વાતો કરવામાં હોરમસજી પાવરધા હતા. કારણ બહોળા વેપારને કારણે તેમને ઘણા અંગ્રેજો સાથે ઘરોબો હતો. તેમણે પોતાના ચીન સાથેના બહોળા વેપારની અને સર ચાર્લ્સ ફોર્બ્સ અને તેની કંપની સાથેના ગાઢ સંબંધની વાતો બહુ સહજતાથી, કશી આપવડાઈ કર્યા વગાર કરી. તેમનું પોતાનું ‘લવજી ફેમિલી’ નામનું વહાણ ચીનના આંટાફેરા કરી કેવી તો મોંઘી અને ઉપયોગી જણસો લાવે અને લઈ જાય છે તેની તેમણે વાતો કરી. તેમણે એમ પણ કહ્યું કે કંપની સરકાર વેપારી વહાણોને જેવી સલામતી પૂરી પાડે છે તેવી ન પાડતી હોત તો આટલો બહોળો વેપાર અમે કરી શકતા ન હોત.

અહીનાં કેટલાંક છાપાં તેમને મળતા વાણીસ્વાતંત્ર્યનો દુરુપયોગ કરે છે તે અંગે તેમણે ખેદ વ્યક્ત કર્યો. તેમાં ય ખાસ કરીને ‘ચાબૂક’ જે આડેધડ રીતે ટીકાઓ કરે છે તે માટે તેમણે ખાસ ખેદ વ્યક્ત કર્યો. (નોંધ : નવરોજી દોરાબજી ચાનદારૂ નામના પારસી પત્રકારે ૧૮૩૦માં ‘મુંબઈનાં વરતમાન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કરેલું. ૧૮૩૩માં તેનું નામ બદલીને ‘મુમબઈનાં ચાબુક’ કર્યું. યલો જર્નાલિઝમ કરનારું આ પહેલું ગુજરાતી છાપું. એ વખતનાં બીજાં બધાં છાપાંની સતત ખોટેખોટી આકરી ટીકા કરે. અને છાશવારે અંગ્રેજ સરકારની અને તેના અધિકારીઓની પણ કૂથલી કરે. છેવટે બદનક્ષીના એક કેસમાં ‘ચાબૂક’ સપડાયું, હાર્યું. કોર્ટે કરેલ મોટી રકમનો દંડ ભરતાં તંત્રી પૈસેટકે ખુવાર થઈ ગયા. છતાં ૧૮૭૨ સુધી તે છાપું પ્રગટ થતું રહ્યું. – દી.મ.)

હોરમસજીએ નવી શરૂ થયેલી ‘જુનિયર કોલેજ સ્કૂલ’નાં વખાણ કર્યાં ત્યારે મેં ઘણી નમ્રનતાઈથી પૂછ્યું: ‘તો પછી તમારી દીકરીને ત્યાં ભણવા મોકલવામાં શો વાંધો છે?’ સહેજ પણ વિચાર કરવા થોભ્યા વિના, બહુ સ્પષ્ટ રીતે તેમણે ચોખવટ કરી: ‘છોકરીઓ ભણવા માટે જાય એવો ટાઈમ હજી નથી આવ્યો. પણ આજે જે સુધારાનો પવન ચારે બાજુ વાઈ રહ્યો છે એ જોતાં એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે છોકરીઓ પણ ભણવા માટે સ્કૂલમાં જતી થશે. પછી તેમણે કહ્યું કે એકંદરે જોતાં પારસી સ્ત્રીઓ પ્રમાણમાં મુક્ત વાતાવરણમાં રહે છે. ઘરકામ ઉપરાંત ભરત-ગૂંથણ, સીવણ કામ, સંગીત, વગેરે પ્રવૃત્તિઓમાં તેમનો વખત પસાર થાય છે. હા, પરદેશીઓ સાથે આ સ્ત્રીઓને ભળવા દેવાતી નથી. પણ સગાંવહાલાં અને બહેનપણીઓ સાથે તેઓ આનંદમાં દિવસો ગુજારે છે. અને જેમ જેમ વિલાયતના વિચારો અને રહેણીકરણી આ દેશમાં ફેલાતાં જશે તેમ તેમ સ્ત્રીઓને વધુ ને વધુ છૂટ મળતી જશે એમ પણ તેમનું માનવું હતું.

પારસી લગ્નવિધિ 

પારસીઓના કાયદા પ્રમાણે કોઈ પુરુષ એક પત્ની હયાત હોય ત્યાં સુધી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકતો નથી. પણ હોરમસજી તેમાં અપવાદરૂપ છે. પહેલી પત્ની હયાત હોવા છતાં તેમણે બીજાં લગ્ન કર્યાં છે. શરૂઆતમાં આ બીજાં લગ્નનો ઉગ્ર વિરોધ થયો હતો. પણ પછી તેમની સંપત્તિ, વેપારધંધામાંની સફળતા, અને સામાજિક મોભાને કારણે ધીમે ધીમે એ વિરોધ લગભગ શમી ગયો. એક તો પહેલું લગ્ન બાળપણમાં થયેલું, અને એ સિન્ડ્રેલા જેવી એ સ્ત્રી કોઈ રીતે હોરમસજીને લાયક નહોતી. એટલે હોરમસજીએ તેમનાં મમ્માને જ બીજી સ્ત્રી શોધવા અરજ ગુજારી. હવે એ બીજી પત્નીએ હોરમસજીનું ઘર ઉજાળ્યું છે. 

થોડી વાર પછી અમે હોરમસજીની વિદાય માંગી. તેમણે ઈશારો કરતાં જ એક નોકર મોટો ચાંદીનો થાળ લઈને હાજર થયો. થાળમાં રંગબેરંગી ફૂલના ગુલદસ્તા બહુ આકર્ષક રીતે ગોઠવ્યા હતા. મને એ ગુલદસ્તા ધરતાં હોરમસજીએ કહ્યું કે અમારામાં મોંઘેરા મહેમાનને વિદાય આપતી વખતે આ રીતે ફૂલો ધરવાનો ચાલ છે. જો કે મને તો ખબર હતી જ કે દરેક સારા પ્રસંગે પારસીઓ ફૂલોનો ઉપયોગ છુટ્ટે હાથે કરે છે. એટલે મને આ ગુલદસ્તા જોઈ નવાઈ ન લાગી. વરસગાંઠ કે લગ્ન જેવા સારા પ્રસંગે ફૂલોથી ભરેલા થાળ લઈને નોકરો ઊભા હોય, અને દરેક મહેમાનને યજમાન પોતે કે તેના કુટુંબી નમનતાઈથી ફૂલ ધરે જે મહેમાન અહેસાનમંદ રીતે પોતાની પાઘડીમાં ખોસે. જતી વખતે દરવાજા આગળ દરેક મહેમાન પર ગુલાબજળનો છંટકાવ કરવામાં આવે.

દી.મ. તરફથી થોડું ઉમેરણ: 

રતનજી વાચ્છાના ‘મુંબઈનો બહાર’ પુસ્તકને આધારે ‘લવજી કાસલ’ વિષે થોડી વધારે વાત. આ ઈમારત હોરમસજીએ પોતે ઈ.સ. ૧૭૯૩માં બંધાવી હતી. આ મહેલ જેવા બંગલાનું નામ તો ‘શીટોરી બાગ’ હતું, પણ લોકો તેને ‘લવજી કાસલ’ તરીકે ઓળખતા. તેની ખ્યાતિ મુંબઈ બહાર પણ એવી પ્રસરેલી કે બીજે ગામથી મુંબઈ આવનારા લોકો એ બંગલો જોવા – અલબત્ત બહારથી – ખાસ ત્યાં જતા. પરેલમાં આવેલા ગવર્નરના બંગલા અને ‘લાલ બાગ’ જેટલી જ ખ્યાતિ આ ‘લવજી કાસલ’ની પણ હતી. એ જમાનામાં મરાઠી લાવણી ગાનારી અને નાચનારીઓ ખાસ ‘લવજી કાસલની લાવણી’ ગાતી જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની પહેલી બે પંક્તિ :

મુંબઈ શહેર ગુલઝાર, ઉસી મેં માહિમ-પરળ કા જંગલા,

દરમિયાને ખૂબ જોર હવા, હોરમસજી સેઠ કા બંગલા.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 ફેબ્રુઆરી 2024)

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ” -સારસંક્ષેપ : 

સુમન શાહ|Opinion - Literature|17 February 2024

પ્રકરણ – ૧૦   

વિશ્વની ૧૦ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.

એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.

સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭-માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦-માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. ૧૯૮૨-માં માર્ક્વેઝને નોબેલ અપાયું છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.

મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરું, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.

દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.

સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે…

== આ નવલનાં ૯ પ્રકરણનો સારસંક્ષેપ થોડાક મહિના પહેલાં રજૂ કરેલો. આ ૧૦–મું પ્રકરણ છે. ==

અનેક વર્ષો પછી, મૃત્યુશૈયા પર ઓરેલિયાનો સેગુન્દોને જૂનની એ ભીની બપોર યાદ આવી જ્યારે એ પોતાના પહેલા પુત્રને મળવા બેડરૂમમાં ગયેલો. છોકરો સુસ્ત અને રડમસ દેખાતો’તો, બ્વેન્દ્યા પરિવારની કોઈ મોખરાશ પણ હતી નહીં, તેમછતાં, એનું નામ પાડવા ખાસ વિચારવાની એને જરૂરત નહીં લાગેલી.

“આપણે એને જોસે આર્કાડિયો કહીશું,” તેણે કહ્યું.

જે સુંદર સ્ત્રી સાથે તેણે ગયા વર્ષે લગ્ન કરેલાં એ ફર્નાન્ડા દેલ કાર્પિઓને નામ ગમેલું,  

પણ ઉર્સુલા અસમંજસમાં પડી ગયેલી. પરિવારના દીર્ઘકાલીન ઇતિહાસમાં, આવાં ને આવાં નામોનું પુનરાવર્તન થયા કરેલું એથી ઉર્સુલા પાસે કેટલાંક ચૉક્કસ તારણો હતાં, એ કે – બધા ઓરેલિયાનો અન્તરમુખી હતા પણ મનના ચોખ્ખા હતા – બધા હોસે આર્કાદિયો આવેશી અને સાહિસિક હતા પણ દુ:ખદ નિશાની સાથે જનમેલા. ઉર્સુલા હોસે આર્કાદિયો સેગુન્દો અને ઓરેલિયાનો સેગુન્દોને, એ બે નમૂનાઓને, કોઈ એક વર્ગમાં મૂકી શકેલી નહીં.

સાન્તા સોફિયા દે લા પિયેદાદ એ બન્નેને જુદા પાડી શકતી નહીં કેમ કે બન્ને જણા એકદમ સરખા દેખાતા’તા, તોફાની પણ એવા જ હતા. એમના બાપ્તિસ્માના દિવસે અમરન્તાએ એમને એમનાં હતાં એ નામોનાં બ્રેસલેટ પ્હૅરાવી દીધેલાં. 

પણ શાળાએ જવા લાગ્યા ત્યારે બન્ને જણાએ કપડાં અને બ્રેસલેટની એકબીજા સાથે અદલાબદલી કરી નાખેલી, એટલું જ નહીં, એકબીજાને વિરુદ્ધ નામોથી બોલાવવાનું નક્કી કરેલું. 

શિક્ષક, હોસે આર્કાદિયો સેગુન્દોને લીલા ખમીસથી ઓળખતો’તો, પણ ગૂંચવઇ જતો’તો કેમ કે બીજાએ ઓરેલિયાનો સેગુન્દોની બ્રેસલેટ પ્હૅરી હોય, અને બીજો ક્હૅતો હોય કે પોતાનું નામ ઓરેલિયાનો સેગુન્દો છે, પોતે સફેદ શર્ટમાં છે, ભલે બ્રેસલેટ હોસે આર્કાદિયો સેગુન્દોના નામની છે. પરન્તુ શિક્ષક ખાતરીથી કદી કહી શકેલો નહીં કે કોણ કોણ છે.

(ક્રમશ:)
(Feb 17, 24)
ઉર્સુલા અને બીજાં પાત્રો —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...793794795796...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved