Opinion Magazine
Number of visits: 9457612
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે રચના

સાહિલ|Poetry|24 October 2023

થડકાની જેવું

જીવન સો ટકા છે ધબડકાની જેવું

છતાં મીઠું લાગે સબડકાની જેવું

શું લ્હાવો સૂરજ સાથેની મિત્રતાનો 

નથી માણ્યું ક્યારેય તડકાની જેવું

મળે સંકટોના ન ક્યાંયે પગેરું

છતાં જીવ જીવે છે ફડકાની જેવું

લૂટાઈ જવાની પછી બીક શાને

છે હોવું તો બિન્દાસ્ત કડકાની જેવું

ખખડધજ શી ખોલીમાં અવતાર વીતે

અને સ્વપ્ન શ્રીમંત લડકાની જેવું

ફરી કોઈ કવિને શૂળીએ ચડાવ્યો

શબદને થયું પાછું થડકાની જેવું

પળેપળ રહ્યા છીએ તરબોળ સાહિલ

રુવેરુવું છે તોય ભડકાની જેવું

°

ડરી રહ્યા છે

સ્વયંથી લોકો ડરી રહ્યા છે

ને કાંચળીમાં સરી રહ્યા છે

તમારા પગલાં ઝીલ્યાં છે જેણે

એ રસ્તા તમને સ્મરી રહ્યા છે

નશીબદારોની વાત ન્યારી

વમળની વચ્ચે તરી રહ્યા છે

ભલેને ભૂક્કા અહમ થયા પણ

ભરમની ઝોળી ભરી રહ્યા છે

જે લોકો પૂજી રહ્યા હરિને

હરિને પાછા હરી રહ્યા છે

કશુંક ભડકે બળે છે ભીતર

છતાંય શ્વાસો ઠરી રહ્યા છે

શૂળોનો માન્યું ધરમ છે કિન્તુ

ફૂલોય ખંજર ધરી રહ્યા છે

ચરણમાં છલકે છે થાક સાહિલ

ને પગલાં ક્યાં ક્યાં ફરી રહ્યા છે

નીસા ૩-૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

નફરતની આંધી કેટલો વિનાશ નોતરશે ?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|24 October 2023

અશ્વિનકુમાર ન. કારિયા

શાળાના દરેક પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા લખેલી હોય છે, અને શાળાના કાર્યક્રમોમાં વિદ્યાર્થી મુખેથી તે બોલાવવામાં આવે છે કે દરેક ભારતીય મારાં ભાઈ-બહેન છે. બાળકો અરસપરસ ભાઈચારો અને સૌહાર્દ ભાવના કેળવે તે જરૂરી છે. પરંતુ એ કમનસીબ બાબત છે કે ભારતની બે મુખ્ય જાતિઓ વચ્ચે નફરત પેદા કરવા માટે ઝનૂનપૂર્વક પ્રયત્નો કરવામાં આવે છે.

હરિયાણાના નૂહમાં થયેલ એકપક્ષીય તોફાનો તેમ જ ઉત્તર પ્રદેશમાં આરોપી મુસ્લિમોના ઘર પર બુલડોઝર ફેરવ્યાની વાતો હવે જૂની થઈ ગઈ. પરંતુ જ્યાં બાળકોને સારા નાગરિકો બનવાની તાલીમ આપવાની વાત હોય, ત્યાં તેમનાં કુમળાં માનસમાં અન્ય જાતિ તરફ નફરત જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ આંધી દેશને વિનાશના કયા તબક્કે પહોંચાડશે ? બીજો પ્રશ્ન એ થાય છે કે શું તેનાથી મોંઘવારી કે ગરીબી ઘટશે, બેરોજગારી હટશે, અસ્પૃશ્યતા અટકશે, શિક્ષણ સસ્તું થશે, અંધશ્રદ્ધા નાબૂદ થશે, ગંદકી દૂર થઈ જશે ?

કેટલાંક ઉદાહરણો ચોંકાવનારાં છે. મુઝફરનગર જિલ્લાના કોઈ ગામે શિક્ષિકા તૃપ્તા ત્યાગીના કહેવાથી હિંદુ બાળકોએ મુસ્લિમ બાળકને લાફા માર્યા. પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે એકબીજાને ગળે લગાડ્યા. પરંતુ ‘બૂંદ સે બિગડી, હોજ સે નહીં સુધરતી’, કહેવતની માફક પીડિત બાળકના મનમાં કેવા ભાવો જાગ્યા હશે તેનો વિચાર નફરત પ્રચારકોએ કર્યો લાગતો નથી. શું આવા બનાવથી તેને હિંદુ ધર્મ તરફ પ્રેમ ઊભરાશે ? આવા બાળકના મનમાં ખુન્નસ પેદા થવાની સંભાવના છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે એક સમારંભમાં મુસ્લિમ બાળાને ઈનામ લેતાં અટકાવવામાં આવી હતી.

૧૫ ઑગસ્ટના રોજ ધોરણ ૧૦માં શાળામાં નંબર લાવનાર બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ રખાયો હતો. પ્રથમ ક્રમે મુસ્લિમ બાળાનો ક્રમ હતો. તેણી પ્રથમ ક્રમે હોવા છતાં, તેણીને બાકાત રાખી તેના પછીના ક્રમે આવનાર બાળકોને ઈનામ અપાયાં. સોશિયલ મીડીઆ તથા અખબારોમાં શાળાએ કરેલ ભેદભાવ સામે ખૂબ ઊહાપોહ થયો. શાળાના આચાર્યે અંતે માફી માગી અને પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે થોડા દિવસો બાદ ખાસ સમારંભ યોજીને પીડિત મુસ્લિમ બાળાને ઈનામ અપાયું. એમ કહેવાય છે કે તે શાળામાં નિશા નામની દલિત કન્યા પણ અગાઉના પ્રથમ નંબરે આવેલ હોવા છતાં, નથી તેણીની માફી માગવામાં આવી કે નથી તેણીને ઈનામ અપાયું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તાજેતરમાં સમાન નાગરિક ધારા પર વ્યાખ્યાન યોજાયેલ. આ વિષયનાં બંને પાસાંઓ પર વાદ થાય તો આવકાર્ય છે. જાણવા મળ્યું છે કે વ્યાખ્યાનને નામે મુસ્લિમ વિરોધી વાતો કરવામાં આવી હતી. ઉપરાંત, હોલમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પાસે ‘જય શ્રીરામ’નો નારો ઉચ્ચારવામાં આવતો હતો. શું આ રીતે ભેદભાવભરી નીતિ અપનાવવાથી સુરાજ્ય સ્થપાશે ? આપણી સામે પાકિસ્તાન, સીરીઆ, અફઘાનિસ્તાન જેવા ધર્મ આધારિત દેશોની જે હાલત છે તેને કેમ નજરઅંદાજ કરીએ છીએ ?

કશ્મીરનો બનાવ પણ આંખ ઉઘાડનારો છે. કોઈ એક શાળામાં એક વિદ્યાર્થીએ બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખ્યું. તેને લઈને બે મુસ્લિમ શિક્ષકોએ તેની પિટાઈ કરી. શિક્ષકોનું આ કૃત્ય અધમ, અમાનવીય અને અસ્વીકાર્ય છે.

કોઈપણ બાળકને તેણે ઉચ્ચારેલ પ્રતિજ્ઞા કરતાં વિરુદ્ધ વર્તન કરવા ફરજ પાડતા શિક્ષકો તરફ શું માનની લાગણી પેદા થતી હશે કે ગૌરવ પેદા થતું હશે ? તેના પર માનસશાસ્ત્રીઓએ પ્રકાશ ફેંકવો જોઈએ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 20

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૫) 

સુમન શાહ|Opinion - Literature|24 October 2023

સુમન શાહ

આજે, પણ્ડિતરાજ જગન્નાથ  વિશે —

એમનો સમય છે, ૧૭-મી સદીનો મધ્ય ભાગ. એમના ગ્રન્થનું શીર્ષક છે, “રસગંગાધર”.

(રા.બ. આઠવલેના “રસગંગાધર ખણ્ડ : ૧”-નો અનુવાદ નગીનદાસ પારેખે ગુજરાતીમાં કર્યો છે, પણ મને યાદ છે એ મુજબ, એમાં સંસ્કૃત પાઠ નથી.)

સૌ કાવ્યાચાર્યોની જેમ જગન્નાથના ગ્રન્થમાં પણ કાવ્યલક્ષણ, કાવ્યહેતુ, કાવ્યભેદ કે ગુણદોષની ચર્ચા છે.

એમણે ‘ધ્વનિકાવ્ય’-ના એક મહત્ત્વના ભેદ ‘રસધ્વનિ’-ના ચર્ચાપ્રસંગે ભરત મુનિના રસસૂત્રની અને અનુષંગે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક અને અભિનવગુપ્તના મતોની ચર્ચા ઉમેરી છે. પરન્તુ એ ચર્ચા રસ-સમ્પ્રદાય અને ધ્વનિ-સમ્પ્રદાયના જ્ઞાતા અને અધ્યેતા માટે કશો નવો પ્રકાશ નથી પાડતી. અલબત્ત, કેટલીક નાની બાબતોમાં જગન્નાથ જુદા પડતા હોય છે, પણ જરાક જ.

જગન્નાથે કાવ્યના અર્થને રમણીય કહ્યો, રમ્ય, પ્લેફુલ, એ એમનો મહત્તમ વિશેષ છે.

Pic Courtesy : Chaukhamba  Vidya Bhavna Varanasi

એ રમ્ય કે રમણીય તત્ત્વને અનેક વિદ્વાનોએ સાહિત્યસર્જન સંદર્ભે લાક્ષણિક ગણ્યું છે. અંગ્રેજ કવિ વિલિયમ બ્લેક કલાકારને બાળ-સહજ ગણતા, ‘ધ ટ્રુ આર્ટિસ્ટ ઈઝ નેવર ઍનિથિન્ગ બટ અ ચાઇલ્ડ’. અમેરિકન નવલકથાકાર ફ્લૅનરી ઓ’કોનોર કહેતા કે ‘રાઇટિન્ગ ઇઝ લાઇક પ્લેઇન્ગ ધ પિયાનો ઇન ધ ડાર્ક’. સુખ્યાત સમીક્ષક નૉર્થ્રોપ ફ્રાયે કહેલું, ‘લિટરેચર ઇઝ ધ ફૉર્મ ઑફ પ્લેફુલ રિચ્યુઅલ’. ‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’ના વિદ્વાનો – રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’ના વિદ્વાનો – કૃતિના અર્થ માટે ભાવકના અનુભવને નિર્ણાયક લેખે છે, પણ ભાવનની એ પ્રક્રિયાને ‘પ્લેફુલ ઇન નેચર’ કહે છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જગન્નાથ એ રીતે જુદા પડે છે કે એમણે રમણીયતાની વિભાવનાને વીગતનાં એક પછી એક ડગ ભરીને શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરી છે.

તેઓ પ્રારમ્ભે જ કહે છે : 

રમણીયાર્થપ્રતિપાદક: શબ્દ: કાવ્યમ્ 

– રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો શબ્દ કાવ્ય છે. 

રમણીયતા કોને કહેવાય? : 

રમણીયતા ચ લોકોત્તરાહ્લાદજનક જ્ઞાનગોચરતા. 

– રમણીયતા લોકોત્તર આનન્દ જનમાવનારી જ્ઞાનગોચરતા છે. 

એટલે કે લોકોત્તર, અલૌકિક, આનન્દજનક જ્ઞાનનો વિષય, રમણીયતા છે. 

લોકોત્તરતા શું છે? : 

લોકોત્તરત્વમ્ ચાહ્લાદગતશ્ચમત્કારત્વાપર્યાયોડનુભવસાક્ષિકો જાતિવિશેષ: 

– લોકોત્તરતા જ ચમત્કાર છે; બીજા શબ્દોમાં, એ એક વિશિષ્ટ પ્રકારની આહ્લાદદાયક અનુભૂતિ છે. પુત્રજન્મ કે ધનપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, જ્યારે આ અ-લૌકિક છે, લોકોત્તર છે.

એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? 

એ પ્રશ્નનો ઉત્તર જગન્નાથે સરસ આપ્યો છે, કે એ આહ્લાદ લોકોત્તરતાની ભાવનાનું વારંવાર અનુસન્ધાન કરવાથી પ્રગટે છે – કારણમ્ ચ તદવચ્છિન્નમ્ ભાવનાવિશેષ:પુન:પુનરનુસન્ધાનાત્મા.

મને જાણ છે કે કલાકૃતિનાં મારાં ભાવન, કૃતિના કેન્દ્રથી પરિઘ સુધી અને પરિઘથી કેન્દ્રમાં આવ-જા કરીને રસ ઘોળતાં હોય છે …

જગન્નાથે રમણીયાર્થયુક્ત કાવ્યની આ અનુભૂતિ માટે પ્રયોજેલાં બે વિશેષણ મને ખૂબ યથાર્થ અને સયુક્તિક લાગ્યાં છે -અનુભવસાક્ષિક: અને જાતિવિશેષ:

આ પરત્વે જગન્નાથનું તાત્પર્ય એ છે કે કાવ્યના અનુભવનું કોઈ સાક્ષ્ય અથવા પ્રમાણ હોય તો તે છે, સહૃદયનો કાવ્યાનુભવ. એટલે કે, કાવ્યકલાને અન્ય પ્રમાણોથી પ્રમાણી શકાય નહીં, એમ કરવા જતાં, કશું પણ પ્રમાણ હાથ આવશે નહીં. 

વળી, કાવ્યનુભવને તેઓ જાતિવિશિષ્ટ કહે છે. એટલે કે, કાવ્યાનુભવની જાતિ કાવ્યાનુભવ પોતે જ છે. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં સમજાવું તો કહું કે કલાની કોટિ કલા જ છે, એની કોઈ બીજી કોટિ નથી, કલા અદ્વિતીય છે, યુનિક છે.

આ ઉપરાન્ત, જગન્નાથે કરેલી કાવ્યહેતુની ચર્ચા પણ મને ઘણી નૉંધપાત્ર લાગી છે, કેમ કે એ પણ યથાર્થ અને સયુક્તિક છે :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર, કાવ્યના કારણભૂત પરિબળોમાં પ્રતિભા, વ્યુત્પત્તિ, અને અભ્યાસ છે, શાસ્ત્રમાં એ ત્રણને કાવ્યહેતુ કહ્યા છે. જગન્નાથ કહે છે કે કાવ્યનો હેતુ, કારણ, પ્રતિભા છે. પણ પ્રતિભા શું છે? તેઓ કહે છે કે કાવ્યઘટનાને અનુકૂળ શબ્દાર્થોની ઉપસ્થિતિનું નામ પ્રતિભા છે. 

અન્ય કાવ્યાચાર્યોએ પ્રતિભાને ઈશ્વરદત્ત ગણી છે, પણ જગન્નાથનું આ દૃષ્ટિબિન્દુ જુદું, વાસ્તવિક અને વિશ્વસનીય છે.

તેઓ કહે છે કે કોઈ દેવતા કે કોઈ મહાપુરુષની પ્રસન્નતા કારણ હોય પણ એ તો અદૃષ્ટ કારણ છે. ક્યારેક અસાધારણ અધ્યયન, વ્યુત્પત્તિ, કારણ હોય; ક્યારેક કાવ્યરચનાનો અભ્યાસ કારણ હોય; પણ કોઈ કોઈ અબુધોમાં તો માત્ર મહાપુરુષની પ્રસન્નતાથી જ પ્રતિભોત્પત્તિ થઈ હોય છે ! એમાં એમના પૂર્વજન્મની વિલક્ષણ વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ સ્વીકારી શકાય નહીં કેમ કે એમાં બિનજરૂરી વિસ્તાર થાય અને પ્રમાણનો પણ અભાવ હોય છે. જગન્નાથે દૃષ્ટ-અદૃષ્ટનું વૈચારિક નિદર્શન સ્વીકારીને વિશેષ છણાવટ પણ કરી છે, જેમાં જવાનું અત્રે કારણ નથી. 

પરન્તુ તેઓ કાવ્યને એક ઘટના ગણે છે, અને એ ઘટે તેમાં કારણ બને એ શબ્દાર્થોને પ્રતિભા ગણે છે, એ મહત્ત્વનું છે. કેમ કે એથી એમણે વ્યક્તિમાં નહીં પણ શબ્દાર્થમાં પ્રતિભા જોઈ, એ વસ્તુલક્ષીતા વિચારલાભ કરાવે છે, અને તેથી પ્રશંસાપાત્ર ઠરે છે.

= = =

(10/23/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...793794795796...800810820...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved