Opinion Magazine
Number of visits: 9665796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભલે પરણ્યાં ન હોય, પણ જાનમાં તો ગયાં હોયને !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 February 2024

રવીન્દ્ર પારેખ

હમણાં એક ઓડિયો ક્લિપ આવી જેમાં ફિલ્મ ‘અનાડી’નું મુકેશે ગાયેલું ગીત ‘કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર …’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં સાંભળવાનું થયું. ટેકનોલોજીનો આટલો વિકાસ આશ્ચર્ય પમાડે એવો છે. કાલ ઊઠીને કોઈ વડા પ્રધાનનું ભાષણ મુકેશના અવાજમાં ઓડિયો ક્લિપમાં મોકલી આપે તો નવાઈ નહીં ! એમ લાગે છે કે આજની ટેકનોલોજી કશું અસલી રહેવા દેવા માંગતી. આખે આખા માણસો રિપ્લેસ થઈ જાય એમ બને. જીવતો અલોપ થઈ જાય અને ગુજરી ગયેલો સામે ધસી આવે એય શક્ય છે.

કાલ ઊઠીને શાસકો એવા જ માણસો રાખે જે મત આપે ને વિરોધ ન કરે તો આઘાત ન લાગવો જોઈએ. એવું થાય તો જગતમાં કોઈ એક જ પક્ષનું શાસન રહે અને આગળ જતાં ચૂંટણીનો ખર્ચ પણ બચે. એ તો થાય ત્યારે, પણ 2024માં ભારતમાં ચૂંટણી થવાની છે એ નક્કી છે ને એટલું તો છે કે પંજાબ-હરિયાણાના ખેડૂતો આજે તો વિરોધ કરી શકે છે. એ જુદી વાત છે કે વિપક્ષો દૂરથી તાપણું કરી લે. જો કે, કોઈ ગરીબને એવો સવાલ થાય છે કે વિરોધ પંજાબ કે હરિયાણાના ખેડૂતોને જ કેમ છે? બીજા રાજ્યોમાં ખેડૂતો નથી? કે એમને છે તેનાથી સંતોષ છે? કે એ વિપક્ષોથી ભોળવાતા નથી? દિલ્હી કૂચ રોકવાની કોશિશો વચ્ચે ખેડૂતો ઘાંટાઘાટ કે વાટાઘાટ કરી લે છે. એમ લાગે છે કે કોકડું, રોકડું થઈ જશે, મતલબ કે ઉકેલાઈ જશે.

આ સૌમાં ઉત્તર પ્રદેશનું રાજ્ય એકદમ સાવધ છે. આગ લાગે તે પહેલાં તેણે કૂવો ખોદી કાઢ્યો છે ને એવો ફતવો બહાર પાડ્યો છે કે કોઈ પણ સરકારી તંત્રો છ મહિના સુધી દેખાવો નહીં કરી શકે કે હડતાળ નહીં પાડી શકે. શું છે કે યુનિયનો આમ તો બહુ પ્રભાવક રહ્યાં નથી, પણ કોઈ ચૂં કે ચા ન કરી શકે એ માટે ઉત્તર પ્રદેશ સરકારે, હડતાળિયાઓની બોલતી બંધ કરી દીધી છે. થાય છે એવું કે ચૂંટણી ટાણે જ માંગણીઓ મનાવવા યુનિયનો રસ્તે ઊતરી પડતાં હોય છે ને ‘ઘરણ ટાણે જ સાપ’ કાઢતાં હોય છે. ચૂંટણી ટાણે સરકાર ઘણીવાર ઝૂકી પણ જતી હોય છે. એમ ઝૂકવું ન પડે એટલે ઉત્તર પ્રદેશ સરકારે ઘણાંની ઉત્તરક્રિયા કરી નાખી છે. એનું જોઈને અન્ય રાજ્યો ફતવા બહાર પાડે પણ ખરા. એ તો થાય ત્યારે, પણ ઉત્તર પ્રદેશ સરકારે એસ્મા એક્ટ – એસેન્શિયલ સર્વિસિસ મેનેજમેન્ટ એક્ટ લાગુ કરીને હડતાળ પર જનારની વોરંટ વગર ધરપકડ થઈ શકે એવો બંદોબસ્ત કરી લીધો છે. આવું દિલ્હી સરકારને સૂઝ્યું હોત તો ખેડૂતોએ આંદોલન સુધી જવું જ ન પડ્યું હોત ! વોટર કેનન, ટીયર ગેસ અને હવામાં ગોળીબારથી બચી શકાયું હોત તે નફામાં. ઉત્તર પ્રદેશની સરકાર જોઈએ તો લાગે કે સરકાર તો આવી જ હોવી જોઈએ. વિપક્ષો તો ઠીક, શાસકો પણ અવાજ ન કરી શકે એનું નામ શોકશાહી, નહીં, લોકશાહી ! તમે કહેશો કે આવું તે હોય? હોય નહીં, છે.

તમે પાછા પુરાવા વગર માનો એવા નથીને ! બીજે તો ખબર નહીં, પણ ગુજરાત સરકારમાં તો પક્ષની શિસ્ત એવી છે કે વિપક્ષને હોય એટલી છૂટ પણ શાસકપક્ષને નથી. વિરોધ કરવાની વાત તો ઘેર ગઈ, કોઈ ધારાસભ્યે પ્રજાની વાત સરકારને પહોંચાડવી હોય તો તે મૂકતાં પણ પરસેવો પડી જાય છે. એવે વખતે ખાનગીમાં વિપક્ષની મદદ લેવી પડે ને ભાઈબાપા કરીને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા પડે એવી હાલત છે. બન્યું એવું કે 16મી ફેબ્રુઆરીએ એક નવા ભા.જ.પ. ધારાસભ્યે સિનિયર કાઁગ્રેસી ધારાસભ્યને ગેલેરીમાં ધીમેથી કહ્યું કે હું તમને વિગતો આપીશ, જરા અમારા વતી ગૃહમાં વાત મૂકો તો અમારું પણ ભલું થાય. જોયું? પોતાની વાત મૂકવામાં પણ શાસકપક્ષના સભ્યોની હિંમત ચાલતી ન હોય તો ગુજરાતમાં લોકશાહી કેટલી જડબેસલાક છે તે કહેવાની જરૂર છે? એમ પણ બને કે એવું કશું હોય જ નહીં ને ભા.જ.પ.ના ધારાસભ્યો અમથા જ ગભરાયા કરતા હોય ! દેશની વિશ્વમાં આટલી ઊજળી છબી બની હોય ને આપણે …

આપણે સમજવું જોઈએ કે શિક્ષકોની કાયમી ભરતી કરવાની સ્થિતિમાં ગુજરાત સરકાર નથી, એવું થતું હોત તો સરકાર હાથ જોડીને બેસી રહે એવી નથી. કાળી પટ્ટી પહેરવાથી શિક્ષકોની કાયમી ભરતી થઈ જાય કે જૂની પેન્શન સ્કિમ શરૂ થઈ જાય તો સરકાર જાતે જ આખો કાળો તાકો ઓઢીને ન બેસે? તેને બદલે એણે તો ભવનમાં કાળાં વસ્ત્રો પહેરીને આવવાની જ મનાઈ ફરમાવી છે. શિક્ષકોએ સમજવું જોઈએ કે જગ્યાઓ તો ખાલી રહેવા માટે જ હોય છે. એમ તો કોલેજોમાં પણ આચાર્યની જગ્યાઓ ખાલી પડે જ છેને ! તે કૈં ભરવા માટે થોડી હોય છે ! એ તો કોઈ સિનિયર પ્રોફેસરને ચાવી સોંપી દો તો ઇન્ચાર્જ આચાર્ય ક્યાં નથી બનતા? સરકાર, રસ્તો ન હોય ત્યાંથી પણ રસ્તો કાઢે એવી સક્ષમ છે એટલે ચિંતા ન કરો.

જો કે, સરકારને ખાનગી સ્કૂલોના સંચાલકો હંફાવતા રહે છે. RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપતાં વડોદરાની ખાનગી સ્કૂલોનો હાથ પાછળ ખેંચાય છે. કારણ એની ફી તો ઓછી આવે, એને બદલે બીજાને એડમિશન આપે તો વધુ ફી આવે. એટલે જ RTE હેઠળ આવતા વિદ્યાર્થીઓની સૂગ સંચાલકોને ચડે છે ને એ RTEની વ્યવસ્થા જ સાવકી રાખે છે. આ કારણે કેટલાક વિદ્યાર્થી ત્યાંથી નીકળી પણ થઈ જાય છે ને એ જ ખાનગી સંચાલકોને જોઈતું હોય છે. આ બધું બાળકો સમજતાં નથી એવું નથી. તેઓ નાનેથી જ શીખે છે કે મેદાન વગરની ‘રમત’ કેવી રીતે રમવી? અવગુણો વગર જીવવું એટલે વગર મૂડીએ નફો રળવો એ પાઠ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓ જોઈને શીખે છે.

આમ તો શિક્ષકોની તંગી છે ને છે તે પણ નથી જેવા જ ! થયું એવું કે સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર શાળામાં શિક્ષકો તો હતા, પણ એમને એમ કે વિદ્યાર્થીઓ નથી એટલે શિક્ષકો લોક મારીને ઘરે જતા રહ્યા. એમાં 21 બાળકો રૂમમાં જ લોક થઈ ગયાં. બાળકોએ રડારોળ કરી મૂકી, તો અવાજ સાંભળીને આજુબાજુનાઓનું ધ્યાન ગયું ને શાળાનો ગેટ તોડીને બાળકોને બહાર કાઢ્યાં. આમાં ય તમે વાંક તો શિક્ષકોનો જ જોશો, પણ એ બરાબર નથી. બાળકો સ્કૂલે આવતાં જ ન હોય ત્યાં 21, 21 બાળકો આવે એ કોઈને ય ગળે ઊતરે? શિક્ષકોને તો એમ જ કે સ્કૂલ ખાલી છે, તો એ તો ઘરે જાય જને ! એટલું સારું કે તાળું મારીને ગયા, નહિતર તો એમને એમ પણ જઈ શક્યા હોત !

એમ તો સુરતમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે જ ! એમાં ઘણી ભાષાનાં પુસ્તકો વર્ષની શરૂઆતથી જ નથી હોતાં ને માંગવા છતાં, વર્ષને અંતે ય ન મળવાનો સિલસિલો ચાલુ જ છે. કમાલ તો એ છે કે વગર પુસ્તકે શિક્ષકો ભણાવે છે, બાળકો ભણે છે, પરીક્ષા આપે છે ને પાસ પણ થાય છે. આ ચમત્કાર નથી તો શું છે? કદાચ પુસ્તકો હોત તો નાપાસ થયાં હોત ! દર વર્ષે ઢગલો બાળકો વગર પુસ્તકે પાસ થાય છે તે એ બધાં ડફોળ છે? એ ખરું કે યોગ્ય અભ્યાસના અભાવે ચાર વર્ષ સુધી દર મહિને હજારની મળતી સ્કોલરશિપથી બાળકો વંચિત રહે છે, પણ એનું ય લૉજિક છે. સ્કૉલરશિપના પૈસા તો બચે છે ! ને તે વિનાશમાં, સોરી, વિકાસમાં વપરાય છે…

તાજેતરમાં તેલુગુ શાળા બંધ થઈ. થાય હવે. એની રોકકળ ના કરો. ગુજરાતી માધ્યમની પણ ઢગલો સ્કૂલો બંધ થઈ ને અંગ્રેજી માધ્યમની શરૂ પણ થઈ તો શું ખાટુંમોળું થઈ ગયું? મરાઠી, ઉર્દૂ, ઉડિયા, અંગ્રેજી, હિન્દી માધ્યમની સ્કૂલો ચાલે જ છેને ! એ કેમ નથી જોતાં કે ગુજરાતી માધ્યમનો શિક્ષક મરાઠી કે ઉર્દૂ ભાષા ભણાવી આવે છે ! શિક્ષકોની આવી ક્ષમતા તમને બીજે જોવા ન મળે. તેલુગુ બંધ થઈ, બાકી, ગુજરાતીવાળો તો એ પણ ભણાવી આવે. હવે ઊઠાં ભણાવવાનું જ બંધ થઈ ગયું, નહીં તો તમે તો ઊઠાં ભણાવો છો, એવું પણ કહેશો. સ્કૂલો બંધ થઈ તે જુઓ છો, તો ચાલે છે તે નહીં જોવાનું? સિંધી, તેલુગુ બંધ કરી તેમ બાકીની સ્કૂલોનું નહીં વિચારવાનું? છ, છ ભાષાનાં માધ્યમની સ્કૂલો ચાલુ કરી તે હવે છથી એક તરફ આવવાનું કે નહીં? શિક્ષણ સમિતિ છે, ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અધ્યક્ષ બદલ્યા જને ! ને સમિતિએ પણ રહેવું નહીં હોય, શું?

વેલ, શિક્ષકોની ઘટનું તો એવું છે કે દર વખતે શિક્ષણ મંત્રીશ્રી નામ બદલી બદલીને ભરતીની વરદી તો આપે જ છે. આજથી જ 3,000 પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત આપી છે. અલબત્ત ! તે ઓળખાશે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ! થોડા વખત પર જ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે, એવું પણ મંત્રી સાહેબે કહ્યું હતું. આવી જાહેરાતો તો ગાડી ઉપડે ને સ્ટેશન આવે એમ થતી જ રહે છે, પણ ઘટનો વટ ઘટતો નથી. આવી જાહેરાત મુજબ ભરતી થઈ હોત તો વગર નોકરીએ જ ઘણા ‘સર’પ્લસ થયા હોત ! સરકાર બિઝી એટલી હોય છે કે આ ભરતી-ઓટનો ખેલ તેણે ટર્મની શરૂઆતમાં નહીં, પણ વર્ષને અંતે કરવો પડે છે. શરૂઆતથી કર્યો હોત, તો એ ભરતીનો પગાર ને એવું બધું શરૂથી જ ચૂકવવું પડ્યું હોત. એનો પગાર બચાવીને સરકારે પ્રજાના પૈસા બચાવ્યા છે તે તમે સ્વીકારો છો? ના સ્વીકારો, તો ભલે, પણ અમને સાવ ભોટ ન માનો. ના, ના, અમે પરણ્યાં ના હોઈએ, પણ જાનમાં તો ગયાં હોઈએને ! કે એ ઇજારો પણ તમારો જ છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ફેબ્રુઆરી 2024

Loading

આળ ચડશે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|19 February 2024

કાલની આજ થાય તો કાળ ફરશે,

સાંઈઠે શાન હોય તો બાળ નમશે.

સાચવી રાખ માન સન્માન મળશે,

પ્રિયજન યાદ હોય તો ભાળ જડશે.

માનવાચક બહુવચન શબ્દ વાપર,

કિટલી જેમ હોય તો ડાળ ખડશે.

એક સરખા સ્વભાવ મળવા કઠિન છે,

સ્હેજ સંબંધ હોય તો સાળ વણશે.

જડ અચેતન અબૂધ માણસ ન બનવું,

ના સમજ મૂર્ખ હોય તો આળ ચડશે.

e.mail : addave68@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૪) 

સુમન શાહ|Opinion - Literature|18 February 2024

(( મિત્રો ! ગઇ કાલે પ્રકરણ ૧૦-થી પ્રારમ્ભ કર્યો પણ એ મારી ભૂલ હતી. મારા યુવાનમિત્ર પ્રિયાંક ઠાકરે મારું ધ્યાન દોર્યું કે છેલ્લે હું ૧૪-મા પ્રકરણ લગી તો સાર-સંક્ષેપ આપી ચૂક્યો છું. એટલે મેં શોધખોળ મચાવી અને પ્રકાશિત એ બધાં જ પ્રકરણો મેળવી લીધાં. પ્રિયાંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. લખાઇ ગયેલાં મારાં લેખનો વિશે હું બેતમા થઈ જઉં છું એટેલે કે હું બહુ જ અવ્યવસ્થિત માણસ છું, એ હકીકત એક વધારે વાર દૃઢ થઈ, એનું દુ:ખ છે, એટલો જ આનન્દ છે. એ ૧૪-મું પ્રકરણ ફરીથી રજૂ કરું છું. ))

== આ નવલકથાના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે. કેટલા મૂળને અનુસરીને, કેટલા અંગ્રેજી અનુવાદને અનુસરીને, તે જાણવું કઠિન છે. પણ હું જેના અંગ્રેજી અનુવાદને અનુસરું છું એ છે, ગ્રેગરી રબાસા. 

માર્ક્વેઝે જણાવ્યું છે કે રબાસાના અનુવાદને પોતે ખૂબ ચાહે છે. એમણે એટલે સુધી કહ્યું છે કે હું એને પોતાના અધિકારથી ઊભેલી એક સ્વતન્ત્ર કલાકૃતિ ગણું છું. == 

પ્રકરણ : ૧૪ 

મેમેનાં છેલ્લાં વૅકેશનો અને કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો મૃત્યુશોક, બન્નેના દિવસો સાથે સાથે થઈ ગયા. ઘરનાં બારણાં બંધ રાખવામાં આવેલાં. એટલે,પાર્ટીઓ પણ બંધ હતી. બધાં મોટેથી ન્હૉતાં બોલતાં, ફુસફુસ કરે; વગર અવાજે જમતાં; દિવસમાં ત્રણ વાર જપમાળા કરતાં -પ્રાર્થના -રોઝરી. શોક પાળવા વિશે ફર્નાન્ડાએ ઘરમાં ઘણી સખ્તાઈ વાપરેલી.

મેમે, ઔરેલિયાનો સેગુન્દો અને ફર્નાન્ડા કાર્પિયોની પહેલી દીકરી. એ મોટી થવા લાગેલી, બાપના જેવી જ મજાકિયા સ્વભાવની હતી. મા-એ ક્લેવિકોર્ડ શીખવાનું દબાણ કરેલું પણ મેમે દેખાવ એવો કરતી જાણે ક્લેવિકોર્ડમાં પોતાને બહુ જ રસ પડી રહ્યો છે. 

મેમે બાપ સાથે હળી જાય છે. કેમકે એ બન્નેને ફર્નાન્ડા બાબતે સરખો સ્વાર્થ હતો. સ્વાર્થ એ કે ફર્નાન્ડાની ટીકાટપ્પણી કરી શકાય. બન્નેને ફર્નાન્ડા ગમતી ન્હૉતી. 

મેમે કેટલીક અમેરિકન છોકરીઓ જોડે બેનપણાં કરી લે છે, એમની જોડેના સમ્બન્ધને વધારતી રહે છે, એટલે, એને થોડુંક અંગ્રેજી પણ આવડી જાય છે. ગરમીના દિવસોમાં વામકુક્ષી ટાણે ય એના ક્લેવિકોર્ડની પ્રૅક્ટિસ ચાલતી હોય, જોકે એમાંથી ય શોકના સૂર પડઘાતા’તા !

ઔરેલિયાનો સેગુન્દો એના રિવાજ પ્રમાણે ઘરે સૂવા આવતો પણ દીકરીને વૅકેશન હોય ત્યારે. કાયદેસરની પત્ની તરીકે ફર્નાન્ડાએ પોતાના કેટલાક અધિકાર જતાવ્યા હોય, એટલે પણ એને આવવું પડતું’તું. પરિણામે, પછીના વર્ષે મેમે માટે નાની બેનનો જન્મ થયો. મા-ની ઇચ્છા વિરુદ્ધ એને બાપ્તિસ્મા અપાયો અને નામ રાખવામાં આવ્યું, અમરન્તા ઉર્સુલા. અમરન્તા ઉર્સુલા એમનું ત્રીજું સન્તાન. 

બ્વેન્દ્યાઓની બીજી પેઢીની છેલ્લી જીવિત વ્યક્તિ મોટી અમરન્તા પોતાના વર્તમાનની તુલનામાં એકાકી અને પસ્તાવાભર્યા અતીતમાં વધારે જીવતી’તી. એને એના મૃત્યુનો પૂર્વાભાસ થાય છે અને પોતાના અન્તિમ સંસ્કાર માટે કફન શીવવાનું શરૂ કરે છે. કફન પૂરું કર્યા પછી એણે આખા કસબાને જણાવેલું કે પોતે સાયંકાળે મૃત્યુ પામવાની છે; એમ પણ દર્શાવ્યું હતું કે પોતે લોકો પાસેથી જીવિતો મૃતકોને લખે છે એવા પત્રો પણ ઇચ્છે છે. 

અમરન્તા ઘરડી થઈ ગયેલી, બધાંથી જુદી હતી, અલગ જીવતી’તી, તેમછતાં હજી સુદૃઢ અને ટટાર દીસતી’તી, નરવું સ્વાસ્થ્ય એણે પહેલેથી સાચવી રાખેલું. કોઈ જાણી શકેલું નહીં કે શા કારણે એણે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને પાણીચું પકડાવેલું, અને છાના રુદનને માટે જાતને કેદ કરી દીધેલી. રેમેડિયોઝ ધ બ્યુટિના સ્વાર્ગારોહણ વખતે કે ઔરેલિયાનોઓની બરબાદી વખતે કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાના અન્તકાળે, કોઈએ એને રડતી નહીં જોયેલી. 

છતાં, આ દુનિયામાં એ સૌથી વધુ ચાહતી’તી કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને. જોકે એ ચાહના એણે કર્નલને ચેસ્ટનટ વૃક્ષ નીચે પેલા લોકો લાવ્યા એ પહેલાં કદી વ્યક્ત નહીં કરેલી. પોતે કર્નલના દેહને ઊંચકવામાં મદદ કરેલી, સૈનિકનો ગણવેશ પહેરાવેલો, દાઢી કરી આપેલી, વાળ ઓળી આપેલા, અને કર્નલ કીર્તિના ઉજમાળા દિવસોમાં મીણ વડે મૂછોને તાવ દેતા, તે પણ અમરન્તાએ કરી આપેલું. 

બધાંને એમાં કશો પ્રેમ ન્હૉતો વરતાયો. કેમકે બધાંને એમ કે એમાં શું? મૃત્યુ પાછળની વિધિ બાબતે અમરન્તા પાવરધી છે ! જીવન સાથેના કૅથલિક ધર્મસમ્બન્ધને અમરન્તા સમજતી નથી એ મુદ્દે ફર્નાન્ડા નારાજ થઈ ગયેલી. એને એમ લાગ્યું હતું કે અમરન્તા માત્રમૃત્યુ સાથેના સમ્બન્ધને જ સમજે છે; એમ સમજે છે કે કૅથલિક જાણે કે ધર્મ નથી પણ અન્ત્યેષ્ઠિ વિધિવિધાનોનો ઇસ્કોતરો છે !  

અમરન્તા જીવનભરની યાદોનાં થીગડાંથી એવી તો લપેટાઈ ગયેલી કે ધરમની એ બધી ઝીણી વાતો સમજવાનું એના માટે શક્ય જ ન્હૉતું રહ્યું. પોતાના અતીતને અકબંધ રાખતી રાખતી એ ઘરડી થઈ ગયેલી.

મેમેનું ભણતર પૂરું થયું, એને ક્લેવિકોર્ડિસ્ટના ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાયું. ઘરમાં શોકની પણ સમાપ્તિ થઈ ગઈ. મહેમાનોને મેમેની કલા ગમતી અને એના દ્વિમુખી સ્વભાવની બધા પ્રશંસા કરતા. એનો હસીમજાકિયો સ્વભાવ અને થોડી નાદાની જોતાં એમ જ થાય કે જીવનમાં એ કશી ઠાવકી પ્રવૃત્તિ કરશે કે કેમ. પણ જેવી એ ક્લેવિકોર્ડ વગાડવા બેસે, એક જુદી જ છોકરી લાગે, એણે અણધારી પરિપક્વતા દાખવી હોય, વયસ્ક લાગે. પછીથી તો હમેશાં એ એમ જ રહી.  

આ મેમે બનાના પ્લાન્ટેશનમાં મિકેનિક તરીકે કામ કરતા મૌરિસિયો બેબિલોનિયાના પ્રેમમાં પડે છે. મૌરિસિયો પણ કશી છોછ રાખ્યા વિના એને અતિશય પ્રેમ કરતો હોય છે. એની નિખાલસતા અને ગમ્ભીરતાથી મેમે પ્રભાવિત થઈ ગયેલી. મૌરિસિયાની પછવાડે હમેશાં પીળાં પતંગિયાં ઊડતાં…

એક વાર ફર્નાન્ડા બન્નેને મૂવી થીએટરમાં ચુમ્બન કરતાં જોઈ ગઈ; એટલે પછી પ્રેમમાં પાગલ મેમેને એણે ઘરમાં જ રહેવાની સજા ફરમાવી. પણ મૌરિસિયો મેમે સાથે સમ્ભોગાર્થે રોજ રાતે ઘરમાં ઘૂસે છે એવી જ્યારે ફર્નાન્ડાને ખબર પડી, બૅકયાર્ડમાં એણે એક ગાર્ડ નિમ્યો. એક વાર મૌરિસિયો જેવો આવ્યો કે તરત ગાર્ડે ગોળી મારીને એની કરોડરજ્જુને વેરવિખેર કરી નાખી; એને હમ્મેશને માટે પંગુ બનાવી દીધો. 

મેમે નૃત્ય, સ્વીમિન્ગ અને ટૅનિસ તો શીખી ગઈ પણ હવે એને અંગ્રેજી ભાષા ખૂબ ગમવા માંડી. ઔરેલિયાનો સેગુન્દો દીકરીની પ્રગતિ માટે બહુ ઉત્સાહી હતો. એક ટ્રાવેલિન્ગ સેલ્સમૅન પાસેથી ઇન્ગ્લિશ ઍન્સાયક્લોપીડિયાના છ ગ્રન્થ લઈ આવેલો. મેમે નવરાશે નવરાશે વાંચતી.

પ્રેમલા-પ્રેમલીઓની ગપ્પાંબાજીમાં અને બેનપણીઓ સાથેના પ્રયોગોમાં કરેલી પીછેહઠમાં મેમેએ જે ધ્યાન ખરચેલું, એને ગ્રન્થોના આ વાચને કબ્જે કરી લીધું. શિસ્તમાં રહેવા માટેની એ કોઈ જબરજસ્તી ન્હૉતી, પણ જાહેર ક્ષેત્રે જે જાતની ખાનગી વાતો ચાલતી’તી તેમાંથી એનો રસ ઊડી ગયેલો. મદીરાપાનના એ પ્રસંગને એણે યાદ કરી જોયો. એને થયું, કેવું બાલિશ સાહસ હતું એ. પ્રસંગ મેમેને એટલો બધો ફનિ લાગેલો કે એ બધું એણે પિતા ઔરેલિયાનો સેગુન્દોને વીગતે વર્ણવી બતાવેલું. સેગુન્દોએ એને, ‘તારી મા-એ જાણ્યું હોત તો?’ કહ્યું અને ખડખડાટ હસ્યો. મેમે એને ખાનગીમાં વ્હાલથી આવું કંઈક ક્હૅ, ત્યારે એ આવું જ વર્તતો. 

એણે મેમે પાસેથી વચન મેળવેલું કે મેમે એને પોતાના પહેલા પ્યારની વાત એવા જ વિશ્વાસથી કરશે. અને, મેમેએ જણાવેલું કે એને રેડ-હેડેડ અમરિકન છોકરો ગમી ગયેલો. ઔરેલિયાનો સેગુન્દોએ ‘તારી મા જાણે તો શું થાય, જાણે છે?’ એમ હસીને પૂછેલું. જોકે મેમેએ જણાવેલું કે છોકરો હવે પોતા માટે દૃશ્ય નથી કેમકે એ પોતાને દેશ પાછો ચાલી ગયો છે.

મેમેની પરિપક્વ વિવેકશીલતાએ પરિવારને સરવાળે શાન્તિનો અનુભવ કરાવેલો. 

હવે, ઔરેલિયાનો સેગુન્દો, પેત્રા કોટ્સને વધારે સમય આપવા લાગ્યો છે. વીતેલા દિવસોમાં કરેલા ભ્રષ્ટાચાર માટે એના શરીર અને આત્માએ અનુમતિ નહીં આપેલી, છતાં, એ બધાંને સરખું કરવા માટેની એક પણ તક એ ચૂક્યો નહીં.

અમરન્તાને લાગ્યું હતું કે મૃત્યુ એને એનો માર્ગ બતાવી રહ્યું છે. ચૉથી ફેબ્રુઆરીની રાતે વંટોળ ફુંકાય છે અને પાવર પ્લાન્ટ ખોરવાઈ જાય છે. પણ બીજે દિવસે સવારના આઠ વાગ્યે અમરન્તા, કોઈ સ્ત્રીએ કદી ન સરજી હોય એવા, કલાકૃતિ સમા, કફન પર છેલ્લો ટાંકો ભરે છે. કશા નાટકવેડા કર્યા વિના અમરન્તા જણાવે છે કે પોતે સાયંકાળે મૃત્યુને વરશે. 

માકોન્ડોમાં બધે સમાચાર પ્રસર્યા અને બપોરના ત્રણ સુધીમાં તો પાર્લરમાં પત્રો ભરેલું એક આખું કાર્ટૂન આવી ગયું. અમરન્તાએ અસ્વસ્થતા કે વેદનાનો અણસાર પણ આવવા દીધો નહીં. એ સ્વસ્થ હતી અને કર્તવ્યપૂર્તિને કારણે થોડી જુવાન પણ દેખાતી’તી. એ પહેલાં જેવી જ સરળ અને એવી જ દુબળી-પાતળી હતી. એનાં જડબાં કઠોર હતાં, કેટલાક દાંત ગાયબ હતા, નહિતર, હતી તેથી પણ એ વધારે જુવાન લાગત. પત્રોને એક બૉક્સમાં મૂકી સીલબંધ કરવા માટે એણે જાતે ઘરનાંને મદદ કરી; અને કહ્યું કે -બૉક્સને મારી કબરમાં એવી રીતે ગોઠવજો કે ભેજથી બગડી ન જાય. 

એ પછી એ હતી ત્યાં જ હતી.

અમરન્તા કુંવારી જ મરી.

અમરન્તાના મૃત્યુ પછી ઉર્સુલા પોતાના બેડમાં સૂવા લાગી અને વરસો લગી જાણે જાગી જ નહીં. નાની અમરન્તા ઉર્સુલા એને મળી જતી. એની જોડે ઉર્સુલાને બહુ ગોઠી જાય છે અને એમની વચ્ચે સરસ વ્હાલપભર્યો સમ્બન્ધ રચાય છે.

હવે, સાન્તા સોફિયા દ લા પિયેદાદ ઉર્સુલાની સંભાળ લેવા માંડી છે. ઉર્સુલાના બેડરૂમમાં જમવાનું લઈ જાય, સ્નાન માટે અન્નાટો ફળમાંથી બનાવેલું પાણી લઈ જાય, માકોન્ડોમાં જે કંઈ બને એ બધાથી એને વાકેફ પણ રાખે. 

ઉર્સુલાને ઔરેલિયાનો સેગુન્દો પણ અવારનવાર મળવા જતો, એના માટે કપડાં વગેરે લાવતો. ઉર્સુલા એ બધું પથારી પાસે મૂકી રાખે. એમ કરતાં કરતાં ઘણા ઓછા સમયમાં એણે બધું હાથવગું રહે એવી પોતાની એક આગવી દુનિયા બનાવી લીધી. એણે નાની અમરન્તામાં પ્રેમતત્ત્વનાં બી રોપેલાં. નાની પણ એના જેવી જ હતી, ઉર્સુલાએ એને પુસ્તકો વાંચતી પણ કરેલી. 

ઉર્સુલાના સ્વભાવની સરળતા, પોતા પાસે હોય એથી પ્રસન્ન રહેવાની એની વૃત્તિ, વગેરેથી કોઈને લાગે કે સો વર્ષના ભારથી એ કુદરતી રીતે જ જિતાઈ ગઈ છે, તેમછતાં, સમજાય એવું છે કે એને દેખાતું ન્હૉતું. જોકે કોઈને ય લાગે નહીં કે એ સાવ જ  અન્ધ છે.

મેમેનો પ્રેમી મૌરિસિયો બેબિલોનિયા એકાન્તે ઘરડો થઈને મૃત્યુ પામે છે -ન કશો વિલાપ -ન વિરોધ -વિશ્વાસઘાતની ન કશી યાદ. પીળાં પતંગિયાંએ એને બહુ સતાવેલો. પતંગિયાંથી એને પળભરની ય શાન્તિ નહીં મળેલી.

= = =

(Dec 30, 2022 : USA)
(Feb 18, ’24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...791792793794...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved